ૐ અસતો મા સદ્‌ગમય । તમસો મા જ્યોતિર્ગમય ।
મૃત્યોર્માઽમૃતં ગમય । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥

આ પ્રાર્થના, તમસો મા જ્યોતિર્ગમય — અંધકારમાંથી પ્રકાશ તરફ અમને દોરી જાઓ., આ સનાતન ધર્મની અનંત પ્રાર્થનાઓમાંની એક છે. દિવાળીનો આ પવિત્ર દિવસ આપણને બુરાઈના અંધકારમાંથી ભલાઈના પ્રકાશમાં વિકાસ કરવા. આપણી અંદર ઈશ્વરીય સિદ્ધાંતને જાગૃત કરવાને સ્મરણ કરાવતો દિવસ પણ છે. આ દિવસ આપણા ઘરોમાં અને હૃદયમાં વૈભવના દેવી લક્ષ્મીનું આવાહન કરવાનો અવસર પણ છે.

આપણે બધા જ જાણીએ છીએ કે, સનાતન ધર્મના આધારમાં રહેલા એક સિદ્ધાંત અનુસાર સર્જન અને સર્જનહાર, બે નથી પણ એક જ છે. સૂર્યને પોતાનો માર્ગં પ્રકાશિત કરવા મીણબત્તીની જરૂર નથી. ઈશ્વરને આપણી પાસેથી કશાની જરૂર નથી. સનાતન ધર્મનો મૂળ સિદ્ધાંત શસપને સર્જનમાંના સર્વકાંઈને ઈશ્વર સમાન જોઈ, આ મનોભાવ સાથે સહુંની સેવા કરવાને શીખવે છે. કહેવાય છે કે, ઈશ્વર આપણા હાથો થકી, જીહ્વા થકી, આંખો થકી, કાન થકી અને જે કોઈ કાર્ય આપણે કરીએ, તે થકી કાર્ય કરે છે. એ તો ઈશ્વર જ છે, જે સર્જનના એક એક સ્વરૂપની અંદર પ્રકાશમાન છે. ઈશ્વર જ દરેક જીવનું જીવન છે.

સનાતન ધર્મની પ્રાચીન સંસ્કૃતિ સર્વકાંઈને એક જ સત્યના મૂર્તસ્વરૂપ તરીકે જોઈ, સમસ્ત સર્જનને સ્વીકારે છે અને તેનો આદર કરે છે. ધ્યાન દરમ્યાન ઋષિઓની અંદર જીવનના રહસ્ય જે ઉદિત થયા તે મનુષ્ય અને પ્રકૃતિને, ચર અને અચરને હ્રૈયાત રાખવા તેમજ તેમના સુખ અને શાંતિની ખાતરી કરવા આજે પણ વિદ્યમાન છે.

રાવણનો સંહાર કરી ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા, ત્યારે સમસ્ત અયોધ્યામાં આ દિવસ દીવા પ્રગટાવી ઉજવવામાં આવ્યો હતો. આ દિવસના સ્મરણમાં આજે પણ દીવા પ્રગટાવી દિવાળી મનાવવામાં આવે છે. આનો પ્રતીકાત્મક અર્થ પણ છે.

આપણે બધા જ ભગવાન શ્રીરામ સીતામાતાની શોધમાં નીકળ્યાની કથાથી પરિચિત છીએ. સીતા પોતાના અજ્ઞાન અને અવિચારી કાર્ય માટે પશ્ચાતાપ કરે છે અને વરસાદ હોય કે તાપ, સતત ભગવાન રામનું સ્મરણ કરતા હતા. આ દરમ્યાન ભગવાન શ્રીરામ ઘણા અવરોધો પાર કરી, ઘણા અસૂરોનો સંહાર કરી, અંતમાં દશાનન રાવણનો સંહાર કરે છે.

રાવણના દશ માથા દશ ઈંદ્રિયોઃ ૫ જ્ઞાન ઈદ્રિયો અને પાંચ કર્મ ઈંદ્રિયોને સૂચવે છે. રામ આ દશે ઈંદ્રિયો પર વિજય મેળવી, પોતાના અહમ્‌થી પર આવ્યા છે. આ પ્રમાણે તેઓ બંને, આંતરિક તેમજ બાહ્ય રીતે એક વિજયી રાજા બની અયોધ્યા પાછા ફર્યા હતાં. આ તેમનો વિજય હતો અને આ વિજય દિવાળીમાં મનાવવામાં આવે છે.

દીવા પ્રગટાવવા, આ ચેતનાના સામ્રાજ્યને પ્રકાશિત કરવાનું સૂચવે છે. આ ઉપરાંત અગ્નિ બોલેલા શબ્દ તેમજ ચેતના અથવા જાગરૂકતાને સૂચવે છે. આ જ કારણ હશે કે, આ તહેવારમાં સ્વાગત રૂપે દીવા પ્રગટાવી, ઉજવવામાં આવે છે.

જુદા જુદા રાજ્યોમાં આ તહેવાર જુદી જુદી રીતે મનાવવામાં આવે છે. તામિલનાડુમાં નરકાસુરનો વધ, દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. અસુરના રૂપમાં દુષ્ટ શક્તિનો સંહાર મનાવવામાં આવે છે. આપણે આને અહંમ્‌નો સંહાર અને સભાનતાની જાગૃતીનો અવસર બનાવવો જોઈએ.

પાણી હંમેશા નીચે તરફ વહે છે. ભલે પછી તે કોઈ પર્વતની ટોચ પરથી કેમ ન વહેતું હોય. પાણીનો પાઈપ ઉપરની તરફ ચીંધીને હોય તો પણ પાણી નીચે જમીન પર જ વહે છે. પરંતુ જ્યોત હંમેશા ઉપર તરફ જ ઝળકે છે. તેને નીચેની તરફ ચીંધીને રાખો તો પણ તેની જ્યોત ઉપર તરફ જ ઝળકે છે. તેનામાં પાણીને વરાળ કરવાની ક્ષમતા છે, જે પછી વાદળ બને છે અને આકાશમાંથી વરસાદ બની વરસે છે. વર્ષાના આ જળને વિધ વિધ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે વિદ્યુત શક્તિ ઉત્પાદન વગેરે. આ જ પ્રમાણે ભગવાન શ્રીરામ વિશ્વ માટે હિતકારક હતા. આ રીતે તેઓ હરકોઈમાં ધર્મને જાળવી રાખવાની ઇચ્છા જાગૃત કરવામાં સફળ રહ્યાં હતા.

એક સાચા તપસ્વીની બધી જ આવશ્યકતાઓની સંભાળ લેવામાં આવે છે. દેવી લક્ષ્મી હંમેશા તેની સાથે જ છે. આપણે જો રાણી મધમાખીને પકડી લઈએ, તો બીજી મધમાખીઓ અનુકરણ કરશે. જેમ કે. આાપણી પાસે દૂધ હશે, તો તેમાંથી આપણે દૂધના બધા ઉત્પાદનો મેળવી શકીએ, જેમ કે દહીં, છાશ, માખણ, ચીઝ વગેરે વગેરે.

વિવેક, શક્તિ, હિમ્મત અને અન્ય અનેક ગુણ આપણને પ્રાપ્ત થાય, આ જ આ દિવસે દેવી લક્ષ્મીનું આવાહન કરવા પાછળનું તત્વ છે. દેવી લક્ષ્મીનો પ્રમુખ ગુણ સંપત્તિ સમૃદ્ધિ છે. અહીં આ સૂચવેલ સંપત્તિમાં દૈવિ સંપતનો પણ સમાવેશ થાય છે. દૈવિ સંપત સર્વકાંઈ સમ્મિલિત કરે છે. સંપતિ આપણને સમૃદ્ધિ તરીકે પ્રાપ્ત થવી જોઈએ. આપણે જ્યારે લાલચું બનીએ છીએ ત્યારે આ સંપત્તિમાં સમિૃદ્ધ નહિ રહે. આ સંપત્તિ જ્યારે અન્ય લોકોને મદદરૂપ બને છે, ત્યારે આપણી સંપત્તિ સમૃદ્ધ બની જાય છે. ત્યારે તે પછી સ્વર્ગીય સુંગંધથી સંપન્ન સૂર્યપ્રકાશ જેવી બની જાય છે. અને આ ત્યારે બને છે જ્યારે આપણે કરુણા કેળવીએ છીએ.

સોનામાં મધુર સુંગધની જેમ આપણા જીવન પણ અમૂલ્ય, સુવાસિત અને સુંદર બને છે. માટે, જે રીતે આપણે ઈશ્વરના સર્જનની સેવા કરીએ છીએ, તે ઈશ્વર પ્રતિની આપણી સાચી સ્તુતિ અને ભક્તિ નિશ્ચિત કરે છે. આપણે જ્યારે કોઈ દુઃખી અને પીડિત પ્રતિ થોડી કરુણા પ્રકટ કરીએ છીએ, ત્યારે આપણે ઈશ્વર પ્રત્યેનું આપણું કર્તવ્ય નિભાવીએ છીએ.

આપણે બધા આપણા અંતરના દિપકને પ્રકાશિત કરવામાં સફળ રહીએ અને બીજા લોકોમાં પણ પ્રકાશ લાવી શકીએ. બધામાં આ પ્રાપ્ત કરવા આવશ્યક મનબોળ રહે. ઈશ્વરકૃપા મારા બાળકોને અનુગ્રહિત કરે.

                                ૐ અમૃતેશ્વ્રર્યૈ નમઃ                                               

ધર્મ સંરક્ષણ

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, “હે અર્જુન, ત્રણેય લોકમાં મને પ્રાપ્ત કરવાને કંઈ જ નથી, છતાં હું કર્મમાં વ્યસ્ત રહું છું.” શ્રીકૃષ્ણના કાર્યો આપણે જે કરીએ છીએ, આથી જુદા હતા. તેઓ કર્મ કરતા હતા, પણ કોઈપણ પ્રકારનો કર્ત્રુત્વનો ભાવ કે આસક્તિ વિના તેઓ કર્મ કરતા હતા. પાણી પર જેમ માખણ તરે, એવું થયું. નાટકમાં કલાકાર કોઈ ભૂમિકાનો અભિનય કરવા વેશ ધારણ કરે છે. તે ભૂમિકા ભજવી લીધા પછી, તે વેશ કાઢીનાખે છે, જે તેણે બીજા લોકોને મનોરંજન કરવા ધારણ કર્યો હતો. નાટક પૂરું થતાં તેને તે વેશ સાથે કોઈ આસક્તિ નથી હોતી. આ જ પ્રમાણે છે, મહાત્માના કાર્યો. તેમનું પ્રત્યેક કાર્ય બીજામાં જાગરૂકતા જાગૃત કરવા માટે છે, તેમને સ્વ-આત્માથી જાગૃત કરવા સહાય કરવા માટે છે.

નાટકના કથાકાર પોતે લખેલું નાટક જૂએ, તો શું હશે તેમનો પ્રતિભાવ? તે ન તો ઉત્તેજીત થશે કે નહિ હતાશ થાય. કારણ કે, પ્રત્યેક દ્રષ્યમાં શું બની રહ્યું છે, તે અને આગળ કથા કેવી રીતે રૂપાંતર થશે, આ તે જાણે છે. આ જ પ્રમાણે છે, મહાત્માઓ માટે આ દુનિયા. આજ કારણસર આ વિશ્વમાં કંઈ જ તેમને બાંધી શકે નહિ. મનનું રીમોટ કંટ્રોલ તેમના હાથમાં છે. તેમની દિવ્ય શક્તિ વિના કંઈ જ બની શકે નહિ. માખણ જે રીતે પાણી પર તરે છે, એ રીતે મમહાત્માઓ આ સંસારમાં જીવે છે. અર્થાત પૂર્ણરૂપે અલિપ્ત રહીં જીવે છે. તેઓ આ વિશ્વના કલ્યાણ અર્થે અવતરિત થયા છે. જો ધર્મનું વર્ચસ્વ હોવું જ જોઈએ, તો અધર્મએ જવું જ રહ્યું. આ જ તો તેઓ કરી રહ્યાં છે, ધર્મનું સમર્થન.

જો કોઈ દેશનો શાસક એવી કોઈ વ્યક્તિ હોય જે પોતાના નીજી સ્વાર્થ ખાતર સો હત્યા કરવાને અચકાય નહિ, તે પોતાના સુખ ખાતર રાષ્ટ્ર અને પ્રજાનું શોષણ જ કરશે. આ પ્રકારના શાસકથી રાષ્ટ્રને મુક્ત કરવું જ જોઈએ. આમ કરવા દસ લોકોને મૃત્યુદંડ દેવો પડે, તો તેમાં કંઈ ખોટું નથી. જ્યાં સુધી અધર્મનો નાશ થાય નહિ, ધર્મનું વર્ચસ્વ રહી શકે નહિ. મોટા વૃક્ષના રોપાને માટીમાં રોપતા પહેલાં, જમીન પરથી ઘાસ વગેરે કાઢી લેવું જોઈએ. પછી તે જગ્યા પર એક વિશાળ વૃક્ષ ઊભું થશે. આ દ્રષ્ટિએ જોઈએ તો ઘાસ કાઢી જમીન સાફ કરવી, એ કોઈ નુકસાન ન ગણાય. કેંસરના રોગીને રેડિએશન થેરેપી આપવામાં આવે છે. આ થેરેપીમાં ઘણા સારા જીવકોષ પણ નાશ પામે છે. પરંતુ, જ્યારે આપણે જોઈએ કે, આ થેરેપીથી કેટલાક લોકો કેંસરની પકડમાંથી મુક્ત થાય છે. તો ત્યારે સારા જીવકોષ જે નાશ પામે છે, આને આપણે ખોટું તરીકે નથી લેતા.

કુરુક્ષેત્ર યુદ્ધમાં ભગવાને પાંડવોનો પક્ષ લીધો હતો, કે જેમણે ભગવાન દ્વારા બતાવવામાં આવેલ યુદ્ધ માટેના નિર્દેશોનું પાલન કર્યું હતું. માટે, તેઓ યુદ્ધમાં વિજયી રહ્યાં હતાં. તેમછતાં કેટલાક લોકો એમ કહી વાદ કરે છે કે, પાંડવોએ વિવિધ અવસરો પર ધર્મનો ભંગ કર્યો હતો. આ અવસરોને ચીંધી બતાવી તેઓ કૌરવોને વીરતા બક્ષતા અચકાતા નથી. એક વાત ભૂલશો નહિ, ક્યારેય કોઈ એકાદ બે ઘટનાના આધાર પર ન્યાય કરશો નહિ. પરંતુ તેમના બધા જ કાર્યોને દેખી, તેના આધાર પર ન્યાય કરશો. આ દ્રષ્ટિએ જોઈએ તો દુર્યોધન અધર્મી હતો અને મૃત્યુદંડ માટે યોગ્ય હતો. દુર્યોધનના હાથમાં જો રાજ્યનું શાસન સોંપવામાં આવે તો તે કેવળ એક વ્યક્તિ જ નહિ, પરંતુ સમસ્ત રાજ્યના વિનાશનો માર્ગ મોકળો કરવા જેવું હોત. આવા સંજોગોમાં કોઈ એમ ન કહીં શકે કે, ભગવાન તરફથી પાંડવોને આપવામાં આવેલ એક સૂચના પણ ખોટી હતી. અહીં ભગવાનનો એકમાત્ર ઉદ્દેશ. ધર્મનું સમર્થન હતું. કૌરવોની તુલનામાં પાંડવો, રાજ્ય પર શાસન કરવામાં ક્યાંય વધારે યોગ્ય અને સક્ષમ હતાં.

મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે એક દિવસ રાતના દુર્યોધન પોતાની મા ગાંધારીને મળવા નીકળ્યો. તેની આ મુલાકાતનો ઉદ્દેશ યુદ્ધ માં વિજયી રહેવા અને પોતાની શક્તિ સામર્થ્યમાં વૃદ્ધિ કરવા ગાંધારીના આશીર્વાદ મેળવવાનો હતો. ગાંધારી એક ઉત્તમ સ્ત્રી હતી. પોતાના પતિ કે જેઓ જન્મથી અંધ હતા, તેમની સાથેનું પોતાનું ઐક્ય સાબિત કરવા સ્વેચ્છાએ આંખ આડી પટ્ટી બાંધી અંધાપો સ્વીકાર્યો હતો. આ તપના બળથી ગાંધારીએ અતિશય શક્તિ અર્જીત કરી હતી. શરીરના જે ભાગ પર ગાંધારીની નજર પડે, તે સ્ટીલ જેવો મજબૂત બની જાય. આમ તેની દ્રષ્ટિમાત્રથી પોતે અજેય બને, તે માટે ગાંધારીના નિર્દેશ અનુસાર સ્નાન કરી દુર્યોધન નિર્વસ્ત્ર પોતાની માને મળવા જઈ રહ્યો હતો. ભગવાન જે આ જાણતા હતા, તેઓ દુર્યોધનનો માર્ગ કાપી ત્યાં હાજર થયા. દુર્યોધનને આવી કોઈ અપેક્ષા ન હતી.

ભગવાન પૂછવા લાગ્યા, “અરે ઓ દુર્યોધન, આ તું શું કરે છે? તારી મા પાસે આ પ્રમાણે નિર્વસ્ત્ર જઈ રહ્યો છે? શું તું આટલો નીચ બની ગયો કે? શું તારું નગ્નપણું થોડું પણ ન ઢાંકી શકે?”

ભગવાનના વચનો દુર્યોધનને વાજબી લાગ્યા. પોતાની સાથળ અને કુલાનો ભાગ ઢાંકી તે ગાંધારીને મળવા ગયો. અને આ જ કારણસર તે યુદ્ધમાં પરાજીત થયો. ભીમ કે જે દુર્યોધનના શરીરના કોઈ ભાગને ઈજા ન પહોંચાડી શક્યો, તેણે તેની સાથળ પર ગદાનો પ્રહાર કરી, તેને માર્યો હતો. ગાંધારીની દ્રષ્ટિના તેજના કારણે દુર્યોધનના શરીરનો એક એક ભાગ વજ્ર જેવો બની ગયો હતો. દુર્યોધનના શરીરના અન્ય ભાગો પર પ્રહાર કરી, ભીમ થાકી ગયો ત્યારે ભગવાને તેને ઈશારો કરી દુર્યોધનની સાથળ પર પ્રહાર કરવાને કહ્યું હતું. ભગવાને આ કેવળ ધર્મની રક્ષા કરવા માટે જ કર્યું હતું. ૐ -ક્રમશઃ

અમ્મા, કુટીરમાં બેસી એક બ્રહ્મચારી કે જે કૃષ્ણભક્ત હતો, તેની સાથે વિવાદ કરી રહ્યાં હતા.

અમ્મા : “તારો કૃષ્ણ તો મહાચોર હતો. માખણ ચોરીને તેણે જ તો વિશ્વમાં ચોરીની શરૂઆત કરી? તેણે જ કરેલા બધા તોફાનો વિશે સ્હેજ વિચારી જુઓ!”

તે કૃષ્ણભક્ત બ્રહ્મચારીથી અમ્માના આ વચનો સહન ન થયા. તેની આંખમાં પાણી આવી ગયા. તે બોલ્યો, “અમ્મા, મારો કૃષ્ણ એવો નથી, જેવો તમે કહો છો.” આ જોવાને તો અમ્મા તત્પર હતા.

નાનાબાળકોની જેમ દુઃખી થઈ રહેલા બ્રહ્મચારીની આંખોના આંસુ લૂછી આપતા અમ્માએ કહ્યું, “તું શું નાનો બાળક છે? અમ્મા તો કૃષ્ણ સાથે તને કેટલું બંધન છે તે જાણવા માટે મજાકમાં આમ કહ્યું હતું. તે ચોર નથી. તે તો સત્યસ્વરૂપ છે. બીજાના સંતોષ ખાતર તે ચોરી કરતો હતો. બીજાને આનંદ આપવા તે માખણ ચોરી, તોફાન મસ્તી કરતો હતો. માખણની સાથે ભગવાને તેમના હૃદય ચોરી કર્યા હતા. એક ભગવાન જ આ કરી શકે. તેમણે ક્યારેય પોતાને ખાતર કંઈ કર્યું ન હતું. માખણ પણ પોતાને માટે નહોતું ચોર્યું. તે તો તેમના સાથીદારો એવા ગરીબ ગોવાળીયાઓ માટે હતું. આ સાથે ગોપીઓના મન ભગવાન સાથે બાંધવાનો ઉદ્દ્રે‌શ પણ સિદ્ધ થયો હતો. ગોપીઓના મન માખણ, દૂધ, દહીં, છાશ વગેરે વેચી, તેમાંથી આજીવિકા મેળવવામાં હતું. તે વસ્તુઓને ચોરી, તે વસ્તુઓ સાથે બંધાયેલા તેમના મનને ભગવાને પોતાના તરફ વાળ્યા હતા. આ પ્રમાણે, એક જ સમયે ભગવાને બે કાર્ય સિદ્ધ કર્યા હતા. તેમના સાથીદાર ગરીબ ગોવાળિયાઓની ભૂખ સંતોષી હતી અને ગોપીઓના હૃદયને ઈશ્વર સાથે બાંધવામાં પણ સફળ રહ્યાં હતા.

“વાસ્તવમાં ભગવાન એક સાચા સામ્યવાદી હતા. જેની પાસે હોય તેમનું લઈ, જેની પાસે કંઈ ન હોય, તેમને આપી દેવું, આ જ તેમનો મત છે, ખરું ને? પરંતુ આ પ્રાપ્ત કરવા તેઓ એક સમૂહનો નાશ કરવા માગે છે. આજે ભૌતિક દુનિયાની આ રીત છે. ત્યારે ભગવાન, આમ ન કરતાં પોતાના કાર્યો દ્વારા બંને સમૂહની રક્ષા કરી હતી. આ હતો ભગવાનનો સામ્યવાદ!

“હડકાયા કૂતરાને પકડીને મારી નાખવો જોઈએ, આ આપણા લોકો કહે છે. ત્યારે ભગવાન કહે છે કે, હડકવા લાગેલા મનમાં પરિવર્તન લાવો.

“હત્યા કોઈ પ્રશ્નનો પરિહાર નથી. મનને સારાંમાં પરિવર્તિત કરવું, એ જરૂરી છે.

“ભગવાને પણ પોતાની મરજી અનુસાર વિવાહ કર્યા હતા. પોતાના પ્રિયજનોના સંતોષ ખાતર ભગવાન વિવાહ માટે રાજી થયા હતા. ભગવાનનું લક્ષ્ય તો બધા પોતપોતાના આત્મામાં લીન રહે, તે હતું. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા ભગવાને અગણિત માર્ગો અપનાવ્યા હતા. સામાન્ય બુદ્ધિ ધરાવતા લોકો માટે આ સમજવું કઠિન હશે. યોગ્ય સાધના કરી, મનને સૂક્ષ્મ કરી, મનન કરવા માત્રથી ભગવાનની પ્રવૃત્તિઓને આપણે ઓસબિંદુ જેટલી પણ સમજી શકીએ….

“પુત્ર, એક ભજન ગા. અમ્મા તારું ભજન સાંભળવા માગે છે.”

બ્રહ્મચારીના મુખ પર સ્મિત છવાઈ ગયું. હૃદયનો રાગ સુમધુર સ્વરસુધા બની વહેવા લાગ્યો.

નીલાંજનમીરી નીરજ નયના….
સદા સર્વદા મારો એક આધાર તું જ રહ્યો છે,
હે નીલવર્ણીય એ સાચું છે પ્રભુ, તારાં વિના નથી કોઈ શરણું સાંચુ
નારદના તંબુરાના નાદમાં તું માનસ મોહન કૃષ્ણા
કિર્તન, નર્તન, આર્તવિનાશન શાશ્વત ભાસુર કૃષ્ણા
મને તારું દર્શન તો આપ એકવાર સાક્ષીત ભાવિત કૃષ્ણા
માયા મોહન માનવસેવિત પાદસરોજ કૃષ્ણા
ભૂતલવાસમાંથી ઉદ્ધાર કરો મોક્ષ પ્રદાયક કૃષ્ણા
મને તારું દર્શન તો આપ એકવાર સાક્ષીત ભાવિત કૃષ્ણા

ભજન સાંભળતા બીજા બ્રહ્મચારીઓ એક એક કરીને હાર્મોનિયમ, તબલા, ખંજરી, મંજીરા વગેરે લઈને ત્યાં પહોંચી ગયા. આખી ઝૂંપડી ભરાઇ ગઈ. થોડા બ્રહ્મચારીઓ બહાર ઊભા રહીને ભજનનો પ્રતિભાવ આપવા લાગ્યા.

અમ્મા ભજન ગાતા રહ્યાં. તેઓ ભજન પૂરું કરી શકયા નહિ. આંખોમાં પાણી ભરાઈ આવ્યા. આંસુઓની ધારા વહેવા લાગી. બધા બ્રહ્મચારીઓ કુટીરની બહાર ભેગા થઈ ગયા. અમ્માએ આંખો બંધ કરી, હાથમાં મુદ્રા ધારણ કરી, નિશ્ચલ બેસી ગયા. દિવ્ય અવસ્થાના સ્પંદનો ઊભરવા લાગ્યા. હાજર સર્વકોઈના હૃદયને તે સ્પર્શવા લાગ્યા. થોડી વાર પછી તેમણે નેત્રો ખોલ્યા અને ફરી બંધ કરી લીધા. એમ લાગતું હતું, જાણે અમ્મા પોતાની આ ઉત્કૃષ્ઠ અવસ્થામાંથી બહાર આવવા ઇચ્છતા ન હતા. પહેલાં પણ ભજન દરમ્યાન અમ્મા સમાધિમાં ઉતરી જતા અને કલાકો પછી જ સામાન્ય સ્થિતિમાં પાછા આવતા. આ સમયે તેમણે કહ્યું હતું, “બાળકો જ્યારે આમ બને, ત્યારે તમારે ભજન ગાવાંના. અન્યથા અમ્મા મહિનાઓ સુધી આ રીતે બેઠા રહેશે. એમ પણ બને કે તેઓ અવધૂત બની જાય.” અમ્માના વચનો યાદ કરી, અમ્માને આ ભાવમાંથી બહાર લાવવા બ્રહ્મચારીઓ ભજન ગાવા લાગ્યા. સામાન્ય અવસ્થામાં પાછા ફરવામાં અમ્માને ઘણો સમય લાગ્યો હતો.

તા.૨૩ જુલાઈ,૨૦૨૧ના રોજ અમૃતપુરી આશ્રમમાં ગુરુપૂર્ણિમા મનાવવામાં આવી હતી. આ અવસર પર અમ્માએ પાઠવેલો વાચકો માટે સંદેશ.

ગુરુ પૂણિૅમા કેવળ એક બાહરી ઔપચારિકતા ન હોવી જોઈએ. આ તે પરિવર્તન છે, જે આપણી અંદર બનવું જોઈએ. ત્યારે જ તમે નિત્ય નિરંતર ગુરુનું સાનિધ્ય અને આશીર્વાદ અનુભવી શકો.

એક સદ્‌ગુરુને દ્રશ્યમાન એવું શારીરિક સ્વરૂપ છે, અને આ સાથે અદ્રશ્ય આધ્યાત્મિક ઉપસ્થિતિ પણ છે. દ્રશ્યમાન સ્વરુપ મહત્વનું છે. પરંતુ, અદ્રશ્ય ઉપસ્થિતી સહુંથી વધું મહત્વ રાખે છે. પવન જ્યારે વાય છે, ત્યારે વૃક્ષની શાખાઓ અને પાન હલે છે. આ પવનના સ્વરુપને સૂચવે છે. પરંતુ, પવન સર્વત્ર છે અને સર્વવ્યાપ્ત છે. આ જ અંતર છે, સદ્‌ગુરુની શારીરિક ઉપસ્થિતી અને આધ્યાત્મિક ઉપસ્થિતી વચ્ચે.

શિષ્યને ગુરુમાં જો શ્રદ્ધા અને આત્મ-સમર્પણ હોય, તો જ ગુરુ-શિષ્ય બંધન પૂર્ણ બને છે. ગુરુ-સિદ્ધાંત, ગુરુનું સાનિધ્ય અને ગુરુ કૃપા, સમય અને સ્થાનના અપવાદ વિના હંમેશા હાજર જ છે. તે સર્વત્ર છે, સર્વકાંઈમાં વ્યાપ્ત છે. જે રીતે ગર્ભમાં વિકસતા બાળકને અનુકૂળ બનવા માનો ગર્ભાશય વિકસે છે, તે રીતે શિષ્યનું હૃદય પણ વિશાળ થવું જોઈએ. નમ્રતા, શ્રદ્ધા અને યોગ્ય વિવેક ત્યાં વિકસવા જોઈએ. ત્યારે જ પથ્થરમાં, પવનમાં, સમુદ્રમાં અને માટીના કણકણમાં શિષ્ય ગુરુના દર્શન કરે છે. પરંતુ આ ગુણને કેળવવો સહેલો નથી. માટે જ કહે છે કે, જો શિષ્યનું અસ્તિત્વ હોય તો જ ગુરુનું અસ્તિત્વ છે.

જેઓ શિષ્ય બનવા ચાહે છે, ગુરુને પોતાના ખાસ મિત્ર તરીકે ગણવાને તેમનાથી થવું જોઈએ. એક સાચો મિત્ર જે આપણને ખરેખર સાચા દીલથી પ્રેમ કરે છે, આપણે તેની સલાહ સરળતાથી સાંભળીશું અને અનુસરીશું. આપણે તેમને ધ્યાન દઈને, ખુલા હૃદયથી સાંભળીએ છીએ. કારણ કે, આપણે જાણીએ છીએ કે, આપણા હીતમાં જે હશે. તે જ કરવાની સલાહ આપણો મિત્ર આપણને આપશે. મિત્ર માટેની આપણી સમજ, પ્રેમ અને વિશ્વાસ આપણને પ્રેરણા આપે છે અને આપણામાં શક્તિ પૂરે છે. આપણા ગુરુને પણ જો આ રીતના આપણા ખાસ મિત્ર તરીકે જોઈએ, તો ક્રમશઃ આ આપણામાં શિષ્યત્વ, આ સાથે ભક્તિ અને સમર્પણ વિકસાવવા સહાય કરશે.

આ વિશ્વમાં સર્વકાંઈ સારા અને ખરાબ ગુણોનું મિશ્રણ છે. પરંતુ ગુરુ કેવા પણ પ્રકારની ત્રુટીઓ કે ખામીઓથી પૂર્ણરૂપે મુક્ત છે. ગુરુ પૂર્ણ છે, સંપૂર્ણ છે. માટે, ગુરુ જે કંઈ પણ કરે છે, તે શિષ્યના સારા માટે જ હોય છે. સૂર્યનો પ્રકાશ અંધકાર દૂર કરે છે, આ સાથે સૂર્યના કારણે લૂ પણ થાય છે. પરંતુ, ચંદ્ર આમ નથી. તે અંધકાર દૂર કરે છે, આ સાથે તે શીતળતા પણ પ્રદાન કરે છે. તે સૌંદર્યથી પૂર્ણ છે અને જોનારને આનંદથી ભરી દે છે. ગુરુ પણ આવા જ છે. ગુરુ પૂર્ણિમાના તેજસ્વી ચંદ્ર જેવા છે, જેમાં કોઈ દાગ નથી. ગુરુની કરુણા આપણા પર મૃદુ ચંદ્રના કીરણોની જેમ પ્રસરે છે. સદ્‌ગુરુમાંથી કેવળ સારું અને કલ્યાણકારી જ ઉદ્‌ભવી શકે. આનો અર્થ એવો નથી થતો કે, શિષ્ય જો કોઈ ભૂલ કરે, તો તેને ઠપકો નહિ મળે. તેને કદાચ ઠપકો મળે પણ ખરો, પણ આ તેના સારાં માટે જ હોય છે.

એક સાધકની સહુંથી મહાન સંપત્તિ, સમય. સમયનો બગાડ કર્યા વિના, સમર્પણના મનોભાવ સાથે, મારાં બાળકો પણ ગુરુના નિર્દેશોનું પાલન કરી, પોતાનું જીવન અર્થપૂર્ણ બનાવે. આ સિદ્ધ કરવા ઈશ્વરકૃપા આપ સહુંને અનુગ્રહિત કરે, એ જ પ્રાર્થના. ૐ

દામોદર મેનોન નામના અમ્માના એક ભક્તે આગળ આવી અમ્માને નમસ્કાર કર્યા.

“આ કોણ છે? દામોદર કે!”

દામોદર મેનોને હાસ્ય કરતા અમ્માના હાથમાં પોતાનું માથું રાખ્યું.

અમ્મા : “પુત્ર, થોડા દિવસથી તું દેખાતો ન હતો, શું તું અહીં ન હતો?”

દામોદરન : “હું પ્રવાસ પર હતો. અત્યારે હું બેંગલોરથી આવી રહ્યો છું. ઘરે પણ નથી ગયો. કાયમકુલ્લમ સ્ટેશન પર ઉતરી, સીધો અમ્માના દર્શન કરવા આવ્યો છું.”

અમ્મા : “પુત્ર, બાળકો બધા કેમ છે, મજામાં ને?”

દામોદરન : “ અમ્માની કૃપાથી કોઈ સમસ્યા નથી. હું હમણા મારાં એક મિત્રને મળીને આવી રહ્યો છું. તેનો વિચાર કરતા ઘણું દુઃખ થાય છે.”

અમ્મા : “કેમ શું થયું?”

દામોદરન : “હું તેને બેંગલોરમાં મળ્યો હતો. અમે બંને સાથે કામ પર જતા હતા. આ દરમ્યાન તેણે નોકરીમાંથી રાજીનામુ આપ્યું અને સન્યાસ લેવા તેણે પોતાનું ગામ પણ છોડયું હતું. પાંચ વર્ષ પહેલાં તે જ્યારે પોતાના ગામે પાછો ફર્યો, ત્યારે તે સન્યાસીના વેશમાં હતો.”

અમ્મા : “તે ક્યાં રહે છે?”

દામોદરન : “તે ઋષિકેશના એક આશ્રમમાં રહે છે, એમ તેણે કહ્યું હતું. પરંતુ હમણા, હું જ્યારે તેને ફરી મળ્યો ત્યારે તે પૂર્ણરૂપે બદલાય ગયો હતો. હવે તે પહેલા જેવો ન હતો. ભગવાં વસ્ત્ર નહિ, રુદ્રાક્ષ નહિ, જટા નહિ, દાઢી નહિ, કંઈ જ નહિ. તે સુંદર દેખાતો હતો. ચાર વર્ષ પહેલાં તેણે સન્યાસ મૂકી દીધો. આશ્રમમાં અવારનવાર આવતી એક યુવતી સાથે પ્રેમ થતા, તેણે તેની સાથે વિવાહ કર્યા. હવે તે બેંગલોરમાં રહે છે. ત્યાં તેને એક નાની નોકરી છે. તેની વાતપરથી એમ લાગ્યું જાણે તે બહુ નિરાશ હતો.”

અમ્મા : “પુત્ર, આધ્યાત્મિકતામાંથી નરી ભૌતિકતા તરફ વળવું, અંદરથી અને બહારથી કષ્ટદાયક હોય છે. જે મનમાં આધ્યાત્મિક વિચાર હતા, તેને ભૌતિકતામાં કોઈ આનંદ નહિ મળે. પરિણામ ફક્ત અસ્વસ્થા જ હશે. સાધનાના ફળસ્વરૂપ શરીરની ફરતે જે સૂક્ષ્મ આભાનું સર્જન થયું હોય છે, તે ભૌતિક સુખભોગમાં અવરોધો નાખે છે. ઈષ્ટદેવ અને તેમને વિંટળાયને રહેતા દેવો, કરુણાવશ સાધકના જીવનમાં બેગણા દુઃખો અને અવરોધોનું સર્જન કરશે. કારણ કે, તેઓ ચાહે છે કે કેમે કરીને પણ તે પુનઃ આધ્યાત્મિકતામાં પાછો ફરે. વાસ્તવમાં આ કષ્ટો અને દુઃખો ઈશ્વ્રરકોપ નથી, તે તો ઈો્શ્વરકૃપા
જ છે! તેને જો વધુ સંપત્તિ અને સુખ પ્રાપ્ત થાય, તો તેનો અહમ્‌ વધુ ને વધુ ફૂલશે અને તે વધુ ને વધુ ભૂલો કરશે. આમ તેને વારંવાર જન્મ લેવો પડશે.

“જેણે સ્હેજેય આધ્યાત્મિકતાને ગ્રહણ કરી હોય, તે મન ભૌતિકતામાં તૃપ્તિ ન અનુભવી શકેં. પહેલાં તે જે યુવતીને પ્રેમ કરતો હતો, તેની સાથે વિવાહ ન કરતા, અન્ય સ્ત્રી સાથે વિવાહ કરે તો તેને તેમાં તૃપ્તિ નથી મળતી. કારણ કે, મન તો તે સ્ત્રીમાં જ હશે જેને તે પ્રેમ કરતો હતો. આ જ પ્રમાણે, જે મન આધ્યાત્મિકતા તરફ વળી ગયું હોય, તે ભૌતિકતામાં પૂર્ણત્વ પ્રાપ્ત ન કરી શકે. એટલું જ નહિ, પ્રારબ્ધ તેને સતાવતું રહે છે.

“વિવાહ કરી લીધા હોય, તો તે સ્થિતિમાં પણ, તેણે તેની સાધના ચાલુ રાખવી જોઈએ. ગૃહસ્થાશ્રમ ધર્મનું યોગ્ય રીતે પાલન કરી, જીવન વિતાવે તો તે અર્થપૂર્ણ હશે. કોઈ પણ પ્રકારના ભંગાણ સિવાય સતત આધ્યાત્મિક સાધના કરે, તો વિના પ્રયાસે જીવનમાં તે આનંદ અનુભવી શકે છે. ઈશ્વરપ્રેમ જાગે, ત્યારે મન ભૌતિકતાને છોડી દેશે, ઇચ્છાઓ આપોઆપ ઓછી થાય છે. અને ઇચ્છાઓ જ્યારે ઓછી થાય, પછી તે અંતરાત્માની શાંતિ તરફ દોરી જાય છે. ઇચ્છાઓ જ દુઃખ છે. જ્યાં આગ છે, ત્યાં ધુમાડો પણ છે. ઇચ્છાઓ છે તો દુઃખો પણ છે. ઇચ્છાઓ વિના જીવન શક્ય નથી. માટે જ, બધી ઇચ્છાઓ ઈશ્વર માટેની જ હોવી જોઈએ.

“તોડયા વિના, નિયમિત સાધના કરવાથી, આધ્યાત્મિકતા અને ભૌતિકતા સાથેનું તાલબદ્ધ જીવન શક્ય છે. સમસ્યાઓ ઓછી થશે. જીવનલક્ષ્ય કેવળ મોક્ષ પ્રાપ્તિ જ છે, આ જ્ઞાન સાથે કર્મ કરવાથી, તે તેની રક્ષા કરશે.

“પરંતુ, સંન્યાસીનું મહત્વ તો કંઈ વિશેષ જ છે. વિવિધ સાંસારિક ચિંતાઓને આધીન ન થતા, ફક્ત ઈશ્વરનું સ્મરણ કરી, તે આનંદમાં જ જીવન વિતાવે છે. સેવાના ભાવથી કર્મ કરે તો પણ, તેને તેનો,ભાર નહિ લાગે. કારણ કે તે કર્મ સાથે બંધાયેલો નથી.

“એક વખત એક સંન્યાસી રસ્તા પર જઈ રહ્યાં હતા. પાછળથી એક ભાઈએ તેમની સાથે થતા પૂછયું, “સ્વામીજી, સંન્યાસ એટલે શું?” સંન્યાસીએ પાછું ફરીને જોયું પણ નહિ. પરંતુ તેમની પાછળ ચાલતો વ્યક્તિ તેમને છોડે એમ ન હતો. તે તો ફરી ફરી, તે નો તે જ પ્રશ્ન પૂછતો તેમની પાછળ ચાલતો હતો. અચાનક તે સંન્યાસી અટકયાં, પોતાના ખભા પરનો થેલો નીચે રસ્તા પર મૂકી, આગળ ચાલવા લાગ્યા. હજાુ દસ પગલા ચાલ્યા હશે કે, તેણે ફરી પૂછયું, “સંન્યાસ એટલે શું?” તેના તરફ ફરી, સંન્યાસીએ કહ્યું, “શું તે જોયું નહિ? મેં પેલો ભાર ઉતારીને નીચે રાખ્યો? આ જ પ્રમાણે, “હું” અને “મારાં”ના ભાવનો ત્યાગ કરવો જોઈએ. જે કંઈ પોતાનું છે, તેને ફેંકી દો. તે જ સંન્યાસ છે.” સંન્યાસી આગળ ચાલ્યા. પેલો વ્યક્તિ ફરી તેમની પાછળ ચાલવા લાગ્યો. હવે તેનો પ્રશ્ન હતો, “ત્યાર પછી કોઈ શું કરે છે?” તે સંન્યાસી પાછો ફર્યો, અને રસ્તામાં જ્યાં તે થેલો ઉતારીને રાખ્યો હતો, ત્યાં ગયા. ફરી તેને ખભા પર રાખી તે આગળ ચાલવા લાગ્યા. પેલાની સમજમાં કંઈ ન આવ્યું. તેણે ફરી તે જ પ્રશ્ન પૂછયો. ચાલતા ચાલતા સંન્યાસીએ જવાબ આપ્યો, “આ જાુએ છે? આ રીતે સંસારનો ભાર ઉંચકવો જોઈએ. બધાનો ત્યાગ કરવા માત્રથી, તમે સંસારને તમારાં ખભે રાખી શકો.”

“કોઈ જંગલી જનાવરની સંભાળ લેવાની હોય, ત્યારે તે ભાગી ન જાય, તે માટે બધો સમય તેના પર નજર રાખવાની હોય છે. તમે તેને છૂટું મૂકો તો તેની પાછળને પાછળ ફરવું પડે અન્યથા તે છટકી જશે. તેને ખવરાવતી વખતે, જ્યાં સુધી તે ખાઈ ન લે ત્યાં સુધી તેની સાથે જ રહેવું પડે. હંમેશા તેની સાથે બંધાયેલા રહેશો. ક્યારેય ફૂરસદનો સમય નહિ મળે. ત્યારે બીજી બાજું, જે બગીચાની રખવાળી કરે છે, તેને તો ફાટક પાસે ઊભા રહી, ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે, કોઈ ફૂલ ચોરે નહિ. આ સાથે તે ફૂલની સુગંધનો આનંદ પણ લે છે. આ જ પ્રમાણે, જ્યારે તમે ભૌતિક સુખો પાછળ દોડો છો, તમારું મન સતત ડોલ્યા કરશે. તે કયારેય સ્થિર નહિ હોય. ત્યારે, ત્યાગીનું જીવન આવું નથી. જીવનના સૌંદર્ય અને સુવાસને માણી, કોઈ પ્રકારના ડોલન વિના, તે સ્થિર રહેશે. કોઈ શ્રમ નહિ, પ્રારબ્ધ દુઃખ હોય તો પણ, સમર્પણ હોવાને કારણે તે દુઃખ જણાશે નહિ. તે દુઃખ પણ, શાંતિ તરફ હાથ ઝાલીને દોરી જતી ઈશ્વરની કૃપા જ હશે.”

અમ્માએ આધ્યાત્મિક જીવન અને ભૌતિક જીવનના સ્વભાવનું સુક્ષ્મતાથી વર્ણન કર્યું. ભક્તો ધ્યાનપૂર્વક અમ્માને સાંભળી રહ્યા હતાં. પોતાનું જીવન કેવું હોવું જોઈએ, તે અમ્માના ચહેરાપરના ભાવપરથી સ્પષ્ટ હતું.