એક બ્રહ્મચારી પોતાની મૂછ પર હાથ ફેરવતો, વિચારોમાં ખોવાયેલો બેઠો હતો. અમ્માએ આ જોયું.

”અમ્મા : “તારો હાથ હટાવ. એક બ્રહ્મચારી માટે આવી ખરાબ આદતો સારી નથી. બ્રહ્મચારી જ્યારે એક સ્થળ પર બેસે, ત્યારે તેણે તેના શરીરને કે હાથ પગને અનાવશ્યક હલાવવા ન જોઈએ. પગેથી ટપ ટપ અવાજ કરવો, હાથ હલાવવા કે મૂંછે તાવ દેવો, આ બધી આદતો એક સાધકને શોભે નહિ. એક સાધકે હંમેશા નિશ્ચલ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.

એક બ્રહ્મચારીણી અમ્મા પાસે આવી અને જણાવ્યું કે આશ્રમમાંથી ઘણી થાળી અને પ્યાલા દેખાતા ન હતા. “આશ્રમની અંદર જે બધી થાળીઓ અને પ્યાલા છે, તે બધું અહીં લઈ આવો. એક થાળી કે પ્યાલો ક્યાંય પડેલા ન દેખાવા જોઈએ. બધું અહીં લઈ આવો.” અમ્માએ કહ્યું.

દરેક બ્રહ્મચારીને પોતાના વ્યક્તિગત વપરાશ માટે એક થાળી અને પ્યાલો તેમની ઝૂંપડીમાં સાચવીને રાખવા માટે આપ્યા હતા.

પાસે જે બ્રહ્મચારીઓ બેઠા હતા, અમ્માએ તેમને કહ્યું, “બાળકો, તમારે આ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જમીને પછી જ્યાં ત્યાં થાળી અને પ્યાલો મુકી દેવાથી, તે ગુમ થયા છે. ”ત્યાર પછી, દરેકને તેમના નામ લખેલી થાળી અને પ્યાલા આપ્યા. તો તેમાંથી પણ કેટલીક ઓછી થઈ. એકની થાળી દેખાશે નહિ, તો તે બાજુના ઓરડામાંથી બીજાની થાળી ઉપાડી લાવશે. તે ઓરડામાં રહેતો બ્રહ્મચારી જ્યારે પોતાની થાળી લેવા ઓરડામાં જશે તો ત્યાં તે નહિ દેખાય. શું કરવું? છેવટે પછી થાળીના ઝઘડાનું નિવારણ કરવા અમ્માએ ત્યાં જવાનું.” અમ્મા હસવા લાગ્યા. “આ છોકરાઓ તો નાના બાળકો કરતાં ય બેજ છે!”

બ્રહ્મચારીઓ પોતપોતાની થાળી અને પ્યાલો લઈને હાજર થયા. અમ્માએ ગંભીર મનોભાવ ધારણ કર્યો.

અમ્મા : “હવે પછી કોઈએ પોતાની થાળી સિવાય અન્ય કોઈની થાળીમાં ખાવાનું નથી. તમે જો તમારી થાળી ગુમાવી હોય તો તે જ સમયે તમારે તે કબૂલ કરતા શીખવું જોઈએ. ક્યારેય પોતાના લાભ ખાતર, પ્રાણ જાય તો પણ, ખોટું બોલશો નહિ! હવે પછી તમારી બેદરકારીને કારણે, જ્યાં ત્યાં થાળી કે પ્યાલા મુકીને ગુમાવ્યા છે, તો અમ્મા કંઈ જ ખાશે નહિ. આ યાદ રાખશો!”

થોડીવારમાં અમ્માની સામે બધી થાળીઓ અને પ્યાલા રાખવામાં આવ્યા. અમ્માએ તેની ગણતરી કરી. ઘણી થાળીઓ અને પ્યાલા ઓછા થયા હતા.

અમ્મા : “બાળકો, તમારી બેદરકારીને કારણે જ, આટલી બધી થાળીઓ અને પ્યાલા આપણે ગુમાવ્યા છે. બધા પ્રકારના લોકો અહીં આવે છે. વાસણનો ઉપયોગ કરી, તમે તેને જ્યાં ત્યાં મુકી દયો તો જેને તેની જરૂર લાગે, તેઓ તે ઉપાડી લેશે. ચોરી કરવા માટે તેમને અવસર બનાવી આપવો, અને પછી તેમને જ દોષ આપવો? ભૂલ કરવા માટે અવસર બનાવી આપવા બદલ તમને દોષ આપવો જોઈએ.

“રોજ જે વાસણ લો, તેને ગણતરી કરીને તે જ દિવસે પાછા મૂક્યા હોત, તો આ સમસ્યા ઊભી થાત શું? તમને પૈસાની કિંમત નથી. કોઈ વસ્તુ ગુમ થાય તો તમને શું ફરક પડવાનો?

“અમ્મા કઠિન પરિસ્થિતિઓમાં મોટા થયા છે. એક એક પાઈની કિંમત અમ્મા જાણે છે. એક ચા બનાવવા માટે, લાકડું ભેગું કરવા અમ્માને કેટલું કષ્ટ ઉઠાવવું પડતું હતું. અમ્માએ ગરીબીની કઠિનાઈઓ જોઈ છે. આમ એક ખીલી પણ અમ્મા વ્યર્થ નહિ જવા દે. લાકડાનો એક સામાન્ય ટૂકડો પણ, અમ્મા માટે નક્કામો નથી. અમ્મા તેની ઉપયોગિતા, તેના મૂલ્યનો વિચાર કરે છે. પરંતુ બાળકો, તમે જ્યારે કોઈ વસ્તુને રસ્તામાં પડેલી દેખશો તો તેને લાત મારી દૂર ફેંકી દેશો. વરસાદમાં તેને ભીંજાતા જુઓ તો પણ તેને ઉપાડીને કોરી કરી, તેને બગડતા બચાવવાનો વિચાર તમે નહિ કરો. પરંતુ, અમ્મા તેને વ્યર્થ ગણી નકારી શકે નહિ. બાળકો, શું આપણે એક પાંચ પૈસાનો ઘા કરી શકીશું? નહિ કારણ કે તે “પાંચ પૈસા” છે. આ સાથે, તે “પાંચ પૈસા”થી શું આપણે લાકડાનો ટૂકડો પણ ખરીદી શકીએ? સૂકું લાકડુ ન હોય તો આપણે કેવી રીતે રાંધી શકીએ? આપણા હાથમાં હજારો રૂપિયા હશે, પણ બળતન માટે તો આપણને લાકડુજ જોઈએ, નહિ શું? આ જ પ્રમાણે, દરેક વસ્તુની ઉપયોગિતા અને તેની કિંમતનો વિચાર કરવો જોઈએ. ત્યારે કંઈ જ વ્યર્થ નહિ લાગે.

“હોસ્પિટલોમાં જઈને જોવું જોઈએ. ઈંજેક્શન માટે શુદ્ધ જળ નથી. બહારથી તે ખરીદવા માટે બે ત્રણ રૂપિયા જોઈએ. એટલા પૈસા પણ હાથમાં ન હોવાથી ઘણા રોગીઓ કલાકો સુધી વેદના અનુભવતા હોય છે. એક ઈંજેંકશન લે, તો તેમની વેદના દૂર થાય પણ તે ખરીદવા જેટલી પણ તેમનામાં તાકત ન હોવાથી, તેઓ વેદના સહન કરતા હોય છે. તેમના માટે, બે રૂપિયા એટલે મોટી વાત છે! બાળકો, અમ્માએ ઘણા બીમાર લોકોને વેદના અનુભવતા જોયા છે, વેદનામાંથી રાહત મેળવવા એક ટીકડી ખરીદવા માટે તેમની પાસે પૈસા નથી. બાળકો, તમારાં પ્રત્યેક કાર્યમાં તમારે તે લોકોને યાદ કરવા જોઈએ.

“ઈશ્વર સર્વવ્યાપી છે. અસહ્ય પીડા સહન કરતા આ લોકો, તે ઈશ્વરના જ સંતાન છે. આપણા ભાઈભાંડુ છે. તેમનો વિચાર કરવાથી, આપણામાં યથાર્થ જાગરૂકતા કેળવાય છે. જ્યારે તમે એક રૂપિયો પણ વ્યર્થ ખર્ચ કરો, ત્યારે એ યાદ રાખશો કે, કોઈ દસ કલાક સુધી તમારાં કારણે સતત વેદના અનુભવી રહ્યું છે! તે ગરીબ વ્યક્તિની વેદનાનું કારણ, તમે છો. તમારી બેદરાકરી છે. તમારું આ કાર્ય સમૂહ માટે પીવાના પાણીની ટાંકીમાં કીચડ ફેંકવા જેવું છે. તમારું આ વર્તન અમ્માને તે બીમાર લોકોનું સ્મરણ કરાવે છે. કારણ કે, તમે જે પૈસાનો બગાડ કર્યો છે, તે રકમ જો હાથમાં હોત તો અમ્મા તે બીમાર લોકો માટે દવા ખરીદી શક્યા હોત. આ બધાથી ઉપરી, જાગરૂકતા વિનાના તમારાં આ કાર્યો, તમારી અંદર રહેલા બહુમૂલ્ય રત્નને પ્રકાશિત કરવા, તેમાં રહેલા માલિન્યને દૂર કરવા આવશ્યક બળતણનો નાશ કરે છે.”

અમ્માએ બ્રહ્મચારીણીને બોલાવી.

અમ્મા : “હવે પછી રસોડાના વાસણની જવાબદારી તને સોંપુ છું. સવારના જે લોકો પિરસવા આવે, તેમને આવશ્યક થાળી અને પ્યાલા તારે ગણીને આપવાના રહેશે. રાત્રે પછી, તે જ સંખ્યામાં થાળી અને પ્યાલાને ગણીને પાછા લેવાના. જે ગયા, તે ગયા. હવે પછી જો કંઈ ઓછું થશે, તો તે માટે તું જવાબદાર હશે.

“પ્રત્યેક કાર્યમાં, આજે આપણે જે કાળજી દાખવીશું, તે આપણને ઈશ્વરની નજીક દોરી જશે. આપણે બાહ્ય કાર્યોમાં જે જાગરૂકતા દાખવીશું, તે આપણી અંદર રહેલી નિધિને સાચવીને રાખતું કવચ છે. માટે, મારાં વહાલા બાળકો, દરેક કાર્ય કાળજીપૂર્વક કરી આગળ વધો. નાની નજીવી બાબતો પર ધ્યાન આપીને જ, અમ્માએ મહાન વસ્તુઓનું જ્ઞાન મેળવ્યું હતું!”

રસોડામાંથી અમ્મા આશ્રમના ઉત્તર ભાગ તરફ ચાલીને ગયા. એક જગ્યા પર, માર્ગની બાજુ પર થૂંકતા, અમ્માનું થૂંક એક જંગલી ભાજીના છોડ પર પડયું. જ્યાં કોઈ છોડ ન હતા, તે સ્થળમાં થૂંકવા છતાં, પવનના પ્રવાહમાં તેમનું થૂંક આ છોડના પાન પર પડયું હતું. અમ્માએ તરત મગમાં પાણી લઈ, હળવે હાથે તે છોડના પાન પાણીથી સાફ કર્યા. તે છોડ પર જ અમ્માએ પોતાના હાથ ધોયા અને પછી તે મગ પાછો તેની જગ્યા પર મૂકી આવ્યા.

નળ હોવા છતાં, અમ્મા સામાન્યતઃ મગમાં જ પાણી લઈને હાથ મોં ધોતા. નળ ખુલો રાખીએ તો જરૂર કરતાં વધારે જ પાણી વપરાય છે. અનાવશ્યક કરેલું કોઈ પણ કામ અધર્મ છે. આ જ પ્રમાણે, જે કામ આપણે કરવાનું છે, તે ન કરીએ તો તે પણ અધર્મ છે. જો કોઈ પૂછે કે ધર્મ શું છે, તો અમ્માનો જવાબ હશે, “જરૂરી કાર્ય, યોગ્ય રીતે, યોગ્ય સમયે કરવું, એ જ ધર્મ છે.”

આ પ્રમાણે અનેક બાબતોપર વિચાર કરવા છતાં, અંતરમાં ક્યાંય એક નાની શંકા જાગ્યા વગર નહિ રહે. તે છોડના પાન પર થોડું થૂંક પડતા, શું તે છોડના પાન ધોવા ખરેખર જરૂરી હતું? ચાલતા ચાલતા અમ્મા, મનની શંકાઓ સમજી ગયા હોય તેમ તેનો જવાબ આપતા બોલ્યા :“તે છોડવામાં પણ જીવ છે.”

એક ક્ષણ માટે અમ્માએ બધાના ચહેરા પર નજર કરી. પછી તેઓ ભોજન ખંડમાં આવ્યા. થોડા બ્રહ્મચારીઓ રાત્રીના ભોજન માટે સાગ્‌ના મૂળીયાની છાલ કાઢી, તેને સુધારતા હતા. અમ્મા પણ તેમની સાથે ત્યાં બેસી ગયા અને તે કામમાં જોડાયા.

અત્યારે બપોરના ચાર વાગ્યા હતા. પોતાના ત્રણ બાળકો વહેલી સવારના ત્રણ ચાર વાગ્યાથી રસોડામાં કામ કરતા હતા અને હવે તેમને ખાવાને કંઈ જ ન હતું. પોતાના ત્રણ બાળકો ભૂખ્યા રહે, એ અમ્માથી કેમ સહન થાય. હવે ફક્ત ત્રણ જણા માટે ભાત રાંધવા માટે સમય લાગે. ખાવા માટે બીજું કંઈ જ ન હતું.

અમ્માને ચિંતિત જોઈ તે ત્રણ બ્રહ્મચારીઓએ અમ્માને કહ્યું, “અમ્મા અમને ભૂખ નથી. અમને કંઈ જ નથી જોઈતું.” નિશ્ચયપૂર્વક કહેવા છતાં, અમ્મા સંમત થયા નહિ. “બાળકો, દસ મિનિટ રાહ જુઓ, અમ્મા હમણા જ પાછા આવે છે.” આટલું કહી હાથમાં વાસણ લઈ, અમ્મા બહાર ગયા. કદાચ અમ્મા સુગુણાચ્ચન (અમ્માના પિતા)ના ઘરે ગયા હશે. અથવા, કોઈ ભક્તે ખોરાકની વસ્તુ જો ભેટ ધરી હોય, તો તે લઈ આવવા માટે પોતાના ઓરડામાં ગયા હશે. બ્રહ્મચારી બાળકોએ આ દરમ્યાન રસોડું સાફ કરી, વાસણ બધા માંજી લીધા.

ત્યાં સુધીમાં તો સંતોષપૂર્વકના સ્મિત સાથે અમ્મા પણ પાછા ફર્યા તેમનો ચહેરો, પૂર્ણિમાના ચંદ્રની જેમ ચમકતો હતો. પોતાના બાળકોને દેવા, કંઈક ખાવનું મળી ગયું હશે. જીજ્ઞાસાવશ બ્રહ્મચારી બાળકોએ પાત્રમાં જોયું, પાત્રભરીને ભાત હતા — કાચા ચોખાના ભાત, પાકા ચોખાના ભાત, બધા પ્રકારના ભાત તે પાત્રમાં હતા!

“અમ્મા!” અજાણતા જ એક બ્રહ્મચારીના મુખમાંથી નિકળી ગયું. આંખો ભરાઈ આવી. બાળકો માટે અમ્માએ આજુબાજુના પાડોશના ઝૂંપડાઓમાં જઈ, ભિક્ષા માગી હતી! તેનો જ સંતોષ અમ્માના મુખ પર વર્તાતો હતો.

આજુબાજુના પાડોશી બધા ગરીબ માછીમારો હતા. સમુદ્રમાં જઈ માછલી પકડી, તેમનું ગુજરાન ચલાવતા. તેમને જ પૂરતું ખાવાનું ન હતું. માટે, અમ્માએ દરેક ઝૂપડીમાંથી ફક્ત એક એક મુઠી જ ભાત લીધા હતા.

બ્રહ્મચારીઓની નજર દીવાલ પર ટાંગેલા ભગવાન શિવના ચિત્રપર પડી. ચિત્રમાં ભગવાન શિવ હાથમાં ભિક્ષાપાત્ર લઈ, સિંહાસનપર બીરાજમાન દેવી અન્નપૂર્ણા પાસે ભીક્ષા માગી રહ્યાં હતા. આજે અહીં સ્વયં દેવીએ માછીમારોના ઝૂંપડા પર ટકોરા મારી, પોતાના બાળકો માટે ભિક્ષા માગી હતી! અમ્મા નીચે જમીન પર, બારણાને અઢેલીને બેઠા. અન્ય બ્રહ્મચારીઓ તેમને વિંટળાઈને બેસી ગયા. વાસણમાં જે કંઈ થોડો સંભાર હતો તે ભાતમાં ભેગો કરી, તેના નાના દડા બનાવી, અમ્માએ પોતાના હાથે બાળકોને ખવરાવ્યું.

“એક વધું કોળિયો!” અમ્માએ કહ્યું.

“નહિ અમ્મા, તમારાં માટે કંઈ જ નહિ રહે”

“બાળકો, તમારું પેટ ભરાય, તેમાં જ અમ્માની તૃપ્તિ છે!” આગ્રહપૂર્વક અમ્માએ બધાને એક કોળિયો વધુ ખવરાવ્યો. હવે ભાતના બે કોળિયા અને સંભારમાંથી એક ટુકડો બટેટાનો બાકી હતો. અમ્માએ તે ખાધું અને તૃપ્તિ અનુભવતા ઊભા થયા.

“અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકરપ્રાણવલ્લભે

જ્ઞાનવૈરાગ્ય સિદ્ધયાર્થમ્‌ ભિક્ષા દેહી ચ પાર્વતિ.”
— શ્રી શંકરાચાર્ય

અમ્મા ઑફિસની સામેના દાદરાપર બેઠા હતા. થોડા લોકો તેમની આસપાસ બેઠા હતા. આશ્રમની એક શાખાનું કાર્ય સંભાળતા વ્યક્તિને છુટો કરી, કોઈ નવી વ્યક્તિને નિયુક્ત કરવા, એક બ્રહ્મચારી અમ્માને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે બધું અમ્માએ ધ્યાનથી સાંભળ્યું. છેવટે અમ્માએ કહ્યું, “અમ્માનું લક્ષ્ય તો લોઢું અને કથીરને સોનામાં પરિવર્તિત કરવાનું છે. સોનાને સોનામાં પરિવર્તિત કરવાની જરૂર નથી. ”

બ્રહ્મચારીએ ફરી પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો.

અમ્મા : “પુત્ર, સાંભળવા જેટલીય ધીરજ દેખાડ. તેમને કમીટીમાં સ્વયં અમ્માએ જ રાખ્યા છે, ખરું ને? આ પાછળ અમ્માનો કોઈ ઉદ્દેશ હશે, તારે એ વિચારવું જોઈએ. મેં સર્વપ્રથમ, સ્વયંનો અભ્યાસ કર્યો. પછી આ સમગ્ર વિશ્વ વિષે જાણ્યું; ત્યાર પછી જ, અમ્માએ આ વેશ ધારણ કર્યો છે. તે લોકોનું કેવી રીતે માર્ગદર્શન કરવું, તે અમ્મા જાણે છે. અમ્માએ અબજો લોકોના કષ્ટો અને દુઃખો નથી જોયા શું? કોઈને આવો અવસર નહિ મળ્યો હોય. એટલું જ નહિ, અમ્માએ ઘણા લોકોના સ્વભાવમાં આવતું પરિવર્તન જોયું છે! તેમને જો કમીટીમાંથી કાઢી નાખીએ, તો તેમના જીવનથી કોઈને પ્રયોજન નહિ થાય, એવું જીવન તેઓ જીવશે. આમ ન કરતા, જો આપણે તેમને રાખીએ, તો ઓછામાં
ઓછું આશ્રમના થોડા ઘણા કાર્યો તો તેઓ સંભાળશે. આ રીતે પણ, તેમને સેવા કરવાનો થોડો અવસર મળશે. તેનું પૂણ્ય પણ તેમને મળશે. આળસુની જેમ બેસી રહેવા કરતાં, શું આ વધુ ઉત્તમ નથી? તેમની પાસે કેવી રીતે નિર્દેશોનું અનુસરણ કરાવવું, તે અમ્મા જાણે છે.

આ કામને અનુસરીને તેમનું અંતઃકરણ શુદ્ધ થશે. તે તેમને મુક્તિ તરફ દોરી જશે. માર્ગ મધ્યે તેમને ત્યજી શકાય નહિ. તેમની રક્ષા કરવી એ
આપણું કર્તવ્ય બને છે. આપણો ઉદ્દેશ તો, બધા લોકો ઈશ્વરભકત બની શાંતિ અનુભવે, તે છે. આપણી આ ઇચ્છા જો યથાર્થ હશે, તો તેઓ જે કંઈ ભૂલો કરે, તેને ક્ષમા કરી, સાચા માર્ગ પર લાવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ.

“આપણે એમ તો આશા ન કરી શકીએ કે બધા જ સારા હોય. બે ચાર સારા ન પણ હોય. પરંતુ, આપણે જો તેમનો પૂર્ણરૂપે ત્યાગ કરીએ, તો તેઓ ફરી જઈને બૂરા કામો કરશે. માટે જ, સારા માઠાનો વિવેક રાખતા એવા આપણે, તેમના સ્તર પર ઉતરવું જોઈએ. પછી તેઓ આધ્યાત્મિક વિકાસ માત્ર જ પોતાનું લક્ષ્ય રાખી, આગળ વધશે. એકાદ બે ભૂલ તેઓ કરે તો તેઓ નક્કામાં છે, તેમને કાઢી નાખવા જોઈએ, એમ વિચારીશ નહિ.

“પુત્ર, અમ્મા એમ નથી કહેતા કે તું જે કહે છે તે ખોટું છે. આશ્રમની શાખાઓ માટે ઘણા લોકો આશ્રમના નામે ફાળો ભેગો કરે છે. કેટલાક તેમાંનો ચોથો ભાગ જ આશ્રમને આપે છે. આ જાણતા હોવા છતાં, શું અમ્મા કંઈ જ જાણતા નથી, એવો વર્તાવ નથી કરતા શું? ભૂલ કરે તો પણ, તેમને પોતાની ભૂલ સુધારવા અમ્મા તેમને એક વધુ તક આપશે. છતાં તેઓ જો શીખે નહિ અને પોતાના સ્વભાવમાં કોઈ પરિવર્તન લાવવા ન ચાહે, તો તેઓ આપ મેળે જ નીકળી જશે. અમ્માને ક્યારેય કોઈને જબરજસ્તી કાઢવાની જરૂર પડી નથી. ભૂલ કરનારા પણ, શું આપણા ભાઈ બહેનો નથી! તેમનામાં હજુ યોગ્ય વિવેક આવ્યો નથી. પરંતુ, તેમને તે પ્રાપ્ત થાય તે માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. આ આપણને ગુણકારી હશે. આપણા મન વિશાળ બનશે.”

બ્રહ્મચારી દંડવત કરી, પાછો ફર્યો.

સમય રાત્રિના બે વાગ્યા હતા. દરિયા કાંઠે ધ્યાન કરી એક બ્રહ્મચારી ચૂપચાપ પાછો ફર્યો. કળરીમાં કે જ્યાં અત્યારે કોઈ ન હતું, ત્યાં જઈ બત્તી બંધ કરી, પરસાળમાં પોતાનું આસન અને શાલ રાખ્યા અને સૂવા જતા પહેલાં કળરીના ઉત્તર ભાગમાં આવેલ પરસાળમાં કે જ્યાં બ્રહ્મચારી હરિકુમાર સૂતો હતો, તેમને જગાડવા ગયો. પોતાને બે વાગે ધ્યાન કરવા ઉઠાડવા માટેની સુચના તેમણે આ બ્રહ્મચારીને આપી હતી. આ ઉપરાંત, ચાર વાગે બધાને અર્ચના માટે જગાડવા, ઘંટ વગાડવાનું કાર્ય પણ હરિકુમારનું હતું. તે બ્રહ્મચારી જ્યારે પોતાની
ઝૂંપડીમાં સૂવા માટે જઈ રહ્યો હતો, ત્યારે તેણે વેદાંત વિદ્યાલયની સામે એક પુરુષ અને સ્ત્રીને બેઠેલા જોયા. ઊભા થઈ, વિનયપૂર્વક તેમણે કહ્યું, “અમો અમ્માના દર્શન માટે આવ્યા છીએ.”

બ્રહ્મચારી : “અમ્મા મધરાતે પોતાના ઓરડામાં ગયા છે. હું જ્યારે દરિયા કિનારે જતો હતો, ત્યારે તેઓ પોતાના ઓરડા તરફના દાદરા ચડી રહ્યાં હતા.”

મુલાકાતીઓ : “મધરાત પછી કદાચ અમો અહીં પહોંચ્યા હશું.”

અચાનક કોઈના પગરવનો અવાજ સંભળાતા, તેમણે પાછું ફરીને જોયું. સ્મિત કરતા અમ્મા તેમની તરફ આવી રહ્યાં હતા. આદર અને આનંદભર્યા આશ્ચર્ય સાથે મુલાકાતીઓએ અમ્માના ચરણોમાં પડી, દંડવત કર્યા.

અમ્મા : “મારાં બાળકો, તમે ક્યારે આવ્યા?”

ભક્ત : “અમ્મા, તમો રૂમમાં ગયા પછી થોડા જ સમયમાં અમો અહીં પહોંચ્યા. અત્યારે રાતના અમને તમારા દર્શન નહિ મળે, આ નિરાશા સાથે અમો અહીં બેઠા હતા.”

અમ્મા : “અમ્માએ બસ આંખ બંધ જ કરી હતી કે, અમ્માએ તમને બંનેને સામે ઊભેલા જોયા. ઝડપથી હું નીચે ઉતરીને આવી. કેમ પુત્ર, તારી પુત્રીને સારું નથી?”

ભક્ત : “પરમ દિવસે તેનું ઑપરશન છે. ડૉક્ટરનું કહેવું છે કે, તે બહુ ગૂંચવણ ભર્યો કેસ છે. અમ્મા! આપના આશીર્વાદ જ, અમારી એક માત્ર આશા છે. તે માટે જ અમો અહીં આવ્યા છીએ.”

અમ્મા : “તમને કેમ આટલું મોડું થયું? શું ગાડી ખરાબ થઈ ગઈ હતી કે?”
ભક્ત : “હા, અમ્મા. અમે બપોરના નીકળ્યા હતા પણ રસ્તામાં કાર બગડી જતાં, તેને સમી કરાવતા કલાકો લાગી ગયા. માટે જ અમો આટલા મોડા પહોંચ્યા. નહિતર તો આઠ વાગ્યે જ પહોંચી ગયા હોત”

અમ્મા : “દુઃખી થશો નહિ. આવો બાળકો, અહીં બેસો.” તેમનો હાથ ઝાલી, અમ્મા તેમને કળરીની પરસાળમાં દોરી ગયા. અહીં તેઓ બધા નીચે બેઠા. લાંબા સમય સુધી અમ્માએ તેમની સાથે વાતો કરી. પછી કળરીમાંથી થોડી ભસ્મ લઈ, પ્રસાદ રૂપે આપતા કહ્યું, “મારી પુત્રીને કહેશો કે ચિંતા કરે નહિ. અમ્મા તેની સાથે જ છે.” પતિપત્ની બંનેએ ફરી અમ્માને દંડવત કર્યા. સવારના ચાર વાગ્યાનો ઘંટ વાગ્યો.

અમ્મા : “બાળકો, જો તમે હમણાં નીકળશો, તો સવારની પાચ વાગાની બસ તમને મળશે.”

એક બ્રહ્મચારીને તેમને નૌકામાં સામે પાર સુધી મુકી આવવાની સૂચના આપી, અમ્મા પોતાના ઓરડામાં પાછા ફર્યા.

મુલાકાતીઓએ આશ્રમની બહાર પગ મૂક્યો ત્યારે પાછું ફરીને જોયું. આ સમયે, અમ્મા કે જેઓ પોતાના ઓરડા તરફના દાદરા ચડી રહ્યાં હતા, તેમણે પણ અચાનક પાછું ફરી, તેમના તરફ સ્મિત કરતા જોયું. તે સ્મિત સંરક્ષણની સ્પષ્ટ નિશાની હતી.

શિતળ પવનની લહેરખી વાય રહી હતી. પ્રભાતની આ બાહ્ય શિતળતાનો આનંદ માણતા અને અંતરમાં સાંત્વન આપતી અમ્માની કૃપા
અનુભવતા, તે ભક્તો નૌકામાં ચડયા અને રવાના થયા. પ્રભાતનું તેજસ્વી નક્ષત્ર, ભૂશિરની ચળકતી સપાટી પર આછો પ્રકાશ પાથરતું હતું.

ક્રિસમસના અવસર પર અમૃતપુરીમાં અમ્માએ પાઠવેલ સંદેશના થોડા અંશો.

પ્રેમ સ્વરૂપી તેમજ આત્મસ્વરૂપી એવા અહીં ઉપસ્થિત આપ સહુંને અમ્મા પ્રણામ કરે છે.

પ્રેમ, કરુણા, ત્યાગ અને શુભેચ્છાઓના સંદેશ સાથે, ફરી આ ક્રિસમસ આવી ગઈ. નાતાલ જેવી
રજાઓ સમસ્ત માનવજાતી માટે જાગૃતીના ગીત જેવી છે. તે ભલે ક્રિસમસ હોય કે અન્ય કોઈ તહેવાર હોય કે પછી સામાન્ય દિવસ જ કેમ ન હોય, વર્ષભર ઈશ્વર અને પ્રકૃતિ બંને આપણને જાગૃત થવાના એ ના એ જ સંદેશ પાઠવે છે.

વાસ્તવમાં જાગરૂકતા અત્યંત મહત્વનો ગુણ છે, જે આપણા જીવનમાં હર હંમેશ હાજર હોવો જોઈએ. હાલમાં આપણે જાગૃત રહેવામાં નિષ્ફળ જ નહિ, પરંતુ એ રીતે વર્તાવ કર્યો છે, જાણે આપણે આ ગુણને પૂર્ણરૂપે ભુલી જ ગયા હોઈએ. કદાચ આપણી આ વિસ્મૃતિની ગહનતાના કારણે, પ્રકૃતિ માતાએ આપણી સ્મૃતિને આવી હદ બહાર પરિસ્થિતિથી આંચકો આપવાનું નક્કી કર્યું.વાસ્તવમાં આ પરિસ્થિતિ નથી અંતિમ કે નથી ક્રૂર. બાળક જ્યારે ભૂલ કરે, તો શું તેની મા તેને ઠપકો નહિ આપે? બાળકે હજુ યોગ્ય જાગરૂકતા કેળવવાની છે. તેનામાં સારું અને ખરાબ વચ્ચેના વિવેકનો અભાવ છે. માટે કેવળ ભય દ્વારા જ તેને તેની ભૂલ ફરી કરવાથી અટકાવી શકાય. બાળકને જ્યારે સમજ પડે કે, તેને સજા થવાની સંભાવના છે, તો ત્યારે તે પોતાનું ખરાબ કામ કરતા અટકશે. જો બકરી, ગાય, સસલું કે પછી હરણ તમારા શાકભાજીના બગીચામાંથી શાક ખાવા લાગે, તો તમે શું કરશો? તે જનાવર બગીચાના શાકભાજી કે જંગલી ઘાસ વચ્ચે અંતર કરતું નથી.શું કરવું અને શું ન કરવુંનો વિવેક તેનામાં નથી. માટે, જ્યારે કોઈ જનાવર આપણા બગીચામાં ઘુસી આવે તો ત્યારે આપણે શું કરીશું? આપણે હાથમાં લાકડી લઈ, તેને ધમકાવતા બૂમ પાડીને કહેશું, “હટ, હટ, ગાય તું ચાલી જા અહીંથી! સસલાં તું ભાગ અહીંથી!” આપણે ધમકાવવાનો મનોભાવ લેશું અને જાણે તેને મારવાના હોઈએ, એવો અભિનય કરીશું. પરંતુ, આપણી અંદર કોઈ ક્રોધ નથી હોતો. આ જ પ્રમાણે, આ પરિસ્થિતિ થકી પ્રકૃતિએ આપણને ઠપકો આપ્યો છે, જેથી આપણે વધુ જાગૃત રહીએ. આ વર્ષે આપણામાંના ઘણા હંમેશની જેમ બહાર જઈ ક્રિસમસની સજાવટનો આનંદ માણવા, કે ઉજવણી અને ખરીદી કરવા જઈ શક્યા નથી. આપણને જબરજસ્તીથી નિયમો, વિનિમયો અને શિષ્ટાચારનું લન કરવું પડયું છે. વાસ્તવમાં આ સમય બહાર જવાનો નથી, આ તો અંતર્મુખ થવાનો અવસર છે. ઈશ્વરદત્ત બહારી સ્વતંત્રતાનો આપણે વિવેકપૂર્વક અને આત્મ-સંયમ સાથે ઉપયોગ કરવાનો છે. ઈશ્વરે કદાચ ધાર્યું હશે કે, જો આપણને અંતર્મુખ થવાનો સમય હશે, તો આપણે આ સમયનો ઉપયોગ સમજવા અને આપણી ભૂલ સુધારી, શીખવાને કરીશું.

સનાતન ધર્મ આપણને અંતર્મુખ થવાનો સિદ્ધાંત શીખવે છે. ”ઉત્તિષ્ઠ! જાગૃત!”—”ઊઠો! જાગો!” જેઓ આ કરશે, તેઓ જ આત્મ-સાક્ષાત્કારનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. ઊત્તિષ્ઠ જાગૃત પ્રાપ્ય વરાન્‌ નિબોધત (કથોપનિષદ ૧.૩.૧૪) “ઊઠો! જાગો! મહાત્માઓને શરણે જાઓ અને તેમના ઉપદેશોને સમજો.” આ કેવળ ”ઊઠ”વાનું નથી, અહીં આપણને ઊઠીને ઊભા થવાને કહેવામાં આવ્યું છે. આપણને
આપણા સ્વથી જાગૃત થવાને, ઊભા થવાને અને આપણી અંદર રહેલી શક્તિ અને સામર્થ્યનો ઉપયોગ કરવાને કહેવામાં આવ્યું છે. આનો અર્થ શક્તિમાન, સામર્થ્યવાન અને આત્મનિર્ભર થવાનું છે.

યેશુએ કહ્યું છે, “શોધો અને તમને તે મળી જશે.” અહીં શોધવાનું અંદરમાં છે, બહારની દુનિયામાં નહિ. પરંતુ હાલમાં ઘણા લોકોનું શોધવું ફક્ત, “મને સહુંથી લેટેસ્ટ ડીસાઈનનો નેકલેસ ક્યાં મળશે?”— સુધી સીમિત છે. તે નાતાલનો તહેવાર હોય કે અન્ય કોઈ તહેવાર હોય, આપણું ધ્યાન હંમેશા બહાર હોય છે. “શું હું અહીંથી આ ખરીદી શકું?” “શું આ સ્ટાઇલનો ડ્રેસ બુટીક્‌માં મળી જશે?”“શું ફલાણી ફલાણી ઝવેરાતની દુકાનમાંથી આ નેકલેસ હું મેળવી શકું?” “શું હશે આની કિંમત?” આપણી શોધની આ મૂળ પ્રકૃતિ છે. ક્રિસમસમાં નવા વસ્ત્રો ખરીદવા, સરસ કાર્ડ મોકલવા વગેરે શોધીએ છીએ. આપણી સઘળી શોધ બહારી છે. જે શોધ વિષે યેશુ કહેતા હતા, તે શોધ આ ન હતી. તે અંતરમાં શોધવાનું હતું. પરંતુ આપણે ઉતાવળમાંને ઉતાવળમાં જે અનિવાર્ય નથી, તેને શોધીએ છીએ. શોધીએ છીએ અને બધું જ મેળવીએ છીએ પણ આ તે નથી, જે આપણે શોધવું જોઈએ અને મેળવવું જોઈએ.

ઈશ્વરે આપણને આંખો આપી છે, આ ફક્ત બહારની દુનિયા જોઈ, તેથી ભ્રમિત રહેવાને નથી. આંખો બંધ કરી, અંતરમાં જોવાને પણ છે. અને અંતમાં પછી અંતરના ચક્ષુથી જોવાનું કે, અંદર અને બહાર વાસ્તવમાં એક જ છે. બહારના બે ચક્ષુઓ તો ફક્ત બહારની દુનિયા જોવા માટે જરૂરી છે. અંતરનું જગત જોવા અને સ્વ આત્માને જાણવા, બહારી આંખો જરૂરી નથી. કારણ કે, સાચો “હું” તો અંદર છે, બહાર નથી.

આપણે કોઈ એકાંકી દ્વીપ નથી. આપણે બધા સાંકળની જોડાયેલી કડીની જેમ એકબીજા સાથે જોડાયેલા છીએ. કરુણા, પ્રેમ અને સદ્‌ભાવના આપણામાં ભરાઈને પછી બહાર ઊભરાવા જોઈએ. યેશુને તેમના શિષ્યોએ પૂછયું હતું, “સ્વર્ગનું રાજ્ય કેવું છે?” અને તેમનો જવાબ હતો, “ રાયના દાણા જેવું.” એક બીને દાણામાંથી વૃક્ષમાં ઉગવા માટે તેનું કાચલું તૂટવું જોઈએ. ઉગી ગયા પછી તે પક્ષીઓ, જનાવરો અને મનુષ્ય માટે સમાનરૂપે આશ્રયસ્થાન બની જાય છે. યેશુના વચનો સૂચવે છે કે, આપણે પણ વિકસીને તેના જેવું બનવાનું છે. જે રીતે બી ઉગીને વૃક્ષ બને છે, ઈશ્વર પણ આપણામાંના હરેકમાં જીવ તરીકે જીવે છે. સૂર્યના પ્રકાશમાં જો પાણીથી ભરેલા સો ઘડા રાખવામાં આવે તો તેમાંના એક એકની તળેટી પર સૂર્યનું પ્રતિબિંબ જોવા મળશે. પરંતુ, હકીકતમાં સૂર્ય તો એક જ છે. આ જ પ્રમાણે એક જ સત્‌ આત્મા પ્રત્યેક જીવમાં હાજર છે. પરંતુ દરેક વ્યક્તિમાં તેનું પ્રકટીકરણ જુદું હોય છે. દીવાને ફરતો કાંચનો ગોળો જો પૂરેપૂરો મશીથી ભરેલો હશે, તો દીવાનો
પ્રકાશ સ્હેજે નહિ દેખાય. આ જ પ્રમાણે એક જ સત્‌ આત્મા પ્રત્યેક જીવમાં હાજર છે. પરંતુ દરેક વ્યક્તિમાં તેનું પ્રકટીકરણ જુદું હોય છે. દીવાને ફરતો કાંચનો ગોળો જો પૂરેપૂરો મશીથી ભરેલો હશે, તો દીવાનો પ્રકાશ સ્હેજે નહિ દેખાય. આ જ પ્રમાણે જ્યાં સુધી આપણી અંદર સ્વાર્થતા અને ઈર્ષા વાસ કરતા હોય, ત્યાં સુધી આપણે આપણી અંદરની દિવ્યતા ન તો અભિવ્યક્ત કરી શકીએ કે નહિ તેને અનુભવી શકીએ.

ક્રિસમસ જેવા તહેવારો ધૂમધામથી,ઉત્સાહ અને મોજ મજા સાથે ઉજવવા જોઈએ. પણ જ્યારે તમે આ ધૂમધામ અને મોજ મસ્તીમાંથી પાછા નીચે ઉતરો ત્યારે તમારા જીવન પર મનન કરવાને, સ્વયંનું મૂલ્યાંકન કરવાને તમારાંથી થવું જોઈએ. જેમ કે, સમાજ માટે મેં શું કર્યું? મેં ફક્ત મારાં માટે જ લીધું શું? કે પછી પ્રકૃતિ માતા માટે હું કંઈ કરી શક્યો?

યેશુ કહે છે, “તમારા પડોશીને તે રીતે પ્રેમ કરો, જે રીતે તમે સ્વયંને પ્રેમ કરો છો.” જીવનના પ્રવાહમાં હરેક વ્યક્તિ જેને આપણે મળીએ છીએ, તે બધા કે જેને આપણે જાણીએ છીએ, તે દરેક વ્યક્તિ જે આપણી આજુંબાજું આવે છે, તે બધા જ આપણા પાડોશી છે. આપણે જો તેમને સ્વયં આપણી જેમ જોઈને પ્રેમ કરી શકીએ, તો તે જ સ્વયંમાં પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનો ધોરી માર્ગ છે. શ્રીકૃષ્ણ, શ્રીરામ, યેશુ બધા જ આપણા હૃદયમાં વાસ કરે છે. ક્રિસમસ આપણને સ્મરણ કરાવે છે કે, આત્મ-ત્યાગ, કરુણા, વિનમ્રતા અને ઈોશ્વરમાં દ્રઢ વિશ્વાસ આપણે આપણા જીવનમાં લઈ આવવા જરૂરી છે, આ જાગૃતિ બધામાં ઉદિત થાય. આપણા હૃદયની ગમાણને આપણે સદ્‌ વિચારો, મધુર વચનો અને કરુણાભર્યા કાર્યોથી સજાવીએ, કારણ કે, હૃદય જ તો ઈશ્વરનું નિવાસ સ્થાન છે. આપણે આપણા હૃદય ખુલા કરીએ. આમ જ્યારે કરીશું, ત્યારે આપણને સમજાશે કે, સુરક્ષા અને સલામતી આપણી અંદર જ રહેલા છે. અમ્મા પોતાના બધા જ બાળકોને નાતાલના આવસર પર શુભેચ્છાઓ પાઠવે છે. મારા બધા જ બાળકોને કૃપા અનુગ્રહિત કરે. ૐ