વિષુ પર્વની ઉજવણી પર અમ્માનો સંદેશ
તા.૧૪ એપ્રિલ, ૨૦૨૧ – અમૃતપુરી

વિષુનો તહેવાર મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના ગાઢ સંબંધની ભવ્ય ઉજવણી છે. વિષુકણી અને કન્નીકોન્ના ફૂલ, આપણા સુખ અને સંમૃદ્ધિ ખાતર ઈશ્વરે આપણા પર ન્યોછાવર કરેલ સંપત્તિના પ્રતિક છે. સમસ્ત ભૂમિ પર વર્ષના આ સમયે કન્નીકોન્નાના ફૂલ તેમની સુવર્ણ પ્રભા પ્રસારે છે. પ્રકૃતિનો આ વૈભવ જે આંખ અને મન માટે ઉજાણી છે, તે સૌંદય અને સમૃદ્ધિની ઘોષણા કરે છે.

વિષુ વર્ષનો તે સમય છે, જ્યારે વાર્ષિક પાકની ખેતરોમાં વાવણી થાય છે. આ સાથે આપણે આપણા મનમાં સારપના બી પણ વાવવા જોઈએ. આ બીની જો યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો તેમાંથી પ્રાપ્ત થતો પાક અનેકગણો હશે.

પ્રકૃતિ એક ખુલી કિતાબ છે. તે અક્ષય જ્ઞાનનો ભંડાર છે. પરંતુ, પ્રકૃતિનું આ જ્ઞાન કેવળ બુદ્ધી દ્વારા જ ગ્રહણ કરવું શક્ય નથી. આ માટે હૃદય પણ જરૂરી છે. ત્યારે જ આ જ્ઞાન પૂર્ણ થઈ શકે.

આપણે જ્યારે કોઈ નાના રોપાને જોઈએ, ત્યારે તે રોપા પ્રતિ પ્રેમ અનુભવવો જોઈએ. જ્યારે વૃક્ષોને જોઈએ, ત્યારે તેમના પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ અનુભવવો જોઈએ. જ્યારે વૃક્ષો અને જનાવરોને જોઈએ ત્યારે સહૃદયતાનો ભાવ અનુભવવો જોઈએ. પરંતુ, આજે મનુષ્ય કેવળ બુદ્ધિના સ્તર પર જ રહે છે. હૃદય સોય જેવું છે, જે તૂટેલું કંઈ ભેગું કરી સીવીને જોડે છે. ત્યારે મન કાતર જેવું છે. તે કેવળ કાપીને વિભાજીત જ કરે છે.

સેંકડો ખીલેલા ફૂલવાળા બગીચામાં પણ કોઈ ફક્ત સડેલા ફૂલ જ જુએ છે. તેઓ સરળમાં સરળ બાબતને પણ અત્યંત ગૂંચવણભરી બાબતમાં પરિવર્તિત કરી દેશે.

ભારતના કેટલાક પ્રાંતમાં વિષુનો આ તહેવાર નવવર્ષને સૂચવે છે. જુદા જુદા રાજ્યોમાં આ જુદા જુદા નામથી જાણીતો છે અને તેને ઉજવવાની રીત પણ એક એક રાજ્યમાં જુદી જુદી છે.

કેરાલામાં નવવર્ષના પ્રથમ પ્રભાતમાં આપણે શુકનવંતા કન્નીના ફૂલ અને ભગવાન શ્રીકૃષ્ણના સુંદર સ્વરુપને જોઈએ છીએ. ઈશ્વરને સર્વોપરી સ્થાન આપવું અને ઈશ્વરને જ આપણા જીવનમાં અન્ય કશા કરતાં મહત્વપૂર્ણ માનવા, આ કેવળ વિષુની ઉજવણીને જ સીમિત નથી. આ તો ભારતીય સંસ્કૃતિનું પ્રમાણ છે. આપણા બધા જ તહેવારો અને ઉજવણી, આપણી કલાકૃતિઓ અને રમતો, આપણું સાહિત્ય અને શાસ્ત્ર – આ બધું જ ઈશ્વર તરફની મનુષ્યની યાત્રાનો હિસ્સો તરીકે માનવામાં આવેલ છે. ઈશ્વર અને ધર્મને કેંદ્ર બિંદુમાં રાખી આપણે આપણા પારિવારીક અને સામાજીક જીવન વ્યતીત કરીએ છીએ.

વિષુના સંદેશમાં જીવન માટે આવશ્યક સર્વકાંઈનો સમાવેશ થાય છે. તેમાં ઈશ્વર-સસ્મરણ અને ભક્તિના પાઠ છે, તો સાથે પ્રતિદિન પાળવાના સુનિયમોનો પાઠ પણ છે. તેમાં પ્રતિદિન પોષ્ટિક ખોરાક લેવાનો પાઠ છે તો સાથે વિવેકપૂર્વક સુખી પારિવારિક જીવન જીવવા માટેનો સંદેશ પણ છે. તેમાં પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી માટેના પાઠ પણ છે. આ પ્રમાણે વિષુનો તહેવાર આપણને શરીર અને મન, બંને સંતૃપ્ત કરવાની અનુભૂતી આપે છે.

વિષુના દિવસે ફરી એકવાર ઉનાળાના આ સમયે પક્ષીઓ માટે પાણી રાખવાનું ભૂલશો નહિ. એક નાનો બાઉલ અથવા નાળિયેરની કાચલીમાં પાણી ભરી તેને વૃક્ષોમાં લટકાવશો. આ પર્યાપ્ત હશે.

પ્રતિદિન ઓછામાં ઓછું એક વૃક્ષ કે રોપાને ચુંબન આપશો. પ્રેમથી તેમની સાથે વાતો કરશો. આ મનોભાવ કેળવવા પ્રયત્ન કરશો. આ તમને હૃદય ખુલુ કરવા સહાય કરે છે. આ તમારી અંદરના બીજને પાણી આપવા જેવું છે, જેથી તે અંકુરિત થાય અને વિકસે. અત્યારે આ બી રણમાં પડયું છે. તેને અંકુરિત થવા પ્રેમ અને કરુણાના પાણી આવશ્યક છે.

ઈશ્વરના સર્જનને પ્રેમ કરવો અને તેમની સેવા કરવી, આ આપણા હૃદયને વિશાળ કરવાનો સરળમાં સરળ ઉપાય છે. વિષુના મૂલ્યોને આપણા જીવનમાં કેળવી, આપણા જીવન અર્થપૂર્ણ બને, એ જ પ્રાર્થના.

આમ બનવા કૃપા મારા બધા જ બાળકોને અનુગ્રહિત કરે!

                       ॥લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ॥

સૌમ્યા : “ક્યારેક અહીંના નિયમો અતિશય કડક લાગે છે.”

અમ્મા : “નિયમો બહુ જરૂરી છે. ખાસ કરીને એક આશ્રમમાં કે જ્યાં ઘણા લોકો વાસ કરતા હોય અને મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય. દા.ત. છોકરા છોકરીઓએ એકબીજા સાથે મુક્તપણે વાતચીત ન કરવી જોઈએ. જે લોકો અહીં આશ્રમમાં રહે છે, તેમણે બીજા માટે દાખલો બેસાડવાનો હોય છે. આ ઉપરાંત, જે અહીં રહે છે, બીજા લોકો કરતા તેમનો સ્વભાવ પણ જુદો હોય છે. જે નવા આવ્યા છે, તેમનામાં જોઈએ તેટલું નિયંત્રણ નથી. તેમણે તો સાધના કરવાની શરૂઆત જ કરી છે. જે બાળકો પહેલાં આવ્યા છે, તેમણે અમુક હદ સુધી પોતાના મનપર નિયંત્રણ પ્રાપ્ત કર્યું છે. તેમને સંશય પૂછી શકો છો. એમા ખોટું નથી. પરંતુ, અમ્માનું કહેવું છે કે, એક હદ સુધી આમ કરી શકાય, એથી વધુ નહિ. જરૂર પૂરતું જ બોલવું, અધિક બોલવું ઉચિત નથી.”

સૌમ્યા : “અમ્મા, જે દિવસે તમો અમને જગાડો છો, તે દિવસે અમને સારી જાગૃતતા હોય છે.”

અમ્મા : “અમ્મા માટે જેને પ્રેમ છે, જે સાક્ષાત્કારની ઇચ્છા રાખે છે, તે ક્યારેય કોઈના બોલાવવાની રાહ નહિ જુએ અને સમયસર ઊઠી જશે. રાત્રે અમ્મા જ્યારે પોતાના ઓરડામાં પાછા ફરે છે, ત્યારે અનેક પત્રો વાંચવાના હોય છે. ત્યાર બાદ, બીજા દિવસ માટે આવશ્યક ચોખા, શાકભાજી, પૈસા વગેરે બાબતોની જાણ કર્યા વિના તેઓ સૂઈ શકે નહિ. અને જો કોઈ વસ્તુ પૂરતી ન હોય તો તે ખરીદવા માટેની આવશ્યક સુચનાઓ આપવાની હોય છે. આ ઉપરાંત, મુલાકાતીઓની સંભાળ લેવાની હોય છે. એટલું જ નહિ, અહીંના બાળકોની આવશ્યકતાઓ અને તેમના રોજબરોજના કાર્યો પણ અમ્માને
જોવાના હોય છે. આ બધું કર્યા પછી, તમને લોકોને જગાડવા તમારા દરેકના ઓરડામાં આવવું, અમ્માથી કેમ થાય?

“તમે જો અમ્માને પ્રેમ કરતા હો તો, અમ્માના વચનોનું કાળજીપૂર્વક અનુસરણ કરવું, એ પૂરતું છે. અમ્માની ખાતર અમ્માને પ્રેમ કરવાની જરૂર નથી. પરંતુ, તમે સાક્ષાત્કારની ઇચ્છા રાખતો હો તો, સર્વપ્રથમ અમ્મા માટે પ્રેમ હોવો જોઈએ, આશ્રમ માટે પ્રેમ હોવો જોઈએ, આ તૃષા તમારામાં હોવી જોઈએ. અમ્માને પ્રેમ કરવો તે અમ્માના વચનોનું અનુસરણ કરવાનું છે. તમને જ્યારે ગુરુ હોય, ત્યારે ગુરુ અને ગુરુની સ્થાપના સાથેનું બંધન, બાકી બધું વિસારી, તમને નિત્ય તરફ દોરી જવા સહાય કરે છે. તે ક્યારેય મિથ્યા નથી. બીજ માટીમાં મળે તો જ તે વૃક્ષ બની ઉગી શકે.”

સૌમ્યા : “અમ્મા, તમે શા માટે મારા પર ક્રોધ નથી કરતા?”

અમ્મા : “નહિ શું? શું દેવીભાવ દરમ્યાન કળરીમાં હું તારા પર ક્રોધ નથી કરતી?”

સૌમ્યા : “બહુ જ થોડો.”

અમ્મા (હસતા) : “પુત્રી, તારામાં અમ્મા માત્ર એક જ દોષ જુએ છે. અને તે છે, તું સવારે વહેલી નથી ઉઠતી. મોડીરાત સુધી કામ કરી, તું સૂવે છે. દર્શન સમયે બધો સમય તું ત્યાં ઊભી રહે છે. નહિ શું? બીજુ, સાક્ષાત્કારને લક્ષ્યમાં રાખી, પુત્રી તું બહુ શ્રમ કરે છે. કૃત્યનિષ્ઠ રહેવા તું પ્રયત્ન કરે છે. છટકવું કે આળસ કરવો, એવું તું કાંઈ કરતી નથી. માટે જ, ક્રોધ કરવાનો વારો આવતો નથી.”

સૌમ્યા : “મને કોઈ વસ્તુ ગમતી હોય, અને હું તેને સ્વીકારું નહિ, તો શું તે વૈરાગ્ય કહેવાય?

અમ્મા : “તે વસ્તુ જો આપણને મિથ્યા તરફ દોરી જાય, તો તે વૈરાગ્ય છે.

“દરેક વસ્તુનો સ્વભાવ આપણે જાણવો જોઈએ. આ બોધ હંમેશા આપણામાં હોવો જોઈએ કે, ભૌતિક વસ્તુઓ આપણને સંતોષ આપી શકે નહી. તેનો આશ્રય લેવાથી, આપણને તાત્કાલિક સંતૃપ્તિ પ્રાપ્ત થશે, પરંતુ આખરે તો તે આપણને દુઃખ તરફ જ દોરી જાય છે. આ બોધ જો આપણામાં જાગૃત થાય, તો પછી તે વસ્તુ સાથેની આસક્તિ આપમેળે જ ઓછી થશે. પછી આ વસ્તુઓમાંથી મનને વાળવું બહુ સરળ બની જાય છે.

“એક માણસને દૂધપાક બહુ ભાવે. એક દિવસ તેના કોઈ મિત્રની જન્મદિવસની પાર્ટીમાં તેને નિમંત્રિત કરવામાં આવ્યો. ઉજાણીની પ્રમુખ વસ્તુ હતી, દૂધપાક! તે બહુ ખુશ થયો. તેણે તો વાટકો ભરીને દૂધપાક લીધો. તેમાંથી એક ચમચી દૂધપાક ચાખી જોયો. વાહ, તે ખૂબ સ્વાદિષ્ટ હતો. માપસર દૂધ, મધુરો, ઇલાયચી, કાજુ, કેસર, બદામ, પિસ્તા, કિસમિસ વગેરે. અસલ દૂધપાક હતો! બીજી ચમચી પીવા, તેણે ચમચીને દૂધપાકમાં ડૂબાડી જ હતી કે, તે જ ક્ષણે ઉપર છતમાંથી એક ગરોળી તેમાં પડી. પોતાની અત્યંત પ્રિય વસ્તુને, પાત્ર સમેત ઉપાડીને ફેંકી દેવી પડી. દૂધપાકમાં ગરોળી પડતા, આ બોધ થયો કે તે ખાવાને લાયક નથી, તે જ ક્ષણે તેને ખાવાની ઇચ્છા પણ નાશ પામી. આ જ પ્રમાણે, ભૌતિક વિષયોનો આશ્રય લેવાથી માત્ર દુઃખ જ પ્રાપ્ત થાય છે, જ્યારે આ બોધ આવે પછી ભલે કોઈ અત્યંત પ્રિય વસ્તુ કેમ ન હોય, તેનો ત્યાગ કરવો સરળ બને છે. મનને તેમાંથી પાછુ વાળવા કે નિયંત્રણમાં રાખવામાં કોઈ કઠિનાઈ નથી પડતી. આ વૈરાગ્ય છે. ફેણવાળા ઝેરી નાગને જોઈ, તેનામાં રહેલા ઝેરથી અજાણ કોઈ બાળક તેને પકડવાને દોડશે. પણ શું આપણે તેમ કરી શકીશું?

“પુત્રી, મનને બળપૂર્વક નિયંત્રણમાં લાવવા કરતા, વસ્તુના ગુણદોષને સમજી, તે પ્રત્યે વિરક્તિ કેળવી, તેનાથી દૂર રહેવું ઉત્તમ છે. ત્યારે પછી સહજ જ નિયંત્રણ આવી જશે.”

સૌમ્યા : “અમ્મા, મને લાગે છે કે, યથાર્થ આનંદ વૈરાગ્યમાંથી જ પ્રાપ્ત થાય છે. ભૌતિક વસ્તુઓનો આશ્રય લેવાથી, કે તેને સંગ્રહિત કરવાથી કે પછી તેને માણવાથી, તે પ્રાપ્ત થતો નથી.”

અમ્મા : “શું તને લાગે છે કે યથાર્થ આનંદ વૈરાગ્યમાંથી પ્રાપ્ત થાય છે? નહિ! યથાર્થ આનંદ તો પ્રેમમાંથી આવે છે. ઈશ્વર સાક્ષાત્કાર માટે, આત્મ સાક્ષાત્કાર માટે, તમને જેની જરૂર છે, તે છે પ્રેમ. પ્રેમ દ્વારા જ તમે પૂર્ણ વૈરાગ્ય અનુભવો છો.”

સૌમ્યા : “તો પછી આપણે શેનો ત્યાગ કરવો જોઈએ? નિદ્રામાં નિયંત્રણ આહારમાં નિયંત્રણ, તેને શું કહેવાય?”

અમ્મા : “તેને ત્યાગ કહી શકાય. પણ તે માત્ર જ ત્યાગ નથી. કોઈના પર ક્રોધ કરીએ, તો શું આપણને મનમાં સમાધાન હશે? પ્રેમ હોય ત્યારે જ આપણને સમાધાન હોય છે. ખરું ને? પુષ્પમાં રહેલી સુગંધને શ્વાસથી સૂંધવાથી, આપણે તેનો આનંદ માણીએ છીએ, ખરું ને?નાક બંધ કરીને રાખીએ તો શું આપણે તેની સુગંધ માણી શકીશું? સાકરને મોઢામાં રાખીએ ત્યારે તેની મીઠાશ અત્યાધિક અનુભવીએ છીએ. નહિ કે? શું સાકર પ્રત્યેના વૈરાગ્યમાંથી આ સુખ આવે છે? નહિ, તે પ્રેમમાંથી આવે છે.

“મળને જોતાં તમે નાક બંધ કરો છો. તેને વૈરાગ્ય કહી શકાય. ત્યાં પ્રેમ નથી. તે આનંદ નહિ આપે. ભૌતિક વસ્તુઓમાંથી પ્રાપ્ત થતું સુખ, તાત્કાલિક છે. તે જ પાછળથી દુઃખનું કારણ બને છે.

“સંસારમાંથી પ્રાપ્ત થતું સુખ નિત્ય નથી, ક્ષણિક છે. માટે જ તે મિથ્યા છે. આમ વિચારી તેનો ત્યાગ કરવો, તેને વૈરાગ્ય કહે છે. તેમ છતાં, યથાર્થ આનંદ, મિથ્યા વસ્તુ પ્રત્યેના વૈરાગ્યમાંથી પ્રાપ્ત નથી થતો. પ્રેમ દ્વારા જે સત્ય છે, યથાર્થ છે, તેને પ્રાપ્ત કરવાનું છે. આ તો અનંત આનંદ તરફનો માર્ગ છે.

“જે મિથ્યા છે, તેની ધૃણા કરવી જરૂરી નથી. મિથ્યા જગતમાંથી નિત્ય તરફ પહોંચવાનું શીખી શકો. આપણને જેની જરૂર છે, તે છે શાશ્વત જગતની. પ્રેમ દ્વારા જ આપણે તે સ્થિતિને પ્રાપ્ત કરવા વિકસી શકીએ. ચંદ્ર જ્યારે ઉદિત થાય છે, ત્યારે પૃથ્વી પરના સમુદ્રો અને સરોવરોના પાણી, ચંદ્ર પ્રત્યેના પ્રેમને કારણે તે તરફ ઉંચે ઊઠે છે. પવનના સ્પર્શનો આનંદ માણવા, ફૂલ ખીલે છે,
અને આ માટેનું કારણ છે, પ્રેમ. માટે, એ શું છે જે આપણને પરમાનંદ આપે છે? તે વૈરાગ્ય નથી, પણ પ્રેમ છે.”

સૌમ્યા (થોડી અસ્વસ્થતા સાથે) : “મને કોઈ વસ્તુને પ્રેમ કરવાથી પ્રાપ્ત થતું સુખ નથી જોઈતું.”

અમ્મા : “એક સાધક જેને પ્રેમ કરે છે, તે તેના પોતાનાથી અન્ય નથી. તે તો પોતાના આત્માને પ્રેમ કરે છે, જે તેની આસપાસ સર્વકાંઈમાં વ્યાપ્ત છે. યથાર્થ વૈરાગ્ય તો નિત્યાનિત્યમાંથી જે નિત્ય છે, તેને પ્રેમ કરવામાં છે. પ્રેમ જ્યારે વધુ ને વધુ ઊભરાય છે, ત્યારે નિત્યને જાણવાની જીજ્ઞાસા પણ દ્રઢ બને છે.

“ધારો કે આપણો કોઈ મિત્ર, જે બહુ દૂર રહે છે. તે આપણને મળવા આવી રહ્યો છે. જે ક્ષણ આપણને આ સમાચાર મળે કે, કોઈ પણ સમયે તે અહીં પહોંચશે, તો નિદ્રા અને આહારનો ત્યાગ કરી આપણે તેની રાહ જોઈશું. શું આ તેના પ્રત્યેનો પ્રેમ નથી, કે જેને કારણે, નિદ્રા અને ખોરાકનો ત્યાગ કરી આપણે તેની રાહ જોઈએ છીએ?”

સૌમ્યા : “અમ્મા, પહેલાં શેની જરૂર છે, નિયંત્રણ કે પ્રેમ ?”

અમ્મા : “પ્રેમમાં સ્થિર રહીને સાચું નિયંત્રણ આવવું જોઈએ. પ્રેમ વિના સાચું નિયંત્રણ નથી આવતું. પ્રેમ વિનાનું નિયંત્રણ સ્થાયી નહિ હોય. મન ફરી પહેલાંની સ્થિતિ પર પાછું ફરશે. મિત્ર મળવાને આવી રહ્યો છે , આ જાણ થતાં, તેના પ્રત્યેના પ્રેમને કારણે, તેને મળવાની ઇચ્છાથી, ખોરાક અને નિદ્રાનો ત્યાગ કરીએ છીએ. અહીં આપણી જાણબહાર જ નિયંત્રણ આવે છે. પ્રેમને કારણે, આપણને તે તકલીફ કે ત્યાગ જેવું લાગ્યું નહિ. પણ જો, પ્રેમ ન હોય તો નિયંત્રણ અત્યંત કઠિન બનશે. એક ટંક ભોજન ન કરીએ, તો આપણા બધા વિચાર પછી ખોરાકના જ હોય છે.

“એક વસ્તુ પ્રત્યે વૈરાગ્ય આવવો હોય તો અન્ય કોઈ વસ્તુ પ્રત્યે પ્રેમ આવવો જોઈએ. પુત્રી, સાક્ષાત્કાર પ્રત્યેના તારાં પ્રેમને કારણે, અહીં તું બધું સહન કરી, ધીરજથી રહી શકે છે. અન્યથા અહીં જીવી શકાય નહિ. આપણી અંદર કામ છે, ક્રોધ છે, મદ છે, મત્સર છે, લોભ છે, ઈર્ષા છે. તેને પ્રકટ ન કરતા, તેને આપણી અંદર દબાવી, બધું સહન કરીને શા માટે રહીએ છીએ? સાક્ષાત્કાર પ્રત્યેના પ્રેમને કારણે જ તો! અને જો તે ન હોય તો તે બધું બહાર આવે. પરંતુ પ્રેમના મૂલ્યને કારણે, તે બધાને જીવવા, પ્રવૃત થવા કે વિકસવા યોગ્ય સંજોગો નથી મળતા. લક્ષ્ય પ્રત્યેનો પ્રેમ, તેને નિયંત્રણમાં રાખે છે. ”

સૌમ્યા : “તો પછી અમ્મા, શા માટે તમે આશ્રમના નિયમોના પાલન પર ભાર મૂકો છો? શું તે સ્વાભાવિક જ નહિ બને?”

અમ્મા : “અમ્મા એમ નથી કહેતા કે વૈરાગ્ય ન જોઈએ. વૈરાગ્યનો અભ્યાસ કરવો જ જોઈએ. પણ વૈરાગ્યને જે પૂર્ણ કરે છે, તે તો માત્ર પ્રેમ જ છે. શરૂઆતમાં નિયંત્રણ બહુ જરૂરી છે. અત્યારે અહીં ત્રીસેક જેટલા બાળકો છે. બધાને એક જ વિચાર છે, અને તે છે, સાક્ષાત્કાર.

“તેમને આત્મજ્ઞાન જોઈએ છે. પણ તેમના મન શરીરને આધીન છે. આ સુખનો ત્યાગ કરવો તેમને ગમતું નથી. માટે શિસ્તપાલન જરૂરી પડે છે.

“સવારે કોઈ જગ્યા પર જવાનું છે. પરંતુ, નિદ્રાનો ત્યાગ કરવો ગમતો નથી. આમ હોય ત્યારે શું તે વ્યક્તિને જગાડવી ન જોઈએ? બાળકોને સૂર્યોદય જોવાની ઇચ્છા છે. પરંતુ તે માટે સવારે વહેલું ઉઠવું, એ ન બને. મન શરીરના સુખમાં રાચે છે. આપણે ઉદયની રાહ જોઈને બેઠા છીએ. ઉદય આપણી રાહ નહિ જુએ. તે પોતાની “ડયુટી” કરશે. પરંતુ આપણે આપણી “ડયુટી” નિભાવતા નથી. આમ જ્યારે બને ત્યારે અમ્માએ બાળકોને બોલાવીને જગાડવા જોઈએ. અને તેમ ન કરે, તો તે બાળકોને છેતરવા જેવું હશે. આ કડકાઈ, અમ્માનો અત્યંત મહાન પ્રેમ છે. એમ અમ્માને લાગે છે.”

બાળકો, કેટલાક લોકો પૂછતા હોય છે, ભક્તિના માર્ગમાં ભયને કોઈ સ્થાન છે અને શું ભય-ભક્તિ અનુચિત છે? અમ્મા એમ નથી કહેતા કે, ભય-ભક્તિ અનુચિત છે. ભક્તિની પૂર્ણતામાં ભયને કોઈ સ્થાન નથી. પરંતુ, ભક્તિના માર્ગમાં આગળ વધવા એક આરંભકને ભય-ભક્તિ ચોક્કસ સહાય કરે છે. જગદીશ્વર દરેક જીવને પ્રત્યેક કર્મનું ફળ વિતરણ કરે છે. તે સદ્‌ગુણીની રક્ષા કરે છે અને અધર્મીને શિક્ષા કરે છે. જે જાણે છે કે, ઈશ્વર દુષ્કર્મોને શિક્ષા કરે છે, તેનામાં આદર અને થોડો ભય હશે જ. આ ભય તેનામાં વિવેક પ્રજ્વલિત કરે છે. આ તેને ખોટાં કાર્યોથી દૂર રાખી, આગળ સાચા માર્ગ પર ચાલવાને સશક્ત કરે છે.

ભય-ભક્તિ, એ કોઈ ગુલામની પોતાના માલિક પ્રત્યેના ભય જેવી નથી. આમાં કેવળ ભય જ નહિ, એક વિદ્યાર્થીનો પોતાના શિક્ષક પ્રત્યેનો આદર પણ સમાયેલો છે અને એક બાળકનો પોતાની મા માટેનો નિર્દોષ પ્રેમ પણ છે. ઈશ્વર પ્રત્યેનો આપણો મનોભાવ પણ આવો જ હોવો જોઈએ.

એક બાળક પોતાની માને પ્રેમ કરે છે. તે જાણે છે કે, તેની મા તેની રક્ષક છે. આ સાથે તે એ પણ જાણે છે કે, પોતે જો કોઈ તોફાન કરશે, તો તેની મા તેને શિક્ષા કરવામાં સ્હેજેય સંકોચ રાખશે નહિ. આ પ્રમાણે, પોતાની મા માટેના તેના પ્રેમમાં ભયનો છાંટો પણ છે. આ ભય અનેક સંકટો અને દુષ્કૃત્યોમાંથી તેની રક્ષા કરે છે. બાળકના તોર તરંગો તેને ખોટું કરવાને પ્રેરિત કરશે. પરંતુ, પોતાની મા પાસેથી જે ઠપકા અને શિક્ષા મળશે, તે ભયના કારણે પોતે સ્વયંને મુસીબતથી દૂર દોરી જાય છે. આ પ્રમાણે મા પ્રત્યેનો ભય તેનામાં વિવેક જગાડે છે અને તેને સાચા માર્ગ પર આગળ ચાલવાને પ્રોત્સાહિત કરે છે. આ સાથે મા માટેના તેના પ્રેમમાં આ ભય ક્યારેય બાધા નથી. ઉલ્ટાનું તે ઉચિત સ્વસ્થ આધ્યાત્મિક વિકાસ કેળવે છે.

બાળકો જ્યારે નાના હોય ત્યારે સરસથી ભણે છે. આ તેઓ અધ્યાપક પાસેથી મળતી શિક્ષાના ભયના કારણે કરે છે. આ ભય તેમને આળસમાંથી બહાર આવવા અને જ્ઞાન ગ્રહણ કરવા સહાય કરે છે. તેઓ જ્યારે પછી ઉપરના ધોરણમાં પહોંચે છે, ત્યારે આ ભય તેમને સતાવતો નથી. કારણ કે, ત્યાં સુધીમા તેમણે આવશ્યક વિવેક કેળવી લીધો હોય છે. તેમને અધ્યાપક પ્રતિ કેવળ આદર અને આજ્ઞાંકિતતા જ હોય છે. ઘણાખરા ભક્તોનો ઈશ્વર પ્રત્યેનો મનોભાવ આવો હોય છે.

ભક્ત જેમ જેમ ભક્તિના માર્ગમાં આગળ વધે છે, તેમ ભય-ભક્તિ પ્રેમ-ભક્તિમાં વિકસે છે. પ્રેમ-ભક્તિમાં ભયનો છાંટો સુદ્ધા નથી. ઈશ્વર પ્રત્યેના પ્રેમને લઈ ઈશ્વર પાસેથી મળતી શિક્ષાને પણ તે આનંદથી સ્વીકારે છે. તેનામાં રહેલી વાસનાઓ જે તેને ખોટું કરવા પ્રેરિત કરતી હતી, તે ભક્તિના હર્ષોલ્લાસમાં ધોવાઈ જાય છે. એક સાચો ભક્ત અન્ય બધું ભૂલી જાય છે અને તે પોતાની પ્રેમાળ માના ખોળામાં વિશ્રામ કરતા બાળક જેવો બની જાય છે. ૐ

બ્રહ્મચારી : “અમ્મા, ઈશ્વર અંદર છે કે બહાર?”

અમ્મા : “શરીર-બોધ હોવાને કારણે, તમે અંદર કે બહાર એમ વિચારો છો. પુત્ર, વાસ્તવમાં અંદર કે બહાર એવું કઈ જ નથી. “હું” અને “મારાં”ના ભાવને કારણે જ “હું” અને “તું”નો ભાવ આવે છે. આ બંને, ભ્રમ માત્ર જ છે. પરંતુ જ્યાં સુધી, “હું” અને “મારાં”નો ભાવ છે, બધું મિથ્યા છે એમ કહી શકો નહિ. બધામાં વ્યાપ્ત ચૈતન્ય જ ઈશ્વર છે. તમે જ્યારે ઈશ્વર બહાર છે, એવી ભાવના કરો ત્યારે વાસ્તવમાં જે તમારી અંદર છે તે જ બહાર પ્રકટ થાય છે. જે હોય તે, આ દ્વારા જ મન શુદ્ધ થાય છે.”

બ્રહ્મચારી : “કોઈ એક વિશેષ શક્તિ આ બ્રહ્માંડનું નિયંત્રણ કરે છે. પરંતુ, તે શક્તિ કોઈ એક રૂપમાં રહેલા ઈશ્વર જ છે, એ માનવું કઠિન છે.”

અમ્મા : “બધી જ શક્તિ તેની જ છે. બધાનું નિયંત્રણ કરતા એક સર્વશક્તિમાન તે જ છે. સર્વની શક્તિ તે જ છે, એવો વિશ્વાસ રાખતા હો તો પછી, સર્વનું નિયંત્રણ કરનાર તે શક્તિ ભક્તની ઇચ્છાનુસાર રૂપ ધારણ શા માટે ન કરી શકે? આ પ્રમાણે વિશ્વાસ કરવામાં શું કઠિનાઈ છે?

“(દ્રઢતાથીં) આ વિશ્વાસમાં એક આદિશક્તિ છે, જેને હું મારી મા તરીકે જોઉ છું. તે શક્તિ મારી મા છે. ભલે સો જન્મો મારે લેવા પડે, તે મારી મા જ હશે અને હું તેમનું બાળક! માટે ઈશ્વરને રૂપ નથી, એમ મારાંથી કહી શકાય નહિ.

“સામાન્ય લોકોને કોઈ એક ઈષ્ટદેવ વિના મનને સ્થિર રાખવું કઠિન છે. ઈષ્ટદેવને સામે પાર જવાના સેતૂ તરીકે નિહાળી, ભવપાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે વિના શક્ય નથી. આપણાથી તરવાનું ન થાય. માર્ગ વચ્ચે જો થાકીને તૂટી પડીએ તો આપણે શું કરીશું? માટે સેતૂ અનિવાર્ય છે. કોઈ પણ કઠિન પરિસ્થિતિઓમાં, માર્ગદર્શન કરવા માટે ગુરુ તમારી પાસે જ છે, આ વિશ્વાસ અને દ્રઢ સમર્પણ તમારામાં હોવાં જ જોઈએ. પછી શા માટે આ રસાકસી? પણ એમ વિચારીને કે સામે પાર દોરી જવાને કોઈ છે તો પછી શા માટે મહેનત કરવી, આમ વિચારી આળસુ બનીને ન બેસી રહેવું જોઈએ. તમારે સખત પ્રયત્ન કરવો જોઈએ

“નાવમાં કાણું પડયું હોય અને તેમાં પાણી ભરાઈ રહ્યાં હોય ત્યારે, કાણાંને બૂરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરતા એમનેમ બેસી ન રહેવું જોઈએ. તમારે તો પ્રાર્થનાની સાથે તે કાણાંને બૂરવા સ્વયં પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન રજરૂરી છે. પ્રયત્નની સાથે તે ઈશ્વરકૃપા માટે પ્રાર્થના પણ કરવી જોઈએ.”

બ્રહ્મચારી : “અમ્મા, ઈશ્વર સાક્ષાત્કાર માટે મને કેટલો સમય લાગશે?”

અમ્મા : “પુત્ર, સાક્ષાત્કાર એમ સરળતાથી પ્રાપ્ત થતી કોઈ વસ્તુ નથી. કારણ કે આપણે એટલું બધું ભેગું કર્યું છે. ધારો કે આપણે કોઈ યાત્રા પર ગયા હોઈએ, યાત્રા દરમ્યાન આપણે કોઈ સ્થળે ઉતર્યા નથી. ગંદકીને અડકયા પણ નથી. પરંતુ, જ્યારે આપણે વસ્ત્રો ધોઈએ છીએ ત્યારે કેટલો મેલ નીકળે છે! આ જ પ્રમાણે, આપણી જાણ બહાર જ આપણા મનમાં મેલ જમા થતો હોય છે. તે ફક્ત આ જન્મનો જ નથી, પૂર્વે કેટલાક જન્મો થકી ભેગો કરીને આપણે અહીં પહોંચ્યા છીએ. એક બે વર્ષ આંખ બંધ કરીને બેસી રહેવાથી, એમ ન કહી શકાય કે તમે આત્માને જાણો છો. આપણાથી તો આપણી અંદર પણ સફાઈ કરવી શક્ય નથી.

“પહેલાં જે જંગલી ઘાસ ઉગ્યું હોય તેને કાપી, જમીન સાફ કર્યા પછી જ તમે ત્યાં તમારી પસંદનું વૃક્ષ ઉગાડી શકો. આજે આપણાથી આપણા મનને શુદ્ધ કરવું શકય નથી. તો પછી જે આત્મ સ્વરૂપ છે, તેને આપણે કેવી રીતે જોઈ શકીએ? પુત્ર, ગંદા કાચને રંગવાથી, આપણે તેને દર્પણમાં પરિવર્તિત કરી શકીએ નહિ. માટે, સર્વપ્રથમ મનને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરો. ઈશ્વરને સમર્પિત થઈ, પ્રયત્ન કરો.”

અમ્માને દંડવત કરી બ્રહ્મચારી ઊભો થયો.

અમ્માએ જમવાનું પૂરું કર્યું. થોડા વધુ પત્રો વાંચી, ભાવદર્શનના આરંભમાં ગવાતા ભજન માટે અમ્મા નીચે ઉતર્યા.

રાત્રે બે વાગે ભાવદર્શન પૂરા થયા. સંધ્યા સમયે હળવો વરસતો વરસાદ હવે મૂશળધાર બની વરસી રહ્યો હતો. ભક્તોએ વેદાંતવિદ્યાલય અને કળરીના વરાંડામાં આશ્રય લીધો. જ્યાં જગ્યા મળી, ત્યાં લોકો સૂતા હતા.

ભાવદર્શન પૂરા કરી. અમ્મા જ્યારે કળરીમાંથી બહાર આવ્યા, ત્યારે લોકોને સૂવા માટે પણ જગ્યા ન હોવાથી, અમ્માએ તેમને દુઃખી થતાં જોયા. અમ્મા તેમને સાથે લઈ, બ્રહ્મચારીઓની કુટીરો તરફ ચાલ્યા. વરસાદથી અમ્માનું રક્ષણ કરવા ગાયત્રીએ અમ્માને માથે છત્રી ધરી. અમ્માએ દરેક કુટીરમાં ચાર પાચ ગૃહસ્થભક્તોને સૂવા માટેની વ્યવસ્થા કરી આપી. ટુવાલથી અમ્માએ તેમના ભીના માથા લૂછી આપ્યા. માતૃવાત્સલ્યના તે મૂર્તસ્વરૂપ સમક્ષ તેઓ નાના બાળકો જેવા બની ગયા.

“અમ્મા, બ્રહ્મચારી બાળકો ક્યાં સૂવા જશે? અમારા કારણે તેમને તકલીફ થઈ.” એક ગૃહસ્થ ભક્તે અમ્માને પૂછયું.

અમ્મા : “તેઓ તમારી સેવા કરવા માટે અહીં આવ્યા છે. તેઓ અહીં ત્યાગ શીખવાને આવ્યા છે. થોડી તકલીફ સહન કરવી પડે તો તેમાં તેમને સંતોષ જ છે.”

બ્રહ્મચારીઓ બધા કળરી મંડપમાં આવ્યા. અહીં બેસીને રાત કાઢવાની હતી. કળરીના વરાંડાની ત્રણે બાજુ ખુલી હોવાથી, હવામાં વરસાદના છાંટા કળરીમાં પડતા હતા. આમ ત્યાં સૂવું અશક્ય હતું. પરંતુ, થોડા કલાકો જ તેમને ત્યાં ગાળવાના હતા.

હજુય ચાર વૃદ્ધ ગૃહસ્થભક્તો માટે સૂવાની વ્યવસ્થા કરવાની હતી. તેમને સવારના ચાર વાગે સામે પાર જવાનું હતું. ત્યાંથી તેમને પાંચ વાગાની બસ લેવાની હતી. અમ્મા તેમને સાથે લઈ કળરીના ઉત્તર ભાગ તરફ ગયા. ત્યાં એક ઓરડાના બારણા બંધ હતા. અમ્માએ બારણું ખખડાવ્યું. બે બ્રહ્મચારીઓ દેવીભાવ દર્શન પૂરા થવા આવ્યા ત્યારે અહીં આવીને સૂઈ ગયા હતા. ભાવ દર્શન પછી શું બન્યું તેની તેમને કંઈ જ ખબર ન હતી. અત્યારે જ્યારે અમ્માએ તેમના ઓરડાનું બારણું ખખડાવ્યું, ત્યારે અર્ધ નિદ્રાવસ્થામાં તેમણે બારણું ખોલ્યું.

“બાળકો, આમને અહીં સૂવાની જગા કરી આપો.” આટલું કહીં, બ્રહ્મચારીઓને તે ભક્તોને સોંપી, અમ્મા પોતાના ઓરડામાં ગયા. બ્રહ્મચારીઓએ પોતાની ચટાઈઓ ભક્તોને સૂવા માટે આપી, તેઓ ધ્યાન મંદિરના વરાંડામાં દરવાજાની આડમાં જઈને બેસી ગયા જેથી તેમના પર વરસાદના છાંટા ન પડે. વરસાદ હવે થોડો ધીમો પડયો હતો.

ત્યાગને પોતાનું જીવન બનાવી, ત્યાગના મૂર્ત સ્વરૂપના સાન્નિધ્યમાં આવી, તેમણે પોતાનું જીવન તેઓશ્રીને અર્પિત કર્યું હતું. હવે, પ્રત્યેક ક્ષણ તેમને ત્યાગના પાઠો શીખવવામાં આવતા હતા. તે વિશ્વવાત્સલ્ય ધામને ભક્તો વારંવાર પ્રણામ કરી રહ્યા….