અમ્મા કુટીરમાં પધાર્યા એટલે બધાયે ઊભા થઈ અમ્માને નમસ્કાર કર્યા. પટ્ટાંબીથી આવેલા એક ભક્ત પરિવારે અમ્મા સાથે સંભાષણની શરૂઆત કરી. કુટુંબના વડાનું નામ રાજેન્દ્ર હતું. તેઓ અધ્યાપક હતા. તેમની પત્નીનું નામ, સરોજમ હતું. તે સિલાઈકામ કરતી હતી. તેમને બે બાળકો હતા. મોટો પુત્ર આઠમા ધોરણમાં ભણતો હતો અને પુત્રી, ત્રીજા ધોરણમાં હતી.

રાજેન્દ્ર : “અમ્મા, મારી આ પુત્રી ભણતી નથી.”

સરોજમ : “તે કહે છે કે, “નહિ ભણવાનું ” અમ્મા પાસ કરી દેશે.”

અમ્માએ તે બાલિકાને પકડીને પોતાની પાસે બેસાડી. વાત્સલ્યપૂર્વક તેને પંપાળતા, અમ્માએ પૂછયું, “પુત્રી, તું નહિ ભણે, તો લોકો અમ્માનું બૂરું નહિ બોલે? પુત્રી, ભણીશ નહિ તો કેવી રીતે પરીક્ષામાં પાસ થઈશ?” નિર્દોષ બાળસહજ ભાવ સાથે તે બાલિકાએ કહ્યું, “ભાઈ તો ભણ્યા વગર પાસ થયો?” (બધા હસી પડયા)

અમ્મા : “કોણે તને કહ્યું કે ભાઈ ભણ્યા વગર પાસ થયો?”

બાલિકા : “ભાઈએ કહ્યું.”

સરોજમ : “અમ્મા, જ્યારે પણ તેને ભણવાને કહીએ, તે આમ જ કહે છે. ભાઈ જ્યારે પરીક્ષા લખવા બેઠો, ત્યારે આપ તેની પાસે આવીને બેઠા હતા અને આપે તેને બધા જવાબ કહ્યાં હતાં. તે પરીક્ષા આપીને ઘરે આવ્યો, ત્યારે તેણે કહ્યું “મેં તો કોઈ તૈયારી કરી ન હતી. અમ્માએ આવીને મને બધા ઉત્તરો કહ્યાં હતા.”

(અમ્મા હસવા લાગ્યા)

રાજેન્દ્ર : “અમ્મા, તેણે જે કહ્યું તે સત્ય છે. તે એક અક્ષર પણ ભણતો નથી. હંમેશા ફક્ત રમે જ રાખે છે. પણ પરીક્ષામાં તે સારાં માર્ક લાવે છે. તેના માર્ક જોઈને, ક્લાસટીચરને પણ આશ્ચર્ય થયું હતું.

સરોજમ : “આમ આ પણ હંમેશા કહે છે કે, અમ્મા મને પરીક્ષામાં પાસ કરશે.”

અમ્મા હસી પડયા.

અમ્માએ બાલિકાને પ્રેમપૂર્વક ચુંબન આપ્યું.

અમ્મા : “મારી વહાલી દીકરી, તું જો નહિ ભણે તો અમ્મા તારી સાથે વાત નહિ કરે. કહે કે તું ભણશે.”

બાલિકા : “ભણીશ.” બાલિકાએ વચન આપ્યું. અમ્માએ પાસેના એક પડીકામાંથી સફરજન લઈ, તે બાલિકાને આપ્યું. “સત્‌ફ્લદાયિની” એવા અમ્માના હાથમાંથી ફળ સ્વીકારી, તે બાલિકાના બાળ માનસમાં સંતોષની લહેરો ઉછળવા લાગીં. જે તેના મુખપરના સ્મિતમાં પ્રત્યક્ષ થતી હતી.

અમ્માનો સંદેશ: ઑગસ્ટ ૨૦૨૧

બાળકો, જીવનમાં સુખ કેવળ શરીર, બહારી સુખ આરામ કે બહારી વસ્તુઓ પર નિર્ભર નથી કરતું. જીવનમાં સાચું સુખ તો મન પર નિર્ભર કરે છે. આપણા મન પર જો આપણું પૂર્ણ નિયંત્રણ હશે, તો પછી અન્ય બધા પર આપણે નિયંત્રણ મેળવી શકીશું. મનને કેવી રીતે નિયંત્રણમાં રાખવું, આ શીખવતું વિજ્ઞાન જ યથાર્થ વિજ્ઞાન છે અને આ જ આધ્યાત્મિક જ્ઞાન છે. સર્વપ્રથમ આ જ્ઞાનને જો પ્રાપ્ત કરી લઈએ, ત્યારે પછી જ આપણે પ્રાપ્ત કરેલ અન્ય બધા જ્ઞાનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીશું.

પૂર્વે એવા પણ કુટુંબો હતા જેમાં ૩૦ કે ૪૦ અથવા ૫૦ સભ્યો રહેતા હતા. તેઓ બધા એકતા સાથે, પરસ્પર પ્રેમ અને આદર સાથે ભેગા મળીને રહેતા હતાં! આ પ્રકારના કુટુંબોનું અંતરીક્ષ પણ પ્રેમ અને શાંતિપૂર્ણ હતું. કારણ કે, તેઓ આધ્યાત્મિકતા સમજતા હતા. જીવન શું છે અને શા માટે છે, તેઓ જાણતા હતા. આધ્યાત્મિક સિદ્ધાંતોના આધાર પર તેમના જીવનનું નિર્માણ થતું હતું. આ ઘણું જ દુંખદ છે કે, તેમના આ સિદ્ધાંતોને આજે કેવળ દાદીમાની કહાણી માનવામાં આવે છે. આજે કુટુંબમાં જો ત્રણ સદસ્યો હશે, તો તેઓ સમુદ્રના ત્રણ દ્વીપો જેવા હશે. બધાને પોતપોતાની રીત હશે અને પરસ્પર એકબીજા સાથે તેમને બનતું પણ નથી.

લોકો જો આધ્યાત્મિક સિદ્ધાંતોમાં પારંગત હોય, તો કંઈ નહિ તો પરિવારની અંદર આપણે આ પ્રકારની પરિસ્થિતિ ટાળી શકીએ. એ તો આધ્યાત્મિકતા છે, જે હૃદયને નજીક લાવે છે. જે તરવાને જાણે છે, તે સામુદ્રી મોજાંમાં આનંદ માણે છે તેના માટે પ્રત્યેક મોજું આનંદદાયક અનુભવ છે. પરંતુ, જેને તરતા ન આવડતું હોય, તે તો મોજાંઓને વશ છે. આ જ પ્રમાણે, આધ્યાત્મિકતાના સિદ્ધાંતોથી પરિચિત વ્યક્તિ, જીવનમાં આવતી એક એક સમસ્યાનો સામનો હસતા મોઢે કરવાને સક્ષમ હોય છે. જે આધ્યાત્મિકતા નથી સમજતા, તે નજીવી બાબતો પર તૂટી જશે. ધારો કે કોઈ ફટાકડો ફૂટે અને આપણે જો આ જાણતા નહિ હોઈએ તો આપણે ભયભીત રહી જશું. પણ જો આ જાણતા હશું, તો આપણને આંચકો નહિં લાગે. કોઈ પણ સંજોગોમાં આપણે ઢચુંપચું થશું નહિ.

કેટલાક લોકો આધ્યાત્મિકતાનો અર્થ અંધ વિશ્વાસ કરવાની ભૂલ કરે છે. સત્ય તો એ છે કે, આધ્યાત્મિકતા અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. ઘણા લોકો યુવા પેઢીને ગેરમાર્ગે દોરી જાય છે. તેઓ તેમને સાચી સમજણ આપતા નથી. કેટલાક પૂછે છે, “ધર્મ ભૂખ્યાનો ખોરાક તો નથી, ખરુંને?” તેમનું આ કહેવું સાચું છે. પરંતુ, અમ્મા તેમને પૂછવા માગશે કે, તે લોકો જે વિલાસી ખોરાક ખાય છે, એર—કન્ડિશન ઓરડામાં સૂવે છે, જેમને પોતાના ખાનગી વિમાનો અને જહાજો છે, શા માટે તેઓ સ્વયં ઝહેરના ઇંજેકશન લઈ, સ્વયંને ગોળી મારી, પૂર્ણ ઝડપથી આવી રહેલી ટ્રેન સામે સ્વયંને ફેંકી, અથવા છત પર સ્વયંને ટંગાવી આત્મ હત્યા કરે છે? કારણ કે, વિલાસી ખોરાક અને વસ્તુઓથી પ્રાપ્ત સુખથી પણ પર કંઈક છે, ખરુંને? માટે આપણે જીવનમાં શું સ્વીકારવું જોઈએ અથવા શું અભ્યાસમાં મૂકવું જોઈએ? એ કે જે આપણને મનની શાંતિ આપે છે. આ અન્ય કંઈ જ નહિ પણ આધ્યાત્મિકતાનો પથ છે.

બાળકો, માલ મિલકત, સંપત્તિ ભેગી કરવી અથવા સ્થાન, માન, ખ્યાતિ પ્રાપ્ત કરવા, આ તો ટાલિયા માથા માટે દાંતિયા ભેગા કરવા જેવું છે. આનો અર્થ એવો નથી થતો કે આપણે નવરા બેઠા રહેવું કે આળસું બની બેઠા રહેવું. વ્યક્તિએ કાર્ય કરવું જોઈએ. કાર્ય કરવાની યથાર્થ રીત સમજીને અર્થાત કોઈ પણ પ્રકારની આસક્તિ વિના કાર્ય કરવું જોઈએ

બાળકો, એક જ ટોફિના જુદા જુદા વિંટળાની જેમ આપણે બધા એક જ આત્માના જુદા જુદા સ્વરૂપો છીએ. લીલા રંગના વિંટળાથી ઢંકાયેલી ટોફી, લાલ રંગના વિંટળામાં ઢંકાયેલી ટોફીને જોઈને કહેશે, “આપણે ભિન્ન છીએ!” આ જ પ્રમાણે લાલ ટોફી નીલી ટોફીને કહેશે, “આપણે ભિન્ન છીએ!” પણ આપણે જો આ બધા વિંટળાને કાઢી નાખીએ, ત્યારે આપણને જોવા મળશે કે, તે બધી એક જ છે. આપણી વચ્ચેની ભિન્નતાનું પણ આવું જ છે. પરંતુ આપણે આ સમજતા નથી અને બહારી ભિન્નતામાં ગૂંચવાઈ જઈ, સંસારમાં અનેક સમસ્યાઓનું સર્જન કરીએ છીએ! શા માટે આપણે આ સમજતા નથી? કારણ કે, આપણે આપણું બાળસહજ હૃદય ગુમાવ્યું છે. પરિણામ, આપણે આત્મસાક્ષાત્કાર નથી કરી શકતા; પરમાત્માની અનુભૂતિ માટે પણ આપણે અસમર્થ છીએ.

અમ્મા અહીં બાળસહજ હૃદયનો અર્થ તીક્ષ્ણ ગ્રહણશક્તિ એવો કરે છે. કેટલાક કહેશે કે, બાળકોમાં સમજવાની ક્ષમતા નથી હોતી. અમ્માના કહેવાનો ઉદ્દેશ બાળકોનો વિશ્વાસ અને કલ્પના શક્તિ છે. બાળક જો કોઈ પથ્થર લેશે અને કહેશે કે, આ સિંહાસન છે, તો તેના માટે તે સાચે જ સિંહાસન છે. પથ્થરની સામે હાથમાં લાકડી લઈ તે ઊભો રહેશે, આમ કરી તે માને છે કે, પોતે કોઈ સમ્રાટની જેમ તલવાર વીંઝી રહ્યો છે. સમ્રાટની જેમ તે બોલશે અને અભિનય કરશે. તે નથી વિચારતો કે, પોતે એક પથ્થર પર બેઠો છે અને હાથમાં તેણે લાકડી પકડી છે. જ્યાં સુધી તેનો સવાલ છે, તે એક સાચી તલવાર વીંઝી રહ્યો છે. આપણે આ કાલ્પનિક શક્તિ, વિશ્વાસ અને નિખાલસતા ગુમાવ્યા છે, અને ઈર્ષા અને અદેખાઈના કેવળ પ્રતીક બની ગયા છીએ. એક સાધકને જેની જરૂર છે, તે નિખાલસ હૃદયની અને વિવેકપૂર્ણ તીક્ષ્ણ બુદ્ધીની છે.

આપણામાં નિખાલસતા અને તીક્ષ્ણ બુદ્ધી, બંને હોય તો જ આપણે દિવ્યતાની અનૂભૂતી કરી શકીએ. જેનું જીવન આ બંને ગુણથી સંપન્ન છે, તેના જીવનમાં ક્યારેય દુઃખ કે નિરાશાના દાગ નહિ હોય.

બાળકો, નિખાલસ હૃદય વિના તમે શાંતિનો આનંદ ન લઈ શકો. નિખાલસ હૃદયમાં જ ઈશ્વર વાસ કરે છે. “

એક મહિના પહેલાં એક નવયુવક આશ્રમમાં સ્થિર રહેવાની ઇચ્છાથી આવ્યો હતો. અમ્માએ તેને સંમતિ આપી નહિ. આથી તે યુવકે ભારપૂર્વક આગ્રહ કર્યો ત્યારે અમ્માએ તેને કહ્યું,

“પુત્ર, આધ્યાત્મિક જીવન એટલું સરળ નથી. યોગ્ય વિવેક અને વૈરાગ્ય ન હોય તો તેમાં દ્રઢ રહેવું કઠિન છે. કોઈ પણ પ્રતિબંધોમાં જે લક્ષ્યબોધ ન છોડે તે જ આધ્યાત્મિક જીવનમાં વિજયી રહી શકે. પુત્ર, તારાં હૃદયમાં હજુ પણ તને તારા પરિવારના લોકો સાથે બંધન છે. માટે, કેટલા સમય સુધી તું અહીં રહી શકીશ, તે વિશે અમ્માને કોઈ ખાતરી નથી. પણ તારે જો અહીં રહેવું જ હોય તો તું રહી શકે છે. અમ્મા તને રોકશે નહિ.”

તે યુવક આશ્રમવાસી તરીકે આશ્રમમાં રહેવા લાગ્યો. આશ્રમના દૈનિક નિયમો પ્રત્યેની તેની નિષ્ઠા અને સાધનામાં તેનું દ્રઢ વૈરાગ્ય, હૃદય સ્પર્શી હતાં. એક બ્રહ્મચારીએ આ યુવકના વૈરાગ્ય વિશે અમ્માને જણાવ્યું. અમ્માએ તેને કહ્યું, “પુત્ર, કોઈ વૃક્ષની ડાળ કાપી આપણે તેને માટીમાં રોપીએ તો તરત જ તેમાં બે ચાર પાન ફૂંટશે. આ જોતાં એમ ન માનવું જોઈએ કે, નવા છોડવાના મૂળિયા માટીમાં દ્રઢ થયા છે. આ નવા પાન બહુ જલ્દી ખરી જશે. તે પછી પાન આવે છે કે કેમ, તે જોવું જોઈએ. જો પાન આવે તો એમ સમજવું કે તે છોડ ઉગશે. કારણ કે, ડાળમાંથી નીકળેલા મૂળ જમીનમાં મજબૂત થાય પછી જ નવા પાન આવે છે.”

ગયા અઠવાડિયે તે નવયુવકના પિતા, તેના ભાઈને સાથે લઈ આશ્રમ આવ્યા હતા.

પુત્રને બોલાવી પિતાએ કહ્યું, “પુત્ર, તને ન જોવાથી, તારી મા બહુ દુઃખી છે. તે ખોરાક પણ નથી લેતી. હંમેશા તને યાદ કરી, તે તારી જ વાતો કરે છે.” પિતાના વચનો સાંભળી પુત્રની આંખમાં પાણી આવી ગયા. “અમ્મા, હું ઘરે જઈ મારી માતાને મળીને આવું તો કેમ?” યુવકે યાત્રા માટે અનુમતિ માગી.

“પુત્ર, જેવી તારી ઇચ્છા.”

કોઈ રોગી, કે જે હોસ્પિટલમાં દાખલ થવાને તૈયાર ન હોય, તેને ઘરે જવા દેતા પહેલાં જેમ એક ડૉક્ટર સમયસર દવા લેવાનું કહે છે. તેની જેમ, આગળ ઉમેરતા અમ્માએ કહ્યું, “પુત્ર, ઘરે ગયા પછી પણ, થોડો સમય જપ કરવાનું ભૂલતો નહિ.”

તેને ગયે આજે અઠવાડીયું થયું, તે હજુ પાછો આવ્યો ન હતો. પાસે ઊભેલા એક બ્રહ્મચારીએ અમ્માને પૂછયું, “અમ્મા, અનેકવાર એવું જોવામાં આવે છે કે, શરૂઆતમાં લોકોમાં જે વૈરાગ્ય જોવા મળે છે, પાછળથી તે નાશ પામે છે. એમ કેમ?”

અમ્મા : “ઘણાખરા લોકો શરૂઆતમાં આવેશ સાથે આવે છે. ઘણામાં શરૂઆતનું વૈરાગ્ય દેખાઈ છે. પરંતુ, તેને જાળવી રાખવામાં જ સફળતા રહેલી છે. શરૂઆતનો આવેશ ઠંડો પડતા, અગણિત જન્મોથી આપણી અંદર સંગ્રહિત સુશુપ્ત વાસનાઓ એક એક કરીને માથું ઉંચુ કરશે. આ સમયે બાહ્ય વસ્તુઓ તરફ ધ્યાન આકર્ષિત થાય છે. આ વાસનાઓથી ઉપર ઉઠવાની ક્રિયા, અથાક પ્રયત્ન અને ત્યાગ માગી લે છે. ધાર્યા કરતાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવાનું થતા, ઘણાખરા લોકો હતાશ બને છે. સાધનાનીં શરૂઆતમાં જે ઉત્સાહ હોય છે, તે સમય જતાં દેખાતો નથી. આ આપણને નિરાશ કરે છે. પરંતુ, જેને દ્રઢ લક્ષ્યબોધ હશે, તે પરાજય કે હતાશાને મહત્વ નહિ આપે. તે તો ફરી ફરી પ્રયત્ન કરતા રહે છે. આ પ્રકારનો લક્ષ્યબોધ ધરાવનાર જ વૈરાગ્યને સદાસમય જાળવી રાખી શકે.”

અમ્મા ઊભા થયા અને ચાલતા રસોડા તરફ જવા લાગ્યા. રસોડાની ઉત્તર દિશાનો દરવાજો ખુલો હતો. ત્યાં એક વિદેશીને અમ્માએ કપડા ઘોતો જોયો. ક્યારેય હાથે કપડા ધોવાને ટેવાયેલા ન હોવાથી, કપડા ધોતા પહેલાં તે વિદેશી, કપડા ધોવાના પથ્થર પર આખા સાબુંના લાટાનો લેપ કરી રહ્યો હતો.

અમ્મા થોડો સમય તેને નિહાળતા ત્યાં જ ઊભા રહ્યાં. પછી તેઓ તેની પાસે ગયા અને તેના હાથમાંથી કપડા લીધા. પછી સાબુથી કપડાને કેવી રીતે ધોવા તે બતાવ્યું. એક બ્રહ્મચારીએ અમ્માના શબ્દોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. પેલા વિદેશીને ઘણી પ્રસન્નતા થઈ કે, અમ્મા તેને કપડા ધોતા શીખવી રહ્યાં હતા.

અમ્મા પછી દર્શન કુટીર તરફ ગયા. માર્ગમાં તેમણે એક બ્રહ્મચારીને ભગવાં રંગનું ધોતિયું પહેરેલો જોયો.

અમ્મા : “પુત્ર, હમણાં તું આ વસ્ત્રને ન ધારણ કરી શકે. આપણે તે ધારણ કરવાને યોગ્ય નથી થયા. અત્યારે તો, તમે જ્યાં ક્યાંય ભગવાં જુઓ, તમારે તો તેનો આદર જ કરવો જોઈએ અને નહિ કે તેને સ્વયં ધારણ કરવાના.

“ભગવો રંગ તો શરીરને અગ્નિમાં દહન કર્યાનું પ્રતિક છે!

“પુત્ર, આ વસ્ત્રોને જુઓ ત્યારે ઋષિપરંપરાનું સ્મરણ કરવું જોઈએ. તે વ્યક્તિમાં આપણે તે પરંપરાનો આદર કરીએ છીએ.”

એક વિદેશી ભક્ત આ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. તેણે એક બ્રહ્મચારી પાસેથી જાણ્યું કે અમ્મા ભગવાં વસ્ત્રો વિશે કહેતા હતા. આમ તેણે અમ્માને પોતાને ભગવાં વસ્ત્ર આપવાને વિનંતી કરી. ઉત્તરમાં અમ્મા ફક્ત હસ્યા. તેણે ફરી ભારપૂર્વક માગણી કરી.

અમ્માએ કહ્યું, “દુકાનમાંથી ધોતીયું ખરીદીને પહેરવું, તેની જેમ આ ખરીદીને પહેરવા જેવા વસ્ત્ર નથી. પહેલાં તો આ માટેની યોગ્યતા આપણે પ્રાપ્ત કરવી જોઈએ.” અમ્માનો આ ઉત્તર સાંભળીને પણ તેને સંતોષ ન થયો. તેણે પૂછયું, “બીજા લોકો તો તેને પહેરે છે. પછી શા માટે મારે તેને ન પહેરવા?”

અમ્મા : “પુત્ર, સ્ત્રીનો વેશ ધારણ કરવાથી, શું તું સ્ત્રી બનશે? સ્ત્રી પુરુષનો વેશ ધારણ કરે તો શું તે પુરુષ બની શકે? પુત્ર, ભગવાં વસ્ત્ર ખરીદીને પહેરવાથી કોઈ સંન્યાસી નથી થતું. સર્વપ્રથમ તમારા મનને ભગવામાં ડૂબાડવું જોઈએ. મન ભગવું બની જાય, પછી અમ્મા તને ભગવાં આપશે.”

આ સાંભળતા તે વિદેશી પાસે કહેવાને કોઈ શબ્દ ન હતા.

બ્રહ્મચારી : “કેટલાક લોકો ઘરમાં ઝગડો કરીને ચાલ્યા જાય, પછી ભગવાં ધારણ નથી કરતા શું?”

અમ્મા : “હા, આ સાચું છે. કેટલાક લોકો ઝઘડો કરી, ઘર છોડીને ચાલ્યા જાય છે. પછીં જ્યારે ભૂખ્યા રહેવાનો વારો આવે, ત્યારે ભિક્ષા મેળવવા ભગવાં પહેરે છે. તો અમુક પત્ની સાથે ન બને તો નિરાશાને કારણે ભગવાં પહેરતા જોવા મળે છે. તે વૈરાગ્ય પણ સારો છે. પણ યથાર્થ લક્ષ્યનું જ્ઞાન હોવું જરૂરી છે. તે સાથેનું બંધન આવવું જોઈએ. તે ન હોય તો પછી ભગવાં ધારણ કરવાનો કોઈ અર્થ નથી. આજે તો યથાર્થ સન્યાસીઓ પણ જોવા નથી મળતા. કોઈપણ ગુરુકુળમાં રહીને પરંપરાગત ભગવાં મેળવ્યા છે કે કેમ, તે જાણવું જોઈએ. યથાર્થ ગુરુ એમ ને એમ ભગવાં વસ્ત્રો આપતા નથી. તેઓ વ્યક્તિની પુખ્તતા પણ જુએ છે.”

પ્રશ્નઃ આપણી આ ધરતી શા માટે આપણને આ રીતે કષ્ટ આપે છે?

અમ્માઃ બાળકો, તમારે આ યાદ રાખવું જોઈએ કે, આપણી ખાતર પ્રકૃતિ કેવા મહાન ત્યાગ સહન કરે છે. નદીઓ, વૃક્ષો અને જનાવરો આપણી ખાતર કેટલો ત્યાગ સહન કરે છે. એ વૃક્ષનો જ દાખલો લો. વૃક્ષ આપણને ફળ આપે છે, છાયો આપે છે. આ વૃક્ષનો મનોભાવ છે. આ રીતે જો આપણે પ્રકૃતિની એક એક વસ્તુનું નીરિક્ષણ કરીએ, તો જાણવા મળશે કે, તેઓ બધા જ મનુષ્ય માટે ઘણો ઘણો ત્યાગ સહન કરે છે.

પરંતુ આપણે તેમના માટે શું કરીએ છીએ? કહેવાય છે કે, આપણે એક વૃક્ષને કાપીએ, ત્યારે આપણે એક વૃક્ષના રોપાને વાવવો જોઈએ. પરંતુ કેટલા લોકો આમ કરે છે? આપણે જો આમ કરીએ તો પણ કેવળ આ એક રોપાથી કેવી રીતે આપણે પ્રકૃતિનું સંતુલન અને સંવાદિતા જાળવી શકીએ? એક નાનો છોડ એટલા જ લાભ ન આપી શકે, કે જે એક વિશાળ વૃક્ષ આપે છે. શું એક શિશું એટલું કામ કરી શકે, જેમ કે એક વયસ્ક પુરુષ કરે છે? એક પુરુષ માટીનો એક મોટો જથ્થો ખેંચીને લઈ જઈ શકે ત્યારે એક બાળક કેવળ એક ચમચીભરીને રેત લઈ શકે. આ અંતર આટલું વ્યાપ્ત છે. ટાંકી ભરીને પાણીને શુદ્ધ કરવા જો ૧૦મી.ગ્રામ ભૂકો આવશ્યક હોય, તેની જગ્યાએ ફક્ત ૧ મી.ગ્રામ ભૂકો ઉપયોગમાં લઈએ, તો શું તેનાથી કોઈ લાભ થવાનો? ભાગ્યે જ થાય!

આજે પ્રકૃતિને જાળવવા માટેના આપણા પ્રયત્નોનું પણ આવું જ છે. પ્રકૃતિ ક્રમેણ પોતાનું સંતુલન ગુમાવી રહી છે. જે પવનની લહેરખી આપણને પંપાળતી હતી, આજે તે ઝંઝાવાત બની છે. ધરતી કે જે આપણો આધાર છે, તે આજે આપણને પાતાળમાં ધકેલી રહી છે. આ પ્રકૃતિનો દોષ નથી. આપણે તો ફક્ત પૂર્વે કરેલા આપણા અધાર્મિક કર્મોનું ફળ જ અનુભવી રહ્યાં છીએ. આ તો શબપેટી વેચી જીવિકા મેળવતી કોઈ વ્યક્તિ, છેવટે સ્વયંને શબપેટીમાં પામે છે, તેના જેવું થયું.

આપણે આપણી પોતાની કબર ખોદી રહ્યાં છીએ. આજે હરકોઈ ભયભીત છે. તેમને ભય છે કે, સૂતા પછી ઊંઘમાંથી જીવિત જાગશે કે કેમ!

બાળકો, સર્વપ્રથમ આપણે પ્રકૃતિની રક્ષા કરવાનું શરૂ કરવું જોઈએ. ત્યારે જ આપણે હૈયાત રહી શકીશું. આર્થિક કે નીજી સ્વાર્થ ખાતર પ્રકૃતિનો નાશ કરવાનું બંધ કરવું જ જોઈએ. આ સાથે ઘરે વૃક્ષો ગાડવા પ્રયત્ન કરવો જોઈએ. આપણા પ્રાચીન ઋષીઓએ જ્યારે વૃક્ષોની પૂજા કરવાનું કહ્યું હતું, ત્યારે તેઓ આપણને પ્રકૃતિ સંરક્ષણનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. ઘરના આંગણામાં રોપાઓ વાવવા, આ છોડવાઓમાંથી ફૂલ તોડી ભગવાનને ધરવા, પીતળની દીવીમાં તેલ રેડી, વાટ પ્રગટાવવી, આ બધું પ્રકૃતિને શુદ્ધ કરવાના ઉપાયો છે. આજે અંતરીક્ષમાં ફૂલની સુંગધ નથી કે નથી પ્રગટાવેલા દીવાની સુવાસ. છે કેવળ ફેક્ટરીઓમાંથી નીકળતા ધૂમાડાની દુર્ગંધ. આજે વાતાવરણ દૂષિત થયુંછે. મનુષ્યનું આયુષ્ય જે ૧૨૦ વર્ષ હતું આજે તે ૮૦ કે ૬૦ વર્ષમાં સીમિત થયું છે. નવા રોગો થયા છે. તેનું કારણ “વાયરસ” બતાવી, કોઈ આ બીમારીઓનું સાચું કારણ નથી સમજી શકતા.

આજે અંતરીક્ષ પ્રદૂષિત થઈ રહ્યું છે. રોગોમાં વૃધિ થઈ રહી છે. સ્વાસ્થ્ય પાંગળું થઈ રહ્યું છે. આયુષ્ય ઓછું થઈ રહ્યું છે. આજે આપણે આવી પરિસ્થિતિ તરફ આગેકૂચ કરી રહ્યાં છીએ. લોકો ધરતી પર સ્વર્ગ બનાવવા માગે છે પરંતુ આખરે તેઓ અહીં નરક જ બનાવશે. લોકો મિષ્ટાન ખાવા ચાહે છે, પરંતુ બીમારીના કારણે આમ નથી કરી શકતા. લોકો નૃત્યનો કાર્યંક્રમ જોવા માગે છે, પરંતુ બીમારીના કારણે મોડે સુધી જાગી નથી શકતા. આમ એક નહિ તો બીજા કારણે, મનુષ્ય પોતે ચાહે તેમ કરી શકતો નથી. પોતે બાંધેલ બંધનની ગાંઠને ખોલવાને અસમર્થ તે બંધાયેલો છે. કોઈ વિચારતું નથી કે, આનો અંત કેવો આવશે. અથવા આ સમસ્યાનું શું થશે. અથવા આ પરિસ્થિતિ પર વિચાર કરે તો પણ કોઈ તેના પર કર્ય કરતું નથી. વૃક્ષો રોપી અને ઈશ્વરને પુષ્પ અર્પણ કરી, આપણે અંતરીક્ષ તેમજ આપણા હૃદય, બંનેને શુદ્ધ કરીએ છીએ.

એક ભક્ત વૃક્ષો અને છોડવાઓને પાણી પાતી વખતે, ફૂલ તોડતી વખતે, ફળ તોડતી વખતે, ફૂલનીમાળા ગૂંથતી વખતે અને બધું પોતાના ભગવાનને અર્પણ કરતી વખતે તે પોતાના મંત્રનો જાપ કરે છે. મંત્રજાપથી વિચારો ઓછા થાય છે, અને આ પ્રમાણે મન શુદ્ધ થાય છે. પરંતુ આજે ઘણા લોકો આ પ્રકારની પ્રથાને અંધ વિશ્વાસ કહીં, તેનો ઉપહાસ કરે છે.

આજે આપણે મનુષ્ય દ્વારા નિર્મિત કમ્પ્યુટર અને ટેલિવિઝનનો વિશ્વાસ કરીએ છીએ, જે આપણા વિનાશનું કારણ પુરવાર થઈ રહ્યું છે. આપણે ઋષિઓના વચનોનો વિશ્વાસ કરવાને સંકોચ અનુભવિએ છીએ, કે જેમણે સત્યને જાણ્યું હતું. તમારું કમ્પ્યુટર અથવા કાર, બગડી જાય તો તે સરખી થાય ત્યાં સુધી ગમે તેટલો સમય કાઢવાને તમે તૈયાર હશો. પરંતુ આપણા મનની અસંવાદિતાને સરખી કરવા આપણે શું કરીએ છીએ? ૐ

સાંજના ચાર વાગે અમ્મા સ્ટોરરૂમમાં ગયા. ત્યાં તેઓ સફાઈ કરવા લાગ્યા. થોડા બ્રહ્મચારીઓ તેમની સાથે હતા. નીલકંઠન અને કુંજુમોન, આશ્રમના ઉત્તર ભાગમાં વરસતા વરસાદમાં વાડ બાંધી રહ્યાં હતા.

“બાળકો, વરસાદમાં ભીંજાશો નહિ.” બૂમ પાડતા અમ્માએ તેમને કહ્યું. તેમણે જવાબ આપ્યો, “અમ્મા, કંઈ વાંધો નહિ. થોડું જ કામ બાકી છે. હમણાં થઈ જશે!” આટલું કહી તેઓ પૂર્ણ ઝડપથી કામ કરવા લાગ્યા. આ જોતાં અમ્માએ કહ્યું,

“અમ્મા પ્રત્યેના સમર્પણને કારણે જે સંતોષ અને નિષ્ટાથી કામ કરે છે, વરસાદની તેમના પર કોઈ અસર નહિ પડે. તેમને કોઈ બીમારી નહિ આવે. પરંતુ, જે અડધા મનથી, કરવા ખાતર કામ કરે છે, તેમની વાત જુદી છે.”

થોડા બ્રહ્મચારીઓ કે જે વરસાદને બહાને કામથી દૂર રહ્યાં હતાં, હીનતાની લાગણી અનુભવતા એકબીજાને જોઈ રહ્યાં.

એક બ્રહ્મચારિણીને અમ્માએ રસોડા માટે બળતણનું લાકડું ભેગું કરવાની જવાબદારી સોંપી હતી. તેણે પોતાના કાર્યમાં બેદરકારી દાખવી હતી. રસોઈ માટે પૂરતું બળતણ ન મળતા, રસોઈ કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી. એક બ્રહ્મચારિણીએ પહેલી બ્રહ્મચારિણીની અમ્મા પાસે ફરિયાદ કરી.

અમ્મા : “બળતણના લાકડા માટે અમ્માએ તે પુત્રીને થોડા દિવસ પહેલાં જ સૂચના આપી હતી. છતાં તે ન લાવી. કયાં ગઈ તેની ભયભક્તિ? અમ્મા કોઈને આદર કરવા કે પૂજા કરવાને કહેતા નથી. નૌકા બનાવતી વખતે, લાકડુ ગરમ કરવામાં આવે છે, જેથી તેને વાળી શકાય. લાકડુ વળે તો જ તેને નૌકાનો આકાર આપી શકો. આ જ પ્રમાણે, ભયભક્તિ દ્વારા આપણે સુધરીએ છીએ. કંઈ પણ પ્રત્યે ભયભક્તિ હોવા જ જોઈએ. તે ન હોય તો પછી, અહમ્‌નો જ વિકાસ થાય છે. આપણે કોઈ પ્રગતિ નથી કરતા. વિનય અને અનુસરણ દ્વારા જ, એક સાધક વિકાસ કરે છે.”

અમ્મા પેલી બ્રહ્મચારિણીને ઠપકો આપતા હતા. આ જોઈ, એક અન્ય બ્રહ્મચારિણીએ તેને વધુ ઠપકો મળે તે ભાવથી અમ્મા પાસે પેલી વિષે મરચું મીઠું ભભરાવીને ફરિયાદ કરવા લાગી.

અમ્મા : “પુત્રી, તેણે કરેલી ભૂલ માટે ઠપકો આપવો ઠીક છે, પણ તે પુત્રી પ્રત્યે દ્વેષ ન રાખવો જોઈએ. વિદ્વેષના ભાવથી ક્યારેય કોઈને ઠપકો આપશો નહિ કે ક્રોધ કરશો નહિ. તે વ્યક્તિનો ઉદ્ધાર માત્ર જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. આથી વિપરીત, ઈર્ષા કે ક્રોધવશ આપણે કોઈને ઠપકો આપીએ કે તેમની નિંદા કરીએ, ત્યારે તેણે જે અપરાધ કર્યો હોય, તેના કરતા પણ વધુ ગંભીર અપરાધ આપણે કરીએ છીએ. આથી આપણું મન દુષિત થાય છે. એક સાધકને આ શોભે નહિ. આપણે સાધના અન્યમાં સારું જોવા માટે જ કરીએ છીએ. કારણ કે, ત્યારે જ આપણી અંદરની નકારાત્મકતા નાશ પામશે. આપણે પ્રેમથી, ફક્ત તેમની ભલાઈને લક્ષ્યમાં રાખીને ઠપકો આપીએ, તો તે તેમને ખોટા માર્ગમાંથી સન્માર્ગ તરફ દોરી જાય છે.

“પરંતુ, ફક્ત બીજાની ખોડ કાઢવા ખાતર આપણે તેમની ભૂલોને શોધીએ, તો તે આપણા જ મનને દુષિત કરે છે. અને તેઓ પણ વધુ ને વધુ બૂરા કાર્યો કરવાને પ્રેરિત થશે. વિદ્વેષમાં વૃદ્ધિ જ કરશે. આમ ન થવું જોઈએ.

“પરંતુ, ફક્ત બીજાની ખોડ કાઢવા ખાતર આપણે તેમની ભૂલોને શોધીએ, તો તે આપણા જ મનને દુષિત કરે છે. અને તેઓ પણ વધુ ને વધુ બૂરા કાર્યો કરવાને પ્રેરિત થશે. વિદ્વેષમાં વૃદ્ધિ જ કરશે. આમ ન થવું જોઈએ.

“બાળકો, ક્યારેય કોઈનામાં દોષ જોશો નહિ! કોઈ આપણી પાસે બીજાના દોષ કાઢીને બોલે, ત્યારે તે દોષોને ન જોતા, તે વ્યક્તિમાં રહેલા સદ્‌ગુણોને ચીંધી બતાવવા જોઈએ. ટીકા કરનારને કહો, “તું તેનામાં દોષ જ શોધે છે. પણ શું તે વ્યક્તિમાં રહેલા સદ્‌ગુણો તને નથી દેખાતા?” ત્યારે તે સહજ જ તેની ટીકાઓ બંધ કરશે અને આપણી પાસે ક્યારેય કોઈનું બૂરું બોલવા આવશે નહિ. આમ, આપણે તો સારાં થશું, આ સાથે અન્યને પણ ખોડખાંપણ શોધવાની આદતમાંથી મુક્ત થવા સહાય કરીશું.

“માંસ અને મદિરા ખરીદનારા છે, માટે જ તો કસાઈવાડો અને દારૂના અડ્ડાઓનો વેપાર ચાલે છે. આ જ પ્રમાણે, જે બીજાનું બૂરું બોલે છે, જો તેમને સાંભળાવાળું કોઈ ન હોય, તો સહજ જ બૂરુંબોલનારાઓના સ્વભાવમાં પરિવર્તન આવશે.”

ભજનનો સમય થયો. અમ્મા કળરીમાં ગયા. ભજન શરૂ થયા. ભજન સમયે વંટોળિયો અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતો હતો. વાદળોની ગાજવીજ, જાણે ભગવાન શિવના તાંડવ નૃત્ય સાથે વાગતા ઢોલ જેવા સંભળાતા હતા.