ભક્ત : “પણ શ્રી રામકૃષ્ણે તો કહ્યું હતું કે, સાધકે સ્ત્રીઓ સાથે વાત ન કરવી જોઈએ. એટલું જ નહિ, એક સાધકે સ્ત્રીનું ચિત્ર સુધ્ધાં ન જોવું જોઈએ!”

અમ્મા : “જેને ગુરુ છે, તેમણે ભયભીત થવાની જરૂર નથી. ગુરુની આજ્ઞાનુસાર જીવન જીવો, તે પૂરતું છે. આટલા સખત નિર્દેશો આપ્યા હોવા છતાં, શું શ્રીરામકૃષ્ણના શિષ્ય એવા વિવેકાનંદ અમેરીકામાં જઈ, સ્ત્રીઓને શિષ્ય તરીકે સ્વીકારી ન હતી? પરંતુ, સાધકે, શરૂઆતમાં સ્ત્રીઓથી બને તેટલું દૂર રહેવું જોઈએ. સ્ત્રીનું ચિત્ર પણ ન જોવું જોઈએ. એટલી સાવધાની સાધકે રાખવી જોઈએ. સાધનાકાળમાં બધા વિષયોનો ત્યાગ કરી, શક્ય તેટલું એકાંતમાં રહેવું ઉત્તમ છે. સાધકે પછી ગુરુના સાનિધ્યામાં વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવાનો હોય છે. આ બધી પરિસ્થિતિઓને પોતાની સાધનાના ભાગરૂપ માની, સ્વીકારવી જોઈએ. તેમને તો બધા પ્રતિબંધોથી પર આવવાનું છે. જેને ગુરુમાં સમર્પણ હશે, તેને માટે આ શક્ય હશે. જેને ગુરુ નથી, તેમણે બહારી નિયંત્રણોનું સખતાઈથી પાલન કરવું જોઈએ. અન્યથા કોઈપણ સમયે તેનું પતન થઈ શકે.

“પુરુષમાં પણ સ્ત્રીત્વ છે. તેનાથી ઉપર ઉઠે તો જ તે લક્ષ્યને પ્રાપ્ત કરી શકે. સ્ત્રીઓને મળતી વખતે સાધકે ખાસ સાવધાની રાખવી જોઈએ. ભયના માર્યા સ્ત્રીઓથી દૂર રહેવું તે પણ અર્થહીન છે. આખરે તો, તમારે તમારાં ભયથી ઉપર ઉઠવાનું છે. બધાથી પર આવવાની મનઃ શક્તિ તમે ન પ્રાપ્ત કરો, તો કેવી રીતે તમે ઈશ્વરને પ્રાપ્ત કરી શકો? બધામાં તે પરમાત્મા ચૈતન્યના દર્શન ન કરો, ત્યાં સુધી ઈશ્વર સાક્ષાત્કાર શક્ય નથી. સાધનાકાળમાં સ્ત્રીઓ સાથે અધિક સંપર્ક ન કરાય. હંમેશા થોડું અંતર રાખવું જોઈએ. એક ઓરડામાં કોઈ સ્ત્રી સાથે એકાંતમાં બેસીને વાત પણ ન કરવી જોઈએ. કોઈ એકાંત સ્થળમાં સ્ત્રી સાથે ન રહેવું જોઈએ. આ પ્રકારના સંજોગોમાં, આપણી જાણ બહાર જ મન સુખ તરફ ઢળે છે. જો તેને સહન કરવાની શક્તિ ન હોય તો, આપણે ભાંગી પડશું. એવી કોઈ પરિસ્થિતિ આવે કે પરસ્પર વાત કરવાની જરૂર લાગે તો કોઈ ત્રીજી વ્યક્તિને બોલાવી, તેની હાજરીમાં વાત કરવી જોઈએ. જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ પાસે હોય તો આપણે જાગૃત રહેશું.

“પુરુષ અને સ્ત્રી, પેટ્રોલ અને આગ જેવા છે. આગના સંપર્કમાં પેટ્રોલ આવે તો તે સળગી ઊઠે છે. માટે જ, નિરંતર જાગૃત રહેવું જોઈએ. જ્યારે કોઈ દુર્બળતા અનુભવો, તરત જ સ્વયં મનન કરવાનું. સ્વયંને પૂછો કે , “મળ અને મૂતરથી ભરેલા શરીરમાં શું છે કે તું તે તરફ આકર્ષાય છે?” આ પછી તો, આ અણગમાથી પણ ઉપર ઊઠવું જોઈએ. બધાને પછી મા જગદંબાના સ્વરૂપ તરીકે નિહાળવા જોઈએ. સર્વમાં વ્યાપ્ત ચૈતન્યને નિહાળવાની શક્તિ પ્રાપ્ત કરી લેવી જોઈએ. જ્યાં સુધી આ શક્તિ તમે પ્રાપ્ત ન કરો, તમારે પૂર્ણ સાવધાની રાખવી જોઈએ. સ્ત્રી પાણીમાંના વમળ જેવી છે. તે તમને ઊંડાણમાં ખેંચી જાય છે. નિરંતર સાધના, લક્ષ્યબોધ અને આ બધાથી ઉપર, ગુરુ પ્રત્યેના સમર્પણના ભાવ વિના, આ બધી પરિસ્થિતિઓમાંથી બહાર આવવું અસાધ્ય છે.

ભક્ત : “આ ઈંટ ઉંચકીને લઈ જવી, બીજા બધા કામો કરવા, યાત્રા કરવી, શું આટલું બધું કામ કરી, બ્રહ્મચારીઓ થાકતા નથી?”

અમ્મા : “ભાવદર્શનના દિવસે પણ, રાત્રે દર્શન પૂરા કરી, અમ્મા ઈંટ ઉંચકવા જાય છે. દર્શન દરમ્યાન ભજન ગાઈને સૂવા ગયા હશે કે અચાનક ઈંટ ઉંચકવા માટે તેમને બોલાવવામાં આવે છે. અમ્મા જોવા માગે છે કે, તેમાંના કેટલામાં નિઃસ્વાર્થતાનો ઉત્સાહ છે, કે પછી તેઓ ફક્ત શારીરિક સુખ આરામ માટે જ જીવે છે. આ અવસરો પર આપણે જોઈ શકીએ કે તેમને તેમના ધ્યાનથી કોઈ લાભ છે કે કેમ. કોઈ દુઃખી હોય ત્યારે તેમને મદદ કરવા માટેની ભાવના આપણામાં હોવી જોઈએ. અન્યથા તપ કરવાનું શું પ્રયોજન?”

ભક્ત : “અમ્મા, શું એવો પણ સમય આવશે કે જ્યારે આ દુનિયામાં બધા લોકો સારા હોય?”

અમ્મા : “પુત્ર, જો સારું હશે તો ખરાબ પણ તેની સાથે જ હોય છે. એક માને દસ બાળકો હોય, તેમાંથી નવનો સ્વભાવ સોના જેવો સરસ અને એકનો ખરાબ હોય, તો તે એક ખરાબ બાળક બીજા નવને બગાડવા માટે પૂરતું હશે. પણ, આ એકને કારણે જ, બીજા નવ ભગવાનને યાદ કરે છે. વિપર્યાસ વિનાનું જગત ન હોય શકે.”

રાત ઘણી થઈ ચૂકી હતી. અમ્માના શબ્દોમાં બધા ડૂબેલા હતા. સમય ક્યાં વીતી ગયો ખબર ન પડી.

અમ્મા : “બાળકો, બહુ મોડું થયું છે. જાઓ, સૂઈ જાઓ. અમ્મા તમને આવતી કાલે મળશે.”

અમ્મા ઊભા થયા. અમ્માને દંડવત કરી ભક્તો પણ ઊભા થયા. અમ્માએ દરેક મુલાકાતીને તેમની સૂવાની જગ્યા બતાવી. પાણીના ખાબોચિયામાં અમ્માને ચાલતા જોઈ, ભક્તોએ કહ્યું, “અમ્મા, તમે ન આવો. અમે અમારા સૂવાના ઓરડા શોધી લેશું.”

અમ્મા : “બાળકો, આટલા પાણીમાં માર્ગ શોધવો કઠિન છે. અમ્મા તમારી સાથે આવશે.”

બધાને તેમના ઓરડા બતાવી, છેવટે અમ્મા પોતાના ઓરડામાં ગયા ત્યારે રાત્રીના ત્રણ વાગ્યા હતા.

આ વિશ્વમાં અદ્‌ભૂત પમાડનારું અન્ય કંઈ જ નથી, કે જેની સાથે અમ્માના પ્રેમ અને વાત્સલ્યની તુલના કરી શકાય. તે ભાગ્યશાળી ભક્તો પ્રભાત થતા પહેલાં થોડો વિશ્રામ લેવા આડા પડયા. બંધ આંખોમાં અમ્માનું મંગળ સ્વરૂપ પ્રકાશિત થતું હતું. અમ્માનો મધુર સ્વર કાનમાં ગુંજતો હતો. સ્નેહમયી અમ્માનું ધ્યાન કરી, બાળકો નિદ્રાદેવીના ખોળામાં પોઢી ગયા.

અમૃતા વિશ્વવિદ્યાપીઠ તરફથી પ્રથમ ઓનરરી ડૉક્ટરેટની પદવી પ્રદાન સમારોહ પર અમ્માનો સંદેશ

પ્રેમસ્વરૂપી તેમજ આત્મસ્વરૂપી સહુંને અમ્મા પ્રણામ કરે છે.

માનનીય કેંદ્ર મંત્રી શ્રી અશ્વિનકુમાર ચોબે, શ્રી જેફ્રે સેઽકસ અને શ્રી કૈલાશ સત્યાર્થિને અમ્માના અભિવાદન.

આજે બે નમાંકિત વ્યક્તિઓનું સન્માન કરવાનું અહોભાગ્ય આપણને મળ્યું છે. જેમણે સહૃદયથી, આત્મસમર્પણ સાથે, વિશ્વના કલ્યાણ અર્થે અપૂર્વ યોગદાન આપેલ છે. આ છે, શ્રી જેફ્રે સૅઽકસ અને શ્રી કૈલાશ સત્યાર્થી. જ્યાં સંઘર્ષ અને લાલચનું સામ્રાજ્ય છે એવા આજના આ વિશ્વમાં તેમણે ઘણા પડકારો પાર કર્યા છે અને તેઓ બંને, સમાજના વિકાસ અર્થે કાર્યરત રહ્યાં છે. આવા મહાન વ્યક્તિત્વ અને યોગ્યતા ધરાવતા એવા આમને પોતાના પ્રથમ બે ઓનરરી ડૉક્ટરેટની પદવી પ્રદાન કરી, અમૃતા વિશ્વવિદ્યાપીઠ અત્યંત હર્ષ અને ગૌરવ અનુભવે છે.

વિશ્વમાં સર્વત્ર માનવજાતી ઘણી સળગતી સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહી છે. જેને આપણે આપણું ઘર કહીએ છીએ, એ આપણી આ સુંદર ધરતી કે આપણને પોષિત કરતી આ પ્રકૃતિ, આ જ પ્રમાણે હવે પછીના ૫૦ વર્ષ સુધી આપણને જાળવશે કે કેમ, તેની કોઈ ગેરંટી નથી. તે આમ જ રહે તે માટે મનુષ્યે પોતાના વિચારમાં, મનોભાવમાં અને કાર્યમાં મહાન પરિવર્તન લાવવાને ઇચ્છુક હોવું જોઈએ. પરંતુ, આપણે જ્યારે આપણી આજુંબાજું નજર કરીએ અને મનુષ્ય રાશીના વર્તનને જોઈએ, ત્યારે આ બહું જ સંશયજનક લાગે છે કે, શું આપણે ખરેખર બદલી શકીશું કે કેમ.

આ સ્પષ્ટ કરવાનો એક સરળ ઉપાય છેઃ તમે વિશ્વનો નકશો લો, આંખ બંધ કરી આ નકશા પર ગમે ત્યાં તમારી આંગળી મૂકો અને પછી આંખ ખોલીને ત્યાં જુઓ. જ્યાં તમારી આંગળી રાખી હતી, તે સ્થાનને ઝૂમ કરી, જાણકારી મેળવો. તે કયો દેશ છે? કયું રાજ્ય છે? વગેરે. અત્યારે વર્તમાનમાં ત્યાં શાંતિ છે કે સંઘર્ષ? ત્યાં લોકોને પેટભરીને ખાવા મળે છે કેમ? લોકોને પીવાને શુદ્ધ જળ મળે છે? શું બધાને માથે છાપરું છે? બધાને પર્યાપ્ત માત્રામાં વસ્ત્ર પ્રાપ્ત છે? તેમને સમયસર સ્વાસ્થ્ય ચિકિત્સા મળે છે? શું મહિલાઓ અને બાળકો સુરક્ષિત છે? સ્વયંને આ પ્રકારના પ્રશ્ન પૂછો. અમ્માને ખાત્રી છે કે, અમ્માના કહ્યાં વિના, તમે તેના ઉત્તરો જાણો છો અને અમ્માને તમને આ કહેવાની જરૂર નથી.

બધા જ રાષ્ટ્રોના શાસકો દાવા સાથે કહે છે કે, તેમનો દેશ પ્રચંડ પ્રગતિ અને ઉન્નતિ કરી રહ્યો છે, અને તેમની આંતરિક સમસ્યાઓનું નિવારણ થયું છે. મહાઆર્થિક વિકાસ તેઓ કરી રહ્યાં છે, બેરોજગારીમાં ઘટાડો થયો છે. શૈક્ષણિક સુધારામાં વૃદ્ધિ થઈ છે, વગેરે વગેરે… ઘણી હદ સુધી આ સત્ય હશે. આ બધું જ સાચું હશે. તેમછતાં એક પ્રશ્ન તો રહે છેઃ શા માટે માનવજાતિની ઊંચી ટકાવારી આજે પણ ગરીબી અને નિરક્ષરતામાં રત છે? શા માટે બાળ શોષણ, બાળ છેડતી, ગેરકાયદેસર માણસોને વિદેશ મોકલવાનું કારસ્તાન આટલા મોટા પ્રમાણમાં થાય છે? શા માટે વાતાવરણમાં ઝડપથી પરિવર્તન થાય છે? શા માટે કોવીડ જેવી મહામારીમાં વૃદ્ધિ થઈ રહી છે? શા માટે મનુષ્યની સંતૃપ્તિ અને સુખનું સ્તર ડૂબી રહ્યું છે? મનુષ્ય જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સમસ્યાઓ વધી રહી છે? આ બધા જ પ્રશ્નોનો એક જ ઉત્તર છેઃ મનુષ્યના સાંસ્કૃતિક સ્તરમાં કોઈ વૃદ્ધિ નથી થઈ રહી.

જે બધી પ્રગતિ અને વિકાસ આપણે કરીએ છીએ, તેમાં જે ધૂમધામ અને હો-હા આપણે કરીએ છીએ, આ કેવળ ભૌતિક સ્તર પર જ છે. ભૌતિક પ્રગતિ જરૂરી છે. પરંતુ, આ સાથે અંતરથી પણ આપણે વિકાસ કરવો જોઈએ. શરીર અને બુદ્ધી મનુષ્ય વ્યક્તિત્વના લગભગ ૨૫% જ છે. જો શેષ મનુષ્યનું વ્યક્તિત્વ વિકાસ કરવામાં નિષ્ફળ રહે, તો મનુષ્ય અધૂરો હશે. આ સ્થિતિમાં જે વિકાસ આપણે કરીએ, તે દોષયુક્ત અને વિકૃત જ હશે.

આજે વિશ્વની આબાદી ૮ અબજ છે. આમાંથી વાસ્તવમાં કેટલી ટકા જન સંખ્યાએ સાંસ્કૃતિક રીતે અને માનસિક રીતે વિકાસ કર્યો છે? જો કોઈ વ્યક્તિ પોતાની આજુબાજુંના લોકોમાં કોઈ ગુણ ન જુએ, તેમને સ્વીકારવા, સમજવા કે જાણવા માટેનું કષ્ટ ન કરે, તેમને માન્ય ન રાખે, ગણકારે નહિ, તો આવી વ્યકિત વાસ્તવમાં એક સંસ્કારી વ્યક્તિ નથી. તે બીજા લોકોને ફક્ત ઉપયોગમાં લેવાની વસ્તુ તરીકે જ જૂએ છે. ટૂંકમાં જે વિકાસ અને પ્રગતિની આપણે હો-હા કરીએ છીએ, આથી વિશ્વમાં કે મનુષ્ય દ્રષ્ટિકોણમાં ખાસ કોઈ પરિવર્તન આવ્યું નથી. જે પ્રગતિનો આપણે દાવો કરીએ છીએ, તે સામુહિક ચેતનામાં પ્રતિબિંબિત નથી થઈ.

આજે મનુષ્યજાતિનું સ્મિત કૃત્રિમ દાંતવાળા પ્લાસ્ટિકના સ્મિતમાં સંકુચિત થઈ ગયું છે. અળસિયું પણ સંવનન કરે છે, બાળકો જણે છે અને મરણ પામે છે. મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી, આપણે પણ શું આથી જુદું કંઈ કરીએ છીએ? અળસિયું મૃત્યુ પછી માટીને ફળદ્રુપ તો કરે છે. ત્યારે આપણે ધરતીમાંથી કેવળ લઈએ છીએ અને જતા પહેલાં તેનો નાશ જ કરીએ છીએ. એટલું જ નહિ, આપણે મરીએ ત્યારે દફનાવતા કે અંતિમસંસ્કાર પહેલાં આપણા મૃતદેહનો રસાયણોથી ઉપચાર કરવામાં આવે છે. આ પ્રમાણે મૃત્યુ પછી પણ આપણે માટી અને વાયુને, બંનેને પ્રદૂષિત જ કરીએ છીએ. આ પ્રમાણે, જીવિએ ત્યારે ધરતીનો નાશ કરીએ છીએ અને મૃત્યુ પછી પણ આમ કરવાનું ચાલું રાખીએ છીએ.

મનુષ્ય જન્મ મેળવ્યા પછી પણ આ વિશ્વને આપણું શું યોગદાન રહ્યું છે?

એ તો ચોક્કસ કે, ગરીબી અને રોગનો સામનો કરવા નવા આવિષ્કારો, નવી શોધખોળ જરૂરી છે. પરંતુ અત્યાધિક નફો મેળવવાની આપણી લાલચમાં આપણે માટીમાં અત્યાધિક રસાયણોયુક્ત ખાતરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ પ્રમાણે માટીનું જીવન આપણે રૂંધી નાખીએ છીએ. માટી મરી રહી છે. ઘણા સ્થળોમાં માટીમાં પુષ્કળ ખાતર ઉમેરી, તેને યોગ્ય રીતે ફળદ્રુપ કરવા છતાં તે કોઈ પણ પ્રકારની ઊપજ દેવા ઈન્કાર કરે છે. કારણ કે, ઝેરી રસાયણોનું પ્રમાણ અત્યાધિક હોવાથી તે કોઈ પણ કાર્ય માટે મૃત બરાબર છે. દા.ત. કોઈ મકાનના ચણતર સમયે આપણે પાણીથી રેતી અને સિમેન્ટને ભેળવીએ છીએ જેથી એક કઠણ બાઇન્ડિંગ તૈયાર થાય. અહીં સામાન્ય પાણીની જગ્યાએ આપણે દરિયાનું મીઠાંવાળું પાણી ઉપયોગમાં લઈએ, તો આ મિશ્રણ ક્યારેય બાંધશે નહિ. તેની અસર ન્યૂન હશે. આ જ પ્રમાણે આજે માટી મરી રહી છે. અને આ માટે આપણે સ્વયં જવાબદાર છીએ.

આજે વિજ્ઞાન અને ટેકનોલોજીએ ઘણી પ્રગતિ કરી છે. બાહ્ય રીતે આપણા જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે. આમ છતાં, ગરીબ અને તવંગર વચ્ચેનું અંતર એટલું જ કે, તવંગર પોતાના આલિશાન વિલાસી ઘરનાં સુખઆરામમાં રડે છે અને ગરીબ, ચૂવાતી પોતાની ઝૂંપડીની અસુવિધામાં રડે છે. આજે મનુષ્યની સ્થિતિ બધું જ હોવા છતાં કંઈ જ નથી એવી છે.

એક વાત તો સ્પષ્ટ છેઃ વધું ને વધું જો આપણે સ્વયંને પ્રકૃતિથી દૂર કરીશું, વધું ને વધું ગંભીર આપણી સમસ્યાઓ હશે. લોકો જો પ્રકૃતિનો અનાદર કરવાનું ચાલું રાખે અને તેની અવગણના કરશે, પોતાને મન ફાવે તેમ જીવશે, પ્રકૃતિની ચેતવણીના પોકારો સાંભળ્યા ન સાંભળ્યા કરશે, તો અમુક હદ પછી છેવટે પ્રકૃતિ ચોક્કસ વળતો પ્રહાર કરશે. અત્યારે આ જે મહામારીમાંથી આપણે પસાર થઈ રહ્યાં છીએ, આ તેનું જ એક ઉદાહરણ છે, એમ માની શકાય.

દા.ત. એક વ્યક્તિ ૧૦૦૦ એકર જમીનનો માલિક છે, તેને પોતાનાં સ્થાન અને મિલ્કતનું અભિમાન છે. તેની તુલના એવી એક વ્યક્તિ સાથે કરો, જેની પાસે ફક્ત ૧ એકર જમીન જ છે. અને તેને પણ પોતાની મિલ્કતનું અભિમાન છે. તે જો પ્રથમ વ્યક્તિ પાસે આવે અને કહે, “હું તારાથી મહાન છું!” તો એ કેમ હશે? આ જ પ્રમાણે “હું”ના આ ઘટકનું આજે સર્વત્ર પ્રભુત્વ છે. આ “હું”ને જ આપણે કઠણથી વળગીને છીએ. આ “હું”ને જ આપણે આજે અત્યાધિક પ્રાધાન્ય અને મહત્વ આપીએ છીએ. જ્યાં સુધી આ મનોભાવને આપણે પોષિત કરતા રહેશું, મનુષ્ય વચ્ચે ધૃણાની ભાવના ચાલું રહેશે. વેરભાવ ઉદ્‌ભવશે. શત્રુતા અને સંઘર્ષ પણ વધશે. કારણ કે, દરેક વ્યક્તિ સર્વકાંઈ પોતાને કબજે કરવા યુદ્ધમાં હોય છે. આ પ્રમાણે મનુષ્ય પોતાનો સહુંથી મહાન શત્રુ બની જાય છે. આ જ આપણે આજે જોઈ
રહ્યાં છીએ.

આને સંબંધિત એક કહાણી અમ્માને અહીં યાદ આવે છે. એક વખત એક કૂતરો જોવાલાયક સ્થળોની યાત્રા પર નીકળ્યો. છેવટે તે પછી ઘરે પાછો ફર્યો, ત્યારે તેના બધા કૂતરામિત્રો તેને મળવા આવ્યા અને યાત્રાની તેની કહાણીઓ અને અનુભવો સાંભળવા તેની આજુંબાજું ઘેરો વાળીને બેસી ગયા. “કેવી હતી તમારી યાત્રા?” તેમણે પૂછયું, “યાત્રામાં બધું સારું હતુંને? ક્યાંય કોઈ મુશ્કેલી તો પડી ન હતીં?”

જવાબ આપતા પ્રવાસી કૂતરાએ કહ્યું, “હું ઘણા દેશોમાં ફર્યો અને ઘણા જનાવરોને મળ્યો. ક્યાંય મને કોઈ સાથે કોઈ સમસ્યા ન હતી. બધાએ મને હું ચાહું ત્યાં મને જવા દીધો. દુર્ભાગ્યવશ જે મહાન સમસ્યાનો મારે સામનો કરવો પડયો, તે મારી જાતીના જ પાસેથી મને મળ્યું હતું. હું જ્યાં પણ જતો, ત્યાંના કૂતરાઓ મારા પર ભસતા, મને બચકાં ભરતા અને નિર્દયીપણે મને ભગાડી દેતા!”

આજે મનુષ્યની સ્થિતિ પણ કહાણીના આ કૂતરા જેવી છે. વિશ્વના ખૂણે ખૂણે મનુષ્યનો સહુંથી મહાન શત્રુ તેનો સહજીવી છે. વધુ સ્પષ્ટ કહું તો મનુષ્યનો ખાસ મિત્ર અને તેનો ખરાબમાં ખરાબ શત્રું, તેનું પોતાનું મન છે.

એ તો મનુષ્ય મનમાં એકત્રિત થયેલી મલિનતા છે, જે તેને ધરતી પ્રતિ, પ્રકૃતિ પ્રતિ, અન્ય જનાવરો પ્રતિ અને પોતાના સહજીવી મનુષ્યો પ્રતિ ક્રૂરતાભર્યા અધમમાં અધમ કાર્યો કરવા પ્રેરિત કરે છે. વાસ્તવમાં મનુષ્ય અને પ્રકૃતિ, એક જ શરીર ધરાવતું અસ્તિત્વ છે. જે રીતે મનુષ્ય શરીરના ઘણા અવયવો છે, તે જ પ્રમાણે ચરાચરના બધા જ જીવો પ્રકૃતિરૂપિ શરીરના જુદા જુદા અવયવો અને અંગો છે. માટે, પ્રકૃતિ સંરક્ષણને આવશ્યક મહત્વ ન આપીએ, તો વ્યક્તિ વિકાસ અશક્ય છે.

રાત્રે એક વાગે દર્શન પૂરા થયા. ઘણાખરા ભક્તો સૂવાને ગયા. પરંતુ અમ્મા, બ્રહ્મચારીઓ અને થોડા ભક્તો રાતભર જાગ્યા. બીજે દિવસે ચણતરના કામ માટે આવશ્યક ઈંટો કિનારેથી આ બાજુ લાવવાની હતી. તેઓ આ કામમાં લાગી ગયા. વરસાદની મોસમ હોવાથી આશ્રમની આસપાસ ભૂશિરમાં પાણીની ભરતી આવી હતી. આશ્રમના પ્રાંગણમાં પણ પાણી ભરાયા હતા. દીલ્હીથી આવેલી એક યુવતી આ સેવામાં સહાય કરી રહી હતી. પોતાની મા સાથે તે પરમ દિવસે, પહેલી જ વાર આશ્રમ આવી હતી. અમ્મા સાથેની તેની આ પહેલી મુલાકાત હતી. તે તો બ્રહ્મચારીઓ સાથે વાતો કરવા લાગી. તેની વાતોનો કોઈ અંત ન હતો. બ્રહ્મચારીઓ આથી અસ્વસ્થતા અનુભવવા લાગ્યા. છેવટે તે ત્યાંથી રવાના થઈ. ઈંટ પસાર કરવાનું કામ પૂરું થતા, અમ્મા અને થોડા બ્રહ્મચારીઓ કળરીથી થોડે દૂર દક્ષિણ દિશામાં, કે જ્યાં જમીન સૂકી હતી, ત્યાં બેઠા. તે યુવતીના અંતરહિત અનિયંત્રિત વાર્તાલાપ વિષે તેમણે અમ્માને કહ્યું.

બ્રહ્મચારી : “તે અતિશય વાતો કરતી હતી. લોકો સાથે કેવી રીતે વાત કરવી, તે પણ તે જાણતી નહોતી. તેણે મને કહ્યું કે, મને જોતાં તેને તેનો પતિ યાદ આવે છે. તે જ્યારે તેમ બોલી, ત્યારે તેના મોઢા પર મને થપ્પડ ચોડવાનું મન થયું!”

અમ્મા : “પુત્ર, તેની દુર્બલતા અજ્ઞાનને કારણે છે. પરંતુ તારે તો જ્ઞાનમાં સ્થિર રહીને ધીરજથી વર્તવું જોઈએ. આવી પરિસ્થિતિમાં આપણી અંદર ડોકીયું કરવું જોઈએ. મન નબળું પડતું હોય એવું લાગે તો ત્યાંથી દૂર ચાલ્યું જવું જોઈએ. જો તારાંમાં ખરેખર પુખ્તતા હોય તો તેમને સારી રીતે સમજાવી, સલાહ આપવી જોઈએ. ક્રોધ કરવાથી કોઈ ફાયદો નથી. તે યુવતીએ તેના સંસ્કાર બતાવ્યા હતા. તારાં સંસ્કાર, તેને ક્ષમા કરી, સાચો માર્ગ બતાવી, તે માર્ગ પર તેમને દોરી જવાના છે. કોઈ એક વ્યક્તિને શિક્ષા કરતા પહેલાં, તેમના સંસ્કાર વિષે, તેના ઉછેર વિષે, પરિસ્થિતિઓ વિષે આપણે વિચાર કરવો જોઈએ. તેને સાચો માર્ગ બતાવીએ તો તેનું અજ્ઞાન દૂર થાય, તે બાલિકાને આધ્યાત્મિકતા વિષેનું કોઈ જ્ઞાન નથી.”

ભક્ત : “અમ્મા, ગૃહસ્થાશ્રમમાં રહીને પણ શું ઈશ્વર સાક્ષાત્કાર શક્ય છે?”

અમ્મા : “શક્ય છે, પરંતુ તે માટે તમારે ઉત્તમ ગૃહસ્થાશ્રમી બનવું જોઈએ. ગૃહને આશ્રમ તરીકે જોવું જોઈએ. પરંતુ, આજે યથાર્થ ગૃહસ્થાશ્રમી કોણ છે? એક યથાર્થ ગૃહસ્થાશ્રમીને કશા સાથે પણ બંધન નથી હોતું. સર્વકાંઈ ઈશ્વરેચ્છા તરીકે જુએ છે. પોતાનું જીવન પૂર્ણરૂપે ઈશ્વરને સમર્પિત કરીને જીવે છે. જે કર્મ કરે તેની સાથે કોઈ પ્રકારનું બંધન નથી. જીવનમાં ધર્મને જ પ્રાધાન્ય આપે છે. કુટુંબ સાથે રહેવા છતાં, મન હંમેશા ઈશ્વરમાં જ સ્થિર હોય છે. પત્ની અને બાળકોની સંભાળ લેતી વખતે કે સમાજની સેવા કરવામાં ક્યારેય કોઈ ઊણપ આવતી નથી, કારણ કે, તે તેને ઈશ્વરે સોંપેલી જવાબદારી તરીકે જુએ છે. કાળજીપૂર્વક તે તેની જવાબદારીઓ નિભાવે છે. પરંતુ, આજના લોકોની જેમ તે પોતાના કાર્યને ચીટકીને નહિ રહે.

“આધ્યાત્મિકતાના તત્વને ગૃહણ કરી, ગૃહમાં રહીને પણ તમે નિરંતર સાધના કરી શકો. પરંતુ, ધાર્યા પ્રમાણે તે સરળ નથી. ટી.વી. ચાલુ રાખી, તેની સામે રહી તમે કામ કરતા હો, તો સ્વાભાવિક જ તમારી નજર ટી.વી.માં શું ચાલી રહ્યું છે, તેમાં જશે. અથવા, તમારાંમાં એટલો વૈરાગ્ય હોવો જોઈએ કે જેથી તમારી નજર તેમાં ન પડે. કારણ કે તે આપણી વાસના છે. ગૃહમાં બધાં પ્રારબ્ધો વચ્ચે રહીને પણ, ઈશ્વરનું સ્મરણ કરવું, તે જ પોતાનામાં એક મહાન પ્રાપ્તિ છ અમ્મા પાસે આવતા કેટલાક ગૃહસ્થાશ્રમીઓ અચૂક ધ્યાન, જાપ, અર્ચના વગેરે કરે છે. અર્ચના કર્યા વિના ખોરાક નહિ લે, અર્ચના કરીને જ સૂવા જશે, તેમને આવા નિયમો હોય છે. (બ્રહ્મચારીઓને) બ્રહ્મચારી એવા તમારો જ દાખલો લઈએ, લોકસેવા અર્થે સ્વયંને પૂણૃરૂપે સમર્પિત કરવા આવેલા એવા તમે. મનને પૂર્ણરૂપે ઈશ્વર સાથે બાંધવું જોઈએ. અન્ય કોઈ વિચારને ત્યાં સ્થાન ન આપવું જોઈએ. ઘરના કે ગામના વિચાર વાસનાનું સર્જન કરે છે. કોલસાના ઓરડા પાસે ઊભા રહો તો બસ છે. આખું શરીર કાળું બની જશે. આ જ પ્રમાણે, ઘરનાઓ સાથેની મમતા અને બંધન, સાધકના મનને પાછું ખેંચે છે.”

અમ્મા દેવીભાવમાં ભક્તોને દર્શન આપી રહ્યાં હતા. કળરીના મંડપમાં બેસી બ્રહ્મચારીઓ ભજન ગાઈ રહ્યાં હતાં. નિદ્રાને વિસરી પ્રકૃતિ પણ ભજનમાં જાણે મુગ્ધ બની હતી. આજે લોકોની ભારે ભીડ હતી. મંડપની બંને બાજુથી સ્ત્રી અને પુરુષો અમ્માના દર્શન કરવા માટે પંક્તિબદ્ધ કળરીની અંદર જઈ રહ્યાં હતા. પોતાના દુઃખોના ભારને અમ્માના શ્રીચરણોમાં ઠાલવી, અમ્માના ખોળામાં માથું રાખી, અમ્માના હાથમાંથી પવિત્ર જળ સ્વીકારી, પ્રસાદ લઈ, સંતૃપ્તિની લાગણી અનુભવતા, હળવા મન સાથે તેઓ પાછા ફરતા હતા. પોતાના ચરણોમાં અમ્મા અગણિત ભક્તોના પ્રારબ્ધના ડુંગરો સ્વીકારતા હતા. ગંગાની જેમ પોતાના પ્રેમની ધારાથી પતિતના પાપ ધોઈ, તેનો ઉદ્ધાર કરતા હતા. સર્વભક્ષણ અગ્નિ દેવની જેમ તેઓ ભક્તોની વાસનાઓ ભસ્મ કરતા હતા.

જેમ કે હંમેશા બને છે, ભક્તોની ભીડમાં જેમ જેમ વૃદ્ધિ થાય, તેમ તેમ તેઓશ્રીનું શ્રીમુખ વધુ ને વધુ તેજસ્વી બને છે. અનેક કોટિ બ્રહ્માંડનું પાલન કરનારી, બ્રહ્મસ્વરુપિણી બાળસહજ હાસ્ય દ્વારા, તેઓ ઉપસ્થિત હરકોઈમાં હાસ્ય પ્રસારતા હતા.

પોતાના ચાર વર્ષના પુત્ર સાથે એક ભક્તે કળરીમાં પ્રવેશ કર્યો. તેણે અમ્માને દંડવત કર્યા. આ જોઈ, બાળકને મસ્તી કરવાનું સૂજ્યું. પોતાના પિતાનું શર્ટ ખેંચતો, તે પિતાને પીઠ પર મારવા લાગ્યો. ભક્ત તો વિનય પૂર્વક અમ્માના શ્રીચરણોમાં દંડવત કરતો રહ્યો. પુત્રે આને આમંત્રણ માની, પિતાની પીઠ પર તે ચડી ગયો. જાણે તે હાથી પર સવાર થયો હોય!

બાળકની આ રમતમાં અમ્માને રસ લાગ્યો. તેના મુખ પર અને શરીર પર પવિત્ર જળનો છટકાંવ કરતા, અમ્મા તેની મજાક કરવા લાગ્યા. પાણીથી બચવા માટે તેણે પાછળ છલાંગ મારી. પવિત્ર જળનું પાત્ર જાણે સંતાડી રહ્યાં હોય, એવો અમ્માએ અભિનય કર્યો. તે બાળક ફરી આગળ આવ્યો અને અમ્માએ તેના પર જળ છાંટયું. છલાંગ મારતો તે દૂર ભાગ્યો. આ રમત થોડો સમય ચાલતી રહી. હસતા હસતા બધાએ આ ખેલનો આનંદ લીધો. પિતા સાથે તે બાળક કળરીમાંથી બહાર નીકળ્યો ત્યારે તે માથાથી પગ સુધી ભીંજાયેલો હતો.

ઘણા લોકોનું માનવું છે કે, જીવન એવી કોઈ બાબત છે જે અહીં નિશ્ચિત સમયે શરૂ થાય છે અને થોડા વર્ષો પછી સમાપ્ત થાય છે. હકીકતમાં જીવન નદી જેવું છે. નદીના કિનારેવાસ કરતા લોકો નદીના અમુક ભાગને જ જોઈ શકે છે. માટે, તેઓ જો કહે કે, નદીની લંબાઈ આટલી જ છે, તો શું તે સાચું હશે? નહિ, બિલકુલ નહિ. આપણે નદીના સ્રોતને કે તેના ઉદ્‌ગમન સ્થાનને નથી જોઈ શકતા કે નથી આપણે તેથી સભાન. જીવનનું પણ આવું જ છે. જીવન નદી સમાન છે, સતત વહેતી અને પરિવર્તિત થતી, નથી તેનો આદિ કે અંત. મનુષ્ય મન અને બુદ્ધિ તેની ઊંડાઈ કે લંબાઈને ન જાણી શકે કે ન માપી શકે. આ રહસ્ય જ શિવ છે.

આપણું મન સીમિત છે અને તે વિભાજીત વિચારો અને ભાવનાઓથી ભરેલું છે. શિવ માત્ર એક અને અનંત છે. જે અપૂર્ણ છે, તે ક્યારેય પૂર્ણતાને ગ્રહણ ન કરી શકે.

આપણે જ્યારે કઠપૂતળીનો ખેલ જોઈએ છીએ, ત્યારે આપણે બીજું બધું જ ભુલી જશું. થોડીવાર માટે એમ લાગશે, જાણે તે પૂતળીઓ આપમેળે આમ તેમ ફરી રહી છે અને નૃત્ય કરે છે. પરંતુ વાસ્તવમાં પડદાની પાછળ છુપાઈને એક વ્યક્તિ પોતાના હાથથી આ પૂતળીઓને ચલાવતો ને નચાવતો હોય છે. આ જ પ્રમાણે, આ સમસ્ત સર્જનની પાછળ એક પરમ શક્તિ કાર્યરત્‌ છે. શિવરાત્રીનો તહેવાર બધો જ સમય તે પરમશક્તિનું સ્મરણ કરવાને આપણને યાદ કરાવે છે.

ભગવાન શિવનું એક નામ ભોળાનાથ પણ છે. અર્થાત, તેઓ સરળતાથી પ્રસન્ન થાય છે, બધાને પ્રાપ્ય છે અને વિનમ્ર છે. માટે, આપણે જો બાળસહજ ખૂલા હૃદયથી, નિર્દોષ ભાવથી, પ્રેમ, ભક્તિ અને પ્રાર્થનાના ભાવ સાથે તેમને પોકારીએ તો તેઓ જ્લ્દી પ્રસન્ન થાય છે.

જે રીતે ભગવાન શંકર, સમસ્ત સંસારની રક્ષા અર્થે પોતાનો વિચાર કર્યા વિના વિષપાન કરવાને તત્પર થયા હતા, તે જ પ્રમાણે આપણે પણ બીજાના કલ્યાણ માટે સ્વયંનો ત્યાગ કરવા તત્પર રહેવું જોઈએ. આપણામાંનું હરકોઈ જો વધું ને વધું નિઃસ્વાર્થ થવાને પ્રયત્ન કરે, તો વિશ્વમાં એક મહાન ક્રાંતિ આવી શકે.

આપણે બધા ભગવાન શંકરની ફક્ત આરાધના-ઉપાસન સુધી જ સીમિત ન રહેતા તેમના કરુણાપૂર્ણ સ્વભાવનું પણ અનુકરણ કરવું જોઈએ. જે વ્યક્તિ વિષપાન કરવાને તૈયાર છે, પોતાના પરિવાર, પોતાનો સમાજ તથા માનવતા માત્ર ખાતર બલિદાન દેવાને તૈયાર છે, તે મનુષ્ય દેવોના દેવ મહાદેવ છે. ફક્ત શિવરત્રીના દિવસે જ નહિ પરંતુ પ્રતિદિન આ વાત પર મનન કરવું જોઈએ કે, હું આ શરીર નથી, બ્રહ્મ છું. આપણે જો કરુણાના આ તત્વને આપણા કર્મોમાં ઉતારી શકીએ તો પ્રતિદિન શુભ, મંગળ જ હશે.

મારા બાળકોમાં આ જાગરૂકતાની શક્તિ ઉદિત થાય અને ઈશ્વર હંમેશા હંમેશા મારા બાળકોને અનુગ્રહિત કરે, એ જ પ્રાર્થના.