ભક્ત : “અમ્મા, ગૃહસ્થાશ્રમમાં રહીને પણ શું ઈશ્વર સાક્ષાત્કાર શક્ય છે?”

અમ્મા : “શક્ય છે, પરંતુ તે માટે તમારે ઉત્તમ ગૃહસ્થાશ્રમી બનવું જોઈએ. ગૃહને આશ્રમ તરીકે જોવું જોઈએ. પરંતુ, આજે યથાર્થ ગૃહસ્થાશ્રમી કોણ છે? એક યથાર્થ ગૃહસ્થાશ્રમીને કશા સાથે પણ બંધન નથી હોતું. સર્વકાંઈ ઈશ્વરેચ્છા તરીકે જુએ છે. પોતાનું જીવન પૂર્ણરૂપે ઈશ્વરને સમર્પિત કરીને જીવે છે. જે કર્મ કરે તેની સાથે કોઈ પ્રકારનું બંધન નથી. જીવનમાં ધર્મને જ પ્રાધાન્ય આપે છે. કુટુંબ સાથે રહેવા છતાં, મન હંમેશા ઈશ્વરમાં જ સ્થિર હોય છે. પત્ની અને બાળકોની સંભાળ લેતી વખતે કે સમાજની સેવા કરવામાં ક્યારેય કોઈ ઊણપ આવતી નથી, કારણ કે, તે તેને ઈશ્વરે સોંપેલી જવાબદારી તરીકે જુએ છે. કાળજીપૂર્વક તે તેની જવાબદારીઓ નિભાવે છે. પરંતુ, આજના લોકોની જેમ તે પોતાના કાર્યને ચીટકીને નહિ રહે.

“આધ્યાત્મિકતાના તત્વને ગૃહણ કરી, ગૃહમાં રહીને પણ તમે નિરંતર સાધના કરી શકો. પરંતુ, ધાર્યા પ્રમાણે તે સરળ નથી. ટી.વી. ચાલુ રાખી, તેની સામે રહી તમે કામ કરતા હો, તો સ્વાભાવિક જ તમારી નજર ટી.વી.માં શું ચાલી રહ્યું છે, તેમાં જશે. અથવા, તમારાંમાં એટલો વૈરાગ્ય હોવો જોઈએ કે જેથી તમારી નજર તેમાં ન પડે. કારણ કે તે આપણી વાસના છે. ગૃહમાં બધાં પ્રારબ્ધો વચ્ચે રહીને પણ, ઈશ્વરનું સ્મરણ કરવું, તે જ પોતાનામાં એક મહાન પ્રાપ્તિ છ અમ્મા પાસે આવતા કેટલાક ગૃહસ્થાશ્રમીઓ અચૂક ધ્યાન, જાપ, અર્ચના વગેરે કરે છે. અર્ચના કર્યા વિના ખોરાક નહિ લે, અર્ચના કરીને જ સૂવા જશે, તેમને આવા નિયમો હોય છે. (બ્રહ્મચારીઓને) બ્રહ્મચારી એવા તમારો જ દાખલો લઈએ, લોકસેવા અર્થે સ્વયંને પૂણૃરૂપે સમર્પિત કરવા આવેલા એવા તમે. મનને પૂર્ણરૂપે ઈશ્વર સાથે બાંધવું જોઈએ. અન્ય કોઈ વિચારને ત્યાં સ્થાન ન આપવું જોઈએ. ઘરના કે ગામના વિચાર વાસનાનું સર્જન કરે છે. કોલસાના ઓરડા પાસે ઊભા રહો તો બસ છે. આખું શરીર કાળું બની જશે. આ જ પ્રમાણે, ઘરનાઓ સાથેની મમતા અને બંધન, સાધકના મનને પાછું ખેંચે છે.”

અમ્મા દેવીભાવમાં ભક્તોને દર્શન આપી રહ્યાં હતા. કળરીના મંડપમાં બેસી બ્રહ્મચારીઓ ભજન ગાઈ રહ્યાં હતાં. નિદ્રાને વિસરી પ્રકૃતિ પણ ભજનમાં જાણે મુગ્ધ બની હતી. આજે લોકોની ભારે ભીડ હતી. મંડપની બંને બાજુથી સ્ત્રી અને પુરુષો અમ્માના દર્શન કરવા માટે પંક્તિબદ્ધ કળરીની અંદર જઈ રહ્યાં હતા. પોતાના દુઃખોના ભારને અમ્માના શ્રીચરણોમાં ઠાલવી, અમ્માના ખોળામાં માથું રાખી, અમ્માના હાથમાંથી પવિત્ર જળ સ્વીકારી, પ્રસાદ લઈ, સંતૃપ્તિની લાગણી અનુભવતા, હળવા મન સાથે તેઓ પાછા ફરતા હતા. પોતાના ચરણોમાં અમ્મા અગણિત ભક્તોના પ્રારબ્ધના ડુંગરો સ્વીકારતા હતા. ગંગાની જેમ પોતાના પ્રેમની ધારાથી પતિતના પાપ ધોઈ, તેનો ઉદ્ધાર કરતા હતા. સર્વભક્ષણ અગ્નિ દેવની જેમ તેઓ ભક્તોની વાસનાઓ ભસ્મ કરતા હતા.

જેમ કે હંમેશા બને છે, ભક્તોની ભીડમાં જેમ જેમ વૃદ્ધિ થાય, તેમ તેમ તેઓશ્રીનું શ્રીમુખ વધુ ને વધુ તેજસ્વી બને છે. અનેક કોટિ બ્રહ્માંડનું પાલન કરનારી, બ્રહ્મસ્વરુપિણી બાળસહજ હાસ્ય દ્વારા, તેઓ ઉપસ્થિત હરકોઈમાં હાસ્ય પ્રસારતા હતા.

પોતાના ચાર વર્ષના પુત્ર સાથે એક ભક્તે કળરીમાં પ્રવેશ કર્યો. તેણે અમ્માને દંડવત કર્યા. આ જોઈ, બાળકને મસ્તી કરવાનું સૂજ્યું. પોતાના પિતાનું શર્ટ ખેંચતો, તે પિતાને પીઠ પર મારવા લાગ્યો. ભક્ત તો વિનય પૂર્વક અમ્માના શ્રીચરણોમાં દંડવત કરતો રહ્યો. પુત્રે આને આમંત્રણ માની, પિતાની પીઠ પર તે ચડી ગયો. જાણે તે હાથી પર સવાર થયો હોય!

બાળકની આ રમતમાં અમ્માને રસ લાગ્યો. તેના મુખ પર અને શરીર પર પવિત્ર જળનો છટકાંવ કરતા, અમ્મા તેની મજાક કરવા લાગ્યા. પાણીથી બચવા માટે તેણે પાછળ છલાંગ મારી. પવિત્ર જળનું પાત્ર જાણે સંતાડી રહ્યાં હોય, એવો અમ્માએ અભિનય કર્યો. તે બાળક ફરી આગળ આવ્યો અને અમ્માએ તેના પર જળ છાંટયું. છલાંગ મારતો તે દૂર ભાગ્યો. આ રમત થોડો સમય ચાલતી રહી. હસતા હસતા બધાએ આ ખેલનો આનંદ લીધો. પિતા સાથે તે બાળક કળરીમાંથી બહાર નીકળ્યો ત્યારે તે માથાથી પગ સુધી ભીંજાયેલો હતો.