બાળકો, આપણે જો રામાયણના સાચા અર્થ સાથે જીવન વ્યતીત કરીએ, તો ત્યારે આપણું મન જીવનની બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે. રામાયણ સાચા અર્થમાં બધા માટે માર્ગદર્શિત કરતો પ્રકાશસ્તંભ છે.

પુરુષો રામને આદર્શ પુરુષ માને છે અને મહિલાઓ સીતાને પોતાના હૃદયમાં દેવી તરીકે પ્રતિષ્ટિત કરે છે. આજે મહિલાઓના હૃદયમાંથી સીતાની ઉપસ્થિતિનો લોપ થવો, સમાજની સામે એક મહાન સમસ્યા છે. પોતાના કર્તવ્યનું પાલન કરવા ભગવાન શ્રીરામ ફકત પોતાનું સુખ જ નહિ, પરંતુ પોતાના પરિવારનો પણ ત્યાગ કરવા તૈયાર થયા હતા. શ્રીરામ સ્વયં કે પોતાના પરિવાર કરતાં રાજ્ય અને રાજ્ય પ્રતિના પોતાના કર્તવ્યને પ્રથમ મહત્વ આપતા હતા. જેના માટે લોકસેવા જ પોતાના જીવનનું પરમ લક્ષ્ય હોય, તેમના માટે અન્ય કોઈ પસંદગી નથી. જ્યારે કોઈ સામે આ પ્રશ્ન ઊભો થાય કે, પોતાના પરિવાર પ્રત્યેનું કર્તવ્ય મહાન છે કે પછી રાષ્ટ્ર પ્રત્યેનું, ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ ક્યારેય સ્વયંને પરિવાર સુધી સીમિત ન રાખી શકે.

આજે લોકોના હૃદયમાંથી શ્રીરામના પ્રભાવમાં ઘટાડો થયો હોવાથી, કેટલાક નેતાઓ, કે જેમણે લોકોને ધર્મના માર્ગ પર આગળ દોરી જવા જોઈએ, તેઓ આજે રાષ્ટ્રની ક્મિંતે પોતાના પરિવારોને આર્થિક રીતે સમૃદ્ધ કરવાના લક્ષ્ય તરફ આગેકૂચ કરી રહ્યાં છે.

આ પરિસ્થિતિમાં અન્ય કોઈ કરતાં મહિલાઓ પરિવર્તન લાવી શકે. માતાઓ હંમેશા બાળકો માટે આદર્શ અને પ્રેરણાનો સ્રોત રહી છે. ભાવિ પેઢીના તેઓ સ્થાપત્યકાર છે. બાળકોને જન્મ આપવો, તેમને મોટા કરવા અને આદર્શ નાગરિક બનાવવા, મહિલાઓનું પવિત્ર કર્તવ્ય છે. દેવી સીતાનું જીવન આની સાબિતી છે. એક ઉમદા પેઢીનું નિર્માણ કરી, મા અમર બની જાય છે. આ પ્રમાણે એક મહિલાનું જીવન પરિપૂર્ણ થાય છે. સ્ત્રી તરીકેનું પોતાનું કર્તવ્ય સમજવા દેવી સીતાના જીવનનો બારીકાઈથી અભ્યાસ કરવો જરૂરી છે. પોતાના પતિના સુખમાં અને દુઃખમાં હિસ્સેદાર બનવામાં જ તેમનું સુખ હતું. પોતાના જીવનનો દાખલો આપી દેવી સીતાએ બતાવ્યું કે, સમાજ પ્રતિ કે રાજ્ય પ્રતિ પોતાનું કર્તવ્ય નિભાવતી વખતે પત્નીએ ક્યારેય પતિના માર્ગમાં બાધા ન બનવું જોઈએ.

આ સાથે પોતાનો પુત્ર ભલે ગમે તેટલો કુરુપ હોય કે પાપી હોય, એક માને તેના પ્રતિ કેવળ કરુણાનો જ ભાવ હોય શકે. માના હૃદયની આ વિશેષતા છે. જગદ્‌જનની દેવી સીતા માતૃત્વનાં મૂર્તસ્વરૂપ છે. તેમનું માતૃ હૃદય તેને પણ ક્ષમા કરતું હતું, કે જેણે તેમની સાથે અત્યંત ક્રૂરતાભર્યો વ્યવહાર કર્યો હતો.

અમ્માને અહીં રામાયણનું એક દ્રષ્ય યાદ આવે છે. સીતાનું હરણ કરી, રાવણ દેવી સીતાને લંકા લઈ જાય છે અને ત્યાં અશોક વાટીકામાં દેવી સીતાને કેદ કરીને રાખે છે. જે રાક્ષસીઓ ત્યાં પહેરો આપતી હતી, માનસિક તેમજ શારીરિક રીતે તેમને ખૂબ ત્રાસ આપતી હતી. કેમ પણ કરી રાવણને પોતાનો પતિ તરીકે સ્વીકારવા તેઓ દેવી સીતાને ધમકીઓ આપતી હતી. એકબાજું પોતાના પતિ કે જે તેમના શ્વાસોશ્વાસ હતા, એ શ્રીરામના કોઈ ખબર ન મળવાનું દુઃખ હતું તો બીજી બાજું રાવણ સાથે લગ્ન કરવા ક્રૂરતાભર્યું એકધારું દબાણ હતું. લંકામાં દેવી સીતાનું જીવન નરક સમાન હતું. આ સમયે રામના દૂત તરીકે લંકામાં હનુમાનનું આગમન થયું. અતિ બુદ્ધીશાળી એવા હનુમાનજી એક જ નજરમાં સીતા માતાનું દુઃખ પામી ગયા. ભગવાન શ્રીરામની પ્રતિકાત્મક વીટી દેવી સીતાના હાથમાં નાખી, ત્યારે હનુમાનજીએ સીતા માતાને આ પ્રમાણે પ્રાર્થના કરી હતી કે, “આપ મને અનુમતી આપો તો આ બધા જ દુષ્ટ રાક્ષસો, કે જેમણે આપ પર આટલા દિવસો સુધી જાુલમ કર્યો છે, હું તેમનો નાશ કરવાને સમર્થ છું. ” આ સાંભળતા દેવી સીતાએ હનુમાનજીને આમ ન કરવા માટે સમજાવ્યા. અત્યંત કરુણાસભર વચનોમાં તેમણે કહ્યું, “આમ કરીશ નહિ. અત્યંત ક્રૂરમાં ક્રૂર પાપીઓ પ્રતિ પણ કરુણા દેખાડવી, આપણું કર્તવ્ય છે.”

વિશ્વમાતૃત્વના મૂર્તસ્વરૂપ એવા દેવી સીતા માત્ર જ ક્ષમા કરી શકે અને પોતાના પર લાંબા સમય સુધી અત્યાચાર ગુજારનાર પ્રતિ કરુણા રાખી શકે. દેવી સીતાનો દાખલો લઈ, આપણે પણ એવું હૃદય કેળવવું જોઈએ, જે આપણા પર જુલમ કરનારને ક્ષમા કરી શકે.

એક બીજી વાત જે આપણે યાદ રાખવાની છે, તે એ કે, દેવી સીતા કે જેમને તેમના પોતાના પતિએ દેશવટો આપ્યો હતો, તેમણે ઋષિ વાલ્મીકિમાં શરણું લીધું હતું. તેઓ તેમના અભયારણ્ય અને સાંત્વન હતા. પોતાના બંને પુત્રને ઉમદા નાગરિકમાં મોટા કરવા તેઓ જ દેવી સીતાના આધાર અને શક્તિ હતા. માટે, મહિલાઓની રક્ષા કરવા સમાજમાં એવા લોકો જરૂરી છે, જેમણે જીવનમાં આધ્યાત્મિક મૂલ્યો આત્મસાત કર્યા હોય.

આજે આપણને નૈતિક ચેતના ધરાવતી મહિલાઓ અને ઉમદા મુલ્યોથી ધનિષ્ઠ સમાજ જરૂરી છે. રામાયણનો આ મહત્વનો સંદેશ છે. જીવનમાં પૂર્ણરૂપે આધ્યાત્મિક મૂલ્યોને ગ્રહણ કરવા હરેક માટે શક્ય ન પણ હોય. પરંતુ તેમાંના થોડા સિદ્ધાંતોને જીવનમાં ઉતારી, તેને આપણા બાળકોમાં, યુવાપેઢીમાં આપણે કેળવી શકીએ, તો આપણા જીવન સમૃદ્ધ અને પરિપૂર્ણ હશે. અને સમાજને પડકારતી અનેક સમસ્યાઓ અદ્રશ્ય થશે. ૐ

બપોરનો જમવાનો ઘંટ વાગ્યો. બે ચાર લોકો જ દર્શન માટે બાકી હતા. તેમને દર્શન આપી, ભક્તો સાથે અમ્મા ભોજન ખંડમાં આવ્યા. સ્વયં અમ્માએ બધા બાળકોને બપોરનું ભોજન પિરસ્યું. બધા ભોજન પૂરું કરે ત્યાં સુધી, બાળકોને જે કંઈ જરૂર હોય, તે પિરસતા અમ્મા ત્યાં જ હતા. પછી તેઓ ભોજન ખંડમાંથી બહાર આવ્યા. બે પગલા ભર્યા હશે કે અચાનક અમ્મા પાછા ફર્યા અને ઝડપથી ભોજન ખંડમાં આવ્યા. એક ભક્ત જે હજુય પોતાની થાળીની સામે બેઠો હતો, અમ્મા તેની પાસે ગયા અને તેની થાળીમાંથી ભાતનો એક દડો, જે તેણે અલગ રાખ્યો હતો, તે કોઈપણ પ્રકારની પૂર્વીય સુચના વિના, ઉપાડીને પોતાના મોંઢામાં મુકી દીધો. આ જોતા, તે ભક્ત ભાવવિભોર બની ગયો. તેની આંખોમાંથી દડ દડ આંસુ સરવા લાગ્યા. અને તે “કાલી.. કાલી… કાલી…”નો જાપ કરવા લાગ્યો. અમ્મા તેની બાજુમાં બેસી ગયા અને પ્રેમ પૂર્વક તેના માથા પર અને પીઠપર હાથ ફેરવ્યો. પછી તેઓ પોતાના ઓરડામાં ગયા.

અમ્માની આ અસાધારણ વર્તણૂંક પાછળ એક મહાન કારણ રહેલું હતું. તે ભક્ત બંગાળથી વ્યવસાય અર્થે કોચ્ચિ આવ્યો હતો. અમ્મા વિષે તેણે ત્યાંના તેના એક મિત્ર પાસેથી જાણ્યું હતું. ઘણા બંગાળીઓની જેમ તે પણ દેવીની આરાધના કરતો હતો. તેના મિત્રે અમ્માના દેવીભાવ દર્શનનું જે વર્ણન કર્યું, તેણે તેને દેવીભાવદર્શન જોવાને આકૃષ્ટ કર્યો હતો. સોમવારે કલકત્તા પાછા ફરતા પહેલાં, જઈને અમ્માને મળવાનું તેણે નક્કી કર્યું. વહેલી સવારે તે પોતાના મિત્ર સાથે આશ્રમ માટે રવાના થયો હતો. દર્શન કુટીરમાં તેણે પહેલીવાર અમ્માના દર્શન કર્યા. પછી, અમ્મા જ્યારે બધાને ભોજન પિરસી રહ્યાં હતા, ત્યારે તેણે ભાતનો એક દડો બનાવી, થાળીની એક બાજુમાં રાખી આ પ્રમાણે વિચાર્યું, “અમ્મા જો ખરેખર કાલી હોય, તો તેઓ આવીને ભાતનો આ દડો ખાશે. એમ હોય તો જ, આજે રાતના દેવીભાવ દર્શન કરવાને રોકાઈશ.” ભોજન પિરસી અમ્મા જ્યારે ભોજનખંડમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેને ઘણું દુઃખ થયું. હૃદય જાણે ડૂબી રહ્યું હોય તેમ લાગ્યું. પરંતુ, થોડી ક્ષણોમાં જ, અચાનક અમ્મા જ્યારે પાછા ફર્યા અને તેની થાળીમાંથી કાલી માટે રાખેલો અલગ ભાતનો દડો ઉપાડીને ખાઈ ગયા, ત્યારે તે સ્વયંને નિયંત્રણમાં ન રાખી શક્યો. તેની અંદર જે વાદળ ઘેરાયા હતા, તે આંસુ બની વરસી પડયા. તે ભક્ત રાત્રે ભાવદર્શન કરી, બીજે દિવસે સવારના જ પોતાને ગામ પાછો ફર્યો હતો. તેનો મિત્ર તે દિવસે બપોરના જ પાછો ફર્યો હતો.

“સનાતન ધર્મના બધા જ દિવ્ય સંકલ્પોમાં ભગવાન શિવ સહુંથી અદ્‌ભૂત અને આશ્ચર્ય પમાડનારા છે. તેમની ભૂમિકા સંહારકની હોવાં છતાં તેમને શુભતાના પ્રતીક માનવામાં આવ્યાં છે. તેઓ સન્યાસી છે અને ખોપડી તેમનું ભીક્ષા પાત્ર છે. તેમને પરિવાર છે અને તેમને વિશ્વના પિતા માનવામાં આવ્યા છે. તેઓ શ્માશાનમાં વાસ કરે છે. શરીર પર ભસ્મ ચોળે છે. વિષેલા સર્પો તેમની ભૂજાઓ અને ગળામાં શોભે છે. ક્યારેક વ્યાધ્રચર્મ ધારણ કરે છે, તો ક્યારેક દિગમ્બર વૈરાગી છે, આકાશ જેનું વસ્ત્ર છે; ક્યારેક પારધી તો ક્યારેક ચંડાળ. પરંતુ, બધા જ જ્ઞાનના તેઓ સાર છે. સમસ્ત કળા અને વિજ્ઞાનના તેઓ સ્રોત છે. તેઓ આદિગુરુ છે, પ્રથમ ગુરુ છે.

“ગૃહસ્થ હોવા છતાં તેઓ બધા જ સાધુ, સન્યાસી અને તપસ્વીઓના ગુરુ છે. સાધકમાં અત્યંત લઘુ માત્રામાં આધ્યાત્મિક વૈરાગ્ય હોય તો પણ ઉચ્ચ નીચ, જ્ઞાની અજ્ઞાની વચ્ચે કોઈ ભેદ ન કરતા, ભગવાન શિવ બધાને પોતાના આશીર્વાદથી અનુગ્રહિત કરે છે.

“શિવરાત્રી પરમ શિવના સ્મરણ અર્થે જુદી રાખવામાં આવી છે. આપણે શિવની બે વિપરીત બાજુ પર ધ્યાન આપવાનું છે. એક બાજું આપણે તેમને સમાધિમાં લીન, ઊંડા ધ્યાનમાં બેઠેલા જોઈએ છીએ, તો બીજી બાજું, આપણને ઈશ્વરનું સંહારક તાંડવ નૃત્ય જોવા મળે છે.

“આ બંને ભાવમાં આપણને ભગવાન શિવનું ચિત્ર જોવા મળે છે. અહીં કેવી રીતે વ્યક્તિ કર્મ અને ધ્યાન એકરૂપ કરી શકે, તેનો સંદેશ રહેલો છે. મસ્તક પર ભગવાન શિવ અર્ધચંદ્ર ધારણ કરે છે. પૂર્ણ ચંદ્ર જ્યારે ઘટવા લાગે છે, અદ્રશ્ય થાય છે અને ફરી વિકસવા લાગે છે, આને આપણે મહિનો કહીંએ છીએ. માટે, ભગવાન શિવના મસ્તક પરનો ચંદ્ર, સમયને સૂચવે છે. સમય તો મનનું સર્જન છે. આ દૃષ્ટિએ જોઈએ તો, ચંદ્ર જે શિવરાત્રી આવતા ઝાંખો થતો જાય છે, મનના વિનાશનું પ્રતીક છે. મન જ્યારે પૂર્ણરૂપે ઓગળી જાય છે, ત્યારે આત્મ—જ્ઞાનનો ઉદય થાય છે. ત્યારે “શિવોહમ્‌”—હું જ શિવ છું — શિવોહમ્‌ આપણા જીવનને શિવમાં રૂપાંતર કરે છે. શિવની આરાધના સાથે આપણે પણ ભગવાનના સંદેશને આપણા હૃદયમાં ગ્રહણ કરીએ. જે આદર્શ તેમણે દર્શાવ્યો છે, તેનું અનુકરણ કરવા આપણે પ્રયત્ન કરીએ.

“શિવરાત્રીનો આ અવસર આપણને અસત્યમાંથી સત્યમાં, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જાગૃત થવા પ્રેરિત કરે.

“પ્રાર્થના અને આશીર્વાદ સાથે, કૃપા મારા બધા જ બાળકોની રક્ષા કરે.”

મહાશિવરાત્રી તા.૧૧ માર્ચ, ૨૦૨૧

થોડા દિવસોથી અમ્માનું સામિપ્ય ન મળતા, આશ્રમમાં રહેતી મંજુ નામની બાલિકા, અમ્મા સાથે થોડો સમય વિતાવવા આજે સ્કૂલે ગઈ ન હતી. સ્કૂલે ન જવાના કારણની જાણ થતા, અમ્મા સોટી લઈને દોડી આવ્યા. સ્કૂલે નહિ જાય તો સોટીનો માર મળશે, એમ ધમકાવતા તેનો હાથ ઝાલી અમ્મા મંજાૂને કિનારાપર હોડી સુધી લઈ ગયા. કિનારેથી અમ્મા પછી દર્શન આપવા દર્શન કુટીરમાં પાછા ફર્યા.

ત્યાં પણ અમ્માને મળવાની હઠ કરી, એક બાળક સ્કૂલે ન જતાં, પિતા સાથે આશ્રમ આવ્યો હતો. અમ્મા તેમને મળ્યા.

બાળકના પિતા : “અમ્માને જોવા માટે, ભારે જીદ કરી. સ્કૂલે ગયો નહિ અને પરાણે મારે અહીં આવવું પડયું. મેં તેને કહ્યું કે, રવિવારે રજાનો દિવસ છે, તે દિવસે આપણે આશ્રમ જઈશું, પણ તે માન્યો નહિ.”

અમ્મા (હસતા) : “હમણાં જ સોટી દેખાડીને અમ્માએ એક પુત્રીને સ્કૂલે મોકલી છે! બેટા, શું તારે સ્કૂલે નથી જવું?”

બાળક : “નહિ! મારે તો ફક્ત અમ્મા પાસે જ રહેવું છે!”

પિતા : “તે કહે છે કે, હું અહીં રહીને ભણીશ. રોજ આમ કહી, રડીને સમય કાઢે છે.”

અમ્મા (હસતા) : “તું જો અહીં રહેશે, તો અમ્માનો ભાવ ઓચિંતો બદલાશે. આશ્રમની સામે પેલુ મેંદીનું વૃક્ષ દેખાય છે? તેને સરસ નાની ડાળો છે. બાળકોને મારવા માટે જ તેને ઉગાડયું છે.”

બાળકને સંબોધતા : “માટે, બેટા, સ્કૂલે ગયા વિના રહેતો નહિ. તું અમ્માનો વહાલો દીકરો છે ને! ભણી ગણી, પરીક્ષામાં વિજય હાંસલ કરીને તું આવ. અમ્મા તને અહીં રાખશે.”

અમ્માના વાત્સલ્યની સામે તે બાળક પીગળી ગયો. પોતાના ગાલ પર અમ્માના પ્રેમભર્યાં ચુબંનમાં તે સર્વકાંઈ ભૂલી ગયો.

બ્રહ્મચારી હરિએ વાતચીતની શરૂઆત કરી : “અમ્મા, ઘરેથી ઘણા પત્રો આવ્યા છે. મેં કોઈનો જવાબ આપ્યો નથી. શું મારે તેમને જવાબ લખવો જોઈએ?”

અમ્મા : “પુત્ર, શરૂઆતમાં ઘરે કાગળ ન લખવા જોઈએ. આપણે લખીશું, તો તેઓ જવાબ આપશે અને આપણે ફરી લખીશું. માતાપિતા બીમાર હોય અને કાગળ લખવો બહુ જરૂરી લાગે, તો તેમને આશ્વાસનની બે ચાર લીટી લખવી. માતાપિતાને પરમાત્માને સમર્પિત કરી, સમર્પણના ભાવ સાથે કાગળ લખવો જોઈએ. તો પછી તને તે બંધનમાં નહિ મુકે. ઘરેથી કોઈ પત્ર આવે, તો વારંવાર તેને વાંચવા નહિ. તેમાં રહેલા સારને ગ્રહણ કરી, તેને ફેંકી દેજો. તે પત્રોમાં ફક્ત ઘરેલુ કાર્યો અને સામાજીક બાબતો જ હશે. તે વાંચતી વખતે અનાયાસ જ, તમારું મન ડોલવા લાગશે. બાળકો, આપણે શા માટે અહીં આવ્યા છીએ, સતત તેનું સ્મરણ રાખવું જોઈએ.

“કોઈ બીમાર પડે, બીમારી ગંભીર થતાં તેને ઈંટેન્સીવ કેર યુનિટમાં રાખવામાં આવે, આવી વ્યક્તિ સામે તમે, ઘરના પ્રશ્નો એક એક કરીને કહો, તો શું હશે તેનું પરિણામ, કાં તો તેના રોગમાં વૃદ્ધિ થશે, અથવા તે મૃત્યુ પામશે! આ જ પ્રમાણે, અત્યારે આપણે સારવાર કેંદ્રમાં છીએ. અત્યાધિક સાવધાનીની અત્યારે જરૂર છે. કોઈપણ સંજોગોમાં ભાંગી ન પડે, એવું સ્થિર મન જો આપણે મેળવી લઈએ, તો પછી કોઈ સમસ્યા નહિ રહે. તેવું મન પ્રાપ્ત કરવા માટે, આ નિનિયંત્રણો જરૂરી છે.

“અત્યારે, તમે બધા વૃક્ષની છાયા નીચે ઉગતા નાના છોડવાઓ જેવા છો, તમારે તો યમનિયમનું પાલન કરવું જ જોઈએ, તો જ તમે આગળ વધી શકો.

“માતાપિતાની સંભાળ લેવાવાળું કોઈ ન હોય, તો આવી પરિસ્થિતિમા ત્યાં જઈ, તેમની સુશ્રુષા કરવી, તેમનામાં ઈશ્વરના દર્શન કરી, તેમની સેવા કરવી જોઈએ. આમ ન કરતા, આશ્રમમાં રહી મનમાં તમારાં બંધનને વિકસાવતા જાઓ, તો તેનાથી નથી તમને કોઈ લાભ કે નથી તમારા પરિવારને કોઈ લાભ! તમે કોઈ પ્રાપ્તિ નહિ કરો. જો પરિવાર સાથેના બંધનને તમે ન છોડી શકો, તો પછી ઘરે જઈ, માતાપિતાની સંભાળ લેવી, એ જ ઉત્તમ છે.

“પરિવારના લોકો મળવા આવે, તો સ્મિત સાથે તેમને આવકાર આપવો, આદર પૂર્વક પ્રણામ કરવા, બે ચાર સારા વચનો કહેવા. આટલું કરવું જોઈએ. આથી વધારે નહી. ઈશ્વર તેમના બધા કાર્યોની સંભાળ લેશે, એ વિશ્વાસ તમારે રાખવો જોઈએ. તે સમર્પણનો ભાવ આપણામાં હોવો જોઈએ. વાસ્તવમાં શું આપણે તેમની રક્ષા કરીએ છીએ? શું તે માટેની યોગ્યતા આપણામાં છે ?”

બ્રહ્મચારી : “ઘરના લોકો સાથેના બંધનને તોડવાને, શા માટે આટલું પ્રાધાન્ય આપવામાં આવે છે?”

અમ્મા : “પુત્ર, ધરતી જેમ બધી વસ્તુને પોતાના તરફ આકર્ષે છે, તે જ પ્રમાણે ઘરના લોકો આપણા મનને તેમની તરફ ઝડપથી ખેંચે છે. લોહીના સંબંધનો આ એક ખાસ ગુણ છે. એક સાધકે, બધાને સમાન દ્રષ્ટિથી જોવાને શક્તિમાન બનવું જોઈએ. બધા સાથે રહેલા બંધનનો ત્યાગ કરીએ, તો જ આપણા સાચા સ્વરૂપને આપણે ઓળખી શકીએ. મારાં પિતા, મારી માતા, મારો ભાઈ, મારી બહેન સાથેના આપણા બંધનો આપણી અંદર ઊંડા ઉતરેલા હોય છે. તેને દૂર કર્યા વિના, આપણે વિશાળતા પ્રાપ્ત ન કરી શકીએ. જે સાધના આપણે કરીએ છીએ, તેનું ધાર્યું ફળ નહિ મળે. આ તો લાંગરેલ નૌકાને હલેસા મારી, સામે પાર જવા માટે પ્રયત્ન કરવા જેવું છે.”

બ્રહ્મચારી : “અમ્મા, હું કોઈને કાગળ નથી લખતો. મેં તો ફક્ત જાણવા ખાતર પૂછયું હતું.”

અમ્મા : “કાગળ લખવો જરૂરી લાગે, તો બે ચાર વાક્યોથી વધુ લખવુ નહિ. અને આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, જે લખો તે આધ્યાત્મિકતાને સંબંધિત હોય. આમ તે શબ્દો વાંચી, તેમનું મન વધારે નહિ તો થોડું પણ શુદ્ધ થશે. જો કોઇ આધ્યાત્મિક માર્ગ તરફ વળે તો તેનાથી તેના પિતા, તેની મા, સમગ્ર કુટુંબનું મન પરિવર્તન કરી શકાય. હંમેશા સારાં કાર્યો જ લખવા. રામકૃષ્ણ અહીં રહે છે, તે હવે તેના પરિવારના ઘણા લોકોને ગમવા લાગ્યું છે. રામકૃષ્ણ સાથેના સમાગમથી, તેઓ પણ હવે જીવનમાં આધ્યાત્મિકતાની આવશ્યકતાને સ્વીકારવા લાગ્યા છે.”

બ્રહ્મચારી : “અમ્મા, આપે કહ્યું કે, ઘરના લોકો સાથે મમતા ન હોવી જોઈએ. પરંતુ મમતા વગર સેવા કરવી શક્ય છે શું? કોઈ પણ કાર્ય કરતી વખતે, આ મારું કાર્ય છે, એવો બોધ હોય તો જ આપણે તેને ઉત્તમ રીતે કરી શકીએ.”

અમ્મા : “એક સાધક માટે, તેની સેવા જ તેની સાધના છે. તેનું લક્ષ્ય તો બધા બંધનોમાંથી મુક્ત થવાનું છે. તે પરિપૂર્ણ સ્વતંત્રતા માટે ઉત્કંઠ હોય છે. તે લક્ષ્યનો સાક્ષાત્કાર કરવા આવશ્યક મનઃશુદ્ધિ અને નિઃસંગતા પ્રાપ્ત કરવા માટે સેવા કરે છે. ઈશ્વર પ્રત્યે પ્રેમ અને સમર્પણ હોય, તો તમે “હું” કે “મારાં”ની ભાવના વિના, કોઈ પણ કર્મ ઉંત્તમ રીતે કરી શકો છો. આપણે તો પ્રયત્ન કરવાનો છે, ફળ ઈશ્વર ઇચ્છા પર છોડી દેવું જોઈએ — આ જ આપણો મનોભાવ હોવો જોઈએ. સેવામાં મમતા આવે, તો તે આપણને બંધનમાં મૂકશે.

“કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના સેવા કરવી જોઈએ. કોઈ કાંટા ફેંકે તો બદલામાં મોગરાના ફૂલ આપવા, વિષ આપે તો બદલામાં ખીર આપે, એવું મન આપણે કેળવવું જોઈએ. સેવા પાછળનો હેતુ જ આવું મન કેળવવાનો છે બધાને ઈશ્વર સમાન જોઈ, તેમની સેવા કરવી જોઈએ. આપણી એક એક પ્રવૃત્તિ ઈશ્વર પૂજા બનવી જોઈએ. ત્યારે પ્રત્યેક કર્મ, ઈશ્વરમંત્ર બની જશે.”

બ્રહ્મચારી : “આ રીતે ઘરના લોકોની સેવા કરવામાં શું ખોટું છે?”

અમ્મા : “એવું મન જો તમે પ્રાપ્ત કર્યું હોય, તો કોઈ સવાલ જ ઊભો નથી થતો. પરંતુ, હજુય આપણને ઘરના લોકો સાથે મમતા છે. માટે, તેમની ખાતર આપણે જે કર્મ કરીએ, તેને ઈશ્વરને અર્પિત સેવા તરીકે જોવાનું આપણા માટે મુશ્કેલ છે. બીજા લોકોની જેમ, કોઈ પ્રકારના બંધન વિના તેમને સહકાર આપવો, એક આરંભક માટે શક્ય નથી. પોતાનું ઘર કે પરિવાર સાથે બંધન હોવું, એ સ્વાભાવિક છે. સતત અભ્યાસ દ્વારા જ આથી પર આવી શકો. માટે જ, એક સાધકને આ બધાથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે. ઈશ્વર સાથે યથાર્થ પ્રેમ અને બંધન આવી જાય પછી, અન્ય કશા સાથે તે બંધન નહિ રાખી શકે.

“એક બીજ પૂર્ણરૂપે માટીમાં દટાય, પછી જ તેના બહારી કોચલાને તોડી, તે અંકુરિત થાય છે. આ જ પ્રમાણે, એક સાધકે શરીર સાથેની પોતાની એકરૂપતાના બોધનો નાશ કરવો જ જોઈએ. મારાં પિતા, મારી માતા વગેરે., હું અને મારાંનો ત્યાગ કરી, બધું એક ઈશ્વરનું છે, તે રીતે જોવાનો મનોભાવ એક સાધકે કેળવવો જોઈએ.”

અમ્માની અમૃતવાણીનું પાન કરી, અનુગ્રહિત બ્રહ્મચારીઓ પોતપોતાની સેવાપર જવા ઊભા થયા.