અમ્મા : “પુત્ર, એક યથાર્થ ભક્તને ક્યારેય કોઈ વાતની ઊણપ નથી હોતી. જે ઈશ્વરમાં શરણું લે છે, તેના સઘળા કાર્યોની સંભાળ ઈશ્વર રાખે છે. મંદિરોમાં પૂજા કરતા અનેક લોકોમાં કેવળ ઇચ્છાઓ જ છે. ત્યાં ઈશ્વરને કોઈ સ્થાન નથી.

“તામિલનાડના એક મંદિરમાં અમ્મા ગયા હતા. ત્યાં હાથ જોડીને ઊભા હતા ત્યારે ત્યાંનો પૂજારી નારિયેળના કૂચા ભગવાનને ચડાવી રહ્યો હતો! ભગવાનને નારિયેળ ધરવા માટે તે તેના રેસા કાઢી રહ્યો હતો, આ સમયે તેનું ધ્યાન મંદિરમાં આવતા ભક્તો થાળીમાં કેટલા પૈસા ધરે છે, તેના પર હતું. આમ ભગવાનને પુષ્પો ચડાવવાને બદલે તે હાથમાં રહેલા નારિયેળના રેસા ચડાવતો હતો. આ જોતાં અમ્મા બોલી ઉઠયા, “એય… આ શું કરી રહ્યો છે…” આટલું કહેતાં અમ્મા મંદિરની અંદર દાખલ થવા આગળ વધ્યા. પણ તે સમયે, સુગુણાચ્ચન્ને (અમ્માના પિતાશ્રી) અમ્માનો હાથ પકડી તેમને અટકાવ્યા. પેલાના ભાગ્ય, નહિતર..(બધા હસી પડયા)”

ભક્ત : “શું ભગવાન પુષ્પ અને નારિયેળના કૂચામાં ભેદ કરે છે?”

અમ્મા : “આ બહુ સારું! તેવી પ્રેમભકિત હોય તો એ જરૂરી નથી કે ભગવાનને પુષ્પ જ ચડાવવા જોઈએ. નારિયેળના કૂચાય ચાલે. પણ, તે સમર્પણનો ભાવ આવવો જોઈએ. ભગવાન તો હૃદય જુએ છે. પ્રેમથી તમે ચડાવી રહ્યાં હો, તો તે કૂચા પણ પર્યાપ્ત છે. પરંતુ, આ પુજારીનું મન પૈસામાં હતું. તેની પૂજા ફક્ત પૈસા માટેની જ હતી. આ જ કારણસર અમ્માને ક્રોધ આવ્યો હતો. આ પ્રકારની પૂજા ઈશ્વર સહન ન કરી શકે.

“પુત્ર, જે ભક્તિપૂર્વક ઈશ્વરની પૂજા કરે છે, તેને ક્યારેય ભૂખમરો વેઠવો પડતો નથી. પૂજાના યથાર્થ આદર્શને સમજી પૂજા કરવી જોઈએ. જીવનમાં ધન કમાવવા માટે પૂજાને રોજગાર તરીકે દેખશો નહિ. ઈશ્વરપૂજા તો અંતઃકરણની શુદ્ધિ માટે, ઈશ્વરપ્રેમ વિકસાવવાનો એક માર્ગ છે. તે રીતે તેને જોવી જોઈએ. ઈશ્વરાધાના તો આત્મતત્વ સમજવા માટે છે. જે જાણ્યા પછી, કોઈ યાચક નથી, તે તો રાજાધિરાજા છે. વિશ્વમાં શાંતિ અને સમાધાન પ્રસારતા આનંદસ્રોતમાં તે પરિવર્તિત થાય છે. ઈશ્વરતત્વને ન જાણતા, સુખની શોધમાં જે ભટકે છે, તે યાચક છે. આ તો ગળામાં હીરાનો હાર રાખી, તેને કાચના ટૂકડા સમજી, સાચા હીરાને શોધતા ભીખ માગતા ફરવા જેવું થયું. આપણામાં રહેલી બહુમૂલ્ય સંપત્તિથી આપણે અજાણ છીએ. જેણે તે જાણ્યું છે, તે તો નિશ્ચલ રહે છે. આનંદ તેની પાસે જ છે.

“જે ઈશ્વરપૂજાને રોજગાર તરીકે જુએ છે, તે ભક્ત નથી, તે તો વ્યવસાયી છે. આથી વિપરિત, જે દરેક કાર્યને ઈશ્વરપૂજા તરીકે નિહાળે છે, તે જ ભક્ત છે. જે ઈશ્વરપૂજાને રોજગાર તરીકે જુએ છે, તેને જેમ બીજા કામોમાં જે દુઃખો સહન કરવા પડે છે, તે સહન કરવાના આવે છે. મંદિરમાંથી મળતી આવક જો પૂરતી ન હોય તો ઈશ્વરને ઠપકો ન આપતા, બીજુ કોઈ કામ શોધી લેવું જોઈએ. ઈશ્વરઆરાધના પૈસા માટેની ન હોવી જોઈએ. તે તો ભક્તિ માટેની હોવી જોઈએ. જે આમ છે, તેમને ઈશ્વર ક્યારેય દુઃખી નહિ થવા દે. તેની બધી આવશ્યકતાઓ ઈશ્વર પૂરી પાડશે.

“મંદિરોમાંથી જે ઘન ચોરી કરે છે, તેને તેની શિક્ષા મળે જ છે. તેનો સમય સારો હશે, તો તત્કાલ તેની ખબર નહિ પડે, એટલું જ. અહીંના વલ્લીકાવના એક મંદિરનો બનાવ અમ્માને યાદ આવે છે. અમ્મા સામેપારના એક ઘરે જઈ રહ્યાં હતા ત્યારે થોડે દૂર એક માણસ મૂતરતો ઊભો હતો. અમ્મા દૂર ઊભા રહ્યાં. કેટલોક સમય થયો છતાં તે ત્યાંથી ખસ્યો નહિ. ત્યારે તે રસ્તેથી પસાર થતા એક માણસે અમ્માને આ ઘટના વિષે કહ્યું. જે માણસ મૂતરવા ત્યાં ઊભો હતો, તેણે ત્યાંના મંદિરની બધી સંપત્તિ ચોરી હતી. મંદિરમાં નિત્ય પૂજા કરવા માટે તે પૂજારી પાસે પૈસા માગવા જતો. છેવટે તેણે તે પૂજારી પર ચોરીનો આક્ષેપ મૂકી, તેને પકડાવ્યો હતો. મંદિરના પૈસા મેળવી તે ધનવાન બન્યો. બાળકોને પણ સારો ઉદ્યોગ વગેરે મળ્યા. છેવટે શું થયું ખબર છે? બાળકોએ પિતા સાથે ઝઘડો કરી, પિતાને ઘરની બહાર કાઢી મૂકયો. આજે જે મંદિરની સંપત્તિ તેને ચોરી હતી, ત્યાં જ તે ખાઈ છે અને સૂવે છે. ત્યાં નિવેદમાં ધરેલા ભાત તે ખાઈ છે. તે બીમાર છે. કલાકો સુધી ઊભો રહેશે, ત્યારે થોડો પેશાબ થશે.”

ભક્ત : “અમ્મા, હિદુ ધર્મનું આજે કેટલું અધપતન થઈ રહ્યું છે, તેનું શું કારણ?”

અમ્મા : “હિંદુધર્મ આપણને શીખવે છે કે, કોઈ પણ પ્રવૃત્તિ ઈશ્વરપૂજા માની કરવી જોઈએ. પરંતુ, કોઈ તેને અનુસરતું નથી. અહીં અન્ય ધર્મોની જેમ ઐક્ય, સેવાઓ, નિત્ય નિયમાનુસાર આરાધના નથી. હિંદુ કહેવડાવાથી અતિરીક્ત, હિંદુ ધર્મ વિષે કોઈ કંઈ જ જાણતું નથી. પરંતુ, આજે આ પરિસ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે.”

અમ્મા : “શાસ્ત્રો કે આધ્યાત્મિક તત્વનું જ્ઞાન ન હોવાથી આમ બને છે. એક રીતે જોઈએ તો, મંદિરો અને મૂર્તિઓની રચના મનુષ્ય જ કરે છે. મનુષ્ય જ મૂર્તિની પ્રતિષ્ઠા કરે છે. તેની પૂજા પણ મનુષ્ય કરે છે અને હાથ જોડી તેને દંડવત્‌ પણ મનુષ્ય જ કરે છે. તેમ છતાં, ઈશ્વરશક્તિમાં મનુષ્યને જ વિશ્વાસ નથી. કોઈ પણ મંદિરને જે શક્તિ પ્રદાન કરે છે, તે ત્યાં આરાધના કરતા ભક્તો જ છે. એક મહાત્મા જો મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ન કરે, કોઈ ત્યાં દર્શન કરવા કે નમન કરવા ન જાય, તો પછી તે મંદિરમાં શું શક્તિ હશે?”



પ્રેમ સ્વરૂપી તેમજ આત્મસ્વરૂપી ઉપસ્થિત આપ સહુંને અમ્મા પ્રણામ કરે છે. પ્રેમ, કરુણા, ત્યાગ અને શુભેચ્છાઓના સંદેશ સાથે, ફરી આ ક્રિસમસ આવી ગઈ. નાતાલ જેવી રજાઓ સમસ્ત માનવજાતી માટે જાગૃતિના ગીત જેવી છે. તે ભલે ક્રિસમસ હોય કે અન્ય કોઈ તહેવાર હોય કે પછી સામાન્ય દિવસ જ કેમ ન હોય. વર્ષભર ઈશ્વર ને પ્રકૃતિ બંને આપણને જાગૃત થવાના એ ના એ જ સંદેશ પાઠવે છે. વાસ્તવમાં જાગરૂકતા અત્યંત મહત્વનો ગુણ છે, જે આપણા જીવનમાં હર હંમેશ હાજર હોવો જોઈએ. હાલમાં આપણે જાગૃત રહેવામાં નિષ્ફળ જ નહિ, પરંતુ એ રીતે વર્તાવ કરીએ છીએ, જાણે આપણે આ ગુણને પૂર્ણરૂપે ભુલી ગયા હોઈએ. આપણી આ વિસ્મૃતિની ગહનતાના કારણે કદાચ પ્રકૃતિ માતાએ આપણી સ્મૃતિને આ રીતે હદ બહાર પરિસ્થિતિથી આંચકો આપવાનું નક્કી કર્યું હશે.

વાસ્તવમાં આ પરિસ્થિતિ નથી અંતિમ કે નથી ક્રૂર. બાળક જ્યારે ભૂલ કરે, તો શું તેની મા તેને ઠપકો નહિ આપે? બાળકે હજુ યોગ્ય જાગરૂકતા કેળવવાની છે. તેનામાં સારું અને ખરાબ વચ્ચેના વિવેકનો અભાવ છે. માટે કેવળ ભય દ્વારા જ તેને તેની ભૂલ ફરી કરવાથી અટકાવી શકાય. બાળકને જ્યારે સમજ પડે કે, તેને સજા થવાની સંભાવના છે, તો ત્યારે તે ખરાબ કામ કરતા અટકશે. જો બકરી, ગાય, સસલું કે પછી હરણ તમારા શાકભાજીના બગીચામાંથી શાક ખાવા લાગે, તો તમે શું કરશો? તે જનાવર બગીચાના શાકભાજી કે જંગલી ઘાસ વચ્ચે અંતર કરતું નથી. શું કરવું અને શું ન કરવુંનો વિવેક પણ તેનામાં નથી. માટે, જ્યારે કોઈ જનાવર આપણા બગીચામાં ઘુસી આવે તો ત્યારે આપણે હાથમાં લાકડી લઈ, તેને ધમકાવતા બૂમ પાડીને કહેશું, “હટ, હટ, ગાય તું ચાલી જા અહીંથી! સસલાં તું ભાગ અહીંથી!” આપણે ધમકાવવાનો મનોભાવ લેશું અને તેને માર મારવાનો અભિનય કરીશું. પરંતુ, આપણી અંદર કોઈ ક્રોધ નથી હોતો. આ જ પ્રમાણે, આ પરિસ્થિતિ થકી પ્રકૃતિએ આપણને ઠપકો આપ્યો છે, જેથી આપણે વધુ જાગૃત રહીએ.

આ વર્ષે આપણામાંના ઘણા હંમેશની જેમ બહાર જઈ ક્રિસમસની સજાવટનો આનંદ માણવા, કે ઉજવણી અને ખરીદી કરવા જઈ શક્યા નથી. આપણને જબરજસ્તીથી નિયમો, વિનિમયો અને શિષ્ટાચારનું પાલન કરવું પડયું છે. વાસ્તવમાં આ સમય બહાર જવાનો નથી. આ સમય તો અંતર્મુખ થવાનો અવસર છે. ઈશ્વરદત્ત બહારી સ્વતંત્રતાનો આપણે વિવેકપૂર્વક અને આત્મ-સંયમ સાથે ઉપયોગ કરવાનો છે. ઈશ્વરે કદાચ ધાર્યું હશે કે, જો આ અંતર્મુખ થવાનો સમય હશે, તો આપણે આ સમયનો ઉપયોગ સમજવા અને આપણી ભૂલ સુધારી, શીખવાને કરીશું.

સનાતન ધર્મ આપણને અંતર્મુખ થવાનો સિદ્ધાંત શીખવે છે. ”ઉત્તિષ્ઠ! જાગૃત!”- ”ઊઠો! જાગો!” જેઓ આ કરશે, તેઓ જ આત્મ-સાક્ષાત્કારનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. ઊત્તિષ્ઠ જાગૃત પ્રાપ્ય વરાન્‌ નિબોધત (કથોપનિષદ ૧.૩.૧૪) “ઊઠો! જાગો! મહાત્માઓને શરણે જાઓ અને તેમના ઉપદેશને સમજો.”

આ કેવળ ”ઊઠ”વાનું નથી, અહીં આપણને ઊઠીને ઊભા થવાને કહેવામાં આવ્યું છે. આપણને આપણા સ્વથી જાગૃત થવાને, ઊભા થવાને અને આપણી અંદર રહેલી શક્તિ અને સામર્થ્યનો ઉપયોગ કરવાને કહેવામાં આવ્યું છે. આનો અર્થ શક્તિમાન, સામર્થ્યવાન અને આત્મનિર્ભર બનવાનું છે.

યેશુએ કહ્યું છે, “શોધો અને તમને તે મળી જશે.” અહીં શોધવાનું અંદરમાં છે, બહારની દુનિયામાં નહિ. પરંતુ હાલમાં ઘણા લોકોનું શોધવું ફક્ત, “મને સહુંથી લેટેસ્ટ ડીસાઈનનો નેકલેસ ક્યાં મળશે?”- સુધી સીમિત છે. તે નાતાલનો તહેવાર હોય કે અન્ય કોઈ તહેવાર હોય, આપણું ધ્યાન હંમેશા બહાર હોય છે. “શું હું અહીંથી આ ખરીદી શકું?” “શું આ સ્ટાઇલનો ડ્રેસ બુટીક્‌માં મળી જશે?” “શું ફલાણી ફલાણી ઝવેરાતની દુકાનમાંથી આ નેકલેસ હું મેળવી શકું?” “શું હશે આની કિંમત?” આપણી શોધની આ મૂળ પ્રકૃતિ છે. ક્રિસમસમાં નવા વસ્ત્રો ખરીદવા, મોકલવા માટે સરસ કાર્ડ વગેરે શોધીએ છીએ. આપણી સઘળી શોધ બહારી છે. જે શોધ વિષે યેશું કહેતા હતા, તે શોધ આ ન હતી. તે અંતરમાં શોધવાનું હતું. પરંતુ આપણે ઉતાવળમાંને ઉતાવળમાં જે અનિવાર્ય નથી, તેને શોધીએ છીએ. શોધીએ છીએ અને બધું જ મેળવીએ છીએ. પણ આ તે નથી, જે આપણે શોધવાનું છે અને મેળવવાનું છે.

ઈશ્વરે આપણને આંખો આપી છે. આ ફક્ત બહારની દુનિયા જોઈ, તેથી ભ્રમિત રહેવાને નથી. આંખો બંધ કરી, અંતરમાં જોવાને પણ છે. અને અંતમાં પછી અંતરના ચક્ષુથી આ જોવાનું કે, અંદર અને બહાર વાસ્તવમાં એક જ છે. બહારના બે ચક્ષુઓ બહારની દુનિયા જોવા માટે જરૂરી છે. અંતરનું જગત જોવા અને સ્વ આત્માને જાણવા, બહારી આંખો જરૂરી નથી. કારણ કે, સાચો “હું” તો અંદર છે, બહાર નથી.

આપણે કોઈ એકાકી દ્વીપ નથી. આપણે બધા સાંકળની જોડાયેલી કડીની જેમ એકબીજા સાથે જોડાયેલા છીએ. કરુણા, પ્રેમ અને સદ્‌ભાવના આપણી અંદર ભરાઈને પછી બહાર ઊભરાવા જોઈએ. યેશુને તેમના શિષ્યોએ પૂછયું હતું, “સ્વર્ગનું રાજ્ય કેવું છે?” અને તેમનો જવાબ હતો, “ રાયના દાણા જેવું.” એક બીને દાણામાંથી વૃક્ષમાં ઉગવા માટે તેનું કાચલું તૂટવું જોઈએ. ઉગી ગયા પછી તે પક્ષીઓ, જનાવરો અને મનુષ્ય માટે સમાનરૂપે આશ્રયસ્થાન બની જાય છે. યેશુના વચનો સૂચવે છે કે, આપણે પણ વિકસીને તેના જેવું બનવાનું છે. જે રીતે બી ઉગીને વૃક્ષ બને છે. ઈશ્વર પણ આપણામાંના હરેકમાં જીવ તરીકે જીવે છે. સૂર્યના પ્રકાશમાં જો પાણીથી ભરેલા સો ઘડા રાખવામાં આવે તો તેમાંના એક એકની સપાટી પર સૂર્યનું પ્રતિબિંબ જોવા મળશે. પરંતુ, હકીકતમાં સૂર્ય તો એક જ છે. આ જ પ્રમાણે એક જ સત્‌ આત્મા પ્રત્યેક જીવમાં હાજર છે. પરંતુ દરેક વ્યક્તિમાં તેનું પ્રકટીકરણ જુદું હોય છે. દીવાને ફરતો કાંચનો ગોળો જો પૂરેપૂરો મશીથી ભરેલો હશે, તો દીવાનો પ્રકાશ સ્હેજે નહિ દેખાય. આ જ પ્રમાણે જ્યાં સુધી આપણી અંદર સ્વાર્થતા અને ઈર્ષા વાસ કરતા હોય, ત્યાં સુધી આપણે આપણી અંદરની દિવ્યતા ન તો વ્યક્ત કરી શકીએ કે નહિ તેને અનુભવી શકીએ.

ક્રિસમસ જેવા તહેવારો ધૂમધામ,ઉત્સાહ અને મોજ મજા સાથે ઉજવવા જોઈએ. પણ જ્યારે તમે આ ધૂમધામ અને મોજ મસ્તીમાંથી પાછા નીચે ઉતરો ત્યારે તમારા જીવન પર મનન કરવાને, સ્વયંનું મૂલ્યાંકન કરવાને તમારાંથી થવું જોઈએ. જેમ કે, સમાજ માટે મેં શું કર્યું? મેં ફક્ત મારાં માટે જ લીધું શું? કે પછી પ્રકૃતિ માતા માટે હું કંઈ કરી શક્યો?

યેશુ કહે છે, “તમારા પડોશીને તે રીતે પ્રેમ કરો, જે રીતે તમે સ્વયંને પ્રેમ કરો છો.” જીવનના પ્રવાહમાં હરેક વ્યક્તિ જેને આપણે મળીએ છીએ, તે બધા કે જેને આપણે જાણીએ છીએ, તે દરેક વ્યક્તિ જે આપણી આજુંબાજું આવે છે, તે બધા જ આપણા પાડોશી છે. જે રીતે આપણે સ્વયંને પ્રેમ કરીએ છીએ, તે જ પ્રમાણે, તેમને પણ પ્રેમ કરી શકીએ, તો તે જ સ્વયંમાં પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનો ધોરી માર્ગ છે. શ્રીકૃષ્ણ, શ્રીરામ, યેશું બધા જ આપણા હૃદયમાં વાસ કરે છે. ક્રિસમસ આપણને સ્મરણ કરાવે છે કે, ત્યાગ, કરુણા, વિનમ્રતા અને ઈશ્વરમાં દ્રઢ વિશ્વાસ આપણા જીવનમાં લઈ આવવા જરૂરી છે. આ જાગૃતિ બધામાં ઉદિત થાય. આપણા હૃદયની ગમાણને આપણે સદ્‌વિચારો, મધુર વચનો અને કરુણાભર્યા કાર્યોથી સજાવીએ. કારણ કે, હૃદય જ તો ઈશ્વરનું નિવાસ સ્થાન છે. આપણે આપણા હૃદય ખુલા કરીએ. આમ જ્યારે કરીશું, ત્યારે આપણને સમજાશે કે, સુરક્ષા અને સલામતી આપણી અંદર જ રહેલા છે.

અમ્મા પોતાના બધા જ બાળકોને નાતાલના આ અવસર પર શુભેચ્છાઓ પાઠવે છે. મારા બધા જ બાળકોને કૃપા અનુગ્રહિત કરે. ૐ

અમ્મા અને બ્રહ્મચારીઓ એર્નાકુલમ ગયા હતા, આજે મોડી બપોરે તેઓ આશ્રમ પાછા ફર્યા. અમ્મા આશ્રમ તરફ ચાલીને આવી રહ્યા હતા. આ સમયે કેટલાક ભક્તો કે જે આશ્રમમાં અમ્માની રાહ જોઈને ઊભા હતા, તેઓ અમ્માને માર્ગમાં જ દંડવત કરવા લાગ્યા. પોતાના ઓરડામાં વિશ્રામ કરવા ન જતાં, અમ્મા વેદાંત વિદ્યાલયના વરાંડામાં જઈ બેસી ગયા અને ભક્તોને દર્શન દેવા લાગ્યા.

ગઈકાલે એર્ણાકુલામ મધ્યે અમ્માના સ્વાગતમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એક ભક્ત કે જે અમ્માને ફૂલનો હાર પહેરાવવા ઈચ્છતો હતો, તેને ત્યાંના સંયોજકોએ એમ કરતા અટકાવ્યો હતો. તે બનાવનો ઉલ્લેખ કરતા એક બ્રહ્મચારીએ કહ્યું, “ગઈકાલે તે ભક્ત ઘણો દુઃખી થયો હતો. આખરે જ્યારે અમ્માએ તેને બોલાવીને પ્રસાદ આપ્યો, ત્યારે તેને થોડું આશ્વાસન મળ્યું. અમ્માએ જો તેમ ન કર્યું હોત તો ખરેખર તે ભાંગી ગયો હોત. ત્યાંના લોકોનું કહેવું હતું કે, આવા લોકોને જો અમ્મા પાસે આવવા દઈએ, તો લોકો અમ્માનું બૂરું ન બોલે શું.”

અમ્મા : “પુત્ર, ગઈકાલ સુધી તે પુત્રે અનેક અપરાધ કર્યા હશે. પરંતુ આજે તે અમ્મા પાસે આવ્યો હતો. હવે પછી તે કેવો હશે, તે જોવાનું છે. બાળકો, અંધકારને પ્રકાશની જરૂર છે. અમ્મા પણ જો તે બાળકની ઉપેક્ષા કરે, તો તેનું શું થાય? અજ્ઞાનવશ તેણે અપારાધ કર્યો હશે. તેમ છતાં, અમ્મા માટે તો તે તેમનો પુત્ર જ છે. અહીં કોણ એવું છે, જેણે ભૂલ નથી કરી? સાચું શું છે, તે જાણ્યા પછી પણ જો કોઈ ખોટું કાર્ય કરે, તો તે મહા અપરાધ છે. આધ્યાત્મિકતા આપણને બીજાના અપરાધને ક્ષમા કરી, તેમને પ્રેમ કરવાનું શીખવે છે. નહિ કે કોઈનો ધિક્કાર કરવાનો. ધિક્કાર તો કોઈ પણ કરી શકે. સ્વીકારવું કઠિન છે. સ્નેહ દ્વારા જ, બીજા લોકોને ખોટા કાર્યો કરતા અટકાવી, સન્‌માર્ગ તરફ વાળી શકીએ. કોઈ એક ભૂલ કરે અને તે બદલ આપણે તેને ધિક્કારીએ, તો તે હંમેશા ખોટા કાર્યો જ કરતો રહેશે.

“વાલ્મિકી મહર્ષિ જંગલમાં રહેતા હતા. લૂંટવું અને કત્લ કરવી, એ તેમનું જીવન હતું. એક દિવસ, તે જંગલમાંથી પસાર થતા ઋષિઓને લૂંટી, તેમની કત્લ કરવા તે તૈયાર થયો હતો. પરંતુ, તેમણે તેને ક્ષમા કર્યો અને તેના પર પ્રેમની વર્ષા કરી. તે દિવસે તે ઋષિઓએ જો તેને ક્ષમા ન કર્યો હોત, તેના પર કરુણા ન દેખાડી હોત, તો વાલ્મિકી ન બન્યા હોત. લોકો અંધકારમાં રહ્યાં હોત કારણ કે, રામાયણ પણ ન બની હોત. તે ઋષિઓની કરુણાથી જ વાલ્મિકીએ રામાયણની રચના કરી હતી. માટે મારાં બાળકો, બીજાની ભૂલને ક્ષમા કરી, પ્રેમથી તેમને ઉપદેશ આપી, સારાં માર્ગ પર દોરી જવા તમારે તૈયાર રહેવું જોઈએ. અને નહિ કે, પૂર્વે કરેલા અપરાધને ચડાવી કરી વખોડીને ફરી ફરી તેમને ખોટા માર્ગ પર ધકેલવાના!

“ગઈકાલે તે પુત્રે અમ્માને કહ્યું હતું, “તમને મળ્યા પહેલાં, મને ફક્ત આત્મહત્યાના જ વિચાર હતા. પરંતુ, આજે તેમાં પરિવર્તન આવ્યું છે. હવે મને જીવવાની ઇચ્છા થાય છે. હવે મને ઊંઘ પણ આવે છે. મેં વિચાર્યું હતું કે, ગમે તે થાય, મારો પરિવાર હંમેશા મારી સાથે હશે. પણ, આપત્કાળે એક એક કરીને બધાયે મારો સાથ છોડી દીધો. મારાં બંધુજનો તરીકે કહેવડાવવામાં તેઓ હીનતા અનુભવતા હતા. પરંતુ, આજે મને સમજાયું, એક ઈશ્વર માત્ર જ નિત્ય છે, સત્ય છે. પહેલા જ, જો મેં ઈશ્વરમાં શરણું લીધું હોત, તો મારે આટલા દુઃખો ન સહન કરવા પડયા હોત.

“બાળકો, આપણે એક ઈશ્વરમાં શરણું લેવું જોઈએ. ભલે તે કોઈ વ્યસ્ત ઉદ્યોગપતિ જ કેમ ન હોય, ચોવીસ કલાકોમાંથી એક કલાક ઈશ્વર સ્મરણમાં ન વીતાવી શકે? જે ઈશ્વરમાં આશ્રય લે છે, ઈશ્વર તેમની સંભાળ લે છે. તેમને કોઈ દુઃખ પડે ત્યારે ઈષ્ટદેવ તેમની સંભાળ લે છે. ઈશ્વર તો તમારાં શત્રુઓમાં મન પરિવર્તન લાવી, તેમને પણ તમને અનુકૂળ બનાવે છે. પરંતુ, આજે કોને ઈશ્વર જોઈએ છે?”

એક ભક્ત : “આજે મંદિરોની સ્થિતિ પણ દયનીય છે. મંદિરોની સંપત્તિ ચોરી લેવામાં આવે છે. તામિલનાડના એક મંદિરમાં ચોરી કરવાના ઉદે્‌શથી આવેલા લોકોનો વિરોધ કરવાથી, ત્યાંના પૂજારીને મંદિરના ગર્ભમાં બંધ કરી, તેને મારી નાખવામાં આવ્યો હતો. મંદિરોની સંપત્તિને સ્વયં પૂજારીઓ ચોરી લે છે, આવા કેટલાક બનાવો છે. મંદિરોમાંથી મળતી આવક સિવાય બીજી કોઈ તેમને આવક નથી. આ નજીવી આવકમાંથી તેઓ કેવી રીતે ગુજારો કરી શકે? આજે ઘણાખરા પૂજારીઓ ભૂખમરો વેઠી રહ્યાં છે.”

સાંજના છ વાગ્યા હતા. મદ્રાસથી આવતા સુબ્રહ્મણ્યમ્‌ નામના એક ભક્ત અમ્મા પાસે બેઠા હતા. તેઓ ભાવદર્શનનું મહત્વ જાણવા માગતા હતા.

અમ્મા : “બાળકો, મનુષ્ય નામ અને રૂપોની દુનિયામાં જીવે છે. લોકોને સત્ય તરફ દોરી જવા, અમ્માએ આ વેશ ધારણ કર્યો છે.

“મન છે, તો આ સંસાર છે. મન ન હોય તો પછી સંસાર પણ નથી, બધા નામ અને રૂપો મનની અંદર જ રહેલાં છે. મન અસ્ત પામે પછી કંઈ જ રહેતું નથી. જે આ અવસ્થાને પ્રાપ્ત થયા છે, તેમને પ્રાર્થના કે મંત્રજપની આવશ્યકતા નથી. તે અવસ્થામાં ઊંઘ નથી કે નથી જાગૃતતા. ત્યાં કોઈ વસ્તુના અસ્તિત્વથી તમે સભાન નથી. ત્યાં પૂર્ણ નિશ્ચલતા છે. તે અવસ્થાને પ્રાપ્ત કરવા, આ પ્રકારની ઉપાધિ જરૂરી છે.”

સુબ્રહ્મણ્યમ્‌ : “અમ્મા તમે બાળકોને આલિંગનમાં લો છો, કેટલાક લોકો તેની ટીકા કરે છે.”

અમ્મા : “તે બાળકોને પૂછવું જોઈએ – આ ઉમરમાં શું તમે તમારી જન્મધાત્રી માને કસીને આલિંગન આપી શકો છો? ઘરે નહિ તો રસ્તા વચ્ચે આમ કરી શકો? તેમનામાં કંઈક દ્રઢ છે, માટે જ ને તેઓ આમ નથી કરી શકતા? પરંતુ અમ્મામાં આવી કોઈ ભાવના નથી. આ તો એક નાના બાળક પ્રત્યેનું માનું વાત્સલ્ય છે. કામ નથી.

“અમ્મા માટે તો બધા તેમના બાળકો છે. આ એક પ્રકારનું પાગલપન હશે. તમે ચાહો તો અમ્માને પકડીને જેલમાં નાખી શકો છો. પણ, આ જ અમ્માનો માર્ગ છે. શા માટે તમે આમ બીજા લોકોને આલિંગન આપો છો, કોઈ એમ પૂછે, તો અમ્મામાંથી સહજ જ પ્રકટ થતો કરુણાનો આ ભાવ છે. જેમ પવન વાય ત્યારે પાન સ્વાભાવિક જ હલે છે, તેની જેમ તમારાં સામિપ્યમાં આ સ્વાભાવિક જ બને છે. ફળમાં જેમ મધુરતા, તેના સહજસ્વભાવ તરીકે રહેલી છે, તેની જેમ જ, માતૃત્વનો ભાવ -કરુણાનો ભાવ અમ્માનો સહજસ્વભાવ છે. અમ્મા શું કરી શકે? અમ્માને તે મિથ્યા હોય એવું લાગતું નથી. ગાયનો રંગ કાળો હશે, કથ્થઈ હશે, સફેદ હશે, તેનો રંગ જે હોય તે, પરંતુ દૂધનો રંગ તો સફેદ જ છે. તે જ પ્રમાણે, આત્મા એક જ છે. બે નથી. જીવાત્માના ભાવમાં નાનત્વ દેખાશે, પરંતુ અમ્મામાં તે ભેદબુદ્ધિ નથી. આ જ કારણસર, સ્ત્રી હોય કે પુરુષ હોય, અમ્મા ભેદભાવ કરી શકે નહિ.”

“આજે વિશ્વમાં જેનું અત્યાધિક દારિદ્રય દેખાય છે, તે છે નિઃસ્વાર્થ પ્રેમનું. પત્નીને પતિનું દુઃખ સાંભળવા કે આશ્વાસન આપવા માટે સમય નથી. પતિ પત્નીના દુઃખને સાંભળવા કે આશ્વાસન આપવા સમર્થ નથી. પોતપોતાના સંતોષ ખાતર લોકો પરસ્પર પ્રેમ કરે છે. પોતાના સુખનો ત્યાગ કરી, અન્યને પ્રેમ કરવા માટે આજે કોઈ નથી. બીજા માટે મરવાને તૈયાર એવું મન, એવો સમર્પણનો ભાવ આજે કયાંય દેખાતો નથી. “હું તારાં માટે” એમ નથી, “તું મારાં માટે,” એવી ભાવના આજે બધામાં દેખાય છે. પરંતુ, અમ્મા માટે આ શક્ય નથી.

“બીજા લોકોની દ્રષ્ટિએ આ વિચિત્ર લાગશે. આમાં અમ્માનો દોષ નથી. તેમનું પાગલપન, તે રીતનું છે. તો અમ્માનું પાગલપન આ રીતનું છે.

“એક ભરવાડ, લીલા ઘાસને ગાયનો ચારો તરીકે જુએ છે. તે જ લીલું ઘાસ એક વૈદ્યની દ્રષ્ટિમાં ઔષધયુક્ત કોઈ જડીબુટ્ટી હશે. દરેક પોતપોતાના સંસ્કારને અનુસરીને જુએ છે.

“એક વખત એક ગુરુ શિષ્યને લઈ જાત્રા પર નિકળ્યાં. માર્ગમાં તેમણે એક નદી પાર કરીને જવાનું હતું. એક બાલિકા ત્યાં કિનારાપર બેસીને રડતી હતી. તેને સામે પાર જવું હતું. નદી બહુ ઊંડી ન હતી. ગુરુએ કોઈ વિચાર કર્યા વિના જ, સહજ જ તે બાલિકાને ઉંચકીને ખભે બેસાડી, તેને સામે પાર લઈ ગયા અને ત્યાં તેને નીચે ઉતારી, ગુરુ અને શિષ્ય આગળ નીકળી પડયા. રાત્રે તેઓ વાળું કરવા બેઠા ત્યારે શિષ્યના મુખપરના ભાવમાં કંઈક પરિવર્તન દેખાયું.

ગુરુએ તેની નોંધ લીધી અને પૂછયું, “કેમ, શું થયું?”

શિષ્ય : “મને એક શંકા છે. તમે પેલી બાલિકાને ઉચકી, ખભે બેસાડી નદી પાર કરી, શું તે યોગ્ય હતું?”

હાસ્ય કરતા ગુરુ બોલ્યા, “આ બહુ સારું. મેં તે બાલિકાને ઉંચકી, ખભે બેસાડી નદી પાર કરાવીને તેને નીચે મૂકી દીધી અને તું તેને હજુય ઉંચકીને બેઠો છે?”

સુબ્રહ્મણ્યમ્‌ : “મેં આટલા દિવસ સાધના કરી, છતાં મને કોઈ અનુભૂતિ નથી થઈ. શા માટે?”

અમ્મા : “દસ શાક ભેગા કરીને ખાઓ તો તેમાંના એક શાકનો સ્વાદ પણ શું તમે અનુભવી શકશો? ઈશ્વર દર્શનના એક જ વિચારમાં દ્રઢ રહી, આગળ વધો. ચોક્કસ અનુભૂતિ થશે.”

ઘણા યુવકો અમ્માના દર્શન કરવા આવ્યા હતા. તેમની સાથે ઘણા સમય સુધી અમ્માએ આધ્યાતત્મિક વિષયો પર ચર્ચા કરી. પછી તેઓ ઊભા થયા. અમ્માને દંડવત કરી, તેઓ નીકળવાના જ હતા, ત્યારે તેમાંના એક યુવકે કહ્યું, “મને આશીર્વાદ આપો, કે અમ્મામાં મારો વિશ્વાસ દ્રઢ રહે.”

અમ્મા : “બાળકો, અંધ વિશ્વાસ કરશો નહિ. કોઈ નિર્ણય લો, તે પહેલાં તેનો પૂર્ણ અભ્યાસ કરી, તે શું છે, તેની પૂર્ણ મહિતી મેળવી, પછી જ નિર્ણય લેવો જોઈએ. તમારી ઉંમર હજી નાની છે. કોઈ કંઈ કહે, તેનો ઝટ દઈને વિશ્વાસ કરશો નહિ. આ જે દેખાય છે, તેવો નથી અમ્મનો સ્વભાવ. અમ્મા તો પાગલ છે. અમ્મા બહુ સારા છે, એમ વિચારી આંખ મીચીને અમ્માનો વિશ્વાસ કરશો નહિ.”

યુવક : “મા સારી છે કે કેમ, તેનો નિર્ણય બાળકે લેવાનો!”

યુવકના આ શબ્દોએ હાસ્ય મોજાંનું સર્જન કર્યું. અમ્માના સામિપ્યમાં થોડો સમય રહી, તે યુવક અમ્માની કેટલી નજીક આવી ગયો હતો! સ્નેહના સાગર એવા અમ્મામાંથી વહેતા વાત્સલ્યના તરંગો કોના હૃદયને સ્પર્શી ન શકે!

ૐ અસતો મા સદ્‌ગમય । તમસો મા જ્યોતિર્ગમય ।
મૃત્યોર્માઽમૃતં ગમય । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥

આ પ્રાર્થના, તમસો મા જ્યોતિર્ગમય — અંધકારમાંથી પ્રકાશ તરફ અમને દોરી જાઓ., આ સનાતન ધર્મની અનંત પ્રાર્થનાઓમાંની એક છે. દિવાળીનો આ પવિત્ર દિવસ આપણને બુરાઈના અંધકારમાંથી ભલાઈના પ્રકાશમાં વિકાસ કરવા. આપણી અંદર ઈશ્વરીય સિદ્ધાંતને જાગૃત કરવાને સ્મરણ કરાવતો દિવસ પણ છે. આ દિવસ આપણા ઘરોમાં અને હૃદયમાં વૈભવના દેવી લક્ષ્મીનું આવાહન કરવાનો અવસર પણ છે.

આપણે બધા જ જાણીએ છીએ કે, સનાતન ધર્મના આધારમાં રહેલા એક સિદ્ધાંત અનુસાર સર્જન અને સર્જનહાર, બે નથી પણ એક જ છે. સૂર્યને પોતાનો માર્ગં પ્રકાશિત કરવા મીણબત્તીની જરૂર નથી. ઈશ્વરને આપણી પાસેથી કશાની જરૂર નથી. સનાતન ધર્મનો મૂળ સિદ્ધાંત શસપને સર્જનમાંના સર્વકાંઈને ઈશ્વર સમાન જોઈ, આ મનોભાવ સાથે સહુંની સેવા કરવાને શીખવે છે. કહેવાય છે કે, ઈશ્વર આપણા હાથો થકી, જીહ્વા થકી, આંખો થકી, કાન થકી અને જે કોઈ કાર્ય આપણે કરીએ, તે થકી કાર્ય કરે છે. એ તો ઈશ્વર જ છે, જે સર્જનના એક એક સ્વરૂપની અંદર પ્રકાશમાન છે. ઈશ્વર જ દરેક જીવનું જીવન છે.

સનાતન ધર્મની પ્રાચીન સંસ્કૃતિ સર્વકાંઈને એક જ સત્યના મૂર્તસ્વરૂપ તરીકે જોઈ, સમસ્ત સર્જનને સ્વીકારે છે અને તેનો આદર કરે છે. ધ્યાન દરમ્યાન ઋષિઓની અંદર જીવનના રહસ્ય જે ઉદિત થયા તે મનુષ્ય અને પ્રકૃતિને, ચર અને અચરને હ્રૈયાત રાખવા તેમજ તેમના સુખ અને શાંતિની ખાતરી કરવા આજે પણ વિદ્યમાન છે.

રાવણનો સંહાર કરી ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા, ત્યારે સમસ્ત અયોધ્યામાં આ દિવસ દીવા પ્રગટાવી ઉજવવામાં આવ્યો હતો. આ દિવસના સ્મરણમાં આજે પણ દીવા પ્રગટાવી દિવાળી મનાવવામાં આવે છે. આનો પ્રતીકાત્મક અર્થ પણ છે.

આપણે બધા જ ભગવાન શ્રીરામ સીતામાતાની શોધમાં નીકળ્યાની કથાથી પરિચિત છીએ. સીતા પોતાના અજ્ઞાન અને અવિચારી કાર્ય માટે પશ્ચાતાપ કરે છે અને વરસાદ હોય કે તાપ, સતત ભગવાન રામનું સ્મરણ કરતા હતા. આ દરમ્યાન ભગવાન શ્રીરામ ઘણા અવરોધો પાર કરી, ઘણા અસૂરોનો સંહાર કરી, અંતમાં દશાનન રાવણનો સંહાર કરે છે.

રાવણના દશ માથા દશ ઈંદ્રિયોઃ ૫ જ્ઞાન ઈદ્રિયો અને પાંચ કર્મ ઈંદ્રિયોને સૂચવે છે. રામ આ દશે ઈંદ્રિયો પર વિજય મેળવી, પોતાના અહમ્‌થી પર આવ્યા છે. આ પ્રમાણે તેઓ બંને, આંતરિક તેમજ બાહ્ય રીતે એક વિજયી રાજા બની અયોધ્યા પાછા ફર્યા હતાં. આ તેમનો વિજય હતો અને આ વિજય દિવાળીમાં મનાવવામાં આવે છે.

દીવા પ્રગટાવવા, આ ચેતનાના સામ્રાજ્યને પ્રકાશિત કરવાનું સૂચવે છે. આ ઉપરાંત અગ્નિ બોલેલા શબ્દ તેમજ ચેતના અથવા જાગરૂકતાને સૂચવે છે. આ જ કારણ હશે કે, આ તહેવારમાં સ્વાગત રૂપે દીવા પ્રગટાવી, ઉજવવામાં આવે છે.

જુદા જુદા રાજ્યોમાં આ તહેવાર જુદી જુદી રીતે મનાવવામાં આવે છે. તામિલનાડુમાં નરકાસુરનો વધ, દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. અસુરના રૂપમાં દુષ્ટ શક્તિનો સંહાર મનાવવામાં આવે છે. આપણે આને અહંમ્‌નો સંહાર અને સભાનતાની જાગૃતીનો અવસર બનાવવો જોઈએ.

પાણી હંમેશા નીચે તરફ વહે છે. ભલે પછી તે કોઈ પર્વતની ટોચ પરથી કેમ ન વહેતું હોય. પાણીનો પાઈપ ઉપરની તરફ ચીંધીને હોય તો પણ પાણી નીચે જમીન પર જ વહે છે. પરંતુ જ્યોત હંમેશા ઉપર તરફ જ ઝળકે છે. તેને નીચેની તરફ ચીંધીને રાખો તો પણ તેની જ્યોત ઉપર તરફ જ ઝળકે છે. તેનામાં પાણીને વરાળ કરવાની ક્ષમતા છે, જે પછી વાદળ બને છે અને આકાશમાંથી વરસાદ બની વરસે છે. વર્ષાના આ જળને વિધ વિધ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે વિદ્યુત શક્તિ ઉત્પાદન વગેરે. આ જ પ્રમાણે ભગવાન શ્રીરામ વિશ્વ માટે હિતકારક હતા. આ રીતે તેઓ હરકોઈમાં ધર્મને જાળવી રાખવાની ઇચ્છા જાગૃત કરવામાં સફળ રહ્યાં હતા.

એક સાચા તપસ્વીની બધી જ આવશ્યકતાઓની સંભાળ લેવામાં આવે છે. દેવી લક્ષ્મી હંમેશા તેની સાથે જ છે. આપણે જો રાણી મધમાખીને પકડી લઈએ, તો બીજી મધમાખીઓ અનુકરણ કરશે. જેમ કે. આાપણી પાસે દૂધ હશે, તો તેમાંથી આપણે દૂધના બધા ઉત્પાદનો મેળવી શકીએ, જેમ કે દહીં, છાશ, માખણ, ચીઝ વગેરે વગેરે.

વિવેક, શક્તિ, હિમ્મત અને અન્ય અનેક ગુણ આપણને પ્રાપ્ત થાય, આ જ આ દિવસે દેવી લક્ષ્મીનું આવાહન કરવા પાછળનું તત્વ છે. દેવી લક્ષ્મીનો પ્રમુખ ગુણ સંપત્તિ સમૃદ્ધિ છે. અહીં આ સૂચવેલ સંપત્તિમાં દૈવિ સંપતનો પણ સમાવેશ થાય છે. દૈવિ સંપત સર્વકાંઈ સમ્મિલિત કરે છે. સંપતિ આપણને સમૃદ્ધિ તરીકે પ્રાપ્ત થવી જોઈએ. આપણે જ્યારે લાલચું બનીએ છીએ ત્યારે આ સંપત્તિમાં સમિૃદ્ધ નહિ રહે. આ સંપત્તિ જ્યારે અન્ય લોકોને મદદરૂપ બને છે, ત્યારે આપણી સંપત્તિ સમૃદ્ધ બની જાય છે. ત્યારે તે પછી સ્વર્ગીય સુંગંધથી સંપન્ન સૂર્યપ્રકાશ જેવી બની જાય છે. અને આ ત્યારે બને છે જ્યારે આપણે કરુણા કેળવીએ છીએ.

સોનામાં મધુર સુંગધની જેમ આપણા જીવન પણ અમૂલ્ય, સુવાસિત અને સુંદર બને છે. માટે, જે રીતે આપણે ઈશ્વરના સર્જનની સેવા કરીએ છીએ, તે ઈશ્વર પ્રતિની આપણી સાચી સ્તુતિ અને ભક્તિ નિશ્ચિત કરે છે. આપણે જ્યારે કોઈ દુઃખી અને પીડિત પ્રતિ થોડી કરુણા પ્રકટ કરીએ છીએ, ત્યારે આપણે ઈશ્વર પ્રત્યેનું આપણું કર્તવ્ય નિભાવીએ છીએ.

આપણે બધા આપણા અંતરના દિપકને પ્રકાશિત કરવામાં સફળ રહીએ અને બીજા લોકોમાં પણ પ્રકાશ લાવી શકીએ. બધામાં આ પ્રાપ્ત કરવા આવશ્યક મનબોળ રહે. ઈશ્વરકૃપા મારા બાળકોને અનુગ્રહિત કરે.

                                ૐ અમૃતેશ્વ્રર્યૈ નમઃ