બ્રહ્મચારીઃ “અમ્મા, શું નિદ્રાનો ત્યાગ કરી, રાતભર જાગીને મંત્રજાપ કરવો સારું છે?”

અમ્મા  “વર્ષોથી આપણને જેની આદત પડી ગઈ છે, તેવી વસ્તુ છે નિદ્રા. અચાનક તેને રોકવી, અનેક અસ્વસ્થતા ઉત્પન્ન કરશે. રોજ ઓછામાં ઓછું ચાર પાંચ કલાક તો સૂવું જ જોઈએ. અચાનક નિદ્રામાં ઘટાડો કરશો નહિ. ક્રમશઃ તેમાં ઘટાડો કરો. પણ ચાર કલાક તો ઊંઘવું જ જોઈએ.”

બ્રહ્મચારીઃ “મંત્રજાપ કરતી વખતે અનેકવાર હું એકાગ્રતા ખોઈ બેસું છું.”

અમ્માઃ “અત્યંત જાગરૂકતા સાથે મંત્રજાપ કરવો જોઈએ. મંત્રના શબ્દોમાં મન સ્થિર કરવું અથવા તેના અર્થપર, અથવા મંત્રના એક એક અક્ષરને મનમાં નિરખતા જપ કરવો જોઈએ. ઈષ્ટદેવના સ્વરૂપને નિહાળતા મંત્રજાપ કરી શકો. રોજ અમુક સંખ્યામાં જપ કરવાનું પહેલેથી જ નક્કી કરવું જોઈએ. ત્યારે સહજ જ વૈરાગ્ય સાથે જપ કરવાની આદત પડશે. પરંતુ, નિર્ધારિત સંખ્યા પ્રાપ્ત કરવાને  બેદરકારીથી મંત્રજાપ કરશો નહિ. જે અત્યંત મહત્વનું છે, તે છે મનની એકાગ્રતા. મંત્રજાપ માટે માળાનો ઉપયોગ કરવો, તમને સહાયરૂપ થશે. આથી તમને મંત્રની સંખ્યાનો પણ ખયાલ રહેશે અને તમારાં મનની એકાગ્રતા પણ જળવાયેલી રહેશે.

“શરૂઆતમાં એકાગ્રતા સરળતાથી નહિ મળે. માટે હોઠ હલાવીને મંત્રજાપ કરવાની ટેવ રાખવી. ક્રમશઃ હોઠ કે જીભ હલાવ્યા વિના તમે મનમાં  મંત્રજાપ કરી શકશો. કયારેય યાંત્રિક રીતે કરશો નહિ. અત્યંત જાગરૂકતા સાથે મંત્રજાપ કરવો જોઈએ. કોઈ મધુર પદાર્થનો સ્વાદ માણી રહ્યાં હો, એ રીતે પ્રત્યેક મંત્રજાપ કરવો જોઈએ. છેવટે પછી, તમે એવી અવસ્થાને પ્રાપ્ત થશો કે, તમે જો મંત્રજાપને છોડો તો પણ, મંત્રજાપ તમને નહિ છોડે.

“શું યશોદાએ કૃષ્ણને ખાંડણિયા સાથે બાંધ્યા ન હતા? આ જ પ્રમાણે, ભાવના કરો કે તમે તમારા ઈષ્ટદેવને પ્રેમની રસ્સીથી બાંધી રહ્યા છો અને પછી તેમને મૂકત પણ કરો છો. જાણે કે તમે કોઈ ચલચિત્ર જોઈ રહ્યા હો, એ રીતે તમારા મનમાં સ્પષ્ટ ભાવના કરો કે, તમે તમારા ઈષ્ટદેવ સાથે રમત રમી રહ્યાં છો,  તેમની સાથે વાતો કરો છો, તેમને પકડવા તમે તેમની પાછળ દોડો છો. પ્રેમ ભરાઈ આવે, પછી કોઈ તમને આ રીતે કલ્પના કરવાનું કહેશે નહિ. કારણ કે, ત્યારે તમારા વિચાર ફક્ત તમારા ઈષ્ટદેવના જ હશે. સહજ જ તે તમારાં મનમાં ઉદિત થશે.

“બાળકો, તમારી અંદર પ્રેમ વિકસાવો. “મારાં પ્રભુ” એવું બંધન આવવું જોઈએ.”

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)