સૌમ્યા : “મને કોઈ વસ્તુ ગમતી હોય, અને હું તેને સ્વીકારું નહિ, તો શું તે વૈરાગ્ય કહેવાય?

અમ્મા : “તે વસ્તુ જો આપણને મિથ્યા તરફ દોરી જાય, તો તે વૈરાગ્ય છે.

“દરેક વસ્તુનો સ્વભાવ આપણે જાણવો જોઈએ. આ બોધ હંમેશા આપણામાં હોવો જોઈએ કે, ભૌતિક વસ્તુઓ આપણને સંતોષ આપી શકે નહી. તેનો આશ્રય લેવાથી, આપણને તાત્કાલિક સંતૃપ્તિ પ્રાપ્ત થશે, પરંતુ આખરે તો તે આપણને દુઃખ તરફ જ દોરી જાય છે. આ બોધ જો આપણામાં જાગૃત થાય, તો પછી તે વસ્તુ સાથેની આસક્તિ આપમેળે જ ઓછી થશે. પછી આ વસ્તુઓમાંથી મનને વાળવું બહુ સરળ બની જાય છે.

“એક માણસને દૂધપાક બહુ ભાવે. એક દિવસ તેના કોઈ મિત્રની જન્મદિવસની પાર્ટીમાં તેને નિમંત્રિત કરવામાં આવ્યો. ઉજાણીની પ્રમુખ વસ્તુ હતી, દૂધપાક! તે બહુ ખુશ થયો. તેણે તો વાટકો ભરીને દૂધપાક લીધો. તેમાંથી એક ચમચી દૂધપાક ચાખી જોયો. વાહ, તે ખૂબ સ્વાદિષ્ટ હતો. માપસર દૂધ, મધુરો, ઇલાયચી, કાજુ, કેસર, બદામ, પિસ્તા, કિસમિસ વગેરે. અસલ દૂધપાક હતો! બીજી ચમચી પીવા, તેણે ચમચીને દૂધપાકમાં ડૂબાડી જ હતી કે, તે જ ક્ષણે ઉપર છતમાંથી એક ગરોળી તેમાં પડી. પોતાની અત્યંત પ્રિય વસ્તુને, પાત્ર સમેત ઉપાડીને ફેંકી દેવી પડી. દૂધપાકમાં ગરોળી પડતા, આ બોધ થયો કે તે ખાવાને લાયક નથી, તે જ ક્ષણે તેને ખાવાની ઇચ્છા પણ નાશ પામી. આ જ પ્રમાણે, ભૌતિક વિષયોનો આશ્રય લેવાથી માત્ર દુઃખ જ પ્રાપ્ત થાય છે, જ્યારે આ બોધ આવે પછી ભલે કોઈ અત્યંત પ્રિય વસ્તુ કેમ ન હોય, તેનો ત્યાગ કરવો સરળ બને છે. મનને તેમાંથી પાછુ વાળવા કે નિયંત્રણમાં રાખવામાં કોઈ કઠિનાઈ નથી પડતી. આ વૈરાગ્ય છે. ફેણવાળા ઝેરી નાગને જોઈ, તેનામાં રહેલા ઝેરથી અજાણ કોઈ બાળક તેને પકડવાને દોડશે. પણ શું આપણે તેમ કરી શકીશું?

“પુત્રી, મનને બળપૂર્વક નિયંત્રણમાં લાવવા કરતા, વસ્તુના ગુણદોષને સમજી, તે પ્રત્યે વિરક્તિ કેળવી, તેનાથી દૂર રહેવું ઉત્તમ છે. ત્યારે પછી સહજ જ નિયંત્રણ આવી જશે.”

સૌમ્યા : “અમ્મા, મને લાગે છે કે, યથાર્થ આનંદ વૈરાગ્યમાંથી જ પ્રાપ્ત થાય છે. ભૌતિક વસ્તુઓનો આશ્રય લેવાથી, કે તેને સંગ્રહિત કરવાથી કે પછી તેને માણવાથી, તે પ્રાપ્ત થતો નથી.”

અમ્મા : “શું તને લાગે છે કે યથાર્થ આનંદ વૈરાગ્યમાંથી પ્રાપ્ત થાય છે? નહિ! યથાર્થ આનંદ તો પ્રેમમાંથી આવે છે. ઈશ્વર સાક્ષાત્કાર માટે, આત્મ સાક્ષાત્કાર માટે, તમને જેની જરૂર છે, તે છે પ્રેમ. પ્રેમ દ્વારા જ તમે પૂર્ણ વૈરાગ્ય અનુભવો છો.”

સૌમ્યા : “તો પછી આપણે શેનો ત્યાગ કરવો જોઈએ? નિદ્રામાં નિયંત્રણ આહારમાં નિયંત્રણ, તેને શું કહેવાય?”

અમ્મા : “તેને ત્યાગ કહી શકાય. પણ તે માત્ર જ ત્યાગ નથી. કોઈના પર ક્રોધ કરીએ, તો શું આપણને મનમાં સમાધાન હશે? પ્રેમ હોય ત્યારે જ આપણને સમાધાન હોય છે. ખરું ને? પુષ્પમાં રહેલી સુગંધને શ્વાસથી સૂંધવાથી, આપણે તેનો આનંદ માણીએ છીએ, ખરું ને?નાક બંધ કરીને રાખીએ તો શું આપણે તેની સુગંધ માણી શકીશું? સાકરને મોઢામાં રાખીએ ત્યારે તેની મીઠાશ અત્યાધિક અનુભવીએ છીએ. નહિ કે? શું સાકર પ્રત્યેના વૈરાગ્યમાંથી આ સુખ આવે છે? નહિ, તે પ્રેમમાંથી આવે છે.

“મળને જોતાં તમે નાક બંધ કરો છો. તેને વૈરાગ્ય કહી શકાય. ત્યાં પ્રેમ નથી. તે આનંદ નહિ આપે. ભૌતિક વસ્તુઓમાંથી પ્રાપ્ત થતું સુખ, તાત્કાલિક છે. તે જ પાછળથી દુઃખનું કારણ બને છે.

“સંસારમાંથી પ્રાપ્ત થતું સુખ નિત્ય નથી, ક્ષણિક છે. માટે જ તે મિથ્યા છે. આમ વિચારી તેનો ત્યાગ કરવો, તેને વૈરાગ્ય કહે છે. તેમ છતાં, યથાર્થ આનંદ, મિથ્યા વસ્તુ પ્રત્યેના વૈરાગ્યમાંથી પ્રાપ્ત નથી થતો. પ્રેમ દ્વારા જે સત્ય છે, યથાર્થ છે, તેને પ્રાપ્ત કરવાનું છે. આ તો અનંત આનંદ તરફનો માર્ગ છે.

“જે મિથ્યા છે, તેની ધૃણા કરવી જરૂરી નથી. મિથ્યા જગતમાંથી નિત્ય તરફ પહોંચવાનું શીખી શકો. આપણને જેની જરૂર છે, તે છે શાશ્વત જગતની. પ્રેમ દ્વારા જ આપણે તે સ્થિતિને પ્રાપ્ત કરવા વિકસી શકીએ. ચંદ્ર જ્યારે ઉદિત થાય છે, ત્યારે પૃથ્વી પરના સમુદ્રો અને સરોવરોના પાણી, ચંદ્ર પ્રત્યેના પ્રેમને કારણે તે તરફ ઉંચે ઊઠે છે. પવનના સ્પર્શનો આનંદ માણવા, ફૂલ ખીલે છે,
અને આ માટેનું કારણ છે, પ્રેમ. માટે, એ શું છે જે આપણને પરમાનંદ આપે છે? તે વૈરાગ્ય નથી, પણ પ્રેમ છે.”

સૌમ્યા (થોડી અસ્વસ્થતા સાથે) : “મને કોઈ વસ્તુને પ્રેમ કરવાથી પ્રાપ્ત થતું સુખ નથી જોઈતું.”

અમ્મા : “એક સાધક જેને પ્રેમ કરે છે, તે તેના પોતાનાથી અન્ય નથી. તે તો પોતાના આત્માને પ્રેમ કરે છે, જે તેની આસપાસ સર્વકાંઈમાં વ્યાપ્ત છે. યથાર્થ વૈરાગ્ય તો નિત્યાનિત્યમાંથી જે નિત્ય છે, તેને પ્રેમ કરવામાં છે. પ્રેમ જ્યારે વધુ ને વધુ ઊભરાય છે, ત્યારે નિત્યને જાણવાની જીજ્ઞાસા પણ દ્રઢ બને છે.

“ધારો કે આપણો કોઈ મિત્ર, જે બહુ દૂર રહે છે. તે આપણને મળવા આવી રહ્યો છે. જે ક્ષણ આપણને આ સમાચાર મળે કે, કોઈ પણ સમયે તે અહીં પહોંચશે, તો નિદ્રા અને આહારનો ત્યાગ કરી આપણે તેની રાહ જોઈશું. શું આ તેના પ્રત્યેનો પ્રેમ નથી, કે જેને કારણે, નિદ્રા અને ખોરાકનો ત્યાગ કરી આપણે તેની રાહ જોઈએ છીએ?”

સૌમ્યા : “અમ્મા, પહેલાં શેની જરૂર છે, નિયંત્રણ કે પ્રેમ ?”

અમ્મા : “પ્રેમમાં સ્થિર રહીને સાચું નિયંત્રણ આવવું જોઈએ. પ્રેમ વિના સાચું નિયંત્રણ નથી આવતું. પ્રેમ વિનાનું નિયંત્રણ સ્થાયી નહિ હોય. મન ફરી પહેલાંની સ્થિતિ પર પાછું ફરશે. મિત્ર મળવાને આવી રહ્યો છે , આ જાણ થતાં, તેના પ્રત્યેના પ્રેમને કારણે, તેને મળવાની ઇચ્છાથી, ખોરાક અને નિદ્રાનો ત્યાગ કરીએ છીએ. અહીં આપણી જાણબહાર જ નિયંત્રણ આવે છે. પ્રેમને કારણે, આપણને તે તકલીફ કે ત્યાગ જેવું લાગ્યું નહિ. પણ જો, પ્રેમ ન હોય તો નિયંત્રણ અત્યંત કઠિન બનશે. એક ટંક ભોજન ન કરીએ, તો આપણા બધા વિચાર પછી ખોરાકના જ હોય છે.

“એક વસ્તુ પ્રત્યે વૈરાગ્ય આવવો હોય તો અન્ય કોઈ વસ્તુ પ્રત્યે પ્રેમ આવવો જોઈએ. પુત્રી, સાક્ષાત્કાર પ્રત્યેના તારાં પ્રેમને કારણે, અહીં તું બધું સહન કરી, ધીરજથી રહી શકે છે. અન્યથા અહીં જીવી શકાય નહિ. આપણી અંદર કામ છે, ક્રોધ છે, મદ છે, મત્સર છે, લોભ છે, ઈર્ષા છે. તેને પ્રકટ ન કરતા, તેને આપણી અંદર દબાવી, બધું સહન કરીને શા માટે રહીએ છીએ? સાક્ષાત્કાર પ્રત્યેના પ્રેમને કારણે જ તો! અને જો તે ન હોય તો તે બધું બહાર આવે. પરંતુ પ્રેમના મૂલ્યને કારણે, તે બધાને જીવવા, પ્રવૃત થવા કે વિકસવા યોગ્ય સંજોગો નથી મળતા. લક્ષ્ય પ્રત્યેનો પ્રેમ, તેને નિયંત્રણમાં રાખે છે. ”

સૌમ્યા : “તો પછી અમ્મા, શા માટે તમે આશ્રમના નિયમોના પાલન પર ભાર મૂકો છો? શું તે સ્વાભાવિક જ નહિ બને?”

અમ્મા : “અમ્મા એમ નથી કહેતા કે વૈરાગ્ય ન જોઈએ. વૈરાગ્યનો અભ્યાસ કરવો જ જોઈએ. પણ વૈરાગ્યને જે પૂર્ણ કરે છે, તે તો માત્ર પ્રેમ જ છે. શરૂઆતમાં નિયંત્રણ બહુ જરૂરી છે. અત્યારે અહીં ત્રીસેક જેટલા બાળકો છે. બધાને એક જ વિચાર છે, અને તે છે, સાક્ષાત્કાર.

“તેમને આત્મજ્ઞાન જોઈએ છે. પણ તેમના મન શરીરને આધીન છે. આ સુખનો ત્યાગ કરવો તેમને ગમતું નથી. માટે શિસ્તપાલન જરૂરી પડે છે.

“સવારે કોઈ જગ્યા પર જવાનું છે. પરંતુ, નિદ્રાનો ત્યાગ કરવો ગમતો નથી. આમ હોય ત્યારે શું તે વ્યક્તિને જગાડવી ન જોઈએ? બાળકોને સૂર્યોદય જોવાની ઇચ્છા છે. પરંતુ તે માટે સવારે વહેલું ઉઠવું, એ ન બને. મન શરીરના સુખમાં રાચે છે. આપણે ઉદયની રાહ જોઈને બેઠા છીએ. ઉદય આપણી રાહ નહિ જુએ. તે પોતાની “ડયુટી” કરશે. પરંતુ આપણે આપણી “ડયુટી” નિભાવતા નથી. આમ જ્યારે બને ત્યારે અમ્માએ બાળકોને બોલાવીને જગાડવા જોઈએ. અને તેમ ન કરે, તો તે બાળકોને છેતરવા જેવું હશે. આ કડકાઈ, અમ્માનો અત્યંત મહાન પ્રેમ છે. એમ અમ્માને લાગે છે.”

બાળકો, કેટલાક લોકો પૂછતા હોય છે, ભક્તિના માર્ગમાં ભયને કોઈ સ્થાન છે અને શું ભય-ભક્તિ અનુચિત છે? અમ્મા એમ નથી કહેતા કે, ભય-ભક્તિ અનુચિત છે. ભક્તિની પૂર્ણતામાં ભયને કોઈ સ્થાન નથી. પરંતુ, ભક્તિના માર્ગમાં આગળ વધવા એક આરંભકને ભય-ભક્તિ ચોક્કસ સહાય કરે છે. જગદીશ્વર દરેક જીવને પ્રત્યેક કર્મનું ફળ વિતરણ કરે છે. તે સદ્‌ગુણીની રક્ષા કરે છે અને અધર્મીને શિક્ષા કરે છે. જે જાણે છે કે, ઈશ્વર દુષ્કર્મોને શિક્ષા કરે છે, તેનામાં આદર અને થોડો ભય હશે જ. આ ભય તેનામાં વિવેક પ્રજ્વલિત કરે છે. આ તેને ખોટાં કાર્યોથી દૂર રાખી, આગળ સાચા માર્ગ પર ચાલવાને સશક્ત કરે છે.

ભય-ભક્તિ, એ કોઈ ગુલામની પોતાના માલિક પ્રત્યેના ભય જેવી નથી. આમાં કેવળ ભય જ નહિ, એક વિદ્યાર્થીનો પોતાના શિક્ષક પ્રત્યેનો આદર પણ સમાયેલો છે અને એક બાળકનો પોતાની મા માટેનો નિર્દોષ પ્રેમ પણ છે. ઈશ્વર પ્રત્યેનો આપણો મનોભાવ પણ આવો જ હોવો જોઈએ.

એક બાળક પોતાની માને પ્રેમ કરે છે. તે જાણે છે કે, તેની મા તેની રક્ષક છે. આ સાથે તે એ પણ જાણે છે કે, પોતે જો કોઈ તોફાન કરશે, તો તેની મા તેને શિક્ષા કરવામાં સ્હેજેય સંકોચ રાખશે નહિ. આ પ્રમાણે, પોતાની મા માટેના તેના પ્રેમમાં ભયનો છાંટો પણ છે. આ ભય અનેક સંકટો અને દુષ્કૃત્યોમાંથી તેની રક્ષા કરે છે. બાળકના તોર તરંગો તેને ખોટું કરવાને પ્રેરિત કરશે. પરંતુ, પોતાની મા પાસેથી જે ઠપકા અને શિક્ષા મળશે, તે ભયના કારણે પોતે સ્વયંને મુસીબતથી દૂર દોરી જાય છે. આ પ્રમાણે મા પ્રત્યેનો ભય તેનામાં વિવેક જગાડે છે અને તેને સાચા માર્ગ પર આગળ ચાલવાને પ્રોત્સાહિત કરે છે. આ સાથે મા માટેના તેના પ્રેમમાં આ ભય ક્યારેય બાધા નથી. ઉલ્ટાનું તે ઉચિત સ્વસ્થ આધ્યાત્મિક વિકાસ કેળવે છે.

બાળકો જ્યારે નાના હોય ત્યારે સરસથી ભણે છે. આ તેઓ અધ્યાપક પાસેથી મળતી શિક્ષાના ભયના કારણે કરે છે. આ ભય તેમને આળસમાંથી બહાર આવવા અને જ્ઞાન ગ્રહણ કરવા સહાય કરે છે. તેઓ જ્યારે પછી ઉપરના ધોરણમાં પહોંચે છે, ત્યારે આ ભય તેમને સતાવતો નથી. કારણ કે, ત્યાં સુધીમા તેમણે આવશ્યક વિવેક કેળવી લીધો હોય છે. તેમને અધ્યાપક પ્રતિ કેવળ આદર અને આજ્ઞાંકિતતા જ હોય છે. ઘણાખરા ભક્તોનો ઈશ્વર પ્રત્યેનો મનોભાવ આવો હોય છે.

ભક્ત જેમ જેમ ભક્તિના માર્ગમાં આગળ વધે છે, તેમ ભય-ભક્તિ પ્રેમ-ભક્તિમાં વિકસે છે. પ્રેમ-ભક્તિમાં ભયનો છાંટો સુદ્ધા નથી. ઈશ્વર પ્રત્યેના પ્રેમને લઈ ઈશ્વર પાસેથી મળતી શિક્ષાને પણ તે આનંદથી સ્વીકારે છે. તેનામાં રહેલી વાસનાઓ જે તેને ખોટું કરવા પ્રેરિત કરતી હતી, તે ભક્તિના હર્ષોલ્લાસમાં ધોવાઈ જાય છે. એક સાચો ભક્ત અન્ય બધું ભૂલી જાય છે અને તે પોતાની પ્રેમાળ માના ખોળામાં વિશ્રામ કરતા બાળક જેવો બની જાય છે. ૐ

બ્રહ્મચારી : “અમ્મા, ઈશ્વર અંદર છે કે બહાર?”

અમ્મા : “શરીર-બોધ હોવાને કારણે, તમે અંદર કે બહાર એમ વિચારો છો. પુત્ર, વાસ્તવમાં અંદર કે બહાર એવું કઈ જ નથી. “હું” અને “મારાં”ના ભાવને કારણે જ “હું” અને “તું”નો ભાવ આવે છે. આ બંને, ભ્રમ માત્ર જ છે. પરંતુ જ્યાં સુધી, “હું” અને “મારાં”નો ભાવ છે, બધું મિથ્યા છે એમ કહી શકો નહિ. બધામાં વ્યાપ્ત ચૈતન્ય જ ઈશ્વર છે. તમે જ્યારે ઈશ્વર બહાર છે, એવી ભાવના કરો ત્યારે વાસ્તવમાં જે તમારી અંદર છે તે જ બહાર પ્રકટ થાય છે. જે હોય તે, આ દ્વારા જ મન શુદ્ધ થાય છે.”

બ્રહ્મચારી : “કોઈ એક વિશેષ શક્તિ આ બ્રહ્માંડનું નિયંત્રણ કરે છે. પરંતુ, તે શક્તિ કોઈ એક રૂપમાં રહેલા ઈશ્વર જ છે, એ માનવું કઠિન છે.”

અમ્મા : “બધી જ શક્તિ તેની જ છે. બધાનું નિયંત્રણ કરતા એક સર્વશક્તિમાન તે જ છે. સર્વની શક્તિ તે જ છે, એવો વિશ્વાસ રાખતા હો તો પછી, સર્વનું નિયંત્રણ કરનાર તે શક્તિ ભક્તની ઇચ્છાનુસાર રૂપ ધારણ શા માટે ન કરી શકે? આ પ્રમાણે વિશ્વાસ કરવામાં શું કઠિનાઈ છે?

“(દ્રઢતાથીં) આ વિશ્વાસમાં એક આદિશક્તિ છે, જેને હું મારી મા તરીકે જોઉ છું. તે શક્તિ મારી મા છે. ભલે સો જન્મો મારે લેવા પડે, તે મારી મા જ હશે અને હું તેમનું બાળક! માટે ઈશ્વરને રૂપ નથી, એમ મારાંથી કહી શકાય નહિ.

“સામાન્ય લોકોને કોઈ એક ઈષ્ટદેવ વિના મનને સ્થિર રાખવું કઠિન છે. ઈષ્ટદેવને સામે પાર જવાના સેતૂ તરીકે નિહાળી, ભવપાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે વિના શક્ય નથી. આપણાથી તરવાનું ન થાય. માર્ગ વચ્ચે જો થાકીને તૂટી પડીએ તો આપણે શું કરીશું? માટે સેતૂ અનિવાર્ય છે. કોઈ પણ કઠિન પરિસ્થિતિઓમાં, માર્ગદર્શન કરવા માટે ગુરુ તમારી પાસે જ છે, આ વિશ્વાસ અને દ્રઢ સમર્પણ તમારામાં હોવાં જ જોઈએ. પછી શા માટે આ રસાકસી? પણ એમ વિચારીને કે સામે પાર દોરી જવાને કોઈ છે તો પછી શા માટે મહેનત કરવી, આમ વિચારી આળસુ બનીને ન બેસી રહેવું જોઈએ. તમારે સખત પ્રયત્ન કરવો જોઈએ

“નાવમાં કાણું પડયું હોય અને તેમાં પાણી ભરાઈ રહ્યાં હોય ત્યારે, કાણાંને બૂરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરતા એમનેમ બેસી ન રહેવું જોઈએ. તમારે તો પ્રાર્થનાની સાથે તે કાણાંને બૂરવા સ્વયં પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન રજરૂરી છે. પ્રયત્નની સાથે તે ઈશ્વરકૃપા માટે પ્રાર્થના પણ કરવી જોઈએ.”

બ્રહ્મચારી : “અમ્મા, ઈશ્વર સાક્ષાત્કાર માટે મને કેટલો સમય લાગશે?”

અમ્મા : “પુત્ર, સાક્ષાત્કાર એમ સરળતાથી પ્રાપ્ત થતી કોઈ વસ્તુ નથી. કારણ કે આપણે એટલું બધું ભેગું કર્યું છે. ધારો કે આપણે કોઈ યાત્રા પર ગયા હોઈએ, યાત્રા દરમ્યાન આપણે કોઈ સ્થળે ઉતર્યા નથી. ગંદકીને અડકયા પણ નથી. પરંતુ, જ્યારે આપણે વસ્ત્રો ધોઈએ છીએ ત્યારે કેટલો મેલ નીકળે છે! આ જ પ્રમાણે, આપણી જાણ બહાર જ આપણા મનમાં મેલ જમા થતો હોય છે. તે ફક્ત આ જન્મનો જ નથી, પૂર્વે કેટલાક જન્મો થકી ભેગો કરીને આપણે અહીં પહોંચ્યા છીએ. એક બે વર્ષ આંખ બંધ કરીને બેસી રહેવાથી, એમ ન કહી શકાય કે તમે આત્માને જાણો છો. આપણાથી તો આપણી અંદર પણ સફાઈ કરવી શક્ય નથી.

“પહેલાં જે જંગલી ઘાસ ઉગ્યું હોય તેને કાપી, જમીન સાફ કર્યા પછી જ તમે ત્યાં તમારી પસંદનું વૃક્ષ ઉગાડી શકો. આજે આપણાથી આપણા મનને શુદ્ધ કરવું શકય નથી. તો પછી જે આત્મ સ્વરૂપ છે, તેને આપણે કેવી રીતે જોઈ શકીએ? પુત્ર, ગંદા કાચને રંગવાથી, આપણે તેને દર્પણમાં પરિવર્તિત કરી શકીએ નહિ. માટે, સર્વપ્રથમ મનને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરો. ઈશ્વરને સમર્પિત થઈ, પ્રયત્ન કરો.”

અમ્માને દંડવત કરી બ્રહ્મચારી ઊભો થયો.

અમ્માએ જમવાનું પૂરું કર્યું. થોડા વધુ પત્રો વાંચી, ભાવદર્શનના આરંભમાં ગવાતા ભજન માટે અમ્મા નીચે ઉતર્યા.

રાત્રે બે વાગે ભાવદર્શન પૂરા થયા. સંધ્યા સમયે હળવો વરસતો વરસાદ હવે મૂશળધાર બની વરસી રહ્યો હતો. ભક્તોએ વેદાંતવિદ્યાલય અને કળરીના વરાંડામાં આશ્રય લીધો. જ્યાં જગ્યા મળી, ત્યાં લોકો સૂતા હતા.

ભાવદર્શન પૂરા કરી. અમ્મા જ્યારે કળરીમાંથી બહાર આવ્યા, ત્યારે લોકોને સૂવા માટે પણ જગ્યા ન હોવાથી, અમ્માએ તેમને દુઃખી થતાં જોયા. અમ્મા તેમને સાથે લઈ, બ્રહ્મચારીઓની કુટીરો તરફ ચાલ્યા. વરસાદથી અમ્માનું રક્ષણ કરવા ગાયત્રીએ અમ્માને માથે છત્રી ધરી. અમ્માએ દરેક કુટીરમાં ચાર પાચ ગૃહસ્થભક્તોને સૂવા માટેની વ્યવસ્થા કરી આપી. ટુવાલથી અમ્માએ તેમના ભીના માથા લૂછી આપ્યા. માતૃવાત્સલ્યના તે મૂર્તસ્વરૂપ સમક્ષ તેઓ નાના બાળકો જેવા બની ગયા.

“અમ્મા, બ્રહ્મચારી બાળકો ક્યાં સૂવા જશે? અમારા કારણે તેમને તકલીફ થઈ.” એક ગૃહસ્થ ભક્તે અમ્માને પૂછયું.

અમ્મા : “તેઓ તમારી સેવા કરવા માટે અહીં આવ્યા છે. તેઓ અહીં ત્યાગ શીખવાને આવ્યા છે. થોડી તકલીફ સહન કરવી પડે તો તેમાં તેમને સંતોષ જ છે.”

બ્રહ્મચારીઓ બધા કળરી મંડપમાં આવ્યા. અહીં બેસીને રાત કાઢવાની હતી. કળરીના વરાંડાની ત્રણે બાજુ ખુલી હોવાથી, હવામાં વરસાદના છાંટા કળરીમાં પડતા હતા. આમ ત્યાં સૂવું અશક્ય હતું. પરંતુ, થોડા કલાકો જ તેમને ત્યાં ગાળવાના હતા.

હજુય ચાર વૃદ્ધ ગૃહસ્થભક્તો માટે સૂવાની વ્યવસ્થા કરવાની હતી. તેમને સવારના ચાર વાગે સામે પાર જવાનું હતું. ત્યાંથી તેમને પાંચ વાગાની બસ લેવાની હતી. અમ્મા તેમને સાથે લઈ કળરીના ઉત્તર ભાગ તરફ ગયા. ત્યાં એક ઓરડાના બારણા બંધ હતા. અમ્માએ બારણું ખખડાવ્યું. બે બ્રહ્મચારીઓ દેવીભાવ દર્શન પૂરા થવા આવ્યા ત્યારે અહીં આવીને સૂઈ ગયા હતા. ભાવ દર્શન પછી શું બન્યું તેની તેમને કંઈ જ ખબર ન હતી. અત્યારે જ્યારે અમ્માએ તેમના ઓરડાનું બારણું ખખડાવ્યું, ત્યારે અર્ધ નિદ્રાવસ્થામાં તેમણે બારણું ખોલ્યું.

“બાળકો, આમને અહીં સૂવાની જગા કરી આપો.” આટલું કહીં, બ્રહ્મચારીઓને તે ભક્તોને સોંપી, અમ્મા પોતાના ઓરડામાં ગયા. બ્રહ્મચારીઓએ પોતાની ચટાઈઓ ભક્તોને સૂવા માટે આપી, તેઓ ધ્યાન મંદિરના વરાંડામાં દરવાજાની આડમાં જઈને બેસી ગયા જેથી તેમના પર વરસાદના છાંટા ન પડે. વરસાદ હવે થોડો ધીમો પડયો હતો.

ત્યાગને પોતાનું જીવન બનાવી, ત્યાગના મૂર્ત સ્વરૂપના સાન્નિધ્યમાં આવી, તેમણે પોતાનું જીવન તેઓશ્રીને અર્પિત કર્યું હતું. હવે, પ્રત્યેક ક્ષણ તેમને ત્યાગના પાઠો શીખવવામાં આવતા હતા. તે વિશ્વવાત્સલ્ય ધામને ભક્તો વારંવાર પ્રણામ કરી રહ્યા….

બાળકો, આપણું આ મન એક વાનર જેવું છે. વાનર એક વૃક્ષપરથી બીજા પર હંમેશા છલાંગ મારતું હોય છે. આપણે ગર્ભાશયમાં હતા ત્યારે આપણો આકાર વાનર જેવો હતો. બહાર આવ્યા પછી પણ આપણે એવા જ છીએ. શરીર ભલે વાનર જેવું ન હોય, પણ આપણું મન એ નું એ જ છે. તેમાં કોઈ બદલાવ આવ્યો નથી.

આજે પણ વાનર મન જ છે. અત્યારે અહીં રહેલું મન, બીજી જ ક્ષણે અનેક દીશાઓમાં કૂદી જશે. અહીંથી સીધું અમેરીકા છલાંગ મારશે. રશિયામાં છલાંગ મારી જશે. ચંદ્ર પર પણ પહોંચી જશે. ભૂતકાલમાં કૂદકો મારશે. વર્તમાનમાં કૂદી આવશે. આવા મનને ધ્યાન દ્વારા નિયંત્રણમાં લાવી શકાય. જે રીતે કોઈ યંત્ર રીમોટ કંટ્રોલના નિયંત્રણમાં કાર્ય કરે છે, તે જ પ્રમાણે, ધ્યાન મનનું રીમોટ
કંટ્રોલ આપણા હાથમાં લઈ આવવા માટેની ક્રિયા છે. ધ્યાનનો ઉદેશ્ય કેવી પણ પરિસ્થિતિમાં મનનું સમત્વ, સમભાવ જાળવી રાખવાનો છે. આ મનની નિશ્ચલતા તરફનો માર્ગ છે.

ધ્યાનને સંબંધિત લોકોને અનેક ખોટી ધારણાઓ છે. કોઈપણ એક આસનમાં આંખ બંધ કરી, શ્વાસને પકડી રાખી, કોઈ પણ એક રંગને જોવો. રોમાંચક કોઈ અનુભવ થવો. આમાંનું કંઈ જ ધ્યાનનું લક્ષણ નથી. ધ્યાન એટલે પોતાના અંતરમનમાં રહેવાનું છે.

રસ્તા પરથી યાત્રા કરતી વખતે ત્યાં બંપ હશે, ખાડા હશે, ઉતાર ચઢાવ હશે. વળાંકો પણ હશે. તેમછતાં આપણી ગેયર, બ્રેક, અનુકૂળ કરી, આ બધું પાર કરી આપણે આગળ વધીએ છીએ. આ જ પ્રમાણે આપણે મનને પરિસ્થિતિઓ સાથે અડજસ્ટ કરવાને શીખવવું જોઈએ.

ગીતામાં ભગવાન અર્જુનને ઉપદેશ આપતા કહે છેઃ “સમત્વં યોગ ઉચ્યતે॥ ” બધી જ પરિસ્થિતિઓમાં સમચિત્ત જાળવી રાખવું, એ જ ધ્યાન છે, એમ કહીં શકાય. પરિસ્થિતિઓનો સંતુલિત મન સાથે સામનો કરવાનો અભ્યાસ આપણને જરૂરી છે. આ માટે સર્વપ્રથમ મનનું કૂદવાનું ઓછું કરવું જોઈએ.

એક બાળક પરીક્ષા આપવા ક્લાસરૂમમાં પ્રવેશ કરે છે. તેણે વિચાર્યું, “હે ભગવાન, આ પરીક્ષામાં જો સરસથી જવાબ લખવાને થાય તો ભગવાન, હું તમને દૂધપાક ધરીશ.” આ પ્રમાણે ભગવાનને દૂધપાક ધરવાની માનતા કરી ઝડપથી તે પેપર લખવા લાગ્યો. પેપર લખી લીધા પછી તેને વિચાર આવ્યો કે, દૂધપાક બનાવવા માટે તો ઘંણો ખરચ થશે. આમ વિચારી તે બાળક ગણતરી કરવા લાગ્યો. જો દૂધપાક બનાવવો હોય તો દૂધ, ચોખા વગેરે કૂલ મળી લગભગ રૂાઃસો થાય. બદલે જો પંચામૃત હોય તો કેટલો ખરચ થાય, તે વિચારવા લાગ્યો. પંચામૃત માટેનો ખરચ ગણતરી કરવા લાગ્યો. તે રૂાઃઓગણિસ થાય. અને જો એક પુષ્પાંજલી જ કરાવું તો. તેનો ખરચ ગણતરી કરી જોઉ. તો હવે શું કરવું? આમ ન કરતા થોડા ફટાકડા લઉ તો અથવા એક માટીનું કોડીયું ધરું તો કેમ. આ બધા પાછળ કેટલો ખરચ થાય તે ગણતરી કરી જોઉં. આ પ્રમાણે તે વિધ વિધ વિચાર કરતો હતો કે ઘંટડી વાગી. અચાનક ઘંટડી વાગતા આ બાળકે ટેંશનમાંને ટેંશનમાં પરીક્ષાનું જવાબી પેપર આપવાને બદલે જે કાગળમાં બધો હિસાબ લખ્યો હતો, તે પેપર પરીક્ષકને આપી દીધું! આ પ્રમાણે આપણું મન હંમેશા બદલતું રહે છે.

એક વખત કર્ણ ભોજન કરી રહ્યો હતો, ત્યારે કોઈ ત્યાં આવ્યું અને દાનમાં કંઈ માગવા લાગ્યો. કર્ણે તરત જ પેલો જે માગતો હતો તે વસ્તુ ડાબા હાથે ઉપાડી, તેને આપી દીધી. ત્યારે કોઈએ પ્રશ્ન કર્યો, “ડાબા હાથે દાન આપવું શું ખોટું ન કહેવાય?”

ત્યારે કર્ણ કહે છે, “તેઓ અચાનક આવ્યા અને માગ્યું ત્યારે મારું મન પીગળ્યુ અને નજીક જ તે વસ્તુ હોવાથી, તરત મેં તેને ઉપાડીને આપી દીધી. જો થોડું મોડું થાય અને મારું મન બદલી જાય તો.” આ આપણા મનનો સ્વભાવ છે.

આપણે આ શરીરને નિત્ય માનીએ છીએ. પરંતુ આ શરીરને બીમારી આવી શકે. જે હોય તે, તેનો નાશ નિશ્ચિત છે. આ બધું આપણી સામે બનતું જોવા છતાં તૂટયા વિના જીવન જીવવું , આ જ આપણે ધ્યાન દ્વારા હાસિલ કરવાનું છે.

શરીર નહિ પણ આત્મા માત્ર જ નિત્ય છે. આ આપણે સમજવાનું છે. આત્મબોધમાં જાગૃત થવાનું છે.

આત્મબોધની અવસ્થા પર જાગૃત થયા પછી, તે અવસ્થામાં કોઈ પરિવર્તન નથી. ધ્યાન થકી આપણે આ અવસ્થા પર પહોંચવાનું છે.

જેઓ ધ્યાનનો અભ્યાસ કરવાનું શરૂ કરે છે, તેમણે સર્વપ્રથમ કોઈ એક વસ્તુમાં મનને એકાગ્ર કરવું જોઈએ. મન અન્ય વસ્તુ પર જ્યારે ક્યારે ઢળવા લાગે, ત્યારે ત્યારે તેને ફરી ધ્યાનની વસ્તુ તરફ પાછું ખેંચી લાવવું જોઈએ.

ધ્યાન માટેના અનેક વિધાનો હોવા છતાં, સતત પ્રયત્ન દ્વારા મનને નિશ્ચલતા પર લઈ આવવાનું, આ જ ધ્યાનના આધારમાં રહેલું તત્વ છે. જો યોગ્ય ધ્યાન મળે તો વિના પ્રયત્ને મન ધ્યાનની વસ્તુમાં સ્થિર રહેશે. ક્રમશઃ નિશ્ચલતા, શાંતિ અનુભવસિદ્ધ થશે. ૐ

અમ્મા : “પુત્ર, ધ્યાન કરવા બેસો ત્યારે મનને પૂર્ણરૂપે ઈશ્વરમાં સ્થિર રાખવું જોઈએ. બાહ્ય કાર્યોમાં ધ્યાન ન જાય તેની ખાસ કાળજી લેવી જોઈએ. મનમાં ઈષ્ટદેવનું સ્વરૂપ માત્ર જ રહે, એવો વૈરાગ્ય આવવો જોઈએ.

“એક વખત એક સંન્યાસી ધ્યાન કરી રહ્યાં હતા. આ સમયે કોઈ ઝડપથી તેમની સામેથી પસાર થઈને નીકળી ગયું. સંન્યાસીને આ ગમ્યું નહિ. થોડા સમય પછી, તે વ્યક્તિ એક બાળકનો હાથ ઝાલી, તે માર્ગ પરથી પાછો ફરી રહ્યો હતો. ક્રોધ કરતા સંન્યાસીએ તેને પૂછયું

“શું તારામાં એક ક્ષણની પણ ધીરજ નથી. તેં જોયું નહિ કે હું અહીં ધ્યાન કરી રહ્યો છું?”

વિનયપૂર્વક તે વ્યક્તિએ પૂછયું, “ક્ષમા કરશો. મને ખબર ન હતી કે, આપ અહીં બેઠા છો.”

સંન્યાસી : “શું કહ્યું? શું તને આંખે નથી દેખાતું?”

પેલી વ્યક્તિએ કહ્યું, “મારો દીકરો દેખાતો ન હતો. તે મિત્રો સાથે રમવા ગયો હતો. મને ભય હતો કે પાસેના તળાવમાં તે પડી ન ગયો હોય, આમ શક્ય તેટલી ઝડપથી હું દોડીને ગયો હતો. માટે જ, તમે અહીં બેઠા છો, તે તરફ મારું ધ્યાન ન ગયું.”

“પેલાએ સંન્યાસીની ક્ષમા માગી. પરંતુ તે સંન્યાસી એમ કાંઈ છોડે તેમ ન હતા. તેણે કહ્યું, “ઈશ્વર ધ્યાનમાં હું લીન થઈને બેઠો હતો, અને તેં મારા ધ્યાનમાં ખલેલ કરી. આ કોઈ વાતે યોગ્ય ન કહેવાય!”

“આ સાંભળતા પેલાએ જવાબ આપ્યો, “ઈશ્વર ધ્યાનમાં લીન હોવા છતાં, તમે મને અહીંથી દોડતો જતાં જોયો અને હું, મારાં પુત્રને શોધતો દોડી રહ્યો હતો ત્યારે તમે મારી સામે બેઠેલા હોવા છતાં, મેં તમને જોયા નહિ. મને મારાં પુત્ર સાથે જે બંધન છે, તેટલું બંધન પણ તમને તમારા ઈશ્વર સાથે નથી. આ તે કેવું ધ્યાન છે! ક્ષમા કે વિનય વિનાના ધ્યાનથી શું લાભ?”

“આપણું ધ્યાન આ સંન્યાસી જેવું ન હોવું જોઈએ. ધ્યાનમાં બેસો પછી મનને પૂર્ણરૂપે ઈશ્વર સાથે બાંધવું જોઈએ. આસપાસ કંઈ પણ બને, મનને ત્યાં જવા દેશો નહિ. અને જો જાય તો તરત જ તેને પાછું વાળવું જોઈએ. મનને કેવળ એક ઈશ્વરમાં જ બાંધવાનો પ્રયત્ન કરો. આ પ્રકારના સતત અભ્યાસ દ્વારા જ, મન જ્યાં ત્યાં ભટકશે નહિ.

“ધ્યાન કરવા બેસતી વખતે, આટલા કલાકો પછી જ આંખો ખોલીશ અને ત્યાં સુધી હાથપગ ન હલાવતા સ્થિર બેઠો રહીશ, એવો દ્રઢ નિર્ણય લેવો જોઈએ. પછી ગમે તે થાય,તમારા આ નિર્ણયમાં કોઈ પરિવર્તન ન આવવું જોઈએ. આ જ યથાર્થ વૈરાગ્ય છે.”

બ્રહ્મચારી : “કેટલાક વિચારો મનમાં ઘૂસી આવે છે અને અસ્વસ્થતા સર્જે છે. ક્યારેક મને કેવળ એક ઈશ્વરને જ જાણવા અને તેમને જ પ્રેમ કરવાની લાગણી થાય છે, તો ક્યારેક સાધના દ્વારા મને બ્રહ્માંડના રહસ્યને જાણી, તેને ખુલ્લું કરવાનું મન થાય છે. અન્ય સમયે મને આમાંનું કંઈ જ નથી જોઈતું. મને તો ફક્ત મારી અંદર કાર્ય કરતી શક્તિને જાણવી છે, એમ થાય છે. આ પ્રકારના વિવિધ વિચારોના કારણે મને ધ્યાનમાં કોઈ સ્થિરતા મળતી નથી.”

અમ્મા : “પુત્ર, આત્માને જાણ્યા પછી બ્રહ્માંડના બધા નિગૂઢ રહસ્યને સહજ જ તમે જાણી લો છો. આથી વિપરીત, નિગૂઢની શોધમાં તમે નિગૂઢતામાં લીન થશો નહિ. બસમાં યાત્રા કરતી વખતે તમે જોયું હશે, બસ જેમ આગળ વધે છે, તેની આસપાસની બધી વસ્તુઓ અને દ્રશ્યો, પાછા ફરી, અદ્રશ્ય થતાં જણાશે,. આ જ પ્રમાણે આજે જે દેખાય છે, તે બધું અદ્રશ્ય થશે. તે તરફ ધ્યાન આપશો નહિ અને તે સાથે કોઈ બંધન પણ બાંધશો નહિ. બ્રહ્માંડના રહસ્યને જાણવા માટે કેટલા નિષ્ણાંતો પ્રયત્ન કરી રહ્યાં છે. પણ શું તેમાંના કોઈ સફળ થયા છે? પણ તમે જો ઈશ્વરને પ્રાપ્ત કરી લો, પછી બધા લોકને તમે જોઈ શકો છો, જાણી શકો છો. માટે જ, જે સમય મળે તેનો ઉપયોગ ઈશ્વરને જાણવા માટે કરો. અન્ય કોઈ વિચારથી તમને કોઈ લાભ નથી થવાનો.”