લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ

મેઘ ધનુષને જૂઓ! તે દેખાવમાં  કેટલું ભવ્ય છે. આ સાથે, મનને વિશાળતા પ્રદાન કરે તેવું તેનું એક આંતરિક મહત્વ પણ છે. વિવિધ પ્રકારના સાત રંગોના સુમેળથી તે બને છે. જે તેને મનોહર તેમજ વિલક્ષણ બનાવે છે. આ જ પ્રમાણે વિવિધ ધર્મો, વિવિધ રાષ્ટ્રીયતા, વિવિધ ભાષા અને વિવિધ સંસ્કૃતિ વચ્ચે રહેલા બાહ્ય  ભેદભાવનો સ્વીકાર કરી, તેની કદર કરવાની ક્ષમતા આપણે કેળવવી જોઇએ. મનુષ્યત્વ અને માનવત્વને પ્રાથમિક મહત્વ આપી, સાથે મળીને આપણે આગળ વધવાનું છેl

બાહ્ય  ભેદભાવથી પર, મનુષ્ય અને સંસારને પરસ્પર બાંધતી, આત્મશક્તિમાં વિશ્વાસ દ્વારા જ આ ઐક્ય શક્ય છે.

ફક્ત થોડી ક્ષણો માટે મેઘધનુષ્ય આકાશમાં પ્રત્યક્ષ થાય છે. તેમ છતાં, તે થોડી ક્ષણોમાં પણ તે બીજાને આનંદ આપે છે. મેઘધનુષ્યના આધારમાં આ તત્વ રહેલું છે. અનંત આકાશમાં, થોડી ક્ષણો  માટે પ્રકટ થતા મેઘધનુષ્યની જેમ, અનંત એવા સમયના ગાળામાં મનુષ્ય આયુષ્ય પણ તુચ્છ છે. જીવિત કાળ દરમ્યાન, અન્ય માટે અને સમાજ માટે કંઇક સારું કરવું, તે આપણું પ્રમુખ કર્તવ્ય બને છે અને આ જ આપણો ધર્મ પણ છે. વ્યક્તિમાં જયારે સારપ ઉદિત થાય છે, ત્યારે તેનું વ્યક્તિત્વ અને તેના કાર્યો, સૌંદર્ય અને બળ પ્રાપ્ત કરે છે.

અમ્માને અહીં, પોલિયોથી ગ્રસિત, બંને પગ ગુમાવેલી, એક બાલિકાની કથા યાદ આવે છે. તેની મમ્મી રોજ તેને વ્હીલચેરમાં બેસાડી બારી પાસે મુકી જતી. જેથી પ્રકૃતિનું સૌંદર્ય નિહાળી થોડા સમય માટે પણ તે પોતાનું દુઃખ ભૂલિ શકે. પરંતુ, તે બાલિકા, બારીમાંથી જયારે બહાર નીચે રમતા બાળકોને જોતી, ત્યારે, “હું  તો તેમની જેમ રમી શકતી નથી.” આમ વિચારી, દુઃખી થતી. આમ એક દિવસ તે જયારે બારીમાંથી બહાર નજર કરી રહી હતી, ત્યારે ઝીણો વરસાદ વરસવા લાગ્યો અને એવામાં તેને આકાશમાં સુંદર મનોહર મેઘધનુષ્ય દેખાયું. તે તો મેઘધનુષ્યને જોઇ રહી. પોતાની  શારીરિક ખોડને તે ભૂલિ ગઇ. તે મેઘધનુષ્યે તેને એટલો તો આનંદ આપ્યો કે, તે પોતાનું  દુઃખ ભૂલી ગઇ. થોડા સમયમાં તો મેઘધનુષ્ય આકાશમાં વિલીન થઇ ગયું. ફરી મેઘધનુષ્યને બતાવવા, તેણે પોતાની મમ્મીને કહ્યું. મમ્મીએ તેને સમજાવતા કહ્યું,  “બેટા,  હંમેશા  કંઇ મેઘધનુષ્યને જોવું શક્ય નથી. વરસાદ અને તાપ, બંને સાથે આવે, ત્યારે જ આકાશમાં મેઘધનુષ્ય દેખાય છે.” તે દિવસ પછી તે બાલિકા, વરસાદ અને તાપને સાથે આવવાની વાટ જોવા લાગી. એવામાં એક દિવસ, આકાશમાં એક વિશાળ મેઘધનુષ્ય  દેખાયું. બાલિકાનો તો હરખ માતો નહોતો. તેને તો પોતાની મમ્મીને બોલાવી  અને  ઝડપથી મેઘધનુષ્ય પાસે લઇ જવાને કહ્યું. બાળકને  નિરાશ ન કરવાની  ઇચ્છાથી, તે માતા પોતાની પુત્રીને કારમાં બેસાડી, પર્વતની ટોચપર લઇ ગઇ. જયાંથી તે મેઘધનુષ્ય બહુ નજીક દેખાતું હતું. કુતૂહલવશ, તે બાલિકાએ મેઘધનુષ્યને પૂછયું, “તને આટલું સૌંદર્ય કેવી રીતે પ્રાપ્ત થયું?” ત્યારે તે મેઘધનુષ્યે કહ્યું, “વરસાદ અને તાપ જયારે  મળે છે, ત્યારે તે અલ્પ સમય માટેનું જ આયુષ્ય મને પ્રાપ્ત થાય છે, આમ વિચારી હું ઘણો દુઃખી થતો હતો. પછી મને વિચાર આવ્યો, અલ્પ આયુષ્ય વાળું મારું આ જીવન બીજાને સંતોષ અને આનંદ આપનારું બને. મારાં મનમાં જયારે આ વિચાર આવ્યો, ત્યારે મારામાં સાત રંગો પ્રકટ થયા.” આટલું કહીં મેઘધનુષ્ય આકાશમાં અદ્રશ્ય થઇ ગયું. પરંતુ, તે જ સમયે તે બાલિકાના હૃદયમાં એક સુંદર મેઘધનુષ્ય ખીલી રહ્યું હતું. તે બાલિકાને સમજાયું કે, આ જીવન, પોતાની વિકલાંગતા પર દુઃખી બની જીવવા માટે નથી. જે થોડા સમય માટેનું, આ અલ્પ જીવન છે, તે  બીજાને  સંતોષ આપનારું બને. તે માટેનો પ્રયત્ન આપણે કરવાનો છે.

એક દિવસ તો આ શરીર નાશ પામવાનું  જ છે. આમ વિચારી, કંઇપણ ન કરી, કાટ ખાવા કરતાં, શું સારાં કર્મો કરી ઘસાઇ જવું ઉત્તમ નથી કે?

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ) ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૭