યુવક : “ઘણા લોકો કહેતા હોય છે કે, એક સાધકે યમનિયમોનું દ્રઢ પાલન કરવું જોઈએ. તેમાં આટલા બધા પ્રતિબંધો શું  જરૂરી  છે? તત્વનું જ્ઞાન હોય તો એ પર્યાપ્ત નથી શું? ગમે તેમ તો, તે વિષેનું જ્ઞાન મેળવવું એ જ મહત્વનુ છે, નહિં કે?”

 

અમ્મા : “પુત્ર, પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે છે. ખરું ને? સમુદ્રકિનારાની કાળી માટીમાં સૂવો અને સવારે ઊઠો ત્યારે તમે ઘણો શ્રમ અનુભવો છો. કારણ કે, કાળીમાટી આપણી શક્તિને ચૂસી લે છે. અત્યારે આપણે પ્રકૃતિના નિયંત્રણમાં છીએ. માટે યમનિયમોનું આપણે પાલન કરવું જ જોઈએ. એક હદ સુધી આપણને તેની જરૂર છે. સાધના કરી, પ્રકૃતિના નિયંત્રણથી પર આવી જઈએ, પછી આપણને તેની જરૂર નથી. આપણી  શક્તિનો ક્ષય થતો  નથી. કારણ કે, ત્યારે પ્રકૃતિ આપણને આધીન હશે. પરંતુ,  ત્યાં સુધી યમનિયમ જરૂરી છે.

“બીજને વાવો ત્યારે મરધીનું બચ્ચુ તેને ખોતરીને ખાઈ ન લે, તે માટે તેની આસપાસ કાંટાળીવાડ રાખવામાં આવે છે. મરઘીનું બચ્ચુ તેના મૂળને ખાઈ લે, તો તે બીજ ઊગી શકે નહિ. બીજ ઊગીને વૃક્ષ બને, પછી તે મરઘી, મનુષ્ય વગેરેને આશ્રય આપે છે. તેની સાથે  હાથીને  પણ  બાંધી શકાય. પરંતુ, અત્યારે મરઘીના નાના બચ્ચાથી પણ તે બીજ ભય પામે છે. આ જ પ્રમાણે,આપણે નબળા મનના હોવાથી, જ્યાં સુધી આપણી આંતરિક શક્તિને ન જાણી લઈએ, ત્યાં સુધી આપણને યમનિયમ જરૂરી છે.”

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)

શાસ્ત્રી : “અમ્મા, ધ્યાનમાં આપણા ઈષ્ટદેવના સ્વરૂપને સ્પષ્ટ નિહાળવા શું કરવું જોઈએ?”

અમ્મા : “ઈષ્ટદેવના રૂપ સાથે પ્રેમ હોય તો જ તે પ્રકાશિત થાય છે. દર્શન નથી થયા.. દર્શન નથી થયા..ની ચિંતા હંમેશા હોવી જોઈએ.

 

“એક પ્રિયતમને પોતાની પ્રિયતમા માટે જે મનોભાવ હોય છે, તેવો જ મનોભાવ એક સાધકને પોતાના ઈશ્વર માટે હોવો જોઈએ. એક ક્ષણ માટે પણ તે તેમનાથી દૂર રહી શકે નહિ, તેવો પ્રેમ હોવો જોઈએ. પ્રિયતમાને નીલ રંગની સાડી પહેરેલી જોઈ હશે, તો જયાં ક્યાંય  તેને થોડો નીલ રંગ દેખાશે, ત્યાં તે તેની પ્રિયતમાને દેખશે. તેના રૂપનું તેને સ્મરણ થઈ આવશે. ખાતી વખતે કે ઊઘમાં, તેનું સ્મરણ માત્ર જ હશે. સવારના ઊઠયા પછી, તેને ફક્ત તેની પ્રિયતમાના જ વિચાર હશે. દંત મંજન કરતી વખતે કે કૉફી પીતી વખતે, તેની પ્રિયતમા શું કરતી હશે, ફક્ત તેના જ વિચાર હશે. આ પ્રકારનો પ્રેમ આપણા ઈષ્ટદેવ માટે હોવો જોઈએ. ઈષ્ટદેવ સિવાયના અન્ય બધા વિચારો દૂર કરવા જોઈએ. કારેલાને ઘણા સમય સુધી સાકરની ચાસણીમાં ડૂબાડીને રાખવાથી, તેની કડવાશ દૂર થાય છે અને તે મધૂર બને છે. આ જ પ્રમાણે, આપણું મન ભલે ગમે તેટલા દુષ્ટ વિચારોથી ભરેલું હશે, પણ સદા ઈશ્વરનું સ્મરણ કરી, તેને સમર્પિત કરીએ, તો તે શુદ્ધ બને છે.

“એક વખત, વૃદાંવનમાં ચાલતા ચાલતા એક ગોપીની નજર, કોઈ વૃક્ષ નીચે પડેલા ઊંડા પગના નિશાન પર પડી. આ જોઈ, ગોપી આ રીતે ભાવના કરવા લાગી કે, “કૃષ્ણ આ માર્ગે આવ્યા હશે. તેમની સાથે જે ગોપી હતી, તેણે પ્રભૂ પાસે વૃક્ષ પરથી ફૂલ તોડી આપવાનું કહ્યું હશે. ત્યારે ભગવાન તેના ખભા પર ટેકો દઈ, છલાંગ મારીને વૃક્ષ પર ચઢી ગયા હશે. છલાંગ મારતી વખતે, જમીન પર મારાં ભગવાનના ચરણનું આ નિશાન પડી ગયું હશે.” તેણે અન્ય ગોપીઓને બોલાવી, તેમને ભગવાનના ચરણનું નિશાન બતાવ્યું. ભગવાનના વિચારમાં તેઓ બધું ભૂલી ગયા. તેની આસપાસ ઊભેલા બધા, તે ગોપી માટે કૃષ્ણ બની ગયા. કોઈ તેના ખભાનો સ્પર્શ કરે, તો જાણે તે કૃષ્ણના કરકમળો હતા એમ ભાવના કરતી, ભક્તના ભાવમાં કોઈ બાહ્ય ચેતના રહેતી નહિ. અન્ય ગોપીઓ પણ કૃષ્ણના સ્મરણમાં બધુ વિસરી જતી. બધા ભગવાનના સ્મરણમાં આનંદાશ્રુ વહાવવા લાગી. આ પ્રકારની ભાવના આપણે કેળવવી જોઈએ. કંઈ પણ જોઈએ, તેને ભગવાન સાથે જોડવું જોઈએ. ભગવાન સિવાય અન્ય કંઈ જ નથી. આ પ્રમાણે રહેતા લોકો માટે, ધ્યાનમાં ઈષ્ટદેવનું રૂપ સ્પષ્ટ જોવા માટે કોઈ શ્રમ કરવો પડતો નથી.  કારણ કે, એવો કોઈ સમય જ નથી હોતો, કે જ્યારે ઈશ્વર તેમના મનમાં ન હોય.

“કંઈ પણ જૂઓ, ત્યારે મનમાં આ રીતની ભાવના ઉઠવી જોઈએ, “હે વૃક્ષો લતાઓ, મારી મા ક્યાં છે? હે પંખીઓ, મારી મા ક્યાં છે? હે સમુદ્ર, નદી ને સરોવરો, તમને ચલાયમાન થવાની શક્તિ આપનારી તે શક્તિસ્વરૂપિણી મા ક્યાં છે? મનથી આ રીતે પૂછો અને ભાવના કરો. આ પ્રકારના મનોભાવને કેળવી, આપણું મન પ્રતિબંધોને તોડી તોડીને, હંમેશા તે પરમાત્માના ચરણોને વળગી રહેશે. પુત્ર, આ પ્રમાણે ભાવના કર્યા પછી ચોક્કસ ઇષ્ટદેવનું સ્વરૂપ મનમાં સ્પષ્ટ થશે.”

બ્રહ્મચારી : “અમ્મા, ક્યારેક બીજા લોકો ખોટું કરી રહ્યાં છે, એમ લાગે છે.  ત્યારે મારું મન ક્ષોભિત થઈ ઉઠે છે. અન્ય પ્રત્યે કેવી રીતે ક્ષમાશીલ બનવું?”

અમ્મા : “આપણા જ હાથેથી, આપણી આંખમાં ઝોંકોં લાગે, ત્યારે આપણો બીજો હાથ, પહેલાંને મારશે નહિ. અહીં શિક્ષા નથી, ક્ષમા છે. પગમાં ઠેસ લાગે કે હાથ ભાંગે, આપણે તે સહન કરીએ છીએ. આંખ, હાથ કે પગ આપણાથી ભિન્ન નથી. તે બધા આપણા જ શરીરના ભાગ છે, એ બોધ આપણને હોય છે. માટે જ ક્ષમા આવે છે. ગમે તેટલી વેદના હશે, આપણે તે સહન કરીશું. આ જ પ્રમાણે, અન્યને આપણા પોતાના તરીકે જોવા જોઈએ. આપણામાં આ બોધ હોવો જોઈએ કે, “હું જ સર્વકાંઈનું કારણ છું. બધામાં હું છું. મારાંથી કોઈ અલગ નથી.” ત્યારે અન્ય લોકોમાં ભૂલો નહિ જોઈ શકો. અને જોઈએ તો પણ, તે આપણી ભૂલો છે, એમ જોઈને આપણે ક્ષમા કરીશું.

“અથવા, સુદામાનો ભાવ જેમ કે, જે બને તેને ઈશ્વર ઇચ્છા તરીકે જોવાનો, સમર્પણનો મનોભાવ કેળવવો જોઈએ. સ્વયંને ઈશ્વરના દાસ તરીકે જોવાનો ભાવ આવવો જોઈએ. ત્યારે આપણે કોઈ પ્રત્યે ક્રોધ નહિ કરી શકીએ. આપણામાં વિનય વિકસશે.

“પુત્ર, કાં તો બધામાં સ્વયંને જોવાનો મનોભાવ અથવા સર્વેને ઈશ્વરસ્વરૂપ તરીકે જોઈ, તેમની સેવા કરવાનો ભાવ, દાસ્ય ભાવ કેળવવો જોઈએ.

“પુત્ર, આપણે પ્રત્યેક ક્ષણ સાવધાનીથી જીવવી જોઈએ. ભોજન કરતા પહેલાં તમારો મંત્રજાપ કરી, આ પ્રમાણે પ્રાર્થના કરવી કે, “હે ઈશ્વર!  શું બધા લોકોએ ભોજન કર્યું? તેમને આવશ્યક બધું મળે છે, શું!  તેમને જે કંઈની જરૂર હોય, તે તેમને પ્રાપ્ત થાય, તે માટેના આશીર્વાદ તેમને આપજો!” ક્ષમાપૂર્વક આ પ્રમાણે પ્રાર્થના કરીને જ, બાળકો, ભોજન કરવું જોઈએ. સર્વપ્રથમ, જે લોકો દુઃખી છે, તેમના પ્રત્યે આપણા હૃદયમાં કરુણા હોવી જોઈએ. ત્યારે જ મન નિર્મળ બને છે. તે કરુણા જ આપણને ઈશ્વરની નજીક લઈ જાય છે.”

આ પ્રમાણે, ભક્તિ સાધના વિષે કહેતા અમ્મા, વિશ્વપ્રેમનું વર્ણન કરી, પોતાની અમૃતવાણીને સમાપ્ત કરી. અમ્માના અમૃતસભર ઉપદેશ વચનોને, એક એક કરીને યાદ કરી, વૈશ્વિક પ્રેમનું મહત્વ સમજાવી, અમ્માએ ભક્તિયોગ પરનો તેમનો સત્સંગ પૂરો કર્યો. અમૃતસભર વાણીનું પાન કરતા, શાસ્ત્રજ્ઞ અને બ્રહ્મચારીઓના હૃદયકમળ ખીલી ઉઠ્યા.

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)

 

 

એક બ્રહ્મચારી : “અમ્મા, મનને સદા ઈશ્વરમાં કેવી રીતે રાખી શકાય?”

અમ્મા : “તે માટે સતત અભ્યાસ જરૂરી છે. હંમેશા ઈશ્વરનું સ્મરણ કરવું, એ આપણો સ્વભાવ નહિ હોય. માટે એક નવા સ્વભાવને આપણે કેળવવાનો છે. તે માટે જ, જપ કરવાનું કહેવામાં આવે છે. ખાતા હો કે ઊંઘતા હો, જપ છુટવો ન જોઈએ. વસ્ત્રો લેતી વખતે, વસ્ત્ર ઈશ્વર છે. માથું ઓળવા માટે દાંતિયો લો, તે ઈશ્વર છે, એવી ભાવના કરો.

 

“ગણિત શીખતા બાળકો, હાલતા ચાલતા, સંડાસમાં બેઠા હોય તો ત્યાં પણ, એક વત્તા એક, બે. બે વત્તા એક, ત્રણ… આ પ્રમાણે પાઠ મોઢે કરતા હોય છે. તેમને ભય હોય છે કે, દાખલા મોઢે નહિ કરે તો ક્લાસમાં તેમને શિક્ષા થશે. માટે, કંઈ પણ કરતી વખતે, પાઠ મોઢે કરતા હોય છે. આ જ પ્રમાણે, કોઈ પણ વસ્તુ હાથમાં લઈએ, તેમાં મારાં ઈશ્વર છે,  એવી ભાવના કેળવવી જોઈએ. આ જગતમાં, એવું કંઈ જ નથી, કે જેમાં ઈશ્વર ન હોય. તે શક્તિ વિના કોઈ કંઈ કરી શકે નહિ. આ જ્ઞાન હંમેશા હોવું જોઈએ.

“ખાતા હો કે ઊંઘતા હો, તમારા વિચાર એક માત્ર ઈશ્વરના જ હોવા જોઈએ. આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ કે, “તું માત્ર જ એક આશ્રય છે, અન્યકંઈ જ શાશ્વત નથી. તારા સિવાય અન્ય કોઈનો પ્રેમ નિત્ય નથી. તેઓ તો જયાં પંપાળીને હાથ ઉઠાવશે, ત્યાં બધે ફોલ્લા હશે. તત્કાલ તે સારું લાગશે. હાથમાં ઝેર રાખીને તેઓ પંપાળે છે. તેમના સ્નેહમાં મને તો નર્યું દુઃખ જ મળશે. તેમની આશા રાખીશ, તો હું ક્યાંયનો નહિ રહું. હે ઈશ્વર, એક તમે જ મને સંતૃપ્ત કરી શકો.”  અન્યને સહાયરૂપ થવા માટે જ નહિ, પરંતુ આપણને સુધરવા માટે આ વૈરાગ્ય વિના કોઈ માર્ગ નથી. માટે હંમેશા આ દ્રઢ બોધ હોવો જોઈએ કે, એક માત્ર ઈશ્વર જ નિત્ય છે. અન્ય બધું મિથ્યા છે.

“આટલા દિવસોથી ભેગી કરેલી વાસનાઓનો ક્ષય કરવાનો છે. એક સાથે તેને દૂર કરવી કઠિન છે. સતત પ્રયત્ન આવશ્યક છે. હાલતા ચાલતા, બેઠા હો કે સૂતા હો, મંત્રજાપ તો ચાલુ જ રહેવો જોઈએ. ઈશ્વરના રૂપને મનમાં નીરખતા નીરખતા જપ કરતા હો, ત્યારે કંઈ નહિ તો, અડધા વિચારો તો ઓછા થાય છે. એટલું તો આપણું મન શુદ્ધ થયું. “હું”ના અહમ્ને દૂર કરવા, “તું” (ઈશ્વર)રૂપી સાબુનો ઉપયોગ કરવો જોઈએ. બધામાં તેના દર્શન કરવા જોઈએ. ત્યારે અહંકારનો “હું” દૂર થશે અને પરમ એવો “હું” આપણામાં પ્રકાશિત થશે.”

બ્રહ્મચારી : “ઈષ્ટદેવને નિહાળતા કોઈ કેવી રીતે જાપ કરી શકે? શું તે કઠિન નથી?”

અમ્મા : “પુત્ર, અત્યારે તું અમ્મા સાથે વાતચીત કરી રહ્યો છે. શું અમ્માને જોઈ તેમની સાથે વાત કરવી, તને કઠિન લાગે છે?  પુત્ર,  તું વાતચીત પણ કરે છે, અને અમ્માને જુએ પણ છે. આ જ પ્રમાણે, ઈશ્વરના રૂપને નિહાળતા જપ કરવો શક્ય  છે. આ પણ જરૂરી નથી. ફક્ત, અમ્મા, અમ્મા, અમ્મા, મને શક્તિ આપો, મારું અજ્ઞાન દૂર કરો, મને તારાં ખોળામાં લે. તારો ખોળો માત્ર જ મારે એક આશ્રય છે. ત્યાં જ મને ચેન મળશે. શા માટે તું મને આ સંસારમાં ધકેલે છે? તારાં વિના એક ક્ષણ પણ કાઢવી મારાં માટે શક્ય નથી. તું જ તો બધાને અભય દેનારી છે. મને તું અપનાવી લે. મારા મનને તું તારું કરી દે. આ પ્રમાણે ઈષ્ટદેવને રડી રડીને પ્રાર્થના કરો.”

બ્રહ્મચારી : “આ પ્રમાણે પ્રાર્થના કરવા માટે પણ, ભક્તિ આવશ્યક છે. તે જ નથી આવતી. અમ્મા આપ કહો છો કે, ઈશ્વરને રડી રડીને પોકારો. પણ  આ માટે રડવાની લાગણી તો થવી જોઈએ. નહિ શું?”

અમ્મા : “રડવું ન આવે તો, વારંવાર આમ કહીને તું સ્વયંને રડાવ. એક બાળક, પોતાની મા પાસે મનગમતી વસ્તુ ખરીદી આપવા, કેટલી જીદ કરશે? તે તેની પાછળ ને પાછળ જ ફરશે અને જયાં સુધી ઇચ્છિત વસ્તુ તેના હાથમાં ન આવે, તે રડવાનું બંધ નહિ કરે. આ જ પ્રમાણે આપણે પણ માને સતાવવા જોઈએ. રડતા રહેવું જોઈએ. એક ક્ષણ માટે પણ માને નિરાંત દેશો નહિ! મને દર્શન દે! મને દર્શન દે! એમ કહી રડવું જોઈએ.

“પુત્ર, જયારે તું કહે છે કે, તું નથી રડી શકતો, એનો અર્થ એમ થયો કે તારામાં તે માટેની તીવ્રેચ્છા નથી.  જયારે તીવ્રેચ્છા આવે છે, ત્યારે કોઈ પણ વ્યક્તિ રડી પડશે. રડવું ન આવે તો, બળપૂર્વક સ્વયંને રડાવવાનો પ્રયત્ન કર.  તને ભૂખ લાગી હોય, અને તારી પાસે ખાવાને કોઈ ખોરાક કે પૈસા ન હોય તો તું ક્યાંય પણ જઈને, ખોરાક મેળવવા પ્રયત્ન કરીશ. ખરું ને? આ જ પ્રમાણે મા પાસે, “તું શા માટે મને રડાવતી નથી?” એમ પૂછીને રડવું જોઈએ. “મને તું કેમ નથી રડાવતી? આનો અર્થ એમ થયો કે હું તને નથી ગમતો? હું જો તને ન ગમું, તો પછી હું કેવી રીતે જીવી શકું?” આમ કહેવું જોઈએ. ત્યારે તે શક્તિ  પણ આપશે અને તું રડી શકીશ. બાળકો, અમ્માએ આ બધું કરેલું છે. તમારે પણ આ પ્રમાણે ભાવના કરવી જોઈએ.

“આ રડવું દુઃખના કારણે નથી. તે આનંદના અશ્રુ છે. અંતરનો આનંદ છે. જીવાત્મા જયારે પરમાત્મામાં લીન થાય છે, ત્યારે તે આંસુ વહાવે છે. આપણા આંસુ તો  ભગવાનને  પ્રાપ્ત કરવાની સિદ્ધિ છે. તે તો અંતરનો આનંદ છે. જોનારને તે દુઃખના આંસુ લાગશે. તે પ્રાપ્ત કરવા માટે ભાવના કરવી જોઈએ. અન્યથા આપણું મન ભગવાનની પાસે નહિ જાય. પુત્ર, તું પ્રયત્ન કરી જો!”

બ્રહ્મચારી : “પહેલાં હું ભગવાન કૃષ્ણના સ્વરૂપ પર ધ્યાન કરતો હતો. પરંતુ, અમ્માને મળ્યા પછી, એ શક્ય ન હોવાથી, હું અમ્માના રૂપપર ધ્યાન કરવા લાગ્યો. હવે તે પણ નથી થતું. અમ્માના વિચાર કરતી વખતે, ભગવાનનું સ્વરૂપ મારી સામે પ્રત્યક્ષ થાય છે. અને ભગવાનના વિચાર કરું છું, તો તમો મારી સામે આવો છો. હું ઘણો દુઃખી છું. મને સમજ નથી પડતી કે મારે કોના પર ધ્યાન કરવું. હવે હું કોઈ રૂપપર ધ્યાન નથી કરતો. મંત્રના શબ્દપર મન એકાગ્ર કરું છું. આ છે મારું ધ્યાન.”

અમ્મા : “પુત્ર, તને જે યોગ્ય લાગે, તેમાં મનને કેંદ્રિત કરી, તારે આગળ વધવું જોઈએ. તેમાં જ બધું સમાયેલું છે અને તે તારાથી ભિન્ન નથી, તે પ્રમાણે જોઈ, તે રીતે ભાવના કરવી જોઈએ. તને કોઈ દેખાય કે કોઈ વસ્તુને તું જોય, તે બધું એક ઈશ્વરના ભિન્ન સ્વરૂપ છે. તે રીતે સમજવું જોઈએ.”

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)

 

 

અમ્મા : “પુત્ર, વેદાંત વાંચવા માટે કે પ્રવચન દેવા માટે નથી. વેદાંત તો જીવનમાં ઉતારવાનું તત્વ છે. ઘરના નકશાને કાગળના ટૂકડા પર અલગ અલગ રંગોથી, ગમે તેટલું સુંદર રીતે રંગો છતાં, તે ઘરમાં તમે વાસ ન કરી શકો! વર્ષા અને તડકાથી રક્ષણ મેળવવા તમને નાનું એવું આશ્રયસ્થાન જોઈએ, તો તે બાંધવા માટે પણ તમારે ઈંટ અને લાકડું ચણતરના સ્થળે પહોંચાડવા પડે છે. આ જ પ્રમાણે, સાધના વિના તત્વની અનુભૂતિ શક્ય નથી. પુત્ર, મનપર  નિયંત્રણ ન મેળવો, તો પછી બ્રહ્મસૂત્રના પાઠ કરવાનો કોઈ અર્થ નથી. એક પોપટ કે ટેપ રેકોર્ડર પણ તેમ કરી શકે છે. તેમનામાં અને આપણામાં શું અંતર?”

પોતે રોજ પંચદશી અને બ્રહ્મસૂત્રના પાઠ કરતા હતા. પરંતુ અમ્માને તે જણાવ્યા ન હોવા છતાં, અમ્માએ તે તરફ સંકેત કર્યો હતો. આ સાંભળતા શાસ્ત્રીને ઘણું આશ્ચર્ય થયું. પછી તેમણે અમ્મા સમક્ષ પોતાનું હૃદય ખોલ્યું અને પોતાની સઘળી સમસ્યાઓ અમ્માને કહી. અમ્માએ પુત્રને પંપાળી, સાંત્વનાભર્યા શબ્દો સાથે આશ્વાસન આપ્યું. શાસ્ત્રજ્ઞને પાસે બેસાડી, અમ્મા અન્ય ભક્તોને દર્શન આપવા લાગ્યા. ધ્યાનપૂર્વક ઘણી એકાગ્રતા સાથે તેઓ અમ્માનું નિરીક્ષણ કરતા લાંબા સમય સુધી તે વૃદ્ધ ત્યાં બેઠા હતા. અચાનક તેમની આંખો ભરાઈ આવી, અને તે રડવા લાગ્યા. આ જોઈ અમ્મા તેમની તરફ ફર્યા અને ફરી એકવાર તેમને પંપાળી, આશ્ચાસન આપ્યું.

શાસ્ત્રજ્ઞ : “અમ્મા! આ ચાળીસ વર્ષોમાં જે શાંતિ મેં નથી અનુભવી, હું તે અત્યારે અનુભવી રહ્યો છું! મને મારું જ્ઞાન કે પાંડિત્યની જરૂર નથી. અત્યારે હું જે શાંતિ અનુભવી રહ્યો છું, તે નાશ ન પામે, એવા આશીર્વાદ મને આપો તો બસ.”

અમ્મા : “નમઃ શિવાય! પુત્ર, વેદાંત વાંચી તેને બુદ્ધિમાં રાખવું માત્ર જ પર્યાપ્ત નથી. તેને હૃદયમાં ઉતારવું જોઈએ. અને આ માટે સાધના જરૂરી છે. ત્યારે જ તેમાં જણાવેલા તત્વોને આપણે અનુભવી શકીએ. મધને હાથમાં લેશો, તે મધુર છે, તેમ સાંભળ્યું હશે. પણ જીભથી તેનો સ્વાદ કરીએ, ત્યારે જ તેની મધુરતાનો આપણને અનુભવ થાય છે. આ જ પ્રમાણે બુદ્ધિમાં જે જ્ઞાન ભેગું કર્યું છે, તેને હૃદય સાથે જોડો. ત્યાં જ તેનો અનુભવ રહેલો છે. એવો પણ એક સમય આવશે, જયારે બુદ્ધિ હૃદય સાથે એક થશે. શબ્દો દ્વારા તે અવસ્થાનું વર્ણન થઈ શકે નહિ. પુત્ર, તે એક અનુભૂતિ છે. તેના માટે, જે બધા ગ્રંથો છે, તેનો અભ્યાસ કરવાની જરૂર નથી. હંમેશા આ બોધ હોવો જોઈએ કે, એક માત્ર ઈશ્વર જ સત્ય છે. પછી સદા તેમનું સ્મરણ કરી, હૃદયને શુદ્ધ કરો. સકલ ચરાચરમાં તેના દર્શન કરી, બધા પ્રત્યે પ્રેમ વિકસાવો. અન્ય કંઈ કરવાની જરૂર નથી. જે કંઈની જરૂર હશે, તે બધું યથા સમયે તમને પ્રાપ્ત થશે.”

શાસ્ત્રજ્ઞ : “અમ્મા, હું ઘણા મહાત્માઓ પાસે, ઘણા આશ્રમોમાં ગયો છું. પરંતુ, આજે મારું હૃદય ખુલ્લું થયું છે. અને હું તે અનુભવી રહ્યો છું. (અમ્મા શાસ્ત્રીની આંખોમાંથી વહેતા આંસુ લૂછે છે) આજે હું અહીં પહોંચી શક્યો, એ આપના જ આશીર્વાદ છે. અમ્મા જો અનુમતિ આપો, તો મને બે દિવસ અહીં રહેવાની ઇચ્છા છે.”

અમ્મા : “પુત્ર, જેવી તારી ઇચ્છા.”

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)

 

 

ભક્ત : “અમ્મા, મારો એક મિત્ર છે. તેણે એક સન્યાસી પાસેથી મંત્રદીક્ષા લીધી છે. હાલમાં, મને પણ તે સન્યાસી પાસેથી મંત્ર લેવા આગ્રહ કરે છે. મેં અમ્મા પાસેથી મંત્ર લીધો છે, એમ કહેવા છતાં. તે મારાં પર દબાણ કરતો હતો. છેવટે, કેમ પણ કરીને હું તેનાથી છુટકારો મેળવી શક્યો. અમ્મા, એક ગુરુ પાસેથી આપણે મંત્ર લીધો હોય, પછી અન્ય કોઈ પાસેથી મંત્ર લેવો શું યોગ્ય છે?”

અમ્મા : “બાળકો, એક વ્યક્તિને તમે તમારા ગુરુ તરીકે સ્વીકારો અને પછી તેમને છોડી કોઈ અન્યને ગુરુ તરીકે પસંદ કરો, તે ચરિત્રહીન સ્ત્રી જેવું છે. પહેલા ગુરુ પાસેથી મંત્ર ન લીધો હોય, તો તેમાં કંઈ ખોટું નથી.

“એક સદ્ગુરુ પાસેથી મંત્ર સ્વીકારો પછી તમારે અન્ય ક્યાંય જવાની જરૂર નથી. ગુરુ તમારાં સઘળા કાર્યોની સંભાળ લેશે. અન્ય ગુરુનો આદર કરો, તેમનું સંમાન કરો, એ ઠીક છે. પરંતુ કોઈ એકને વળગીને ન રહો, તો તમે કંઈ જ પ્રાપ્ત નહિ કરો. જે સદ્ગુરુ પાસેથી તમે મંત્રદીક્ષા લીધી હોય, તેમના જીવતા જી જો તમે અન્ય ગુરુ પાસે જાવ, તે તો કોઈ પરિણિત સ્ત્રી, પોતાના પતિ સાથે વિશ્વાસઘાત કરી અન્ય પુરુષ પાસે જાય, એના જેવું થયું. તમારા ગુરુ પાસેથી તમે મંત્ર સ્વીકારો છો, એનો અર્થ એમ થયો કે તમને તમારા ગુરુમાં પૂર્ણ વિશ્વાસ છે. અને પછી જો તમે અન્ય કોઈને ગુરુ તરીકે સ્વીકારો, તો તેનો અર્થ થયો કે તમે તે વિશ્વાસ ગુમાવ્યો છે.”

ભક્ત : “જે ગુરુ પાસેથી મંત્ર લીધો હોય, તેમનામાંથી જો વિશ્વાસ ઉઠી જાય ત્યારે વ્યક્તિએ શું કરવું જોઈએ?”

અમ્મા : “પ્રથમ તો તમારા વિશ્વાસને દ્રઢ રાખવા, શક્ય તેટલો પ્રયત્ન કરો. તેમ છતાં, જો આ અશક્ય હોય તો તે ગુરુ પાસે રહેવું વ્યર્થ છે. ગુમાવેલા વિશ્વાસને ફરી જીવંત કરવો, તે તો ટાલ પડેલા માથા પર વાળ ઉગાડવા જેવું છે. વિશ્વાસ કેળવવા પ્રયત્ન કરો. વિશ્વાસ પૂર્ણરૂપે નાશ પામે, પછી તેને પુનઃજીવિત કરવો અત્યંત કઠિન છે. માટે, કોઈ વ્યક્તિને તમારા ગુરુ તરીકે સ્વીકારતા પહેલાં, તમારે તેમનું બારીકાઈથી નીરિક્ષણ કરી, પરીક્ષા કરી, પછી જ ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ. એક સદ્ગુરુ પાસેથી મંત્ર મેળવવો અત્યુત્તમ છે.”

ભક્ત : “સદ્ગુરુ પાસેથી મંત્ર લેવાથી શું લાભ?”

અમ્મા : “સદ્ગુરુ પોતાના સંકલ્પથી, તમારી અંદર આધ્યાત્મિક શક્તિને જાગૃત કરે છે. દૂધમાં દૂધ રેડવાથી, દહીં નથી મળતું. પરંતુ, દહીંમાંથી થોડું  દહીં લઈ, દૂધમાં ઉમેરવાથી, તમને યથાર્થ દહીં મળે છે. મહાત્માઓ જયારે  મંત્રોપદેશ  આપે છે,  ત્યારે તેમનો સંકલ્પ  તેને પૂર્ણ કરે છે. આ ઉપરાંત, ઉપદેશ આપતી વખતે તેમની પ્રાણશક્તિ શિષ્યમાં પ્રવેશ કરે છે.”

ભક્ત : “એવા પણ કેટલાક લોકો છે, જે ગુરુની ભૂમિકા સ્વીકારી, ધડાધડ લોકોને મંત્ર આપતા હોય છે. તેઓ જે મંત્ર આપે છે, તેનાથી કોઈ લાભ ખરો?”

અમ્મા : “શાસ્ત્રોનો અભ્યાસ કરી, ભાષણ આપનારા લોકો છે. આજીવિકા મેળવવા માટે ભાગવત, રામાયણનું પારાયણ કરનારા પણ છે. તેઓ સ્વયં પોતાનું રક્ષણ નથી કરી શકતા, તે કેમ કરીને બીજાની રક્ષા કરી શકે?

“આવી કોઈ વ્યક્તિ પાસેથી મંત્ર મેળવ્યો હોય,  અને  પછી તમને સદ્ગુરુ મળે, તો ચોક્કસ તમારે સદ્ગુરુ પાસેથી માંગીને મંત્રદીક્ષા લેવી જોઈએ. સદ્ગુરુ પાસેથી મંત્ર મેળવવો, એ જ અત્યુત્તમ છે.

“જે લોકોએ સાધના દ્વારા આધ્યાત્મિક શક્તિને જાગૃત કરી છે, આધ્યાત્મિક સાધના કરી, આત્મ સાક્ષાત્કાર કર્યો છે. ફક્ત તેમને જ મંત્ર આપવાનો અધિકાર છે. અન્ય જે લોકો ગુરુ હોવાનો ડોળ કરે છે, તેઓ તો સ્પોંજમાંથી બનાવેલી નાવ જેવા છે. તેઓ  કોઈને  પાર ન લઈ જઈ  શકે. આવી નાવમાં જો કોઈ ચડે, તો નાવ પણ ડૂબે અને તેની સાથે યાત્રી પણ ઊંડે ઉતરી જાય છે. પણ એક સદ્ગુરુ, એક વિશાળ જહાજ જેવા છે. ગમે તેટલા લોકો તેમાં ચઢી શકે છે.  બધા સામે પાર પહોંચે છે. સાધના દ્વારા આવશ્યક શક્તિ પ્રાપ્ત કર્યા વિના, જે શિષ્યો સ્વીકારી, લોકોને  દીક્ષા આપે તે તો, નાનું સાપનું બચ્ચું મોટા દેડકાને ગળવાનો પ્રયત્ન કરે એના જેવું છે. ન સાપ દેડકાને ગળી શકે, ન દેડકો બહાર નીકળી શકે!”

યુવક : “મહાત્માઓ સાથેના સત્સંગથી શું લાભ થાય છે?”

અમ્મા : “પુત્ર, અગરબત્તીના કારખાનામાં જઈને પાછા આવીએ,  ત્યારે આપણામાં ત્યાંની સુગંધ રહી જાય છે. આપણે ત્યાં કામ નથી કરતા, કંઈ ખરીદી નથી કરી, કશાનો પણ સ્પર્શ નથી કરતા, આપણે તો ફક્ત તેની પાસે જ ગયા હશું. તેમ છતાં આપણામાં તે સુગંધ રહી જાય છે. આ જ પ્રમાણે, મહાત્માના સામિપ્યમાં પહોંચવા માત્રથી, આપણી જાણ બહાર જ, આપણામાં કંઈક પરિવર્તન થાય છે.  સામાન્ય લોકો પાસે જતા અનુભવ નથી  થતો, ત્યારે મહાત્માઓની ઉપસ્થતિમાં તે બને છે. મહાત્માઓના સામિપ્યથી આપણામાં સદ્ગુણો, ઉત્તમ વાસનાઓ, ઉત્તમ સંસ્કાર ઉદિત થાય છે. ત્યારે દુર્જનોનું સામિપ્ય, કોલસાથી ભરેલા ઓરડામાં પ્રવેશવા જેવું છે. કોલસાને અડકશું નહિ, છતાં  બહાર નિકળશું ત્યારે શરીર કાળું બની ગયું હશે.

“ઘણા વર્ષો સુધી તપ કરવાને અવકાશ મળશે, પરંતુ મહાત્મા સાથે રહેવાની તક તો જવલેજ, ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. આવી કોઈ તક મળે તો તેને વ્યર્થ જવા દેશો નહિ. ભલે તે ગમે તેટલી ધીરજ માગી લે, બને તેટલું તેમનું સામિપ્ય અનુભવવાનો પ્રયત્ન કરો. દસ વર્ષ તપ કરો તેનાથી પણ કયાંય વધારે લાભ મહાત્માનો એક સ્પર્શ કે દર્શનથી પ્રાપ્ત થાય છે. પરંતુ, આ લાભની અનુભૂતિ કરવા, અહમ્નો ત્યાગ જરૂરી છે. અને વિશ્વાસ પણ દ્રઢ હોવો જોઈએ.”

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)