લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ

આજે  દુનિયામાં એવા અબજો લોકો છે, જે ગરીબી અને ભૂખમરાથી પીડાઇ રહ્યાં છે. વાસ્તવમાં તો, ગરીબી જ આપણી મહાન શત્રુ છે. મનુષ્ય ચોરી કરે છે, હત્યા કરે છે, લોકો આતંકવાદી બને છે, સ્ત્રીઓ વેશ્યાવૃત્તિ ઉપર ઉતરે છે, આ બધા પાછળનું મૂળ કારણ છે, ગરીબી. ગરીબી માત્ર શરીરને જ નહિ, પરંતુ મનને પણ નબળું પાડે છે. આવું નબળું મન, “ધર્મના નામે” સ્વચ્છંદી બને છે અને પછી તેમાં ત્રાસવાદનું વિષ ઘોળાય છે. આ દ્રષ્ટિથી જોઇએ તો, આપણે જો ગરીબીને દૂર કરવામાં સફળ રહીએ, તો અમ્માને લાગે છે કે, માનવ સમાજની ૮૦% સમસ્યાઓનું નિવારણ થાય. આજે માનવ સમાજ, કોઇ નિર્ધારિત લક્ષ્ય વિના સંચરી રહ્યો છે.

ચાર રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખી, ડ્રાઇવરે  સામેથી  આવતા રાહદારને પૂછયું, “ભાઇ, આ રસ્તો કયાં જાય છે?” રાહદારે સામું પૂછયું, “અરે પણ તમારે ક્યાં જવું છે?” ડ્રાઇવર બોલ્યો, “મને નથી ખબર કે મારે કયાં જવું છે.” “એમ હોય તો પછી, કોઇપણ માર્ગે જાવ, એમાં શું?” રાહદારે જવાબ વાળ્યો.

આપણે આ ડ્રાઇવર જેવા ન બનવું જોઇએ. આપણું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઇએ.

પરંતુ, આજે જે દિશામાં આ સંસાર જઇ રહ્યો છે, તે જોઇ અમ્માને ભય લાગે છે. બે વિશ્વ યુદ્ધો તો આપણે જોઇ લીધા. ત્રીજું વિશ્વ યુદ્ધ, રાષ્ટ્રો વચ્ચેનું ના રહી, આપણા બધાનો સર્વ સામાન્ય શત્રુ, ગરીબી સાથેનું  રહે.

આજે લોકો બે પ્રકારની ગરીબી અનુભવે છે.

૧. ખોરાક, વસ્ત્ર અને આશ્રયના અભાવની ગરીબી.

૨. પ્રેમ અને કરૂણાના અભાવની ગરીબી.

આમાં બીજા પ્રકારની ગરીબીને આપણે ગણતરીમાં લેવાની છે. કારણ કે, હૃદયમાં જો પ્રેમ અને કરૂણા હોય, તો ભૂખ્યા, તરસ્યા, વસ્ત્ર કે આશ્રય વિનાના, નિઃસહાય દુઃખી લોકોની આપણે હૃદયપૂર્વક સેવા અને સહાય કરીશું.

સમય પરિવર્તન નથી લાવતો. પરિવર્તન તો કરૂણાસભર હૃદય લાવે છે. ધર્મ દ્વારા આવા હૃદયનું સર્જન થવું જોઇએ. અને આ જ તો ધર્મ અને આધ્યાત્મિકતાનું પ્રધાન લક્ષ્ય હોવું જોઇએ.

આ સંસારનું સંરક્ષણ કરવા, આપણે એવા માર્ગો શોધીએ કે જે દ્વારા, વ્યક્તિગત ભેદભાવ અને ઇચ્છાઓનો આપણે ત્યાગ કરીએ. વીસરવું અને ક્ષમા આપવી – આ ભાવના દ્વારા, આ સંસારને પુનર્જીવન આપી, નવેસરથી તેની રચના કરવાને આપણે પ્રયત્ન કરવો જોઇએ. જે વિતી ગયું છે, તેનું પૃથક્કરણ કરવું વ્યર્થ છે. તેનાથી આ સંસારનું કે લોકોનું કંઇ ભલુ નથી થવાનું. વેર અને પ્રતિશોધનો માર્ગ ત્યજી, કોઇપણ પ્રકારનો પક્ષપાત કે ભેદભાવની લાગણી સિવાય, આજે વિશ્વની જે પરિસ્થતિ છે, તેનાથી ઉપર આપણે આવવાનું છે. આ પ્રમાણે, પ્રગતિ તરફનો માર્ગ આપણને મળી જશે.

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ) ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૬