યુવક : “અમ્મા, અમે જ્યારે કહ્યું કે અમે આશ્રમ જઈએ છીએ, ત્યારે
ઘણા લોકો અમારી મશ્કરી કરવા લાગ્યા. તેમનું કહેવું હતું કે, આશ્રમ અને
મંદિરો તો વૃદ્ધ લોકો માટે છે.”

અમ્મા : “મંદિરો અને આશ્રમો તો લોકોમાં આધ્યાત્મિક ચિંતન અને
ઉત્તમ ગુણો વિકસાવવા માટે છે. આજે ઘણા લોકોને મંદિરોની નિંદા કરતા જોઈએ
છીએ.

રાષ્ટ્રિય પાર્ટીઓને, પાર્ટીની ધજાઓ ઉંચકીને સરઘસમાં નીકળતા તમે
નથી જોયા? કોઈ તેમની એક ઝંડીને ફાડે, કે બાળે કે પછી તેના પર થૂંકી જાુએ,
તે બધા લોકો ભેગા મળી, મારી મારીને તેની હત્યા કરશે. વાસ્તવમાં તે ઝંડીમાં
શું છે? તે તો કપડાનો એક ટૂકડો માત્ર જ છે. એક જાય, તો બીજા જેટલા જોઈએ
તેટલા પૈસા દેતા મળે! પરંતુ, તેમ નથી. તે ધજા, એક આદર્શનું પ્રતીક છે.
તેમની પાર્ટીનું પ્રતીક છે. માટે, તેઓ તેનો અનાદર સહન કરી શકે નહિ. આ જ
પ્રમાણે, મંદિર ઈશ્વરતત્વના પ્રતીક છે. આ ઉપરાંત, તેમાં આપણે ઈશ્વરના
દર્શન કરીએ છીએ. મંદિરમાં પ્રવેશ કરી, દર્શન કરતી વખતે, આપણામાં
સદ્‌વિચારો ખીલે છે. આપણા યથાર્થ આદર્શનું સ્મરણ થાય છે. મંદિરનું
અંતરીક્ષ તો ઈશ્વરના પવિત્ર વિચારોથી શુદ્ધ થયેલું હોય છે. ગરમીના મોસમમાં
જેમ વૃક્ષની છાયા, શિયાળામાં જેમ ગરમવસ્ત્રો, તેમ માનસિક સંતાપ
અનુભવતા લોકોને મંદિરનું અંતરીક્ષ સાંત્વના બક્ષે છે. મંદિરોમાં સારાં સંસ્કાર
ગ્રહણ કરી, ત્યાં બેસી પ્રભુ ભજન કરવાથી આપણે આધ્યાત્મિક પ્રગતિ કરીએ
છીએ.”

એક યુવક : “આજે મંદિરો ફક્ત વેપારના સ્થળો બની ગયા છે. એ તો
કહી શકાય, નહિ શું?”

અમ્મા : “આંખ બંધ કરી, મંદિરોનો ઉપહાસ કરવાનો કોઈ અર્થ નથી.
એ સત્ય છે કે, આજે ઘણા મંદિરો યોગ્ય રીતે કાર્ય નથી કરતા. પરંતુ, મંદિરોપર
આક્ષેપો મુકવાને બદલે, આપણે તે લોકોને મળી, જે કંઈ ભૂલ હોય, તે સુધારવાનો
પ્રયત્ન કરવો જોઈએ. કોઈ ડૉક્ટર ભૂલ કરે તો આપણે એમ નથી કહેતા કે
હોસ્પિટલ જ ન જોઈએ?”

“દરેક ગામડામાં ઓછામાં ઓછું એક મંદિર તો હોવું જ જોઈએ. આજે
બધા ફક્ત પોતાના સ્વાર્થનો જ વિચાર કરે છે. તે દુષિત તરંગોને નહિવત્‌ કરવા,
મંદિરનું અંતરીક્ષ શક્તિમાન છે. મંદિરે જઈ, ફક્ત બે સેકેંડ મન એકાગ્ર કરીએ
તો ત્યાંના અંતરીક્ષથી આપણું મન શુદ્ધ થાય છે.

“કોઈ પૂછી શકે, “શું મૂર્તિમાં ઈશ્વર રહેલો છે?” તમે વાદ કરી શકો કે,
“વાસ્તવમાં તો આપણે મૂર્તિકારની આરાધના કરવી જોઈએ, નહિ શું?” પિતાનું
ચિત્ર જોઈએ, ત્યારે આપણે રંગ કે ચિત્રકારને તો યાદ નથી કરતા? ઈશ્વર તો
સર્વવ્યાપી છે. આ આંખોથી આપણે તેને ન જોઈ શકીએ. પણ મંદિરમાં મૂર્તિના
દર્શન કરીએ ત્યારે આપણને ઈશ્વરનું સ્મરણ થાય છે. તે સ્મરણ આપણને
અનુગ્રહિત કરે છે. તે આપણા મનને શુદ્ધતા અને પવિત્રતા બક્ષે છે.”

એક યુવક : “અમ્મા, મનમાં જે સંશયોને લઈ અમે ફરતા હતા, આજે
આપે તેનું નિવારણ કર્યું છે. હું ચંદનનો ચાંલ્લો કરું છું, પણ તેની પાછળના તત્વ
કે તેના ઉદ્દેશ્થી, હું અજાણ હતો. ઘરે વડીલો ચંદન લગાવતા હોય છે. અમે તો
તેનું અનુકરણ માત્ર જ કરતા હતા. અમારાં મિત્રો જ્યારે આ વિષે પૂછતા, ત્યારે
તેમની સામે ફક્ત મોં બંધ કરીને ઊભા રહેતા. બાળપણમાં જે ઈશ્વરમાં વિવાસ
રાખતા હતા, તેમાંના કેટલાક આજે ઈશ્વરનો નિષેધ કરી રહ્યાં છે. આજે તેઓ
સિગરેટ અને મદ્યપાનને આધીન થયા છે. યુક્તિપૂર્વક તેમને કોઈ
સમજાવવાવાળું હોત, તો આ રીતે તેમણે સ્વયંનો નાશ ન કર્યો હોત. હું પણ
માર્ગ ચૂક્યો હોત, પરંતુ કોઈ ભયને કારણે હું પૂર્ણરૂપે ઈશ્વરથી મોં ફેરવી શક્યો
નહિ ફરી ક્યારે હું મારાં જૂના મિત્રોને લઈને આવીશ. અમ્મા, જો તમે ચાહો
તો તેમને સન્‌માર્ગપર લાવી શકો.”

અમ્મા : “નમઃ શિવાય (હસતા) પુત્ર, જે ખરેખર ઈશ્વરમાં વિશ્વાસ
રાખે છે, તે આદર્શને અનુસરી જીવન જીવે છે, તેમને ક્યારેય બૂરી આદતો
પોતાને આધીન કરી શકે નહિ. કારણ કે, તેઓ પોતાનામાં સ્થિર રહી જીવતા
હોય છે. તેઓ આનંદને બહાર નહિ, પણ પોતાની અંદર શોધે છે. પોતાની અંદર
રહેલા ઈશ્વરના દર્શન કરી, તેઓ આનંદ પામે છે. તેને કોઈ બાહ્ય વસ્તુ બાંધી
શકે નહિ. અમ્મા કોઈને ઈશ્વરમાં વિશ્વાસ કરવાને બાધિત કરતા નથી. પરંતુ
શા માટે બૂરી આદતોને આધીન થવાનું? ઘરનાઓ અને સમાજ માટે શા માટે
બોજારૂપ બનવાનું? સિગરેટ પીવી, મદ્યપાન, પૈસા ઉડાડવા, આ બધું આજે
ફેશન બની ગયું છે. રાજ્યનિતિજ્ઞો કે અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓ, યુવાવર્ગને
આ પ્રકારની બૂરી આદતોમાંથી પાછા વાળવાનો પ્રયત્ન પણ કરતા નથી.
આ જ તો મુશ્કેલી છે. સ્વયં જો આચરણમાં ન મૂકે તો બીજા લોકો કેવી રીતે
શીખે? કેવી રીતે આદર્શોને ગ્રહણ કરે?”

અમ્માએ માતૃવાણીની એક પ્રતિ હાથમાં લીધી અને તેને ખોલી. તેનું
એક પાનું વળેલું હોવાથી, તે પાનું સરખુથી છપાયું ન હતું.

અમ્મા : “બાળકો, માતૃવાણીની દરેક પત્રિકાને કવરમાં નાખતા પહેલાં
ખોલીને દરેક પાનું તપાસી લેશો. શું આશ્રમવાસીઓએ બધા કાર્યોમાં પૂર્ણ
જાગરૂકતા અને કાળજી ન રાખવા જોઈએ?”

એક બ્રહ્મચારી થાળીમાં ભસ્મના પડીકા અને મીઠાઈ લઈને અમ્મા પાસે
આવ્યો. અમ્માએ તે નવયુવકોને કે જે પહેલીવાર આવ્યા હતા, તેમને બોલાવતા
કહ્યું, “બાળકો, આવો!”

પોતાના મનમાં લાંબા સમયથી સંગ્રહિત સંશયોનું આજે નિવારણ થયું
હતું. કૃતજ્ઞતાના ભાવ સાથે અમ્માના પવિત્ર કરકમલોમાંથી પ્રસાદ સ્વીકારી
તે યુવકોએ વિદાય લીધી.

વિષુ પર્વની ઉજવણી પર અમ્માનો સંદેશ
તા.૧૪ એપ્રિલ, ૨૦૨૧ – અમૃતપુરી

વિષુનો તહેવાર મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના ગાઢ સંબંધની ભવ્ય ઉજવણી છે. વિષુકણી અને કન્નીકોન્ના ફૂલ, આપણા સુખ અને સંમૃદ્ધિ ખાતર ઈશ્વરે આપણા પર ન્યોછાવર કરેલ સંપત્તિના પ્રતિક છે. સમસ્ત ભૂમિ પર વર્ષના આ સમયે કન્નીકોન્નાના ફૂલ તેમની સુવર્ણ પ્રભા પ્રસારે છે. પ્રકૃતિનો આ વૈભવ જે આંખ અને મન માટે ઉજાણી છે, તે સૌંદય અને સમૃદ્ધિની ઘોષણા કરે છે.

વિષુ વર્ષનો તે સમય છે, જ્યારે વાર્ષિક પાકની ખેતરોમાં વાવણી થાય છે. આ સાથે આપણે આપણા મનમાં સારપના બી પણ વાવવા જોઈએ. આ બીની જો યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો તેમાંથી પ્રાપ્ત થતો પાક અનેકગણો હશે.

પ્રકૃતિ એક ખુલી કિતાબ છે. તે અક્ષય જ્ઞાનનો ભંડાર છે. પરંતુ, પ્રકૃતિનું આ જ્ઞાન કેવળ બુદ્ધી દ્વારા જ ગ્રહણ કરવું શક્ય નથી. આ માટે હૃદય પણ જરૂરી છે. ત્યારે જ આ જ્ઞાન પૂર્ણ થઈ શકે.

આપણે જ્યારે કોઈ નાના રોપાને જોઈએ, ત્યારે તે રોપા પ્રતિ પ્રેમ અનુભવવો જોઈએ. જ્યારે વૃક્ષોને જોઈએ, ત્યારે તેમના પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ અનુભવવો જોઈએ. જ્યારે વૃક્ષો અને જનાવરોને જોઈએ ત્યારે સહૃદયતાનો ભાવ અનુભવવો જોઈએ. પરંતુ, આજે મનુષ્ય કેવળ બુદ્ધિના સ્તર પર જ રહે છે. હૃદય સોય જેવું છે, જે તૂટેલું કંઈ ભેગું કરી સીવીને જોડે છે. ત્યારે મન કાતર જેવું છે. તે કેવળ કાપીને વિભાજીત જ કરે છે.

સેંકડો ખીલેલા ફૂલવાળા બગીચામાં પણ કોઈ ફક્ત સડેલા ફૂલ જ જુએ છે. તેઓ સરળમાં સરળ બાબતને પણ અત્યંત ગૂંચવણભરી બાબતમાં પરિવર્તિત કરી દેશે.

ભારતના કેટલાક પ્રાંતમાં વિષુનો આ તહેવાર નવવર્ષને સૂચવે છે. જુદા જુદા રાજ્યોમાં આ જુદા જુદા નામથી જાણીતો છે અને તેને ઉજવવાની રીત પણ એક એક રાજ્યમાં જુદી જુદી છે.

કેરાલામાં નવવર્ષના પ્રથમ પ્રભાતમાં આપણે શુકનવંતા કન્નીના ફૂલ અને ભગવાન શ્રીકૃષ્ણના સુંદર સ્વરુપને જોઈએ છીએ. ઈશ્વરને સર્વોપરી સ્થાન આપવું અને ઈશ્વરને જ આપણા જીવનમાં અન્ય કશા કરતાં મહત્વપૂર્ણ માનવા, આ કેવળ વિષુની ઉજવણીને જ સીમિત નથી. આ તો ભારતીય સંસ્કૃતિનું પ્રમાણ છે. આપણા બધા જ તહેવારો અને ઉજવણી, આપણી કલાકૃતિઓ અને રમતો, આપણું સાહિત્ય અને શાસ્ત્ર – આ બધું જ ઈશ્વર તરફની મનુષ્યની યાત્રાનો હિસ્સો તરીકે માનવામાં આવેલ છે. ઈશ્વર અને ધર્મને કેંદ્ર બિંદુમાં રાખી આપણે આપણા પારિવારીક અને સામાજીક જીવન વ્યતીત કરીએ છીએ.

વિષુના સંદેશમાં જીવન માટે આવશ્યક સર્વકાંઈનો સમાવેશ થાય છે. તેમાં ઈશ્વર-સસ્મરણ અને ભક્તિના પાઠ છે, તો સાથે પ્રતિદિન પાળવાના સુનિયમોનો પાઠ પણ છે. તેમાં પ્રતિદિન પોષ્ટિક ખોરાક લેવાનો પાઠ છે તો સાથે વિવેકપૂર્વક સુખી પારિવારિક જીવન જીવવા માટેનો સંદેશ પણ છે. તેમાં પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી માટેના પાઠ પણ છે. આ પ્રમાણે વિષુનો તહેવાર આપણને શરીર અને મન, બંને સંતૃપ્ત કરવાની અનુભૂતી આપે છે.

વિષુના દિવસે ફરી એકવાર ઉનાળાના આ સમયે પક્ષીઓ માટે પાણી રાખવાનું ભૂલશો નહિ. એક નાનો બાઉલ અથવા નાળિયેરની કાચલીમાં પાણી ભરી તેને વૃક્ષોમાં લટકાવશો. આ પર્યાપ્ત હશે.

પ્રતિદિન ઓછામાં ઓછું એક વૃક્ષ કે રોપાને ચુંબન આપશો. પ્રેમથી તેમની સાથે વાતો કરશો. આ મનોભાવ કેળવવા પ્રયત્ન કરશો. આ તમને હૃદય ખુલુ કરવા સહાય કરે છે. આ તમારી અંદરના બીજને પાણી આપવા જેવું છે, જેથી તે અંકુરિત થાય અને વિકસે. અત્યારે આ બી રણમાં પડયું છે. તેને અંકુરિત થવા પ્રેમ અને કરુણાના પાણી આવશ્યક છે.

ઈશ્વરના સર્જનને પ્રેમ કરવો અને તેમની સેવા કરવી, આ આપણા હૃદયને વિશાળ કરવાનો સરળમાં સરળ ઉપાય છે. વિષુના મૂલ્યોને આપણા જીવનમાં કેળવી, આપણા જીવન અર્થપૂર્ણ બને, એ જ પ્રાર્થના.

આમ બનવા કૃપા મારા બધા જ બાળકોને અનુગ્રહિત કરે!

                       ॥લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ॥

સૌમ્યા : “ક્યારેક અહીંના નિયમો અતિશય કડક લાગે છે.”

અમ્મા : “નિયમો બહુ જરૂરી છે. ખાસ કરીને એક આશ્રમમાં કે જ્યાં ઘણા લોકો વાસ કરતા હોય અને મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય. દા.ત. છોકરા છોકરીઓએ એકબીજા સાથે મુક્તપણે વાતચીત ન કરવી જોઈએ. જે લોકો અહીં આશ્રમમાં રહે છે, તેમણે બીજા માટે દાખલો બેસાડવાનો હોય છે. આ ઉપરાંત, જે અહીં રહે છે, બીજા લોકો કરતા તેમનો સ્વભાવ પણ જુદો હોય છે. જે નવા આવ્યા છે, તેમનામાં જોઈએ તેટલું નિયંત્રણ નથી. તેમણે તો સાધના કરવાની શરૂઆત જ કરી છે. જે બાળકો પહેલાં આવ્યા છે, તેમણે અમુક હદ સુધી પોતાના મનપર નિયંત્રણ પ્રાપ્ત કર્યું છે. તેમને સંશય પૂછી શકો છો. એમા ખોટું નથી. પરંતુ, અમ્માનું કહેવું છે કે, એક હદ સુધી આમ કરી શકાય, એથી વધુ નહિ. જરૂર પૂરતું જ બોલવું, અધિક બોલવું ઉચિત નથી.”

સૌમ્યા : “અમ્મા, જે દિવસે તમો અમને જગાડો છો, તે દિવસે અમને સારી જાગૃતતા હોય છે.”

અમ્મા : “અમ્મા માટે જેને પ્રેમ છે, જે સાક્ષાત્કારની ઇચ્છા રાખે છે, તે ક્યારેય કોઈના બોલાવવાની રાહ નહિ જુએ અને સમયસર ઊઠી જશે. રાત્રે અમ્મા જ્યારે પોતાના ઓરડામાં પાછા ફરે છે, ત્યારે અનેક પત્રો વાંચવાના હોય છે. ત્યાર બાદ, બીજા દિવસ માટે આવશ્યક ચોખા, શાકભાજી, પૈસા વગેરે બાબતોની જાણ કર્યા વિના તેઓ સૂઈ શકે નહિ. અને જો કોઈ વસ્તુ પૂરતી ન હોય તો તે ખરીદવા માટેની આવશ્યક સુચનાઓ આપવાની હોય છે. આ ઉપરાંત, મુલાકાતીઓની સંભાળ લેવાની હોય છે. એટલું જ નહિ, અહીંના બાળકોની આવશ્યકતાઓ અને તેમના રોજબરોજના કાર્યો પણ અમ્માને
જોવાના હોય છે. આ બધું કર્યા પછી, તમને લોકોને જગાડવા તમારા દરેકના ઓરડામાં આવવું, અમ્માથી કેમ થાય?

“તમે જો અમ્માને પ્રેમ કરતા હો તો, અમ્માના વચનોનું કાળજીપૂર્વક અનુસરણ કરવું, એ પૂરતું છે. અમ્માની ખાતર અમ્માને પ્રેમ કરવાની જરૂર નથી. પરંતુ, તમે સાક્ષાત્કારની ઇચ્છા રાખતો હો તો, સર્વપ્રથમ અમ્મા માટે પ્રેમ હોવો જોઈએ, આશ્રમ માટે પ્રેમ હોવો જોઈએ, આ તૃષા તમારામાં હોવી જોઈએ. અમ્માને પ્રેમ કરવો તે અમ્માના વચનોનું અનુસરણ કરવાનું છે. તમને જ્યારે ગુરુ હોય, ત્યારે ગુરુ અને ગુરુની સ્થાપના સાથેનું બંધન, બાકી બધું વિસારી, તમને નિત્ય તરફ દોરી જવા સહાય કરે છે. તે ક્યારેય મિથ્યા નથી. બીજ માટીમાં મળે તો જ તે વૃક્ષ બની ઉગી શકે.”

સૌમ્યા : “અમ્મા, તમે શા માટે મારા પર ક્રોધ નથી કરતા?”

અમ્મા : “નહિ શું? શું દેવીભાવ દરમ્યાન કળરીમાં હું તારા પર ક્રોધ નથી કરતી?”

સૌમ્યા : “બહુ જ થોડો.”

અમ્મા (હસતા) : “પુત્રી, તારામાં અમ્મા માત્ર એક જ દોષ જુએ છે. અને તે છે, તું સવારે વહેલી નથી ઉઠતી. મોડીરાત સુધી કામ કરી, તું સૂવે છે. દર્શન સમયે બધો સમય તું ત્યાં ઊભી રહે છે. નહિ શું? બીજુ, સાક્ષાત્કારને લક્ષ્યમાં રાખી, પુત્રી તું બહુ શ્રમ કરે છે. કૃત્યનિષ્ઠ રહેવા તું પ્રયત્ન કરે છે. છટકવું કે આળસ કરવો, એવું તું કાંઈ કરતી નથી. માટે જ, ક્રોધ કરવાનો વારો આવતો નથી.”

સૌમ્યા : “મને કોઈ વસ્તુ ગમતી હોય, અને હું તેને સ્વીકારું નહિ, તો શું તે વૈરાગ્ય કહેવાય?

અમ્મા : “તે વસ્તુ જો આપણને મિથ્યા તરફ દોરી જાય, તો તે વૈરાગ્ય છે.

“દરેક વસ્તુનો સ્વભાવ આપણે જાણવો જોઈએ. આ બોધ હંમેશા આપણામાં હોવો જોઈએ કે, ભૌતિક વસ્તુઓ આપણને સંતોષ આપી શકે નહી. તેનો આશ્રય લેવાથી, આપણને તાત્કાલિક સંતૃપ્તિ પ્રાપ્ત થશે, પરંતુ આખરે તો તે આપણને દુઃખ તરફ જ દોરી જાય છે. આ બોધ જો આપણામાં જાગૃત થાય, તો પછી તે વસ્તુ સાથેની આસક્તિ આપમેળે જ ઓછી થશે. પછી આ વસ્તુઓમાંથી મનને વાળવું બહુ સરળ બની જાય છે.

“એક માણસને દૂધપાક બહુ ભાવે. એક દિવસ તેના કોઈ મિત્રની જન્મદિવસની પાર્ટીમાં તેને નિમંત્રિત કરવામાં આવ્યો. ઉજાણીની પ્રમુખ વસ્તુ હતી, દૂધપાક! તે બહુ ખુશ થયો. તેણે તો વાટકો ભરીને દૂધપાક લીધો. તેમાંથી એક ચમચી દૂધપાક ચાખી જોયો. વાહ, તે ખૂબ સ્વાદિષ્ટ હતો. માપસર દૂધ, મધુરો, ઇલાયચી, કાજુ, કેસર, બદામ, પિસ્તા, કિસમિસ વગેરે. અસલ દૂધપાક હતો! બીજી ચમચી પીવા, તેણે ચમચીને દૂધપાકમાં ડૂબાડી જ હતી કે, તે જ ક્ષણે ઉપર છતમાંથી એક ગરોળી તેમાં પડી. પોતાની અત્યંત પ્રિય વસ્તુને, પાત્ર સમેત ઉપાડીને ફેંકી દેવી પડી. દૂધપાકમાં ગરોળી પડતા, આ બોધ થયો કે તે ખાવાને લાયક નથી, તે જ ક્ષણે તેને ખાવાની ઇચ્છા પણ નાશ પામી. આ જ પ્રમાણે, ભૌતિક વિષયોનો આશ્રય લેવાથી માત્ર દુઃખ જ પ્રાપ્ત થાય છે, જ્યારે આ બોધ આવે પછી ભલે કોઈ અત્યંત પ્રિય વસ્તુ કેમ ન હોય, તેનો ત્યાગ કરવો સરળ બને છે. મનને તેમાંથી પાછુ વાળવા કે નિયંત્રણમાં રાખવામાં કોઈ કઠિનાઈ નથી પડતી. આ વૈરાગ્ય છે. ફેણવાળા ઝેરી નાગને જોઈ, તેનામાં રહેલા ઝેરથી અજાણ કોઈ બાળક તેને પકડવાને દોડશે. પણ શું આપણે તેમ કરી શકીશું?

“પુત્રી, મનને બળપૂર્વક નિયંત્રણમાં લાવવા કરતા, વસ્તુના ગુણદોષને સમજી, તે પ્રત્યે વિરક્તિ કેળવી, તેનાથી દૂર રહેવું ઉત્તમ છે. ત્યારે પછી સહજ જ નિયંત્રણ આવી જશે.”

સૌમ્યા : “અમ્મા, મને લાગે છે કે, યથાર્થ આનંદ વૈરાગ્યમાંથી જ પ્રાપ્ત થાય છે. ભૌતિક વસ્તુઓનો આશ્રય લેવાથી, કે તેને સંગ્રહિત કરવાથી કે પછી તેને માણવાથી, તે પ્રાપ્ત થતો નથી.”

અમ્મા : “શું તને લાગે છે કે યથાર્થ આનંદ વૈરાગ્યમાંથી પ્રાપ્ત થાય છે? નહિ! યથાર્થ આનંદ તો પ્રેમમાંથી આવે છે. ઈશ્વર સાક્ષાત્કાર માટે, આત્મ સાક્ષાત્કાર માટે, તમને જેની જરૂર છે, તે છે પ્રેમ. પ્રેમ દ્વારા જ તમે પૂર્ણ વૈરાગ્ય અનુભવો છો.”

સૌમ્યા : “તો પછી આપણે શેનો ત્યાગ કરવો જોઈએ? નિદ્રામાં નિયંત્રણ આહારમાં નિયંત્રણ, તેને શું કહેવાય?”

અમ્મા : “તેને ત્યાગ કહી શકાય. પણ તે માત્ર જ ત્યાગ નથી. કોઈના પર ક્રોધ કરીએ, તો શું આપણને મનમાં સમાધાન હશે? પ્રેમ હોય ત્યારે જ આપણને સમાધાન હોય છે. ખરું ને? પુષ્પમાં રહેલી સુગંધને શ્વાસથી સૂંધવાથી, આપણે તેનો આનંદ માણીએ છીએ, ખરું ને?નાક બંધ કરીને રાખીએ તો શું આપણે તેની સુગંધ માણી શકીશું? સાકરને મોઢામાં રાખીએ ત્યારે તેની મીઠાશ અત્યાધિક અનુભવીએ છીએ. નહિ કે? શું સાકર પ્રત્યેના વૈરાગ્યમાંથી આ સુખ આવે છે? નહિ, તે પ્રેમમાંથી આવે છે.

“મળને જોતાં તમે નાક બંધ કરો છો. તેને વૈરાગ્ય કહી શકાય. ત્યાં પ્રેમ નથી. તે આનંદ નહિ આપે. ભૌતિક વસ્તુઓમાંથી પ્રાપ્ત થતું સુખ, તાત્કાલિક છે. તે જ પાછળથી દુઃખનું કારણ બને છે.

“સંસારમાંથી પ્રાપ્ત થતું સુખ નિત્ય નથી, ક્ષણિક છે. માટે જ તે મિથ્યા છે. આમ વિચારી તેનો ત્યાગ કરવો, તેને વૈરાગ્ય કહે છે. તેમ છતાં, યથાર્થ આનંદ, મિથ્યા વસ્તુ પ્રત્યેના વૈરાગ્યમાંથી પ્રાપ્ત નથી થતો. પ્રેમ દ્વારા જે સત્ય છે, યથાર્થ છે, તેને પ્રાપ્ત કરવાનું છે. આ તો અનંત આનંદ તરફનો માર્ગ છે.

“જે મિથ્યા છે, તેની ધૃણા કરવી જરૂરી નથી. મિથ્યા જગતમાંથી નિત્ય તરફ પહોંચવાનું શીખી શકો. આપણને જેની જરૂર છે, તે છે શાશ્વત જગતની. પ્રેમ દ્વારા જ આપણે તે સ્થિતિને પ્રાપ્ત કરવા વિકસી શકીએ. ચંદ્ર જ્યારે ઉદિત થાય છે, ત્યારે પૃથ્વી પરના સમુદ્રો અને સરોવરોના પાણી, ચંદ્ર પ્રત્યેના પ્રેમને કારણે તે તરફ ઉંચે ઊઠે છે. પવનના સ્પર્શનો આનંદ માણવા, ફૂલ ખીલે છે,
અને આ માટેનું કારણ છે, પ્રેમ. માટે, એ શું છે જે આપણને પરમાનંદ આપે છે? તે વૈરાગ્ય નથી, પણ પ્રેમ છે.”

સૌમ્યા (થોડી અસ્વસ્થતા સાથે) : “મને કોઈ વસ્તુને પ્રેમ કરવાથી પ્રાપ્ત થતું સુખ નથી જોઈતું.”

અમ્મા : “એક સાધક જેને પ્રેમ કરે છે, તે તેના પોતાનાથી અન્ય નથી. તે તો પોતાના આત્માને પ્રેમ કરે છે, જે તેની આસપાસ સર્વકાંઈમાં વ્યાપ્ત છે. યથાર્થ વૈરાગ્ય તો નિત્યાનિત્યમાંથી જે નિત્ય છે, તેને પ્રેમ કરવામાં છે. પ્રેમ જ્યારે વધુ ને વધુ ઊભરાય છે, ત્યારે નિત્યને જાણવાની જીજ્ઞાસા પણ દ્રઢ બને છે.

“ધારો કે આપણો કોઈ મિત્ર, જે બહુ દૂર રહે છે. તે આપણને મળવા આવી રહ્યો છે. જે ક્ષણ આપણને આ સમાચાર મળે કે, કોઈ પણ સમયે તે અહીં પહોંચશે, તો નિદ્રા અને આહારનો ત્યાગ કરી આપણે તેની રાહ જોઈશું. શું આ તેના પ્રત્યેનો પ્રેમ નથી, કે જેને કારણે, નિદ્રા અને ખોરાકનો ત્યાગ કરી આપણે તેની રાહ જોઈએ છીએ?”

સૌમ્યા : “અમ્મા, પહેલાં શેની જરૂર છે, નિયંત્રણ કે પ્રેમ ?”

અમ્મા : “પ્રેમમાં સ્થિર રહીને સાચું નિયંત્રણ આવવું જોઈએ. પ્રેમ વિના સાચું નિયંત્રણ નથી આવતું. પ્રેમ વિનાનું નિયંત્રણ સ્થાયી નહિ હોય. મન ફરી પહેલાંની સ્થિતિ પર પાછું ફરશે. મિત્ર મળવાને આવી રહ્યો છે , આ જાણ થતાં, તેના પ્રત્યેના પ્રેમને કારણે, તેને મળવાની ઇચ્છાથી, ખોરાક અને નિદ્રાનો ત્યાગ કરીએ છીએ. અહીં આપણી જાણબહાર જ નિયંત્રણ આવે છે. પ્રેમને કારણે, આપણને તે તકલીફ કે ત્યાગ જેવું લાગ્યું નહિ. પણ જો, પ્રેમ ન હોય તો નિયંત્રણ અત્યંત કઠિન બનશે. એક ટંક ભોજન ન કરીએ, તો આપણા બધા વિચાર પછી ખોરાકના જ હોય છે.

“એક વસ્તુ પ્રત્યે વૈરાગ્ય આવવો હોય તો અન્ય કોઈ વસ્તુ પ્રત્યે પ્રેમ આવવો જોઈએ. પુત્રી, સાક્ષાત્કાર પ્રત્યેના તારાં પ્રેમને કારણે, અહીં તું બધું સહન કરી, ધીરજથી રહી શકે છે. અન્યથા અહીં જીવી શકાય નહિ. આપણી અંદર કામ છે, ક્રોધ છે, મદ છે, મત્સર છે, લોભ છે, ઈર્ષા છે. તેને પ્રકટ ન કરતા, તેને આપણી અંદર દબાવી, બધું સહન કરીને શા માટે રહીએ છીએ? સાક્ષાત્કાર પ્રત્યેના પ્રેમને કારણે જ તો! અને જો તે ન હોય તો તે બધું બહાર આવે. પરંતુ પ્રેમના મૂલ્યને કારણે, તે બધાને જીવવા, પ્રવૃત થવા કે વિકસવા યોગ્ય સંજોગો નથી મળતા. લક્ષ્ય પ્રત્યેનો પ્રેમ, તેને નિયંત્રણમાં રાખે છે. ”

સૌમ્યા : “તો પછી અમ્મા, શા માટે તમે આશ્રમના નિયમોના પાલન પર ભાર મૂકો છો? શું તે સ્વાભાવિક જ નહિ બને?”

અમ્મા : “અમ્મા એમ નથી કહેતા કે વૈરાગ્ય ન જોઈએ. વૈરાગ્યનો અભ્યાસ કરવો જ જોઈએ. પણ વૈરાગ્યને જે પૂર્ણ કરે છે, તે તો માત્ર પ્રેમ જ છે. શરૂઆતમાં નિયંત્રણ બહુ જરૂરી છે. અત્યારે અહીં ત્રીસેક જેટલા બાળકો છે. બધાને એક જ વિચાર છે, અને તે છે, સાક્ષાત્કાર.

“તેમને આત્મજ્ઞાન જોઈએ છે. પણ તેમના મન શરીરને આધીન છે. આ સુખનો ત્યાગ કરવો તેમને ગમતું નથી. માટે શિસ્તપાલન જરૂરી પડે છે.

“સવારે કોઈ જગ્યા પર જવાનું છે. પરંતુ, નિદ્રાનો ત્યાગ કરવો ગમતો નથી. આમ હોય ત્યારે શું તે વ્યક્તિને જગાડવી ન જોઈએ? બાળકોને સૂર્યોદય જોવાની ઇચ્છા છે. પરંતુ તે માટે સવારે વહેલું ઉઠવું, એ ન બને. મન શરીરના સુખમાં રાચે છે. આપણે ઉદયની રાહ જોઈને બેઠા છીએ. ઉદય આપણી રાહ નહિ જુએ. તે પોતાની “ડયુટી” કરશે. પરંતુ આપણે આપણી “ડયુટી” નિભાવતા નથી. આમ જ્યારે બને ત્યારે અમ્માએ બાળકોને બોલાવીને જગાડવા જોઈએ. અને તેમ ન કરે, તો તે બાળકોને છેતરવા જેવું હશે. આ કડકાઈ, અમ્માનો અત્યંત મહાન પ્રેમ છે. એમ અમ્માને લાગે છે.”

બાળકો, કેટલાક લોકો પૂછતા હોય છે, ભક્તિના માર્ગમાં ભયને કોઈ સ્થાન છે અને શું ભય-ભક્તિ અનુચિત છે? અમ્મા એમ નથી કહેતા કે, ભય-ભક્તિ અનુચિત છે. ભક્તિની પૂર્ણતામાં ભયને કોઈ સ્થાન નથી. પરંતુ, ભક્તિના માર્ગમાં આગળ વધવા એક આરંભકને ભય-ભક્તિ ચોક્કસ સહાય કરે છે. જગદીશ્વર દરેક જીવને પ્રત્યેક કર્મનું ફળ વિતરણ કરે છે. તે સદ્‌ગુણીની રક્ષા કરે છે અને અધર્મીને શિક્ષા કરે છે. જે જાણે છે કે, ઈશ્વર દુષ્કર્મોને શિક્ષા કરે છે, તેનામાં આદર અને થોડો ભય હશે જ. આ ભય તેનામાં વિવેક પ્રજ્વલિત કરે છે. આ તેને ખોટાં કાર્યોથી દૂર રાખી, આગળ સાચા માર્ગ પર ચાલવાને સશક્ત કરે છે.

ભય-ભક્તિ, એ કોઈ ગુલામની પોતાના માલિક પ્રત્યેના ભય જેવી નથી. આમાં કેવળ ભય જ નહિ, એક વિદ્યાર્થીનો પોતાના શિક્ષક પ્રત્યેનો આદર પણ સમાયેલો છે અને એક બાળકનો પોતાની મા માટેનો નિર્દોષ પ્રેમ પણ છે. ઈશ્વર પ્રત્યેનો આપણો મનોભાવ પણ આવો જ હોવો જોઈએ.

એક બાળક પોતાની માને પ્રેમ કરે છે. તે જાણે છે કે, તેની મા તેની રક્ષક છે. આ સાથે તે એ પણ જાણે છે કે, પોતે જો કોઈ તોફાન કરશે, તો તેની મા તેને શિક્ષા કરવામાં સ્હેજેય સંકોચ રાખશે નહિ. આ પ્રમાણે, પોતાની મા માટેના તેના પ્રેમમાં ભયનો છાંટો પણ છે. આ ભય અનેક સંકટો અને દુષ્કૃત્યોમાંથી તેની રક્ષા કરે છે. બાળકના તોર તરંગો તેને ખોટું કરવાને પ્રેરિત કરશે. પરંતુ, પોતાની મા પાસેથી જે ઠપકા અને શિક્ષા મળશે, તે ભયના કારણે પોતે સ્વયંને મુસીબતથી દૂર દોરી જાય છે. આ પ્રમાણે મા પ્રત્યેનો ભય તેનામાં વિવેક જગાડે છે અને તેને સાચા માર્ગ પર આગળ ચાલવાને પ્રોત્સાહિત કરે છે. આ સાથે મા માટેના તેના પ્રેમમાં આ ભય ક્યારેય બાધા નથી. ઉલ્ટાનું તે ઉચિત સ્વસ્થ આધ્યાત્મિક વિકાસ કેળવે છે.

બાળકો જ્યારે નાના હોય ત્યારે સરસથી ભણે છે. આ તેઓ અધ્યાપક પાસેથી મળતી શિક્ષાના ભયના કારણે કરે છે. આ ભય તેમને આળસમાંથી બહાર આવવા અને જ્ઞાન ગ્રહણ કરવા સહાય કરે છે. તેઓ જ્યારે પછી ઉપરના ધોરણમાં પહોંચે છે, ત્યારે આ ભય તેમને સતાવતો નથી. કારણ કે, ત્યાં સુધીમા તેમણે આવશ્યક વિવેક કેળવી લીધો હોય છે. તેમને અધ્યાપક પ્રતિ કેવળ આદર અને આજ્ઞાંકિતતા જ હોય છે. ઘણાખરા ભક્તોનો ઈશ્વર પ્રત્યેનો મનોભાવ આવો હોય છે.

ભક્ત જેમ જેમ ભક્તિના માર્ગમાં આગળ વધે છે, તેમ ભય-ભક્તિ પ્રેમ-ભક્તિમાં વિકસે છે. પ્રેમ-ભક્તિમાં ભયનો છાંટો સુદ્ધા નથી. ઈશ્વર પ્રત્યેના પ્રેમને લઈ ઈશ્વર પાસેથી મળતી શિક્ષાને પણ તે આનંદથી સ્વીકારે છે. તેનામાં રહેલી વાસનાઓ જે તેને ખોટું કરવા પ્રેરિત કરતી હતી, તે ભક્તિના હર્ષોલ્લાસમાં ધોવાઈ જાય છે. એક સાચો ભક્ત અન્ય બધું ભૂલી જાય છે અને તે પોતાની પ્રેમાળ માના ખોળામાં વિશ્રામ કરતા બાળક જેવો બની જાય છે. ૐ