પ્રેમસ્વરૂપ તેમજ  આત્મસ્વરૂપ, અહીં ઉપસ્થિત સર્વકોઇને પ્રણામ. આટલા વિશાળ મહાસંમ્મેલનનું સંગઠન કરનારાઓના પ્રયત્ન અને ત્યાગ શબ્દાતીત છે. અમ્મા આ પ્રકારની નિઃસ્વાર્થ ભાવનાને નમન કરે છે.

ઇશ્વરે આપણને આપેલી કાર્યદક્ષતા, તે આપણી માટે તેમજ આ સમગ્ર સંસાર માટેની નિધિ છે. પરંતુ, આ નિધિનો દુરુપયોગ કરી, આ સંસાર માટે અને સ્વયં આપણા માટે તે બોજારૂપ ન બનવી જોઇએ. જીવનની મહાન કરુણાંત ઘટના મૃત્યુ નથી. પણ મહાન દુઃખની વાત તો એ છે કે, જયારે આપણા જીવનકાલ દરમ્યાન જ, આપણી કાર્યદક્ષતાનો યોગ્ય ઉપયોગ ન થતા, તે વ્યર્થ જવા દેવામાં આવે છે. કુદરતી સંપત્તિ, જેટલી આપણે વાપરીએ, તેટલી તે ઓછી થાય છે. પરંતુ, મનુષ્યની ઇશ્વરદત્ કાર્યદક્ષતાની નિધિને જેમ જેમ આપણે ઉપયોગમાં લઇએ, તેમ તેમ તેમાં તો માત્ર વૃદ્ધિ જ થાય છે.

 તેમ છતાં, શું આપણે આ કાર્યદક્ષતાનો યોગ્ય ઉપયોગ કરીએ છીએ? વાસ્તવામાં, મનુષ્યનું લક્ષ્ય શું રહ્યું છે? કયાં પહોંચવાની ઇચ્છા કરતો હતો, માનવ સમૂહ?

વ્યક્તિગત રીતે તેમજ સમાજમાં, શક્ય તેટલું સુખ અને સંતૃપ્તિ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય આપણા બધાનું નથી રહ્યું શું? પરંતુ આજે  આપણે ક્યાં ઊભા છીએ? આજે ઘણા લોકો, એક ભૂલમાંથી બીજી ભૂલ તરફ આગળ વધી રહ્યાં છે. આપણી સમસ્યાઓ વધુ ને વધુ ગંભીર બની છે. આની મધ્યે, હજુય પરીક્ષા કરવાને કે પારખવાને કંઇ બાકી રહ્યું છે શું?

રાષ્ટ્રીયશક્તિ, લશ્કરી તાકત, આયુધશક્તિ, આર્થિકશક્તિ, શાસ્ત્રસાંકેતિક શક્તિમાં વૃદ્ધિ કરવાનો પ્રયત્ન બધા જ દેશોએ કરી જોયો  છે. આજે  પણ આ ક્ષેત્રોમાં બધા અત્યાધિક જાગૃતતા દાખવે છે. આજે  કેટલા દિવસોથી આ બધા પરીક્ષણો આપણે કરી જોયા. તેમ છતાં, શું સાચી શાંતિ કે સંતોષ પ્રાપ્ત થયા કે?  સમય આ બાબતનો સાક્ષી રહ્યો છે કે આથી તો મનુષ્યને ઉદેશિત સંતોષ અને આત્મસંતૃપ્તિ પ્રાપ્ત નથી થતા. આજ સુધી, જેનાપર પરીક્ષણો નથી કર્યા તેવી આત્મીયશક્તિને જયારે વિકસાવવામાં  આવશે,  ત્યારે જ, મનુષ્યને ઉદેશિત શાંતિ અને સમાધાન હાથ આવશે.

વાસ્તવમાં, આજે સાધનસંપન્ન દેશના લોકો અને ગરીબ દેશના લોકો વચ્ચે, એક જ ફરક રહેલો છે. સમૃદ્ધ દેશના લોકો જયારે પોતાના એર-કંડીશન ઓરડાઓ અને વિશાળ બંગલાઓમાં બેસીને  રડે  છે,  ત્યારે  ગરીબ  દેશોના લોકો પોતાની ઝૂંપડીઓની ગંદી ફર્શપર બેસીને રડે છે. બસ, એટલો જ ફરક છે.

કોઇ પણ રીતે, એક વાત તો સ્પષ્ટ છે. આનંદ અને સંતોષ માણવાની ઇચ્છા રાખતો માનવ, આજે વિશ્વના વિવિધ ભાગોમાં આંસુ સારી રહ્યો છે; આ આંસુ અને આક્રંદ શાંતિ માટેના છે. દુઃખ અને દરદ આજે ઘણા દેશોની અધિકૃત છાપ બની ગઇ છે. આ બધા માટે, માત્ર ધર્મને જવાબદાર ઠરાવવો અર્થહીન છે. આ સમસ્યા માટેનું મૂળ કારણ તો, ધર્મ અને આધ્યાત્મિકતાની આજે જે રીતે વ્યાખ્યા થઇ રહી છે, તે છે.

 

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ)ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૧

 

 

વિશ્વમાતૃત્વની જાગૃતિ

વિશ્વમાં બે પ્રકારની ભાષાનું અસ્તિત્વ છે :-
૧. યુક્તિની ભાષા, અથવા બુદ્ધિની ભાષા.
૨. સ્નેહની ભાષા, અથવા હૃદયની ભાષા.
યુક્તિની ભાષા, આ ક્રમવિનાની ભાષા છે. તર્ક વિતર્કની ભાષા છે. મનુષ્ય મનુષ્ય વચ્ચે ખાઇ કરનારી ભાષા છે. ત્યારે, સ્નેહની ભાષા તો હૃદયને જોડનારી ભાષા છે. આ તો સેવાની ભાષા છે. યુક્તિની ભાષા બોલનારા પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા, અન્યને પોતાના હાથના ઉપકરણો બનાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે, સ્નેહની ભાષા બોલનારા અન્યની સેવા કરવા, ઇશ્વરના હાથના ઉપકરણો બનવાની  ઇચ્છા કરે છે.

યુક્તિની ભાષાના બોલનારા યુક્તિવાદીઓ, પોતે જે કરે છે, માત્ર તે જ સાચું છે એવો વાદ કરે છે એટલું જ નહિ, બીજા જે કરે છે તે ખોટું છે તે પૂરવાર કરવા પ્રયત્નશીલ રહે છે. ત્યારે સ્નેહની ભાષા બોલનારા એવા હૃદયના વાદી, કોઇ હક કે દાવો કરતા નથી. વિનયપૂર્વક અન્ય લોકોને પ્રાધાન્ય આપે છે. ત્યાં “હું”જ કે “મારું”જ ને કોઇ પ્રાધન્ય નથી. ત્યારે યુક્તિમાં “હું”જ અને “મારું”જ ના અહમ્ભાવને જ પ્રાધન્ય છે. બધાજની સેવા કરવી, બધાનો ઉધ્ધાર કરવો, આ સ્નેહનો પક્ષ છે. બીજાને નીચા પાડી મારે મોટું થવું છે, આ મનોભાવ યુક્તિના પક્ષનો છે. સ્નેહ બધાજને નૂતન જીવન અર્પે છે. ત્યારે બુદ્ધિ બધાજને જીવનરહિત ઉપભોગની વસ્તુ બનાવે છે.

 

દુર્ભાગ્યવશ આજે યુક્તિભાષા અને કામાર્થી લોકો રાજ્ય સંચાલન કરે છે. તેમના પ્રતિનિધિઓ આ વિશ્વમાં અધિક સંખ્યામાં છે. ધર્મ અને આધ્યાત્મિકતાની પોતાની ઇચ્છા મુજબ વ્યાખ્યા કરી, દુર્બળ મનવાળા લોકોના મનમાં તે ઠોસી, તે જ સાચું છે એવો દાવો કરી, તેમને પોતાને આધીન કરે છે. પોતાનો સ્વાર્થ સંતોષવા, પોતાની રક્ષા કરવા તેઓ આ લોકોનો ઉપયોગ કરે છે. સમૂહમાં આવા નબળા મનના લોકોની સંખ્યામાં વૃધ્ધિ થઇ રહી છે. અને આ જ કારણ છે કે આજે વિશ્વમાં ભીષણ યુદ્ધ અને સંઘર્ષો ફેલાઈ રહ્યાં છે.

સ્ત્રીહૃદય અને પુરુષબુદ્ધિ એક થવા જોઇએ. તેઓએ એક થઇ, સાથે મળીને પ્રવૃત્ત થવું જોઇએ. આ કોલાહલનો અંત આણવા માટે આ એક જ ઉપાય છે.

એક દિવસ એક યુવક અમ્માના દર્શન માટે આવ્યો. તે પુત્ર, કોમી હુલ્લડ તેમજ ત્રાસવાદીઓના ભીષણ આક્રમણથી ગ્રસિત એવા કાશ્મિરના એક ગામમાંથી આવ્યો હતો. હત્યા કાંડ અને આગથી બળતા એવા આ ગામમાં જીવન નરક બની ગયું હતું. આ ગામમાં શાંતિ સ્થાપવા પ્રવર્તન કરતા આ પુત્રે અમ્માને કહ્યું, “અમ્મા, માથા ફરેલા આ ત્રાસવાદીઓને સારી બુદ્ધિ આપો. તેમની દુષ્ટતાના ભોગ બનેલી જનતાને ક્ષમા અને સહનશીલતાયુક્ત મન પ્રદાન કરો. નહિતર પરિસ્થતિ વધુ બગડશે. આનો કોઇ અંત નહિ આવે.”

શાંતિ અને ક્ષમાને સ્થાપિત કરવા માટેની તે પુત્રની પ્રાર્થના સાંભળી, અમ્માને ઘણો સંતોષ થયો. આ સમર્પણનો મનોભાવ તેને કેમ કરીને પ્રાપ્ત થયો, મેં જયારે તેને આ પૂછયું, ત્યારે જવાબમાં તે પુત્રે કહ્યું, “મારી માતાએ મારું આ દિશામાં માર્ગદર્શન કર્યું હતું. ભીષણ એવા અંતરિક્ષમાં મેં મારું બાળપણ વિતાવ્યું છેં. હું જયારે ૬ વર્ષનો હતો ત્યારે, સમાધાનના પ્રેમી એવા મારા પિતાની મારી નજર સમક્ષ આતંકવાદીઓએ કાપી કૂટીને કતલ કરી હતી. મારા પિતાની કતલ કરનારા વિરુદ્ધ પ્રતિકારની ચિંતા મારા મનને ઘેરી વળી. તેમ છતાં મારી માઁએ મારા મનને બદલાવી દીધું. મારા પિતાની હત્યાનું વેર લેવાના મારા વિચારને મેં અનેકવાર મારી માતાને કહ્યાં હતાં. અને દર વખતે મારી માઁ મને કહેતી, “પુત્ર, આપણા આ કુટુંબ તરફ તું સ્હેજ નજર કરી, વિચારી જો. આપણે કેટ કેટલું દુઃખ અનુભવીએ છીએ. કુટુંબને નિભાવવા માટે હું કેટલું કષ્ટ અનુભવું છું. બીજા ઘરોમાં વેતરા વેઠી હું તને મોટો કરું છું. પિતાના સ્નેહથી અજાણ તું કેટલો દુઃખી છે. બીજા બાળકોના પિતા જયારે તેઓને સ્કૂલમાં મુકવા આવે છે, ત્યારે, “મારે પણ પિતા હોત તો.” આ ઇચ્છાથી શું તારું મન દુભાયું નહિ હોય? તારી દાદીમાનો ચહેરો તું જો. તેમના ગાલપરથી આંસુઓ હજુય સૂકાયા નથી. પિતાની હત્યા કરનારનો પ્રતિકાર કરવાથી, આવા દુઃખ અને પીડા અનુભવનારાની સંખ્યામાં માત્ર વૃધ્ધિ જ થશે. હજુય આવા કેટલા દુઃખી ચહેરાઓને આ સમૂહમાં ઉમેરવા છે તારે? સ્નેહ અને ભાઈચારાની ભાવનાને વિકાસવાનો પ્રયત્ન આપણે કરવો જોઇએ. આપણને અને અન્યને શાંતિ મેળવવા માટેનો આ એક જ માર્ગ છે. માટે વિવેકપૂર્વક વિચાર કરી જો અને નિર્ણય કર.” જયારે જયારે હું મારી માઁ પાસે ગર્વપૂર્વક પ્રતિકારનો વિચાર મુક્તો, ત્યારે ત્યારે મારી માઁ મને આ પ્રમાણે ઉપદેશ આપતી.

“યુવાન થયો કે આતંકવાદીઓના સંઘમાં જોડાવા અનેક લોકોએ મને પ્રેરિત કર્યો. પરંતુ ત્યાં સુધી તો મારા જીવનનું લક્ષ્ય બદલાઇ ગયું હતું. વેર અને વિદ્વેષની લાગણીને ત્યજી, લોકોમાં શાંતિ અને સમાધાન સ્થાપવાનો હવેનો મારો પ્રયત્ન હતો. આતંકવાદીઓના સંઘમાંના અનેક યુવકોને, મારી માઁએ મને આપેલા ઉપદેશને મેં કહી બતાવ્યો. કેટલાકમાં હૃદય પલટો થયો. આમ તેઓ બધા ભેગા થયા, સ્નેહ અને શાંતિના સંદેશનો પ્રચાર કરતા એક સંઘનું રૂપાંતર થયું. જે સ્નેહ અને ક્ષમાના બીજને મારી માઁએ મારામાં રોપ્યાં હતાં, આજે તે મને સાચા માર્ગપર લાવ્યા છે.”

હિંચકો નાખતા માતાના હસ્ત, વિશ્વમાં પ્રકાશ ફેલાવતી જ્યોતિને ધારણ કરે છે. માતાના દૂધની સાથે મિશ્રિત માતાના સ્નેહપર વિશ્વના ભાવિનો નિર્ણય રહેલો છે. માતૃત્વ ધરાવતી સ્ત્રી જ્યાં હશે ત્યાં સ્વર્ગની સૃષ્ટિ તે કરશે. મનુષ્ય જાતિની આદિ ગુરુ, માઁ છે.

આ માટે જ, સ્ત્રીએ, તેને સહજ એવા તેના માતૃત્વને કયારેય વિસરવું ન જોઇએ. અગર જો  તે વિસરશે તો ભૂમિપરથી સ્વર્ગ અદ્રશ્ય થશે અને ભૂમિ નરક બની જશે. અંદર અને બહાર, એક સમાન યુદ્ધના વાદળા ઘેરાય રહશે.

“જીવનમાં વિજયી રહેલા બધાજ પુરુષોની પાછળ શક્તિશાળી એક સ્ત્રી રહેલી છે.” આ માત્ર એક કહેવત જ નથી. હકીકત છે. જયાં બાળકોમાં સારા સંસ્કાર જોવા મળે છે, જયાં લોકોમાં પરાજયનો સામનો કરવાની અસાધારણ શક્તિ જોવા મળે છે, જયાં ત્યાગ અને પીડિત લોકો પ્રત્યે પ્રેમ, દયા અને કરૂણા નજર આવે છે, ત્યાં બધેજ, તે વ્યક્તિની પાછળ, તેઓને તેવા બનવા માટેની પ્રેરણા આપી સહાય કરનારી મહાન એક માઁ હોય છે.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ ૭

 

 

વિશ્વમાતૃત્વની જાગૃતિ

આજના લોકોમાં કૃત્રિમતા ચેપી રોગની જેમ ફેલાઈ રહી છે. તે મનુષ્યના મનને પણ અસર કરી શકે છે. આ સંજોગોમાં સ્ત્રીત્વ, માતૃત્વ વ્યાજ ન થાય તેની ખાસ સંભાળ લેવાની છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, સ્ત્રીત્વ અને પુરુષત્વ ભેગા મળીને જ મનુષ્યત્વ બને છે. સ્ત્રીત્વમાં કૃત્રિમતા આવશે તો વિશ્વનો નાશ થશે, પ્રકૃતિની તાલબધ્ધતા તુટી પડશે. વિશ્વની રક્ષા માટે, પ્રકૃતિની તાલબદ્ધતા જાળવી રાખવા સ્ત્રીએ પોતાના સ્વભાવને જાળવવો જોઇએ. આ માટે તેને પુરુષનો હૃદયપૂર્વકનો સહકાર આવશ્યક છે.

પુરુષના સહજ એવા રજોગુણ સ્વભાવને સ્ત્રીના પ્રેમ, તેની કરૂણા અને ક્ષમા માત્રથીજ નિયંત્રણમાં રાખી શકાય. આ જ પ્રમાણે, સ્ત્રીના સ્વયં સિધ્ધ એવી સાત્વિક ભાવનાને અસીમિત બનાવવા પુરુષનું પૌરુષ અથવા રજોગુણ આવશ્યક છે. મત્સરબુદ્ધિ અને ક્રોધથી વ્યાપ્ત આજના આ યુગમાં પ્રકૃતિનો તાલ લય જે સંતુલિત કરે છે, તે છે સ્ત્રીની ક્ષમા અને સહનશીલતા. આપણે જો ગણતરી કરીએ તો સમૂહમાં દુષ્કૃત્યો, ચોરી અને હત્યા અધિકતમ્ પુરુષો કરે છે, સ્ત્રી નહિ.

આજના સમાજમાં જેની યર્થાથ આવશ્યકતા છે તે છે સ્ત્રી અને પુરુષ વચ્ચે ગાઢ બંધન, સહકાર. પુરુષ અને સ્ત્રી પરસ્પર સહયોગ કરે તો, આજે દેખાઇ રહેલી અશાંતિ, વિસંવાદ, સંધર્ષો, યુદ્ધ બધુંજ ઘણા પ્રમાણમાં ઘટી જાય. આજે આ તાલબદ્ધતા ખંડિત થઇ છે. આપણે આને ફરી સ્થાપિત કરવાની છે. ત્યારેજ વિશ્વની તાદાત્મ્ય સાધી શકાશે.

વિદ્યુતના પ્રવાહને પોઝિટીવ અને નેગેટીવ એમ બે ધ્રુવ હોય છે, બરાબર આ જ પ્રમાણે જીવનના પ્રવાહને પૂર્ણ કરે છે, પુરુષની સાથે સ્ત્રીનું સાન્નિધ્ય. સંસ્કાર ત્યારે પુષ્પિત થાય છે જયારે સ્ત્રી અને પુરુષ પરસ્પર દુઃખ સુખમાં સહયોગી બની, પોતપોતાનો ધર્મ આચરે છે.

સ્ત્રીમાં પુરુષ અને પુરુષમાં સ્ત્રી છે. પૂર્વે ઋષિઓએ ધ્યાનમાં, અર્ધ નારીશ્વરના સંકલ્પની સત્યતાને પ્રકાશિત કરી હતી. સ્ત્રી પુરુષનો અર્ધો ભાગ છે અને પુરુષ સ્ત્રીનો અર્ધો ભાગ. સ્ત્રીગુણયુક્ત હૃદય શુદ્ધિ અને પુરુષગુણયુક્ત બુદ્ધિશક્તિ જીવનમાં જયારે સાથે જાગૃત થશે, સાથે વિકસશે ત્યારે પ્રત્યેક વ્યક્તિ પૂર્ણતાને પ્રાપ્ત થશે. આ શક્ય છે, કારણ કે આ બંને ગુણ સ્ત્રી અને પુરુષમાં અંતરલીન છે.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ  ૬

 

વિશ્વમાતૃત્વની જાગૃતિ
અક્ષરમાળા રીતસરથી શિખવી હોય તો તેનો આરંભ હરિઃશ્રીથી જ થાય. શ, ષ, સ, હ થી ન થાય. જો શરૂઆત સરસથી થાય તો મધ્ય અને અંત પણ સરસ થાય. માત્ર શ્રધ્ધા અને ધીરજ હોવી જરૂરી છે. કારણ કે, આધારમાં જયારે ત્રૂટી હોય છે, ત્યારે સ્ત્રીના અનેક કાર્યોમાં ત્રુટી નજર આવે છે. ઉદાહરણ તરીકે, ન્યાયની દ્રષ્ટિએ સમાજમાં બધાજ ક્ષેત્રોમાં પુરુષને બરાબર સ્થાન સ્ત્રીને પણ મળવું જોઇએ. આ તેનો અધિકાર છે. આ માટે પ્રયત્ન કરવો ઠીક છે પરંતુ, શરૂઆત બરાબર હોવી જોઇએ. આજે શરૂઆતમાં જ ભૂલ થાય છે અને આ માટેની અનેક ખોટી ધારણાઓ બાંધવામાં આવી છે એમ અમ્મા કહે છે. શરૂઆતને ત્યજી, અંત તરફ દોટ મુકવી. આ તો હરિ શ્રીઃ ભણ્યા વિના અંતિમ અક્ષર શ, ષ, સ, હ થી ભણવાની શરૂઆત કરવા જેવું થયું.

સ્ત્રીના હરિ શ્રીઃ, તેના જીવનનો આધાર શું છે? સ્ત્રીને શું સ્ત્રી બનાવે છે? તેના આધારમાં રહેલા તેના મૂળ ગુણ. જેમ કે, માતૃત્વ, પ્રેમ, કરૂણા અને ક્ષમા. સ્ત્રી કોઇપણ ક્ષેત્રમાં પ્રવૃતિ કરે ત્યારે પ્રકૃતિ કે ઇશ્વરદત્ત આ ગુણોને તે ભૂલી શકે નહિ. એટલું જ નહિ, આ ગુણોમાં દ્રઢતાપૂર્વક સ્થિર રહી, સ્ત્રીએ કોઇપણ ક્ષેત્રમાં કાર્ય કરવું જોઇએ. સ્ત્રીનો આધાર, તેના જીવનના હરિશ્રીઃ, માતૃત્વ છે.

પુરુષોમાં સામાન્યતઃ કેટલાક ગુણો જે પ્રત્યક્ષ નથી દેખાતા, તે સ્ત્રીમાં જોવા મળે છે. પુરુષનું મન સામાન્યતઃ તે જે કાર્ય કરતો હોય કે તે જેનું ચિંતન કરતો હોય છે તેમાંજ ચીટકેલું હોય છે. ખાબોચિયાના પાણીની જેમ, શક્તિનો સંગ્રહ છે પુરુષ. મનને એક ભાવનામાંથી બીજી ભાવના તરફ લઇ જવું, પુરુષ માટે અઘરું છે. આ કારણથી જ કેટલાક પુરુષોના ઔદ્યોગિક જીવન અને કૌટુંબિક જીવનમાં ગૂંચવણ ઊભી થાય છે. બંનેને અલગઅલગ રીતે જોવાનું પુરુષોથી ન થાય. ત્યારે સ્ત્રીમાં આ તેનો જન્મજાત સ્વભાવ છે.

વહેતી નદીની જેમ, વહેતી શક્તિ છે સ્ત્રી. આ કારણે, કેટલાક કાર્યોમાં સ્વયંને તેમાં વ્યાપ્ત કરવાને, બધાજ કર્મો સુંદર રીતે કરી, તેમાં પૂર્ણત્વ સ્ત્રી પ્રાપ્ત કરી શકે છે.  વાત્સલ્યસભર માઁની જેમ, શિક્ષણમાં, વિવેકબુદ્ધિને વિકસાવવા, બાળકની રક્ષા કરી, તેનો યોગ્ય ઉછેર કરવો સ્ત્રી માટે શક્ય છે. કુટુંબના કલ્યાણની અને કુટુંબમાં એકતા જાળવવા માટેની લગામ, સ્ત્રીના હાથમાં છે. સ્ત્રીને એક માઁ તરીકે, પત્ની તરીકે, પતિનો આત્મવિશ્વાસ વિકસાવનારી તરીકે, પતિના મિત્ર બનવું, સ્ત્રી માટે સરળ છે. કુટુંબનું માર્ગદર્શન કરવું તેમજ ઉપદેષ્ટા બનવાનો વિશેષ ગુણ  સ્ત્રીમાં છે. ઉદ્યોગપતી તરીકે પણ સ્ત્રી વિજયી રહી શકે છે. ગૃહજીવન તેમજ ઔદ્યોગિક જીવન તે સારી રીતે જોડીને રહી શકે છે. ત્યારે પુરુષોમાં આ બધા ગુણો એક સાથે ભાગ્યેજ જોવા મળે છે. ઑફિસની ઔદ્યોગિક પદવીને તે ઘરમાં સાથે લઇ આવે છે. અને તેનો આ સ્વભાવ તે પત્ની અને બાળકો સાથેના તેના વર્તનમાં વ્યકત કરે છે. કેટલાક પુરુષોનો આ સ્વભાવ છે. સ્ત્રીમાં આ દોર્બલ્ય ભાગ્યેજ જોવા મળે છે.

સંજોગોનો પ્રતિકાર કરવાનો સ્વભાવ સામાન્યતઃ પુરુષોમાં જોવા મળે છે.સંજોગો ને પ્રતિફલ અથવા તેઓને કારૂણ્યપૂર્વક પરિગણવું પુરુષમન માટે કઠિન છે. ત્યારે સ્ત્રીનું મન સાહજર્યોનો સમાન ભાવે પ્રતિકાર કે પ્રતિફલ આપી શકે છે. અન્યના દુઃખને સ્ત્રી સારી રીતે સમજી શકે છે. તેમજ કરૂણાપૂર્વક તે તેનો પ્રતિફલ આપવાનો ગુણ પણ ધરાવે છે. આ સાથે જીવનમાં આવતા પડકારોને ઝીલવાની શક્તિ અને સંદર્ભોને અનુસરી તેમાંથી ઉપર ઊઠવાની ક્ષમતા પુરુષ કરતાં સ્ત્રીમાં વધુ છે.

પ્રતિકરણ અને પ્રતિફલ વચ્ચે સંતુલન જાળવવા માટેની ક્ષમતા સ્ત્રીને તેના માતૃત્વની શક્તિમાંથી પ્રાપ્ત થાય છે. આ શક્તિ થકી, જેટલું તાદાત્મ્ય તે પ્રાપ્ત કરે છે તેટલીજ શક્તિ તેનામાં વધુ જાગૃત થાય છે. આ સમયે સ્ત્રી જાગૃત થાય છે. હવે તેના શબ્દોને સમૂહ ધ્યાનથી સાંભળવાની શરૂઆત કરે છે. આ સમયે સ્ત્રીના પુનરુત્થાનનો આરંભ થાય છે.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ ૫

 

 

બાળકો, આપણામાં એવું કોઈ છે કે, જેને હસવું ન ગમે? નહિ! ક્યારેય જે હસે નહિ, એવું જો કોઈ હોય, તો તેનું કારણ હશે કે, તેમના અંતર દુઃખથી અને કઠણાઈઓથી છલોછલ ભરાયેલા છે. તે જો દૂર થાય, દુઃખ  ઓછા થાય, તો તેઓ આપમેળે હસવાની શરૂઆત કરશે. પરંતુ, આપણામાં એવા કેટલા છે જે હૃદય ખોલીને હસી શકે છે? કોઈ મજાક કરે અથવા મિત્રોને મળીએ, ત્યારે આપણા ચહેરા પર હાસ્ય ખીલી ઊઠે છે. પરંતુ, આ સાથે અંદરને અંદર ક્યાંય એક થોડું દર્દ આપણે અનુભવતા હોઈએ છીએ. સાચું હાસ્ય તો હૃદયમાંથી આવવું જોઈએ. આ પ્રકારનું હાસ્ય, જે આપણી નજીક ઊભું હશે, તેની અંદર પણ પ્રકાશ પાથરશે. શું આપણાથી આ થઈ શકે છે?

આજે આપણામાંના ઘણાખરા લોકોના હાસ્ય, ચહેરાના સ્નાયુઓના સંકોચન અને વિકાસની ક્રિયા માત્ર જ છે. ત્યાં હૃદયની શુદ્ધી નથી. બીજા લોકોએ કરેલી ભૂલોને યાદ કરી, હસવું એ યથાર્થ હાસ્ય નથી.  આપણા હાથે જે ભૂલ થાય છે, તેને યાદ કરી ખડખડાટ હસવાને થવું જોઈએ. સર્વકાંઈને વિસરી, તે પરમ તત્વને યાદ કરી હસવાને થવું જોઈએ. તે જ યથાર્થ હાસ્ય છે. આનંદનું હાસ્ય છે. આજે આપણે બીજા લોકોના દોષ યાદ કરી અથવા બીજા લોકોનું ખરાબ બોલીને હસીએ છીએ. બાળકો, આપણે જ્યારે બીજાનું ખરાબ બોલીએ છીએ, ત્યારે તે સ્વયંનું ખરાબ બોલવા જેવું થયું.

અમ્માને એક કહાણી યાદ આવે છે. એક ગુરુને બે શિષ્યો હતા. બંને શિષ્યો એક સમાન અહંકારી હતા. એટલું જ નહિ, પરસ્પર એકબીજાનું ખરાબ બોલતા રહેતા. ગુરુએ ઘણા સમજાવ્યા છતાં, તેમના સ્વભાવમાં કોઈ પરિવર્તન આવ્યું નહિ. છેવટે ગુરુએ એક ઉપાય શોધી કાઢ્યો. એક દિવસ રાત્રે, જયારે તેઓ બંને ગાઢ નિદ્રામાં હતા, ત્યારે ગુરુએ તેમના ચહેરા  વિવિધ રંગોથી, વિદૂષક જેવા રંગી દીધા. સવારે તેમાંનો એક ઊઠયો. પાસે સૂતેલા બીજાને જોઈ મોટેથી ખડખડાટ હસવા લાગ્યો, “હા..હા.. હી.. હી…” એમ. હાસ્યનો અવાજ સાંભળતા બીજો શિષ્ય જે હજુય સૂતો હતો, જાગી ગયો. આંખ ચોળીને જોયું તો તેની સામે તેનો સહપાઠી હાસ્ય કરતો બેઠો હતો. તેનો ચહેરો જોઈ,   બીજો  શિષ્ય મોટેથી અટ્ટહાસ્ય કરવા લાગ્યો. બંને એકબીજાના ચહેરા જોઈ મોટેથી ગર્જના કરતા હસવા લાગ્યા. આ વચ્ચે કોઈ કયાંયથી એક અરીસો ઉપાડી લાવ્યો અને તે બંનેમાંથી એકને દેખાડતા કહ્યું,  “અરે, જો તો ખરા…” તેણે તે અરીસો પોતાના હાથમાં લીધો અને તેને ફેરવી બીજાના મુખ પર દેખાડતા કહ્યું, “પહેલાં તું તો જો..” આ સાથે બંને જણ હસતા બંધ થયા.

બાળકો, આપણે પણ આવા જ છીએ. આપણે જયારે બીજાના દોષ કાઢી હસીએ છીએ, ત્યારે તેઓ આપણી ભૂલોને જોઈ પરિહાસ કરે છે. આ આપણે નથી જાણતા.

બાળકો, બીજા લોકોના દોષ જોવા અને  તે પર હસવું, સરળ છે. પરંતુ, આમ ન કરતા આપણે તો આપણી પોતાની ખામીઓને જોઈ ખડખડાટ હસવાને થવું જોઈએ. તે જ આપણને પ્રગતિ તરફ દોરી જાય છે.

સુખનું પણ આમ જ છે. આપણે બે રીતે સુખી થઈએ છીએ. સુખ મળતા થતું સુખ અને અન્યને દુઃખ આવતા આપણને થતું સુખ. આ પ્રમાણે દુઃખ પણ બે પ્રકારના છે. આપણું દુઃખ અને આ સાથે બીજાનું સુખ, એ આપણું દુઃખ હોય છે.

એક વેપારી હતો. તેણે પાડોશી દેશમાં જહાજભરીને સામાન મોકલ્યો. પણ તેનું જહાજ ડૂબી ગયું. આ સમાચાર સાંભળતા તે વેપારીને એટલું તો દુઃખ થયું કે તેના બેહાલ થયા. ખોરાક નહિ, નિદ્રા નહિ, બોલવું નહિ.  જહાજ ડૂબી જતાં થયેલી નુકસાનીનો જ એક વિચાર હતો. ઘણા ડૉકટરો અને મનોવિજ્ઞાનીઓએ  તેમને જોયા. છતાં તેમની બીમારીમાં કે દુઃખમાં કોઈ પરિવર્તન આવ્યું નહિ. મુંગાની જેમ તે તેની પથારીમાં પડયો હતો. આમ એક દિવસ તેનો પુત્ર દોડતો આવ્યો અને કહ્યું, “બાપા, બાપા, તમને કાંઈ ખબર પડી. વેપારમાં જે હંમેશા તમારી વિરૂદ્ધ બોલી, તમને પડકાર કરતો હતો, તેના કારખાનામાં આગ લાગી. કંઈ જ બાકી નથી રહ્યું. બધું ભસ્મ થઈ ગયું.” આ સાંભળતા જ જેનાથી પાણી સુધ્ધા પીવાને થતું ન હતું, મુંગાની જેમ જે પથારીમાં પડયો હતો, તે વેપારી ઊછળીને બેઠો થઈ ગયો. મોટેથી અટ્ટહાસ કરતા તે કહેવા લાગ્યો, “સારું થયું. તે તો એ જ લાગનો  છે. હું હંમેશા વિચારતો હતો કે તેના અહંકારને લીધે, આવું જ કંઈ થવું જોઈએ. પુત્ર, જા બાપા માટે ખાવાને કંઈક લઈ આવ.”  ખોરાક નહિ, નિદ્રા નહિ, વાચા નહિ, તે વ્યક્તિને જયારે જાણ થઈ કે બીજાની સંપત્તિ નાશ પામી, તો તે સુખમાં પોતાનું દુઃખ ભૂલી ગયો.

બાળકો, આજે આપણું સુખ આવું છે. બીજાના દુઃખમાં આપણું હાસ્ય રહેલું છે. આ યથાર્થ હાસ્ય નથી. આપણે તો બીજાના દુઃખમાં દુઃખી, અને સુખમાં સુખી થવું જોઈએ. બધાને પોતાના આત્માના અંશ તરીકે જોવાને આપણાથી થવું જોઈએ. નિઃસ્વાર્થતા દ્વારા, પ્રેમ દ્વારા, આપણા હૃદયને શુદ્ધ કરીએ, તો જ આનંદ કે જે આપણો સહજ સ્વભાવ છે, આપણે તે અનુભવી શકીએ. ત્યારે આપણાથી હૃદય ખોલીને હસવાને થઈ શકે. ત્યાં સુધી આપણું  હાસ્ય કેવળ એક યાંત્રિક કર્મ જ છે. આપણે ક્યારેય તેમાં સાચો આનંદ અનુભવતા નથી.