વિશ્વનો સહુથી મોટો દરિદ્ર હોય, પણ તેનામાં જો સંતૃપ્તિ હશે, તો તે જ ધનવાન છે. ધનિક હોય અને સંતૃપ્ત ન હોય તો તે જ દરિદ્ર છે. માટે, અંતરમાં સંતૃપ્તિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો.

એક જ માના ગર્ભમાંથી જન્મેલ બે બાળકો, એક કલેકટર થયો અને બીજો ક્લાર્ક બન્યો. જે કલાર્ક બન્યો, તે જો એમ વિચારીને દુઃખી થાય કે, પોતે તો ફક્ત એક કલાર્ક જ બની શકયો, તો તેથી કોઈ પ્રયોજન ખરું? આમ ન કરતા, તે જો કાળજીપૂર્વક પોતાનું કામ કરે, તો પ્રોમોશન મેળવી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી શકે. હંમેશા ઉપરી તરફ જોતા રહીએ, તો દુઃખ જ સાંપડશે. પોતાનાથી નીચે કામ કરનારા કેટલાય લોકો હોય છે. શા માટે આપણે તેમનો વિચાર નથી કરતા. વિવેકપૂર્વક વિચાર કરીએ, તો કોઈ પણ પરિસ્થતિમાં સંતૃપ્ત રહેવું શકય છે. આથી આપણને શાંતિ અને સમાધાનથી જીવી શકીએ. વિકસી શકીએ.
એક વખત એક માણસને, ઘણા દિવસો સુધી રાહ જોયા પછી, નોકરી માટે ઈંટરવ્યુંમાં બોલાવવામાં આવ્યો. ઈંટરવ્યુંમાં જવા છતાં તેને નોકરી મળી નહિ. નિરાશ બની તે કોઈ એકાંત સ્થળમાં દાઢી નીચે હાથ રાખી, દૂર નજર કરીને બેઠો હતો. ત્યારે પાછળથી કોઈ આવ્યું અને તેના ખભા પર ટકોરા માર્યા.

પાછળ ફરીને જોયું તો કાળા ચશ્મા પહેરેલો એક બાળક ત્યાં ઊભો હતો. પોતે આમ જયારે એકાંતમાં બેઠો હતો, ત્યારે આવીને તેને પજવવા બદલ તે બાળક પર ક્રોધ તો આવ્યો, પણ તેણે તે બહાર દેખાડયો નહિ. તેણે બાળકને પૂછયું, શા માટે તેને બોલાવ્યો હતો. મૂરઝાયેલું એક ફૂલ તેના હાથમાં આપતા બાળકે કહ્યું, “જૂઓ, આ ફૂલ કેટલું સુંદર છે!” તે મૂરઝાયેલ જંગલી ફૂલને દેખતા ચીડ ચડી પણ તેને અંદર દબાવી, તેણે કહ્યું, “હા, બહુ જ સુંદર પુષ્પ છે.” બાળકે આગળ કહ્યું, “જૂઓ, આ ફૂલ કેવું સુગંધિત છે.” બાળકના આ અવિરત વાર્તાલાપથી તેની ચીડમાં વૃદ્ધી જ થઈ. “આ છોકરાને શું થયું છે, શું તે પાગલ છે? જંગલી ફૂલમાં વળી કેવી સુગંધ ને કેવી વાત.” મનમાં આ પ્રમાણે વિચાર તો આવ્યો, પરંતુ, કેમ પણ કરી તે છોકરાથી છૂટકારો મેળવવા તેણે કહ્યું, “હા, તું સાચું કહે છે. સરસ સુગંધ છે, ફૂલ પણ સુંદર છે.” આ સાંભળતા સંતોષથી ઉછળતા તે બાળકે કહ્યું, “આ હું તમારા માટે જ લઈ આવ્યો છું. તમે આ રાખો. તમને ઈશ્વરના આશીર્વાદ મળશે !” આટલું કહીં તે બાળકે હૃદયસભર સ્મિત કર્યું. તે સ્મિતને દેખતા, પેલા યુવકનું ભારી મન ઘણું હળવું થયું. તેણે તે બાળકનો આભાર માન્યો. તે બાળક પાછો ફર્યો.

જમીનમાં કંઈક ઠોકવાનો અવાજ સંભળાતા, તે યુવકે પાછળ ફરીને જોયું. તેણે જોયું કે તે બાળક પોતાના હાથમાંની લાકડીને જમીનમાં ઠોકીને જઈ રહ્યો હતો. ત્યારે તેને જ્ઞાન થયું કે, તે બાળક આંખે અંધ હતો. તે જ ક્ષણે તેને આ અનુભૂતી થઈ કે, પોતાના હાથમાં રહેલું પુષ્પ તો વિશ્વનું સહુથી મનોહર પુષ્પ છે.

તે દોડીને બાળક પાસે ગયો. આંખમાંથી દડ દડ વહેતા આંસુ સાથે. તેણે કહ્યું, “આ કોઈ મૂરઝાયેલું ફૂલ નથી. આ તો તારાં હૃદયમાં ખીલેલું પુષ્પ છે.” તેણે તે પુષ્પમાં પેલા બાળકના નિષ્કલંક હૃદયનું સૌંદર્ય અને સુવાસ પ્રસરતા અનુભવ્યા.

તે વિચારવા લાગ્યો – કામ ન મળતા, પોતે કેટલો દુઃખી હતો. તે પોતાના જીવનનો અંત આણવાનો વિચાર કરતો હતો. ત્યારે આ બાળક, તે બંને આંખે અંધ હોવા છતાં, કેટલો સંતુષ્ટ છે. એટલું જ નહિ, બીજા લોકોને પણ તે કેટલો આનંદ અને સંતોષ આપે છે.

અન્ય લોકોમાં આવો ભાવ વિકસાવવાને આપણાથી પણ થવું જોઈએ.

આપણું દુઃખ અન્ય કેટલાક લોકોના દુઃખોની તુલનામાં કયાંય તુચ્છ છે. આ જો આપણે સમજીએ, તો પછી કોઈપણ પરિસ્થતિમાં આપણે સંતોષપૂર્વક જીવી શકીશું.

જીવનમાં આનંદ અનુભવવા, આજે આપણા માર્ગમાં જે મોટો અંતરાય છે, તે આપણા માટેની આપણી પોતાની વિચાર ધારણા જ છે. આજે સ્વયંને વિસરી અન્યને પ્રેમ કરવાને આપણાથી નથી થતું. “મને જ બધું જ મળવું જોઈએ,” “બધું મારે લેવું છે” – આજે લોકોનો આ મનોભાવ છે. આ અહંકારનો ત્યાગ ન કરીએ, તો જીવનનો આનંદ અનુભવવાને થાય જ નહિ. જેને આંખ નથી, તેનામાં જો પ્રેમભર્યું હૃદય હશે, તો કેમ પણ કરીને તેમને દોરી જવાશે. પણ, જેને હૃદયનો અંધાપો આવ્યો હોય, તેમને દોરી જવા મૂશ્કેલ છે. અહમ્ દ્વારા નિર્મિત અંધાપો, આપણને ખાડામાં જ ધકેલે છે. આ અજ્ઞાનના કારણે, જાગતા હોવા છતાં આપણે નિદ્રાવસ્થામાં જ છીએ. આ અહંકારથી પર આવીએ, તો ત્યારે આપણે સ્વયં આ સંસારને અર્પિત વસ્તુમાં પરિવર્તિત થઈએ છીએ. અહંકારનો અંધાપો જેને લાગ્યો હોય, તે કયારેય સંસારના સૌંદર્યનો આનંદ માણી શકે નહિ.

જન્મથી, જીવન રીતથી, પરિસ્થતિથી મનુષ્યો વચ્ચે ભેદભાવ વિકસી શકે. પરંતુ, મરણ તો બધાને સર્વસામાન્ય છે. જેઓ અહંકારથી પર આવ્યા છે, તેઓ મરણમાં પણ મૃત્યુ પામતા નથી.

(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)

બાળકો, આજે આપણે અનેક બાબતોનો વિચાર કરી દુઃખી થઈએ છીએ. હાથમાં વાગ્યું હોય અને તે ઘાવને જોઈ દુઃખી થઈ બેઠા રહેવાથી, કે રડવાથી ઘાવમાં રૂઝ આવતી નથી. ઉલ્ટાનો તેમાં ચેપ જ લાગે છે. માટે, તે ઘાવને ધોઈ, તેમાં દવા લગાડવી જોઈએ. અનેક કાર્યો વિષે અનાવશ્યક ચિંતા કરી, મનના ટેંશનમાં વૃદ્ધિ કરવી, આ આપણો સ્વભાવ બની ગયો છે. ટેંશન આપણા મન અને શરીરને કેટલું અસ્વસ્થ કરે છે, તે આપણે સમજવું જોઈએ. ઘણાખરા રોગોનું કારણ પણ આ ટેંશન છે.

આ ટેંશનમાંથી મુકત કેવળ શરણાગતિ દ્વારા જ શક્ય છે. ઈશ્વરમાં સમર્પણ, આપણા સઘળા ભારોનો બોજ હળવો કરશે. વાસ્તવમાં, આપણી ઇચ્છાનુસાર કંઈ જ નથી બનતું. આગલા શ્વાસ પણ આપણી સાથે હશે, તેની કોઈ ખાતરી નથી. માટે જ, આપણે તો ફક્ત્ત, સર્વકાંઈ તે ઈશ્વરમાં સમર્પિત કરી, કર્મ કરી શકીએ. આ જ આપણા હાથમાં છે. પરંતુ, “મેં કર્યું”નો ભાવ તેમાં ન હોવો જોઈએ. “એ તો તેની જ શક્તિ છે, જે દ્વારા આપણે કર્મ કરી શકીએ છીએ,” આ પ્રકારનો ભાવ કેળવવો જોઈએ. દરેક કર્મ ઈશ્વરની પૂજા માની કરવું જોઈએ. આ પ્રકારનો સમર્પણનો ભાવ આપણે વિકસાવવાનો છે.

ઈશ્વર તો સહુમાં અંતરયામી બની વાસ કરે છે. તેઓ પ્રતિક્ષણ આપણી સાથે પ્રેમપૂર્વક મૃદુતાથી, અત્યંત સરળતાથી વાતો કરી રહ્યાં છે. પરંતુ, તેને કાન આપવા જેટલી ધીરજ આપણામાં નથી. તે સાંભળવા માટેના કાન પણ આપણી પાસે નથી. આ જ કારણસર આપણે પૂનઃ પૂનઃ ભૂલ કરીએ છીએ અને દુઃખ અનુભવિએ છીએ. તેમના તે વચનોને સાંભળવા, તેને અનુસરવા માટે આવશ્યક શિષ્યભાવ આપણામાં જગાડવો જોઈએ. આપણામાં જયારે આ શિષ્યભાવ જાગશે, તેમનું અનુસરણ કરવા શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક, પ્રેમપૂર્વક, વિનયપૂર્વક આપણે તેમની સમીપ જઇશું, ત્યારે તેઓ ગુરુભાવ ધારણ કરી આપણને માર્ગ દર્શિત કરવા તૈયાર થશે.

અર્જુન અને કૃષ્ણ, હંમેશા સાથે રહેતા મિત્રો હતા. પરંતુ, તે સમયે ભગવાને અર્જુનને ગીતાથી ઉપદેશિત કર્યો ન હતો. અર્જુનમાં જયારે શિષ્યનો ભાવ જાગૃત થયો, ત્યારે ભગવાને તેને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. માટે, આપણી અંદર આપણે શિષ્યભાવ જગાડવો જોઈએ. શિષ્યભાવ એટલે શરણાગતિનો ભાવ, સમર્પણનો ભાવ. ત્યારે પછી આ દુનિયાનું બધું જ આપણા ગુરુમાં પરિવર્તિત થાય છે. પ્રત્યેક અનુભવ ગુરુ બની રહેશે. આ એક ભાવ જો ન હોય, તો પછી ભલે અનેક અનુભવો આપણને થાય, પરંતુ, તેમાંથી આપણે એક પાઠ પણ નહિ શીખીએ.

સમર્પણ વિષે વિચાર કરતા, રાધાની એક કથા સ્મરણમાં આવે છે. ભગવાન વૃંદાવનથી મથુરા ગયા, ત્યારે ગોપીઓ કે રાધાને, કોઈને પોતાની સાથે લઈ ગયા ન હતા. આથી તેઓ બધી બહુ દુઃખી હતી. આ સમયે મથુરાથી વૃંદાવન આવેલ ઉદ્ધવે રાધાને પૂછયું, “ભગવાને વૃંદાવન પાછા આવવું અથવા ગોપીઓને મથુરા લઈ જવી, તેવા સંદેશાઓ ગોપીઓએ ભગવાનને મોકલ્યા છે. ફક્ત રાધાએ એવો કોઈ સંદેશ પાઠવ્યો હોય એવું જણાતું નથી. આમ કેમ?”

રાધા બોલી, “ઘરેથી જયારે ગૃહપતિ બહાર કયાંય જાય, ત્યારે ઘરે કામ કરનારાઓને કદાચ સાથે લઈ જાય અથવા ન પણ લઈ જાય. જો ન લઈ જાય તો સેવક શું કરશે? ઘર અને ઘરનો આસપાસનો વિસ્તાર સાફ સૂથરો રાખી, તેને સોંપવામાં આવેલું કામ બધું કરી, તે તેમની રાહ જોશે. હું ભગવાનની દાસી છું. મને સાથે લઈ જવાનો કે ન લઈ જવાનો અધિકાર કેવળ એક ભગવાનને છે. તેઓ જો મને સાથે લઈ ગયા હોત, તો તેથી અધિક સંતોષદાયક મને અન્ય કંઈ જ ન હોત. અને ન લઈ જાય તો દુઃખી થઈને હું તૂટી નહિ પડું. હું મારા હૃદય મંદિરને સાફ સૂથરું રાખી, પ્રેમરૂપિ દીવડાને પ્રજવલિત કરી, તેમની રાહ જોઈશ. એક દાસી તરીકે આ જ મારું કર્તવ્ય બને છે. આ જ કારણસર, ભગવાનને મેં કોઈ ખાસ સંદેશ પાઠવ્યો નથી.”

આ એક મનોભાવ આપણે ઈશ્વર માટે વિકસાવવો જોઈએ. દાસ ભાવ, એ તો એક ઉત્તમ ભકતનો ભાવ છે. શરણાગતિના આ મનોભાવ સાથે આપણે આત્મતત્વને પ્રાપ્ત કરી શકીએ.

(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)

આપણે, “મને શું મળશે,” એવો વિચાર ન કરતા, “હું શું આપી શકું” એવા વિચાર કરવા જોઈએ. જે કોઈ કર્મ કરીએ, તેને આનંદથી પૂરું કરવું જોઈએ. કર્મમાં આનંદ પસારવો, આપણા માટે બહુ જરૂરી છે. આ કેમ શક્ય છે? કર્મમાં જયારે બુદ્ધિ અને હૃદય આવી મળે છે, ત્યારે તેનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે. એક માને પોતાના બાળકની સંભાળ લેવી, શ્રમ ભર્યું કામ નથી. ત્યારે એક આયા માટે તે ઘણો શ્રમ માગી લે છે. કર્મ નહિ, પણ તે માટેનો આપણો મનોભાવ આપણને આનંદ કે દુઃખ આપે છે.

સામાન્યતઃ આપણે આપણા સંતોષ ખાતર કામ કરીએ છીએ. તેમ છતાં આ સાથે જોવું જોઈએ કે, તે અન્ય માટે પણ આનંદદાયક બની રહે. એક માણસ કોઈની હત્યા કરે, ત્યારે હત્યારા માટે તે સંતોષદાયક હશે પણ અન્ય માટે તો તે દુઃખનું કારણ જ બની રહેશે. આ જ કારણસર, આ પ્રકારનું કર્મ, કર્મયોગ નથી બનતું. કોઈ પણ કર્મ કરતી વખતે, આપણને શું મળશે, એ વિચાર ન કરતા, અન્યને આપણે શું આપી શકીએ, તે વિચાર આપણે કરવો જોઈએ. એ જ કર્મયોગ છે.

(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)

અમ્મા હંમેશા યાદ કરાવે છે કે, ધ્યાન તો સુવર્ણ સમાન બહુમૂલ્ય છે. ભૌતિક ઐશ્વર્ય, મુક્તિ અને શાંતિ માટે ધ્યાન સારું છે. આંખ બંધ કરી, હલ્યા વિના એક આસનમાં સ્થિર બેસી રહેવું, એ માત્ર જ ધ્યાનં નથી. સાચું ધ્યાન તો આપણી પ્રવૃત્તિઓ, આપણા વચનો, આપણા વિચારોથી સભાન રહેવાનું છે. વિચારો નાના જલ બીંદુઓ જેવા છે. તે વચનો બની, પ્રવૃત્તિમાં પરિવર્તિત થઈ, એક મહાનદીમાં વિકસે છે. એક નાનો વિચાર પ્રવૃત્તિમાં રૂપાંતર થઈ, એક મહાનદીની જેમ આપણામાંથી વહે છે. પછી તે આપણા હાથમાં નથી. એક નદીને, તેના આરંભમાં એક પથ્થરથી રોકી શકાય, ત્યારે તેના પ્રવાહને વાળવો મુશ્કેલ નથી. પરંતુ, તે ધારા જયારે વિકસીને એક વિશાળ નદી બને છે, પછી તેને નિયંત્રણમાં લાવવી મુશ્કેલ છે. માટે, જેના પર ખાસ ધ્યાન આપવાનું છે, તે આપણા વિચાર છે. વિચાર વચનો બને છે. વચનો પ્રવૃત્તિમાં રૂપાંતર થાય પછી તેની ગતી અટકાવવી મુશ્કેલ હોય છે. આ જ કારણ સર, એમ કહેવાય છે કે, આપણા વિચારોમાં, વચનોમાં, પ્રવૃત્તિમાં ખાસ કાળજી જરૂરી છે.

બીબાંમાં જો કોઈ ખોટ હોય તો પછી તેમાંથી ઢાળવામાં આવતી દરેક વસ્તુમાં તે ખોટ દેખાય છે. આ જ પ્રમાણે, મનને જો સર્વપ્રથમ ઠીક ન કરીએ, તો પછી તેમાંથી નીકળતા વચનો, પ્રવૃત્તિઓ ઠીક નહિ હોય. માટે, સર્વપ્રથમ જેની જરૂર છે, તે છે આપણા મનને વશમાં કરવાનું. મનને આપણા હાથની પકડમાં લાવવાનો એક ઉપાય છે, ધ્યાન. આપણી અંદર જે નિઃશબ્દતા અનુભવીએ છીએ, તેનું એક તત્વ છે, ધ્યાન.

(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)

કેટલાક બાળકો કહેતા હોય છેઃ “ઈશ્વરે આપણી રચના પોતપોતાની ઇચ્છાનુસાર સ્વતંત્રાથી જીવન જીવવા માટે કરી છે, આ શરીર સુખ ભોગવવા માટે આપ્યું છે, ખરું ને.” સાચું છે! આ શરીર સુખ આરામ અનુભવવા માટે આપણને આપવામાં આવ્યું છે. રસ્તાઓ વાહન દોડાવવા માટે બનાવ્યા છે. તેમ છતાં, પોતપોતાની ઇચ્છાનુસાર, નિયમોનું ઉલંઘન કરી, વાહન ચલાવીએ, તો અકસ્માત બને છે. આ જ પ્રમાણે, બેદરકારીથી મરજી પ્રમાણે ચાલો, તો અકસ્માત થાય છે. બધાને પોતપોતાનો ધર્મ છે. આ ધર્મનો ત્યાગ કરી જે કંઈ કરીએ, પછી તે વચન હોય, પ્રવૃત્તિ હોય – ત્યાં આપણું વ્યક્તિત્વ નાશ પામે છે.

એક માણસ દરિયા કિનારે ચાલીને જઈ રહ્યો હતો. ત્યાં તેને એક વિચિત્ર પ્રકારની બોટલ મળી આવી. તેણે તે બોટલ ખોલીને જોઈ, તો તેમાંથી એક ભૂત પ્રત્યક્ષ થયું. ભૂતને જોતાં ભયભીત થયેલા તે માણસને ભૂતે કહ્યું, “તારે ડરવાની જરૂર નથી. ઘણા દિવસોથી હું આ બોટલમાં બંધ હતો. તેં મને આ બંધનમાંથી મુકત કર્યો છે. માટે, હું તારો ઋણી છું. હું તારી સહાય કરવા માગું છું. હું તને ત્રણ વરદાન આપુ છું. તું ચાહે તે માગી શકે છે.”

તે માણસે પહેલું વરદાન માગતા કહ્યું, “મને આ વિશ્વનો સહુથી ધનવાન વ્યક્તિ બનાવી દે.”
ભૂતે “ભું….” એવો શબ્દ કાઢયો અને તે માણસની સામે અબજો કરોડો રૂપિયાનો ઢગલો થઈ ગયો.

“મને આ વિશ્વનો સહુથી મોટો મહેલ જોઈએ છે.”
“ભું…” ભૂતે બીજીવાર આવો શબ્દ કાઢયો અને તેની સામે વિશાળ મહેલ ઊભો થઈ ગયો.

ત્રીજુ વરદાન માગતા તે માણસ બોલ્યો, “આ વિશ્વની બધી જ સ્ત્રીઓનો હું પ્રિય બનું, એવો મને બનાવી દે.”
ભૂતે ત્રીજીવાર “ભું…ભું…” શબ્દ કાઢયો અને ક્ષણભરમાં તે માણસ ચોકલેટમાં પરિવર્તિત થઈ ગયો.

આ સંજોગોમાં કાળજીપૂર્વક વચાનો ઉપયોગ ન કરવાથી, તે વ્યક્તિ કંઈ જ પ્રાપ્ત કરી શકયો નહિ અને તે સ્વયં નાશ પામ્યો. આ જ અમ્મા કહેવા માગે છે. આપણા વચનો અને પ્રવૃત્તિમાં જો ધ્યાન ન દઈએ, તો સ્વયં આપણું જ વ્યક્તિત્વ નાશ પામશે.

અન્ય કોઈ જીવને જે વરદાન નથી આપ્યું, તે વરદાનથી ઈશ્વરે મનુષ્યને અનુગ્રહિત કર્યો છે અને આ છે, વિવેકબુદ્ધિ. આ વિવેકબુદ્ધિનો યોગ્ય ઉપયોગ ન કરી, આગળ વધીએ તો સ્વયં આપણું જીવન નાશ પામશે. માટે, આપણા એક એક કર્મ પાછળનું લક્ષ્ય, આ વિવેકબુદ્ધિનો વિકાસ જ હોવું જોઈએ. કારણ કે, વિવેકપૂર્વક કરેલા કર્મ દ્વારા જ જીવનમાં શાશ્વત વિજય પ્રાપ્ત કરી શકાય.

(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)