કલિંગા ઈંસ્ટિટયુટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી તરફથી ડી.લીટ પદવી સ્વીકૃતિ વેળાએ અમ્માનું ઉદ્‌બોધનઃ

પ્રેમસ્વરૂપિ, આત્મસ્વરૂપિ પોતાના બધા જ બાળકોને અમ્મા વંદન કરે છે. વિદ્યાભ્યાસ, સ્કીલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેનરશીપના કેંદ્રિય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, નોબલ પુરસ્કારના વિજેતા પ્રોફેસર શ્રી જીન-મેરી-લેઽન, આ ઉપરાંત સર્વપ્રથમ લોકસભાના સદસ્ય તેમજ કલિંગા ડીમ્ડ યુનિવર્સિટીના સ્થાપક શ્રી અચ્યુતા સામંતા, સ્વીડઝરલેંન્ડના રાજ્યસભાના સદસ્ય શ્રી વેદ પ્રકાશ, શ્રીમતી સસ્મિતા સામંતા, શ્રી વરુણ સૂત્રા તેમજ કલિંગાના અન્ય નિર્દેશકોનું હું આ સંમાન માટે અભિવાદન કરું છું.

આ દુનિયામાં જે કંઈ થોડી ઘણી માનવીય સેવાઓ આશ્રમ આપી શક્યું છે, તેનું કારણ અમ્માના ભકતોનો પ્રેમ અને સમર્પણ છે. માટે, અમ્મા આ સંમાન તેમને અને તેમના પૂર્ણ હૃદયને અર્પિત કરે છે.

કલિંગા, એક પવિત્ર ભૂમિ છે. અહીંના ઈતિહાસના પાના પર સ્વર્ણ અક્ષરોમાં લખવામાં આવેલ એક મહાન ઘટનાના સ્મરણો સુષુપ્ત છે. આ તે ભૂમિ છે, જે સમ્રાટ અશોકના મહાવિજયી યુદ્ધની, વિજય પછીના લોહિયાળ યુદ્ધભૂમિ જોઈ તેમના ઊંડા વિષાદની, તેમના હૃદય પરિવર્તનની અને અનંત શાંતિ અને આત્મપ્રકાશની તેમની ખોજની સાક્ષી છે. કરુણાની આ જ ભૂમિ પર કલિંગ ઈંસ્ટિટયુટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજીના સ્થાપક શ્રી અચ્યુતા સામંતે પોતાની માનવીય સેવાઓ અર્પિત કરવાનું પસંદ કર્યું હતું. અમ્મા હૃદયથી આ માટે તેમનું અભિવાદન કરે છે.

વાસ્તવમાં વિદ્યાભ્યાસ દ્વારા જે મહત્વની બાબત આપણે કેળવવાની છે, તે છે, આપણા સહજનો પ્રતિ કરુણા. અમ્માને આ જાણી અત્યંત સંતોષ થાય છે કે, આ યુનિવર્સિટી પણ આ જ લક્ષ્યને સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે. માટે એ કહેવું જરૂરી નથી કે, આ સંસ્થા આજુંબાજું રહેતા હજારો લોકો માટે આધાર અને આશ્રયનો પ્રકાશ સ્તંભ છે.

આ વિશ્વ અને તેમાંના બધાં જ જીવો, સૃષ્ટી અને તેનું સમસ્ત સર્જન, એક જ પરમ ચૈતન્યના જુદા જુદા સ્વરૂપો છે. માટે, સર્જનના એક એક પાસાં સાથે, સમસ્ત ચરાચર સાથે પ્રેમથી, આદરથી અને સેવાના મનોભાવ સાથે વ્યવહાર કરવો, આ ભારતની ભૂમિનો દ્રષ્ટિકોણ છે. આ જ ભારતનો સમસ્ત વિશ્વ માટે ઉત્ત્કૃષ્ટ સંદેશ છે.

સનાતન ધર્મ અનુસાર સૃષ્ટિ અને સૃષ્ટા બે નથી પણ એક જ છે. જેમ કે સોનાના આભૂષણોમાં સોનું અને સોનામાં સોનાના આભૂષણો! સૂર્યને જો પાણીના સો ઘડામાં પ્રતિબિંબિત કરવામાં આવે તો પણ સૂર્ય તો એક જ છે. આ જ પ્રમાણે, બધામાં એક જ સ્વ આત્મા છે. આ મનોભાવ સાથે જો આપણે જીવીએ, તો ત્યારે અન્ય લોકોની કદર કરવાનો મનોભાવ આપણમાં હશે. આપણો જમણો હાથ જો ઘાયલ થાય, તો ડાબો હાથ તરત તેની સંભાળ લેશે અને સાંત્વન આપશે. બધામાં આ મનોભાવ વિકસે, અન્યને સ્વયંની જેમ જોવા પ્રયત્ન કરીએ અને તદ્‌ અનુસાર સહુંને પ્રેમ કરી, સહુંની સેવા કરીએ.

આપમાંના ઘણા જાણે છે કે, “વિદ્યાભ્યાસ” શબ્દનો સાચો અર્થ આપણી અંદર જે છે, તેને બહાર લઈ આવવાનું છે. વિદ્યાભ્યાસ એ છે, જે વ્યક્તિની અંદર રહેલી અપ્રગટ પ્રતિભાને પ્રગટ કરે છે. આપણા બધામાં અનેક ક્ષમતાઓ છે. પણ સામાન્યતઃ આપણે આથી સભાન નથી હોતાં. એક મજૂર માથાંનો ઉપયોગ બોજ વહન કરી, આજીવિકા મેળવવા કરે છે. ત્યારે એક વિજ્ઞાની પોતાના માથાંનો ઉપયોગ ઉલ્લેખનીય શોધ કરવા, અવિષ્કાર કરવા કરે છે. આ જ પ્રમાણે, આપણા બધામાં અપ્રગટ અનંત શક્તિ રહેલી છે. એ તો આપણામાંના મોટાભાગના તેના અસ્તિત્વથી અજાણ છીએ.

અમ્માનને અહીં બાળપણનો એક પ્રસંગ યાદ આવે છે. બાળપણમાં અમ્માના માતુશ્રી દમયંતીઅમ્માએ થોડી મરઘીઓ પાળી હતી. આ મરઘીઓ ક્યારેક લાંબા સમય સુધી ઈંડા મૂકતી નહિ. તેઓ આળસું બની, ખૂણામાં જાણે તાવ આવ્યો હોય, તેમ બેઠી રહેતી. જો કોઈ તેમની નજીક જાય, તો તેમને દૂર ભગાડવા આ મરઘીઓ એક પ્રકારનો અવાજ કરતી. તેઓ ખાતી નહિ અને ખોરાક શોધવાનો પ્રયત્ન પણ કરતી નહિ. જો તેમને એમને એમ છોડી દેવામાં આવે તો છ છ મહિનાઓ સુધી તે ઈંડા આપતી નહિ. ક્યારેક ભૂખને લઈ તે મરી પણ જતી.

આ મરઘીઓ જો પાંચ દિવસ સુધી આમ રહે, તો દમયંતીઅમ્મા તેમને આ પ્રમાદમાંથી બહાર કાઢવા પાછોતરા જળપ્રવાહમાં ફેંકતી. આ મરઘીઓ તરત જ પાંખો ફફડાવતી કિનારે આવી જતી. મારી મા ત્રણ ચાર વાર આમ કરતી, ત્યારે આ મરઘીઓ તેમના સામાન્ય ભાવમાં પાછી આવી જતી અને ખોરાક શોધવા લાગતી. પંદર દિવસ થાય તે પહેલાં જ આ મરઘીઓ ઈંડા મૂકવા લાગતી. અહીં મરઘીમાં ઈંડા મૂકવાની જન્મજાત ક્ષમતા છે. પરંતુ પોતાના આળસના કારણે તે પોતાની આ ક્ષમતાને પ્રગટ કરવા અસમર્થ બને છે.

આ જ પ્રમાણે આપણા સહુંની અંદર રહેલી અપ્રગટ ક્ષમતાઓને જાગૃત કરવાની ક્ષમતા આપણામાં રહેલી છે.

શું આજની વિદ્યાભ્યાસ પદ્ધતિ એ રીતે પ્રગતિ કરી રહી છે, કે તે વિદ્યાર્થીઓમાં રહેલી તેમની જન્મજાત પ્રતિભાને, તેમની ક્ષમતાને જાગૃત કરી શકે? આ તે પ્રશ્ન છે, જેના પર આપણે સહુંએ મનોમંથન કરવું જોઈએ. આધુનિક વિદ્યાભ્યાસ પદ્ધતિની સહુંથી મોટામાં મોટી ક્ષતિ તેની અંધ સ્પર્ધા છે અને આમાંથી ઉદ્‌ભવતું અનુકરણ છે.

અમ્મા પાશ્ચાત રાજ્યમાં આવેલ એક યુનિવર્સિટીના પ્રોફેસરને જાણે છે. તેઓ ત્યાં સ્કોલરશીપ મંજૂરી અને આંતરરાષ્ટ્રિય વિદ્યાભ્યાસ પ્રોગ્રામ માટે જવાબદાર છે. તેમણે મને કહ્યું, “અમ્મા, ભારતથી સ્કોલરશીપ માટે તેમજ પી.એચડી પ્રવેશ માટે ઘણી અરજીઓ આવે છે. પરંતુ ૯૯% વિદ્યાર્થીઓ અરજી પત્રમાં એકની એક જ બાબત લખતા હોય છે. બધી અરજીઓ એક જેવી જ લાગે છે. જેવો હું તે વાંચવાનું શરૂ કરું, કે હું તે કચરા પેટીમાં ફેંકી દઉં છું.”

આપણા વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતાને પ્રેરિત કરવા આપણે આપણી વિદ્યાભ્યાસ પદ્ધતિને પુનર્‌ગઠિત કરવી જ રહી. એમાં કોઈ સંશય નથી કે, હાલની આપણી વિદ્યાભ્યાસ પદ્ધતિ આપણા બાળકોને નામ, ખ્યાતિ અને સંપત્તિ મેળવવા સહાય કરે પણ શું મનુષ્ય જીવન ફક્ત આ માટે જ છે? શું જીવનનો ઉદ્દેશ્ય ફક્ત ઘણા બધા પુસ્તકો વાંચવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી, ડીગ્રી મેળવવી, નોકરી મેળવવી અને સ્થિર આવક ઊભી કરવાનો જ છે? જીવન અને જીવવું, બંને એક જ બાબત નથી. જીવવા માટે આપણને નોકરી, પૈસા, ઘર, ગાડી અને અન્ય સુખ સુવિધાઓ જરૂરી હશે. પરંતુ, કેવળ આ જ જીવનને પૂર્ણ નથી કરતા. આ માટે આપણને પ્રેમ, કરુણા, કોમલતા— એવું હૃદય જે બીજાની વેદનાને સમજે અને પ્રતિભાવ આપે. વિચારમાં અને પ્રવૃત્તિમાં આપણને મનની વિશાળતા અને પક્‌વતા જરૂરી છે.

વિદ્યાભ્યાસે આપણી અંદર અને બહાર પ્રકાશ પાથરવો જોઈએ. આ સાથે વિદ્યાભ્યાસે વિવેક અને ચિંતન પણ સમાન રૂપે વિકસાવવા જોઈએ. જે રીતે તે બહારની દુનિયા જાણવા માટેની જીજ્ઞાસા જાગૃત કરે છે, તે જ પ્રમાણે આપણા આંતરિક જગતને જાણવાની તૃષ્ણા પણ જાગૃત થવી જોઈએ. વિદ્યાભ્યાસે આપણા બહારના ચક્ષુઓ ખુલા રાખવાની સાથે અંતરના ચક્ષુઓ પણ ખુલા રાખવાને શીખવવું જોઈએ. વિદ્યાભ્યાસે જાગરૂકતા સ્થાપિત કરી, વિદ્યાર્થીનું પોતાના રાષ્ટ્ર સાથેનું, વિશ્વ સાથેનું, પોતાના સહજનો સાથેનું, સૃષ્ટિના બધા જ જીવો સાથેનું, પ્રકૃતિ સાથેનું, ઈશ્વર સાથેનું બંધન વધું દ્રઢ કરવું જોઈએ.

આધુનિક વિદ્યાભ્યાસ પદ્ધતિ માનસિક તેમજ બૌદ્ધિક વિકાસ પર ભાર મૂકે છે. પરંતુ આ બંને ભૌતિક સ્તર પર રહેલા છે. માટે, સ્નાતક વિદ્યાર્થીઓ પરિશુદ્ધ ચૈતન્યના સ્તરથી પૂર્ણરૂપે અજ્ઞાત રહે છે. આ અજ્ઞાનતાને જો દૂર કરવામાં ન આવે, તો દુનિયા સાથે આપણે અસંવાદિતાથી રહેશું. પરિવારમાં જો પાંચ સભ્યો હોય અને દરેકને રાજા જ બનવું હોય, તો પછી ત્યાં યુદ્ધ જ હશે.

આપણે સ્વયંને જો ચાર ભાગમાં વિભાજીત કરીએ, તો શરીર-મન તંત્ર આપણે જે છીએ તેના ચોથા ભાગથી પણ ઓછા હશે. આપણે જે છીએ તે ૭૫%થી પણ વધું અજ્ઞાન અને અવિકસિતમાં તરબોળ છે. શારિરીક સ્વાસ્થ્ય અને બુદ્ધી શક્તિને જાળવવા કરતાં પણ ક્યાંય વધું આપણી આંતરિક શક્તિની સમજ જરૂરી છે, જે શરીર અને બુદ્ધીને પ્રાણશક્તિ પૂરે છે. બહારી સર્વકાંઈનો મૂળ આધાર તરીકે જે અસ્તિત્વ રાખે છે, તેની સમજણ આપણને જરૂરી છે.

આગળ વધતા, આપણા શૈક્ષણિક અભ્યાસક્રમમાં “વસુદૈવ કુટુંબકમ્‌(વિશ્વ એક પરિવાર છે)” એવા ભારતના ઉત્કૃષ્ટ સિદ્ધાંતને કંઈ નહિ તો થોડુંઘણું મહત્વ આપવું જ જોઈએ.

માનવતા જેમ જેમ આગળ વધે, આ એકતાની ભાવના આપણા વિચારો અને કાર્યોમાં થોડીઘણી પણ પ્રતિબિંબિત થવી જોઈએ. અન્યથા લાલચ ટોચ પર હશે અને માનવજાતિનું અસ્તિત્વ સુદ્ધા ખતરામાં હશે. પ્રકૃતિ માતા આ માટેની ચેતવણીઓ છેલ્લા કેટલાય વર્ષો થકી આપી રહી છે. ઈશ્વરની, પ્રકૃતિ માતાની આ ચેતવણીઓ જો આપણે ગણકારીએ નહિ, તો માનવજાતિ સ્વયંને પૃથ્વીના લુપ્ત જીવોમાં ગણાવવા લાગશે.

પાંચ લક્ષ્યો જે વિદ્યાભ્યાસ દ્વારા સિદ્ધ કરવા જોઈએઃ

૧. આજીવિકા મેળવવી. સંપત્તિ, સ્થાન અને સુખ આરામ માટે આવશ્યક જ્ઞાન અને ક્ષમતા પ્રાપ્ત કરવી.

૨. માનસિક અવસ્થા જાણવીઃ આપણા વિચારો અને ભાવનાઓને નિયંત્રણમાં રાખવા માટે આવશ્યક પરિપક્વતા પ્રાપ્ત કરવી. આ શારિરીક સ્વાસ્થ્ય અને પક્વતા જેટલું જ મહત્વનું છે.

૩. પોતાના ઘર અને પરિવારનું દેવું ચૂકવવું, આ સાથે પ્રકૃતિ માતાનું ઋણ ચૂકવવું કે જેણે આપણને ખોરાક, આશ્રય, સૂર્યપ્રકાશ, પર્વતો, જંગલો, નદીઓ, વૃક્ષો અને ફળથી અનુગ્રહિત કર્યા છે. આ કર્તવ્ય નિભાવવા માટેની તાલીમ પણ મળવી જોઈએ.

૪. ઈશ્વર અને પ્રકૃતિ માતા પ્રતિ કૃતજ્ઞતા, પ્રેમ અને આદરનો ભાવ રાખવા માટેની પ્રેરણા. તેમજ કૃતજ્ઞતાના આ ભાવમાંથી ઉત્પન સામાજીક કાર્યો તેમજ નિઃસ્વાર્થ સેવા કરવાની પ્રેરણા આપણને મળવી જોઈએ.

૫. સ્વઆત્માથી સ્વયંને સભાન કરવા અને આ બાબતને સમજવાની કે, “હું કોઈ જુદું અસ્તિત્વ નથી. પણ હું આ વિશ્વનો એક અંશ છું. જે રીતે કિનારે પહોંચતા મોજાંનું પાણી અને સમુદ્ર વચ્ચેનું પાણી એક જ છે, તે પ્રમાણે હું પણ આ સમસ્ત સર્જન સાથે એક છું.”

બહારી દુનિયા વિશે શીખવું, આ સેતુ જેવું છે. આ સેતુને પાર કરી, અંતરાત્માના પ્રકાશ તરફ પહોંચવાને આપણાથી થવું જોઈએ. વિદ્યાભ્યાસ તપસ છે. લક્ષ્યની પ્રાપ્તિ માટે આપણે આ તપસમાંથી પસાર થવાનું જ છે. માટે, સ્કૂલના વર્ષો ધ્યાનસ્થ ગાળો હોવો જોઈએ. અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓ જો આ આધારમાં દ્રઢ રહે, તો તેઓ ક્યારેય ઈર્ષા કે અદેખાઈ કે સ્પર્ધાત્મક ભાવનાના ભોગ નહિ બને. આથી વિપરીત, તેમના જીવન ઉત્સવ અને ઉલ્લાસની યાત્રા બની જશે. જ્યાં કેવળ પ્રેમ અને ભાઈચારો હશે અને મનુષ્ય, પ્રકૃતિ અને ઈશ્વર હાથમાં હાથ મેળવી આગળ વધશે.

કરોનાની આ મહામારી દરમ્યાન આ વિશ્વ ઘેરા એવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. પરંતુ આપણે આશા અને આશાવાદ છોડવા ન જોઈએ.

અમ્માને એક કહાની યાદ આવે છેઃ એક વખત ગોકળગાયોનું એક મોટું ટોળું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું હતું. પક્ષીઓનું એક જૂથ દક્ષિણ તરફ આવી રહ્યું હતું. તેમણે ગોકળગાયોને પૂછયું, “તમો બધા ક્યાં ચાલ્યાં?”

ગોકળગાયોનો મુખિયો બોલ્યો, “અમો ત્યાં ઉત્તર દિશામાં આવેલ જંગલ તરફ જઈ રહ્યાં છીએ.”

આ સાંભળતા પેલા પક્ષીઓ હસવા લાગ્યા. તેમણે કહ્યું, “આ કેવી બાલિશતા છે! અમો તે જ જંગલમાંથી પાછા આવી રહ્યાં છીએ. અત્યારે ત્યાં દુકાળ પડયો છે. બધા જ વૃક્ષો સૂકાય ગયા છે. એક લીલું પાન પણ શોધો તો ય મળશે નહિં!”

આ સાંભળી મુખિયા ગોકળગાયે જવાબ આપતા કહ્યું, “કંઈ વાંધો નહિ. અમો ત્યાં પહોંચશું, ત્યાં સુધીમાં તો ઘણા પાન ફરી ઉગી નીકળ્યા હશે.”

ઉપરની કહાનીની ગોકળગાયોની જેમ જીવનમાં કઠણાઈઓ આવે તો પણ આગળ વધવા માટે આવશ્યક આશાવાદ અને આત્મ-વિશ્વાસ આપણામાં હશે તો બધા જ અવરોધો આપણે પાર કરી શકીશું. આત્મ-વિશ્વાસ બૂસ્ટર રોકેટ જેવો છે, જે આપણી સીમિતતાના ગુરુત્વાકર્ષણની પકડમાંથી મુક્ત થવા આવશ્યક છે.

જે રીતે સૂર્યને પોતાનો માર્ગ પ્રકાશિત કરવા મીણબત્તીની જરૂર નથી, એ જ પ્રમાણે ઈશ્વરને પણ આપણી પાસેથી કશાની જરૂર નથી. ગરીબ તેમજ જરૂરતમંદ લોકોમાં ઈશ્વરના દર્શન કરી, તેમના પ્રતિ કરુણાશીલ રહેવું, આ આપણને ઈશ્વરકૃપાને પાત્ર બનાવશે.

એક ગામમાં ગામ મધ્યે હાથ પસારેલા એક મહાન મહાત્માની બહુ જ સુંદર પ્રતિમા હતી. આ પ્રતિમાની નીચે એક તખ્તીમાં લખેલું હતું, “મારી ભુજાઓમાં આવો!”

સમયજતાં આ પ્રતિમાની ભુજાઓ તુટીને પડી ગઈ. ગ્રામવાસીઓ પ્રતિમાનું ભાવિ નક્કિ કરવા ભેગા થયા. કોઈ કહે પ્રતિમાને ત્યાંથી કાઢી નવી પ્રતિમા સ્થાપવાની. અન્યે વિરોધ કરતા કહ્યું, આ પ્રતિમાને નવી ભુજાઓ બેસાડવાની. આ સમયે એક વૃદ્ધ આગળ આવ્યા અને કહ્યું, “નહિ, નવી ભૂજાઓ બનાવવાની ચિંતા કરશો નહિ. તેને ભુજાઓ વિના જ રહેવા દો.”

ગ્રામવાસીઓ વિચારમાં પડી ગયા, “તો પછી નીચે લખેલ તખ્તીનું શું? તે કહે છે, “મારી ભુજાઓમાં આવો!”

વૃદ્ધે જવાબ આપતા કહ્યું, “એમાં કંઈ વાંધો નથી. “મારી ભુજાઓમાં આવો,” નીચે તમારે એટલું જ ઉમેરવાનું કે, “આપની ભુજાઓ સિવાય મારે અન્ય કોઈ ભુજાઓ નથી!”

ઈશ્વર આપણા હાથો થકી, આપણી આંખો થકી, અને આપણા કાનો થકી કાર્ય કરે છે. આપણે ઈશ્વરના હાથોના ઉત્તમ ઉપકરણ બનીએ, જેથી તે દિવ્ય શક્તિ આપણા થકી વહે. આપણે જો ચાહીએ કે, આપણાં કર્મ ધાર્યું ફળ લાવે, તો આ માટે ત્રણ ઘટક જરૂરી છે આ છેઃ સમય, સ્વ-પ્રયત્ન અને ઈશ્વર કૃપા.

દા.ત. આપણને કોઈ મહત્વના પ્રસંગમાં ભાગ લેવા દૂર દેશની યાત્રા કરવાની હોય, ત્યારે આપણે સવારે વહેલા ઊઠી જશું, તૈયાર થઈ કારમાં એરપોર્ટ માટે નીકળી જશું. એમ પણ બને કે, રસ્તામાં કાર બ્રેકડાઉન થાય અથવા કોઈ નાનો અકસ્માત થાય, આથી સમયસર એરપોર્ટ પહોંચવાને વિલંબ થાય. એમ પણ બને કે એર પોર્ટ પહોંચતા જાણવા મળે કે, કોઈ યાંત્રિક સમસ્યાને કારણે અથવા હવામાન ખરાબ હોવાથી ફલાઈટ કેંસલ થઈ છે.

અહીં આપણે આપણા તરફથી શક્ય બધો જ પ્રયત્ન કરીએ છીએ. પરંતુ, કૃપા ઘટકનો અભાવ હોવાથી આપણે આપણા મુકામ પર પહોંચી શક્યા નહિ. આપણા બધા જ કાર્યોને પૂર્ણ કરવા આપણને ઈશ્વરકૃપા જરૂરી છે. આ કૃપા પ્રાપ્ત કરવા આપણે સત્‌ કર્મ કરવા જરૂરી છે.

આ કૃપાને પાત્ર થવા ચાલો આપણે જાગૃત થઈએ. પરમાત્મા આપણને સહુંને અનુગ્રહિત કરે.


                                         ૐ ॥ લોકાઃસમસ્તાઃ સુખીનો ભવન્તુ॥

અમ્મા કુટીરમાં પધાર્યા એટલે બધાયે ઊભા થઈ અમ્માને નમસ્કાર કર્યા. પટ્ટાંબીથી આવેલા એક ભક્ત પરિવારે અમ્મા સાથે સંભાષણની શરૂઆત કરી. કુટુંબના વડાનું નામ રાજેન્દ્ર હતું. તેઓ અધ્યાપક હતા. તેમની પત્નીનું નામ, સરોજમ હતું. તે સિલાઈકામ કરતી હતી. તેમને બે બાળકો હતા. મોટો પુત્ર આઠમા ધોરણમાં ભણતો હતો અને પુત્રી, ત્રીજા ધોરણમાં હતી.

રાજેન્દ્ર : “અમ્મા, મારી આ પુત્રી ભણતી નથી.”

સરોજમ : “તે કહે છે કે, “નહિ ભણવાનું ” અમ્મા પાસ કરી દેશે.”

અમ્માએ તે બાલિકાને પકડીને પોતાની પાસે બેસાડી. વાત્સલ્યપૂર્વક તેને પંપાળતા, અમ્માએ પૂછયું, “પુત્રી, તું નહિ ભણે, તો લોકો અમ્માનું બૂરું નહિ બોલે? પુત્રી, ભણીશ નહિ તો કેવી રીતે પરીક્ષામાં પાસ થઈશ?” નિર્દોષ બાળસહજ ભાવ સાથે તે બાલિકાએ કહ્યું, “ભાઈ તો ભણ્યા વગર પાસ થયો?” (બધા હસી પડયા)

અમ્મા : “કોણે તને કહ્યું કે ભાઈ ભણ્યા વગર પાસ થયો?”

બાલિકા : “ભાઈએ કહ્યું.”

સરોજમ : “અમ્મા, જ્યારે પણ તેને ભણવાને કહીએ, તે આમ જ કહે છે. ભાઈ જ્યારે પરીક્ષા લખવા બેઠો, ત્યારે આપ તેની પાસે આવીને બેઠા હતા અને આપે તેને બધા જવાબ કહ્યાં હતાં. તે પરીક્ષા આપીને ઘરે આવ્યો, ત્યારે તેણે કહ્યું “મેં તો કોઈ તૈયારી કરી ન હતી. અમ્માએ આવીને મને બધા ઉત્તરો કહ્યાં હતા.”

(અમ્મા હસવા લાગ્યા)

રાજેન્દ્ર : “અમ્મા, તેણે જે કહ્યું તે સત્ય છે. તે એક અક્ષર પણ ભણતો નથી. હંમેશા ફક્ત રમે જ રાખે છે. પણ પરીક્ષામાં તે સારાં માર્ક લાવે છે. તેના માર્ક જોઈને, ક્લાસટીચરને પણ આશ્ચર્ય થયું હતું.

સરોજમ : “આમ આ પણ હંમેશા કહે છે કે, અમ્મા મને પરીક્ષામાં પાસ કરશે.”

અમ્મા હસી પડયા.

અમ્માએ બાલિકાને પ્રેમપૂર્વક ચુંબન આપ્યું.

અમ્મા : “મારી વહાલી દીકરી, તું જો નહિ ભણે તો અમ્મા તારી સાથે વાત નહિ કરે. કહે કે તું ભણશે.”

બાલિકા : “ભણીશ.” બાલિકાએ વચન આપ્યું. અમ્માએ પાસેના એક પડીકામાંથી સફરજન લઈ, તે બાલિકાને આપ્યું. “સત્‌ફ્લદાયિની” એવા અમ્માના હાથમાંથી ફળ સ્વીકારી, તે બાલિકાના બાળ માનસમાં સંતોષની લહેરો ઉછળવા લાગીં. જે તેના મુખપરના સ્મિતમાં પ્રત્યક્ષ થતી હતી.

અમ્માનો સંદેશ: ઑગસ્ટ ૨૦૨૧

બાળકો, જીવનમાં સુખ કેવળ શરીર, બહારી સુખ આરામ કે બહારી વસ્તુઓ પર નિર્ભર નથી કરતું. જીવનમાં સાચું સુખ તો મન પર નિર્ભર કરે છે. આપણા મન પર જો આપણું પૂર્ણ નિયંત્રણ હશે, તો પછી અન્ય બધા પર આપણે નિયંત્રણ મેળવી શકીશું. મનને કેવી રીતે નિયંત્રણમાં રાખવું, આ શીખવતું વિજ્ઞાન જ યથાર્થ વિજ્ઞાન છે અને આ જ આધ્યાત્મિક જ્ઞાન છે. સર્વપ્રથમ આ જ્ઞાનને જો પ્રાપ્ત કરી લઈએ, ત્યારે પછી જ આપણે પ્રાપ્ત કરેલ અન્ય બધા જ્ઞાનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીશું.

પૂર્વે એવા પણ કુટુંબો હતા જેમાં ૩૦ કે ૪૦ અથવા ૫૦ સભ્યો રહેતા હતા. તેઓ બધા એકતા સાથે, પરસ્પર પ્રેમ અને આદર સાથે ભેગા મળીને રહેતા હતાં! આ પ્રકારના કુટુંબોનું અંતરીક્ષ પણ પ્રેમ અને શાંતિપૂર્ણ હતું. કારણ કે, તેઓ આધ્યાત્મિકતા સમજતા હતા. જીવન શું છે અને શા માટે છે, તેઓ જાણતા હતા. આધ્યાત્મિક સિદ્ધાંતોના આધાર પર તેમના જીવનનું નિર્માણ થતું હતું. આ ઘણું જ દુંખદ છે કે, તેમના આ સિદ્ધાંતોને આજે કેવળ દાદીમાની કહાણી માનવામાં આવે છે. આજે કુટુંબમાં જો ત્રણ સદસ્યો હશે, તો તેઓ સમુદ્રના ત્રણ દ્વીપો જેવા હશે. બધાને પોતપોતાની રીત હશે અને પરસ્પર એકબીજા સાથે તેમને બનતું પણ નથી.

લોકો જો આધ્યાત્મિક સિદ્ધાંતોમાં પારંગત હોય, તો કંઈ નહિ તો પરિવારની અંદર આપણે આ પ્રકારની પરિસ્થિતિ ટાળી શકીએ. એ તો આધ્યાત્મિકતા છે, જે હૃદયને નજીક લાવે છે. જે તરવાને જાણે છે, તે સામુદ્રી મોજાંમાં આનંદ માણે છે તેના માટે પ્રત્યેક મોજું આનંદદાયક અનુભવ છે. પરંતુ, જેને તરતા ન આવડતું હોય, તે તો મોજાંઓને વશ છે. આ જ પ્રમાણે, આધ્યાત્મિકતાના સિદ્ધાંતોથી પરિચિત વ્યક્તિ, જીવનમાં આવતી એક એક સમસ્યાનો સામનો હસતા મોઢે કરવાને સક્ષમ હોય છે. જે આધ્યાત્મિકતા નથી સમજતા, તે નજીવી બાબતો પર તૂટી જશે. ધારો કે કોઈ ફટાકડો ફૂટે અને આપણે જો આ જાણતા નહિ હોઈએ તો આપણે ભયભીત રહી જશું. પણ જો આ જાણતા હશું, તો આપણને આંચકો નહિં લાગે. કોઈ પણ સંજોગોમાં આપણે ઢચુંપચું થશું નહિ.

કેટલાક લોકો આધ્યાત્મિકતાનો અર્થ અંધ વિશ્વાસ કરવાની ભૂલ કરે છે. સત્ય તો એ છે કે, આધ્યાત્મિકતા અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. ઘણા લોકો યુવા પેઢીને ગેરમાર્ગે દોરી જાય છે. તેઓ તેમને સાચી સમજણ આપતા નથી. કેટલાક પૂછે છે, “ધર્મ ભૂખ્યાનો ખોરાક તો નથી, ખરુંને?” તેમનું આ કહેવું સાચું છે. પરંતુ, અમ્મા તેમને પૂછવા માગશે કે, તે લોકો જે વિલાસી ખોરાક ખાય છે, એર—કન્ડિશન ઓરડામાં સૂવે છે, જેમને પોતાના ખાનગી વિમાનો અને જહાજો છે, શા માટે તેઓ સ્વયં ઝહેરના ઇંજેકશન લઈ, સ્વયંને ગોળી મારી, પૂર્ણ ઝડપથી આવી રહેલી ટ્રેન સામે સ્વયંને ફેંકી, અથવા છત પર સ્વયંને ટંગાવી આત્મ હત્યા કરે છે? કારણ કે, વિલાસી ખોરાક અને વસ્તુઓથી પ્રાપ્ત સુખથી પણ પર કંઈક છે, ખરુંને? માટે આપણે જીવનમાં શું સ્વીકારવું જોઈએ અથવા શું અભ્યાસમાં મૂકવું જોઈએ? એ કે જે આપણને મનની શાંતિ આપે છે. આ અન્ય કંઈ જ નહિ પણ આધ્યાત્મિકતાનો પથ છે.

બાળકો, માલ મિલકત, સંપત્તિ ભેગી કરવી અથવા સ્થાન, માન, ખ્યાતિ પ્રાપ્ત કરવા, આ તો ટાલિયા માથા માટે દાંતિયા ભેગા કરવા જેવું છે. આનો અર્થ એવો નથી થતો કે આપણે નવરા બેઠા રહેવું કે આળસું બની બેઠા રહેવું. વ્યક્તિએ કાર્ય કરવું જોઈએ. કાર્ય કરવાની યથાર્થ રીત સમજીને અર્થાત કોઈ પણ પ્રકારની આસક્તિ વિના કાર્ય કરવું જોઈએ

બાળકો, એક જ ટોફિના જુદા જુદા વિંટળાની જેમ આપણે બધા એક જ આત્માના જુદા જુદા સ્વરૂપો છીએ. લીલા રંગના વિંટળાથી ઢંકાયેલી ટોફી, લાલ રંગના વિંટળામાં ઢંકાયેલી ટોફીને જોઈને કહેશે, “આપણે ભિન્ન છીએ!” આ જ પ્રમાણે લાલ ટોફી નીલી ટોફીને કહેશે, “આપણે ભિન્ન છીએ!” પણ આપણે જો આ બધા વિંટળાને કાઢી નાખીએ, ત્યારે આપણને જોવા મળશે કે, તે બધી એક જ છે. આપણી વચ્ચેની ભિન્નતાનું પણ આવું જ છે. પરંતુ આપણે આ સમજતા નથી અને બહારી ભિન્નતામાં ગૂંચવાઈ જઈ, સંસારમાં અનેક સમસ્યાઓનું સર્જન કરીએ છીએ! શા માટે આપણે આ સમજતા નથી? કારણ કે, આપણે આપણું બાળસહજ હૃદય ગુમાવ્યું છે. પરિણામ, આપણે આત્મસાક્ષાત્કાર નથી કરી શકતા; પરમાત્માની અનુભૂતિ માટે પણ આપણે અસમર્થ છીએ.

અમ્મા અહીં બાળસહજ હૃદયનો અર્થ તીક્ષ્ણ ગ્રહણશક્તિ એવો કરે છે. કેટલાક કહેશે કે, બાળકોમાં સમજવાની ક્ષમતા નથી હોતી. અમ્માના કહેવાનો ઉદ્દેશ બાળકોનો વિશ્વાસ અને કલ્પના શક્તિ છે. બાળક જો કોઈ પથ્થર લેશે અને કહેશે કે, આ સિંહાસન છે, તો તેના માટે તે સાચે જ સિંહાસન છે. પથ્થરની સામે હાથમાં લાકડી લઈ તે ઊભો રહેશે, આમ કરી તે માને છે કે, પોતે કોઈ સમ્રાટની જેમ તલવાર વીંઝી રહ્યો છે. સમ્રાટની જેમ તે બોલશે અને અભિનય કરશે. તે નથી વિચારતો કે, પોતે એક પથ્થર પર બેઠો છે અને હાથમાં તેણે લાકડી પકડી છે. જ્યાં સુધી તેનો સવાલ છે, તે એક સાચી તલવાર વીંઝી રહ્યો છે. આપણે આ કાલ્પનિક શક્તિ, વિશ્વાસ અને નિખાલસતા ગુમાવ્યા છે, અને ઈર્ષા અને અદેખાઈના કેવળ પ્રતીક બની ગયા છીએ. એક સાધકને જેની જરૂર છે, તે નિખાલસ હૃદયની અને વિવેકપૂર્ણ તીક્ષ્ણ બુદ્ધીની છે.

આપણામાં નિખાલસતા અને તીક્ષ્ણ બુદ્ધી, બંને હોય તો જ આપણે દિવ્યતાની અનૂભૂતી કરી શકીએ. જેનું જીવન આ બંને ગુણથી સંપન્ન છે, તેના જીવનમાં ક્યારેય દુઃખ કે નિરાશાના દાગ નહિ હોય.

બાળકો, નિખાલસ હૃદય વિના તમે શાંતિનો આનંદ ન લઈ શકો. નિખાલસ હૃદયમાં જ ઈશ્વર વાસ કરે છે. “

એક મહિના પહેલાં એક નવયુવક આશ્રમમાં સ્થિર રહેવાની ઇચ્છાથી આવ્યો હતો. અમ્માએ તેને સંમતિ આપી નહિ. આથી તે યુવકે ભારપૂર્વક આગ્રહ કર્યો ત્યારે અમ્માએ તેને કહ્યું,

“પુત્ર, આધ્યાત્મિક જીવન એટલું સરળ નથી. યોગ્ય વિવેક અને વૈરાગ્ય ન હોય તો તેમાં દ્રઢ રહેવું કઠિન છે. કોઈ પણ પ્રતિબંધોમાં જે લક્ષ્યબોધ ન છોડે તે જ આધ્યાત્મિક જીવનમાં વિજયી રહી શકે. પુત્ર, તારાં હૃદયમાં હજુ પણ તને તારા પરિવારના લોકો સાથે બંધન છે. માટે, કેટલા સમય સુધી તું અહીં રહી શકીશ, તે વિશે અમ્માને કોઈ ખાતરી નથી. પણ તારે જો અહીં રહેવું જ હોય તો તું રહી શકે છે. અમ્મા તને રોકશે નહિ.”

તે યુવક આશ્રમવાસી તરીકે આશ્રમમાં રહેવા લાગ્યો. આશ્રમના દૈનિક નિયમો પ્રત્યેની તેની નિષ્ઠા અને સાધનામાં તેનું દ્રઢ વૈરાગ્ય, હૃદય સ્પર્શી હતાં. એક બ્રહ્મચારીએ આ યુવકના વૈરાગ્ય વિશે અમ્માને જણાવ્યું. અમ્માએ તેને કહ્યું, “પુત્ર, કોઈ વૃક્ષની ડાળ કાપી આપણે તેને માટીમાં રોપીએ તો તરત જ તેમાં બે ચાર પાન ફૂંટશે. આ જોતાં એમ ન માનવું જોઈએ કે, નવા છોડવાના મૂળિયા માટીમાં દ્રઢ થયા છે. આ નવા પાન બહુ જલ્દી ખરી જશે. તે પછી પાન આવે છે કે કેમ, તે જોવું જોઈએ. જો પાન આવે તો એમ સમજવું કે તે છોડ ઉગશે. કારણ કે, ડાળમાંથી નીકળેલા મૂળ જમીનમાં મજબૂત થાય પછી જ નવા પાન આવે છે.”

ગયા અઠવાડિયે તે નવયુવકના પિતા, તેના ભાઈને સાથે લઈ આશ્રમ આવ્યા હતા.

પુત્રને બોલાવી પિતાએ કહ્યું, “પુત્ર, તને ન જોવાથી, તારી મા બહુ દુઃખી છે. તે ખોરાક પણ નથી લેતી. હંમેશા તને યાદ કરી, તે તારી જ વાતો કરે છે.” પિતાના વચનો સાંભળી પુત્રની આંખમાં પાણી આવી ગયા. “અમ્મા, હું ઘરે જઈ મારી માતાને મળીને આવું તો કેમ?” યુવકે યાત્રા માટે અનુમતિ માગી.

“પુત્ર, જેવી તારી ઇચ્છા.”

કોઈ રોગી, કે જે હોસ્પિટલમાં દાખલ થવાને તૈયાર ન હોય, તેને ઘરે જવા દેતા પહેલાં જેમ એક ડૉક્ટર સમયસર દવા લેવાનું કહે છે. તેની જેમ, આગળ ઉમેરતા અમ્માએ કહ્યું, “પુત્ર, ઘરે ગયા પછી પણ, થોડો સમય જપ કરવાનું ભૂલતો નહિ.”

તેને ગયે આજે અઠવાડીયું થયું, તે હજુ પાછો આવ્યો ન હતો. પાસે ઊભેલા એક બ્રહ્મચારીએ અમ્માને પૂછયું, “અમ્મા, અનેકવાર એવું જોવામાં આવે છે કે, શરૂઆતમાં લોકોમાં જે વૈરાગ્ય જોવા મળે છે, પાછળથી તે નાશ પામે છે. એમ કેમ?”

અમ્મા : “ઘણાખરા લોકો શરૂઆતમાં આવેશ સાથે આવે છે. ઘણામાં શરૂઆતનું વૈરાગ્ય દેખાઈ છે. પરંતુ, તેને જાળવી રાખવામાં જ સફળતા રહેલી છે. શરૂઆતનો આવેશ ઠંડો પડતા, અગણિત જન્મોથી આપણી અંદર સંગ્રહિત સુશુપ્ત વાસનાઓ એક એક કરીને માથું ઉંચુ કરશે. આ સમયે બાહ્ય વસ્તુઓ તરફ ધ્યાન આકર્ષિત થાય છે. આ વાસનાઓથી ઉપર ઉઠવાની ક્રિયા, અથાક પ્રયત્ન અને ત્યાગ માગી લે છે. ધાર્યા કરતાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવાનું થતા, ઘણાખરા લોકો હતાશ બને છે. સાધનાનીં શરૂઆતમાં જે ઉત્સાહ હોય છે, તે સમય જતાં દેખાતો નથી. આ આપણને નિરાશ કરે છે. પરંતુ, જેને દ્રઢ લક્ષ્યબોધ હશે, તે પરાજય કે હતાશાને મહત્વ નહિ આપે. તે તો ફરી ફરી પ્રયત્ન કરતા રહે છે. આ પ્રકારનો લક્ષ્યબોધ ધરાવનાર જ વૈરાગ્યને સદાસમય જાળવી રાખી શકે.”

અમ્મા ઊભા થયા અને ચાલતા રસોડા તરફ જવા લાગ્યા. રસોડાની ઉત્તર દિશાનો દરવાજો ખુલો હતો. ત્યાં એક વિદેશીને અમ્માએ કપડા ઘોતો જોયો. ક્યારેય હાથે કપડા ધોવાને ટેવાયેલા ન હોવાથી, કપડા ધોતા પહેલાં તે વિદેશી, કપડા ધોવાના પથ્થર પર આખા સાબુંના લાટાનો લેપ કરી રહ્યો હતો.

અમ્મા થોડો સમય તેને નિહાળતા ત્યાં જ ઊભા રહ્યાં. પછી તેઓ તેની પાસે ગયા અને તેના હાથમાંથી કપડા લીધા. પછી સાબુથી કપડાને કેવી રીતે ધોવા તે બતાવ્યું. એક બ્રહ્મચારીએ અમ્માના શબ્દોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. પેલા વિદેશીને ઘણી પ્રસન્નતા થઈ કે, અમ્મા તેને કપડા ધોતા શીખવી રહ્યાં હતા.

અમ્મા પછી દર્શન કુટીર તરફ ગયા. માર્ગમાં તેમણે એક બ્રહ્મચારીને ભગવાં રંગનું ધોતિયું પહેરેલો જોયો.

અમ્મા : “પુત્ર, હમણાં તું આ વસ્ત્રને ન ધારણ કરી શકે. આપણે તે ધારણ કરવાને યોગ્ય નથી થયા. અત્યારે તો, તમે જ્યાં ક્યાંય ભગવાં જુઓ, તમારે તો તેનો આદર જ કરવો જોઈએ અને નહિ કે તેને સ્વયં ધારણ કરવાના.

“ભગવો રંગ તો શરીરને અગ્નિમાં દહન કર્યાનું પ્રતિક છે!

“પુત્ર, આ વસ્ત્રોને જુઓ ત્યારે ઋષિપરંપરાનું સ્મરણ કરવું જોઈએ. તે વ્યક્તિમાં આપણે તે પરંપરાનો આદર કરીએ છીએ.”

એક વિદેશી ભક્ત આ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. તેણે એક બ્રહ્મચારી પાસેથી જાણ્યું કે અમ્મા ભગવાં વસ્ત્રો વિશે કહેતા હતા. આમ તેણે અમ્માને પોતાને ભગવાં વસ્ત્ર આપવાને વિનંતી કરી. ઉત્તરમાં અમ્મા ફક્ત હસ્યા. તેણે ફરી ભારપૂર્વક માગણી કરી.

અમ્માએ કહ્યું, “દુકાનમાંથી ધોતીયું ખરીદીને પહેરવું, તેની જેમ આ ખરીદીને પહેરવા જેવા વસ્ત્ર નથી. પહેલાં તો આ માટેની યોગ્યતા આપણે પ્રાપ્ત કરવી જોઈએ.” અમ્માનો આ ઉત્તર સાંભળીને પણ તેને સંતોષ ન થયો. તેણે પૂછયું, “બીજા લોકો તો તેને પહેરે છે. પછી શા માટે મારે તેને ન પહેરવા?”

અમ્મા : “પુત્ર, સ્ત્રીનો વેશ ધારણ કરવાથી, શું તું સ્ત્રી બનશે? સ્ત્રી પુરુષનો વેશ ધારણ કરે તો શું તે પુરુષ બની શકે? પુત્ર, ભગવાં વસ્ત્ર ખરીદીને પહેરવાથી કોઈ સંન્યાસી નથી થતું. સર્વપ્રથમ તમારા મનને ભગવામાં ડૂબાડવું જોઈએ. મન ભગવું બની જાય, પછી અમ્મા તને ભગવાં આપશે.”

આ સાંભળતા તે વિદેશી પાસે કહેવાને કોઈ શબ્દ ન હતા.

બ્રહ્મચારી : “કેટલાક લોકો ઘરમાં ઝગડો કરીને ચાલ્યા જાય, પછી ભગવાં ધારણ નથી કરતા શું?”

અમ્મા : “હા, આ સાચું છે. કેટલાક લોકો ઝઘડો કરી, ઘર છોડીને ચાલ્યા જાય છે. પછીં જ્યારે ભૂખ્યા રહેવાનો વારો આવે, ત્યારે ભિક્ષા મેળવવા ભગવાં પહેરે છે. તો અમુક પત્ની સાથે ન બને તો નિરાશાને કારણે ભગવાં પહેરતા જોવા મળે છે. તે વૈરાગ્ય પણ સારો છે. પણ યથાર્થ લક્ષ્યનું જ્ઞાન હોવું જરૂરી છે. તે સાથેનું બંધન આવવું જોઈએ. તે ન હોય તો પછી ભગવાં ધારણ કરવાનો કોઈ અર્થ નથી. આજે તો યથાર્થ સન્યાસીઓ પણ જોવા નથી મળતા. કોઈપણ ગુરુકુળમાં રહીને પરંપરાગત ભગવાં મેળવ્યા છે કે કેમ, તે જાણવું જોઈએ. યથાર્થ ગુરુ એમ ને એમ ભગવાં વસ્ત્રો આપતા નથી. તેઓ વ્યક્તિની પુખ્તતા પણ જુએ છે.”

પ્રશ્નઃ આપણી આ ધરતી શા માટે આપણને આ રીતે કષ્ટ આપે છે?

અમ્માઃ બાળકો, તમારે આ યાદ રાખવું જોઈએ કે, આપણી ખાતર પ્રકૃતિ કેવા મહાન ત્યાગ સહન કરે છે. નદીઓ, વૃક્ષો અને જનાવરો આપણી ખાતર કેટલો ત્યાગ સહન કરે છે. એ વૃક્ષનો જ દાખલો લો. વૃક્ષ આપણને ફળ આપે છે, છાયો આપે છે. આ વૃક્ષનો મનોભાવ છે. આ રીતે જો આપણે પ્રકૃતિની એક એક વસ્તુનું નીરિક્ષણ કરીએ, તો જાણવા મળશે કે, તેઓ બધા જ મનુષ્ય માટે ઘણો ઘણો ત્યાગ સહન કરે છે.

પરંતુ આપણે તેમના માટે શું કરીએ છીએ? કહેવાય છે કે, આપણે એક વૃક્ષને કાપીએ, ત્યારે આપણે એક વૃક્ષના રોપાને વાવવો જોઈએ. પરંતુ કેટલા લોકો આમ કરે છે? આપણે જો આમ કરીએ તો પણ કેવળ આ એક રોપાથી કેવી રીતે આપણે પ્રકૃતિનું સંતુલન અને સંવાદિતા જાળવી શકીએ? એક નાનો છોડ એટલા જ લાભ ન આપી શકે, કે જે એક વિશાળ વૃક્ષ આપે છે. શું એક શિશું એટલું કામ કરી શકે, જેમ કે એક વયસ્ક પુરુષ કરે છે? એક પુરુષ માટીનો એક મોટો જથ્થો ખેંચીને લઈ જઈ શકે ત્યારે એક બાળક કેવળ એક ચમચીભરીને રેત લઈ શકે. આ અંતર આટલું વ્યાપ્ત છે. ટાંકી ભરીને પાણીને શુદ્ધ કરવા જો ૧૦મી.ગ્રામ ભૂકો આવશ્યક હોય, તેની જગ્યાએ ફક્ત ૧ મી.ગ્રામ ભૂકો ઉપયોગમાં લઈએ, તો શું તેનાથી કોઈ લાભ થવાનો? ભાગ્યે જ થાય!

આજે પ્રકૃતિને જાળવવા માટેના આપણા પ્રયત્નોનું પણ આવું જ છે. પ્રકૃતિ ક્રમેણ પોતાનું સંતુલન ગુમાવી રહી છે. જે પવનની લહેરખી આપણને પંપાળતી હતી, આજે તે ઝંઝાવાત બની છે. ધરતી કે જે આપણો આધાર છે, તે આજે આપણને પાતાળમાં ધકેલી રહી છે. આ પ્રકૃતિનો દોષ નથી. આપણે તો ફક્ત પૂર્વે કરેલા આપણા અધાર્મિક કર્મોનું ફળ જ અનુભવી રહ્યાં છીએ. આ તો શબપેટી વેચી જીવિકા મેળવતી કોઈ વ્યક્તિ, છેવટે સ્વયંને શબપેટીમાં પામે છે, તેના જેવું થયું.

આપણે આપણી પોતાની કબર ખોદી રહ્યાં છીએ. આજે હરકોઈ ભયભીત છે. તેમને ભય છે કે, સૂતા પછી ઊંઘમાંથી જીવિત જાગશે કે કેમ!

બાળકો, સર્વપ્રથમ આપણે પ્રકૃતિની રક્ષા કરવાનું શરૂ કરવું જોઈએ. ત્યારે જ આપણે હૈયાત રહી શકીશું. આર્થિક કે નીજી સ્વાર્થ ખાતર પ્રકૃતિનો નાશ કરવાનું બંધ કરવું જ જોઈએ. આ સાથે ઘરે વૃક્ષો ગાડવા પ્રયત્ન કરવો જોઈએ. આપણા પ્રાચીન ઋષીઓએ જ્યારે વૃક્ષોની પૂજા કરવાનું કહ્યું હતું, ત્યારે તેઓ આપણને પ્રકૃતિ સંરક્ષણનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. ઘરના આંગણામાં રોપાઓ વાવવા, આ છોડવાઓમાંથી ફૂલ તોડી ભગવાનને ધરવા, પીતળની દીવીમાં તેલ રેડી, વાટ પ્રગટાવવી, આ બધું પ્રકૃતિને શુદ્ધ કરવાના ઉપાયો છે. આજે અંતરીક્ષમાં ફૂલની સુંગધ નથી કે નથી પ્રગટાવેલા દીવાની સુવાસ. છે કેવળ ફેક્ટરીઓમાંથી નીકળતા ધૂમાડાની દુર્ગંધ. આજે વાતાવરણ દૂષિત થયુંછે. મનુષ્યનું આયુષ્ય જે ૧૨૦ વર્ષ હતું આજે તે ૮૦ કે ૬૦ વર્ષમાં સીમિત થયું છે. નવા રોગો થયા છે. તેનું કારણ “વાયરસ” બતાવી, કોઈ આ બીમારીઓનું સાચું કારણ નથી સમજી શકતા.

આજે અંતરીક્ષ પ્રદૂષિત થઈ રહ્યું છે. રોગોમાં વૃધિ થઈ રહી છે. સ્વાસ્થ્ય પાંગળું થઈ રહ્યું છે. આયુષ્ય ઓછું થઈ રહ્યું છે. આજે આપણે આવી પરિસ્થિતિ તરફ આગેકૂચ કરી રહ્યાં છીએ. લોકો ધરતી પર સ્વર્ગ બનાવવા માગે છે પરંતુ આખરે તેઓ અહીં નરક જ બનાવશે. લોકો મિષ્ટાન ખાવા ચાહે છે, પરંતુ બીમારીના કારણે આમ નથી કરી શકતા. લોકો નૃત્યનો કાર્યંક્રમ જોવા માગે છે, પરંતુ બીમારીના કારણે મોડે સુધી જાગી નથી શકતા. આમ એક નહિ તો બીજા કારણે, મનુષ્ય પોતે ચાહે તેમ કરી શકતો નથી. પોતે બાંધેલ બંધનની ગાંઠને ખોલવાને અસમર્થ તે બંધાયેલો છે. કોઈ વિચારતું નથી કે, આનો અંત કેવો આવશે. અથવા આ સમસ્યાનું શું થશે. અથવા આ પરિસ્થિતિ પર વિચાર કરે તો પણ કોઈ તેના પર કર્ય કરતું નથી. વૃક્ષો રોપી અને ઈશ્વરને પુષ્પ અર્પણ કરી, આપણે અંતરીક્ષ તેમજ આપણા હૃદય, બંનેને શુદ્ધ કરીએ છીએ.

એક ભક્ત વૃક્ષો અને છોડવાઓને પાણી પાતી વખતે, ફૂલ તોડતી વખતે, ફળ તોડતી વખતે, ફૂલનીમાળા ગૂંથતી વખતે અને બધું પોતાના ભગવાનને અર્પણ કરતી વખતે તે પોતાના મંત્રનો જાપ કરે છે. મંત્રજાપથી વિચારો ઓછા થાય છે, અને આ પ્રમાણે મન શુદ્ધ થાય છે. પરંતુ આજે ઘણા લોકો આ પ્રકારની પ્રથાને અંધ વિશ્વાસ કહીં, તેનો ઉપહાસ કરે છે.

આજે આપણે મનુષ્ય દ્વારા નિર્મિત કમ્પ્યુટર અને ટેલિવિઝનનો વિશ્વાસ કરીએ છીએ, જે આપણા વિનાશનું કારણ પુરવાર થઈ રહ્યું છે. આપણે ઋષિઓના વચનોનો વિશ્વાસ કરવાને સંકોચ અનુભવિએ છીએ, કે જેમણે સત્યને જાણ્યું હતું. તમારું કમ્પ્યુટર અથવા કાર, બગડી જાય તો તે સરખી થાય ત્યાં સુધી ગમે તેટલો સમય કાઢવાને તમે તૈયાર હશો. પરંતુ આપણા મનની અસંવાદિતાને સરખી કરવા આપણે શું કરીએ છીએ? ૐ