બ્રહ્મચારી : “ભગવાન કૃષ્ણનું જે ધ્યાન ધરે, તે દેવીના મંત્રનો જાપ અથવા
દેવીના હજાર નામનો પાઠ કરે, તેમાં કંઈ ખોટું છે?”

અમ્મા : “કંઈ જ ખોટું નથી. તમે કોઈ પણ મંત્ર બોલો અથવા કોઈ પણ
નામનો જાપ કરો, સ્મરણ માત્ર ઇષ્ટદેવનું જ હોવું જોઈએ.”

બ્રહ્મચારી : “એ કેમ બને? દરેક દેવી દેવતાઓને પ્રત્યેક બીજાક્ષર નથી
શું? પછી તેનો જાપ ન કરતા, અન્ય કોઈ બીજાક્ષરનો જાપ કરવો કેવી રીતે યોગ્ય
કહેવાય?”

અમ્મા : “તમે કોઈ પણ નામથી બોલાવો, દિવ્ય શક્તિ તો એક જ છે.
“નારિયેળ” કહો કે “કોકોનટ” કહો, વસ્તુ તો બદલાતી નથી, ખરું ને? આ જ
પ્રમાણે, પોત પોતાના સંસ્કારને અનુસરી, લોકો પોતાના હૃદયમાં ઈશ્વરના
વિવિધ સ્વરૂપની આરાધના કરે છે. તેઓ ઈશ્વરને વિવિધ નામોથી ઓળખે
છે. પરંતુ, સર્વવ્યાપક આત્મ ચૈતન્ય તો બધા જ નામ અને રૂપોથી પર છે.
ઈશ્વર એવી કોઈ વ્યક્તિ નથી, કે જેને તમે અમુક નામથી પોકારો, તો જ તે
પાછળ ફરીને જુએ. તે તો આપણા હૃદયમાં વાસ કરે છે. આપણા હૃદયને તે
જાણે છે. ઈશ્વરના અનંત નામો છે. કોઈ પણ નામ, તેનું જ નામ છે. જુદી જુદી
જગ્યાએ ખોદવા કરતાં, એક જ સ્થળ પર ખોદો તો જલ્દી પાણી મળે છે. પછી
શા માટે જુદી જુદી જગ્યાએ ખાડા ખોદીને સમય બગાડવો!

“વૃક્ષના શિખરમાં નહિ પણ તળિયામાં પાણી રેડવાથી, તેના બધા
ભાગોમાં પાણી પહોંચે છે. આ જ પ્રમાણે, જ્યારે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ,
ત્યારે આપણે બધા જ જીવોને પ્રેમ કરીએ છીએ. કારણ કે, તે જ સઘળા જીવોના
હૃદયમાં વાસ કરે છે. માટે જ, બધાનો આધાર એવા એક ઈશ્વરમાં આપણે
આશ્રય લેવો જોઈએ.

“પૂજા કરો ત્યારે પૂજાના અધિષ્ઠાતા દેવ કે દેવીની યોગ્ય મંત્રો સાથે
પૂજા કરવી જોઈએ. પરંતુ, તમારું લક્ષ્ય આત્મસાક્ષાત્કાર હોય, ત્યારે સર્વને
પરમાત્માના વિવિધ રૂપો તરીકે ભાવના કરી શકો. એકમાં અનેકને જોવાની
દ્રષ્ટિ મેળવવી જોઈએ. એક જ સત્ય બધામાં વ્યાપ્ત છે, આ બોધ આપણામાં
હોવો જોઈએ. ત્યારે પછી કોઈ સમસ્યા નહિ રહે. એક જ ચૈતન્ય બધામાં વ્યાપ્ત
છે. તે આપણામાં પણ રહેલું છે.

“શરૂઆતમાં એક જ રૂપ અને નામમાં મનને કેંદ્રિત કરવું સારું હશે, પણ
જેમ જેમ તમે તમારાં માર્ગમાં આગળ વધો, બધા નામો અને રૂપોમાં રહેલા
પરમ સત્યને જોવાને શક્તિમાન બનવું જોઈએ.

“મંત્રજાપનો ઉદેશ, આત્માના પરમ મૌન તરફ દોરી જવાનો છે. જ્યાંથી
બધા રૂપો અને સ્વરો ઉદ્‌ભવે છે. આ સિદ્ધાંતના યથાર્થ જ્ઞાન સાથે કરેલો
મંત્રજાપ, આખરે તેના સ્રોત તરફ આપણને દોરી જાય છે. આ બિંદુપર સાધકને
જ્ઞાન થાય છે કે, જે રૂપ પર તે ધ્યાન કરતો હતો, તે અને અન્ય બધા રૂપો તેની
અંદર જ છે. એક જ આત્માના તે વિવિધ રૂપો છે.

“કૃષ્ણ જ્યારે ગોપીઓ સાથે વૃંદાવનમાં હતા, ત્યારે દરેક ગોપી, હર ક્ષણ
તેમને જોવા માગતી હતી. હર ક્ષણ તેઓ પ્રભુનું સામિપ્ય ઇચ્છતી હતી. તેઓ
પ્રભુની એટલી આરાધના કરતી હતી, કે તેઓ તેમને હૃદયેશ કહી બોલાવતી
હતી. એક દિવસ કૃષ્ણ તેમને છોડીને મથુરા ચાલ્યા ગયા અને ક્યારેય પાછા
આવ્યા નહિ. થોડા લોકો ગોપીઓ પાસે જઈ, આ રીતે તેમની હાંસી ઉડાવતા
કે, “ક્યાં ગયો તમારો હૃદયેશ હવે? કૃષ્ણ હૃદયેશ નથી, તે તો હૃદયશૂન્ય છે.”
તેના જવાબમાં ગોપીઓ કહેતી, “નહિ, તે હજુ પણ અમારા હૃદયેશ જ છે. પહેલાં
તો અમે કૃષ્ણને તેમના શારીરિક સ્વરૂપમાં જોતા હતા અને ફક્ત અમારા
કાનોથી તેમને સાંભળતા હતા. પરંતુ હવે, બધા રૂપોમાં અમે તેના દર્શન કરીએ
છીએ; અમારી આંખો કૃષ્ણમય બની ગઈ છે, બધા જ સ્વરોમાં હવે અમે તેમનો
સ્વર સાંભળીએ છીએ. અમારા કાન, તેમના કાન બની ગયા છે. વાસ્તવમાં
અમે સ્વયં કૃષ્ણમય બની ગયા છીએ!”

“આ જ પ્રમાણે, શરૂઆતમાં આપણે ઈશ્વરને અમુક રૂપમાં દેખીશું અને
અમુક નામથી બોલાવીશું, પણ જ્યારે આપણી ભક્તિ પુખ્ત બને છે અને પૂર્ણરૂપે
ખીલી ઉઠે છે, ત્યારે, આપણે બધા રૂપો અને નામોમાં, અને સ્વયં આપણામાં
ઈશ્વરના દર્શન કરીશું.”

સંધ્યાના ભજન પૂરા થયા હતા. રાત્રે ભોજનમાં ઢોસા હતા. અણધાર્યા
જ, એક મોટું ટોળું દર્શન માટે આવ્યું હોવાથી, રાતના સાડા દસ વાગ્યા સુધી
ઢોસા બનાવવાનું કામ ચાલ્યું. ઢોસા જેમ જેમ ઉતરતા ગયા, તરત જ તેમને
પિરસવામાં આવતા. અમ્મા રસોડામાં ગયા અને એક બ્રહ્મચારીને પોતાના
બીજા ચૂલા પર રાખી, અમ્મા પોતે ઢોસા બનાવવા લાગ્યા. શું એ કહેવત સત્ય
નથી કે, ભૂખ્યાની સામે ઈશ્વર ખોરાક બનીને પ્રત્યક્ષ થાય છે, ભલે પછી તે
ભૂભુક્ષા શારીરિક હોય કે આધ્યાત્મિક!

પ્રેમસ્વરૂપ તેમજ આત્મસ્વરૂપ ઉપસ્થિત સહું કોઈને અમ્મા પ્રણામ કરે છે.

શબરીમલાને સંબંધિત હાલમાં બનેલી ઘટનાઓ દુઃખદ છે. આ સમસ્યાનું કારણ હરેક મંદિરમાં પૂજા કરવામાં આવતા દેવી દેવતાઓના પ્રતિષ્ઠા સંકલ્પની વિશેષતા અને તેને સંબંધિત આચરણમાં મૂકવાની પ્રથાઓના જ્ઞાનનો અભાવ છે. આ પ્રથાઓની અવગણના કરવી કે તેને બંધ કરવી, આ ખોટું છે.

મંદિરોમાં પૂજીત દેવી દેવતાઓની પ્રકૃતિને ધ્યાનમાં લઈએ, તો તેમની વચ્ચેના તફાવતોને આપણે સમજવા જોઈએ અને સર્વવ્યાપ્ત ચૈતન્ય એવા તે ઈશ્વરના સિદ્ધાંતને પણ સમજવો જોઈએ. સર્વવ્યાપ્ત એવા ઈશ્વરને પ્રતિબંધોની કોઈ સીમા નથી. ત્યાં સ્ત્રી પુરુષનો ભેદ નથી. સમુદ્રની માછલી અને ઘરમાં ટાંકીમાં પાળવામાં આવતી માછલીમાં અંતર છે. ટાંકીમાંની માછલીને આપણે ખોરાક દેવાનો હોય છે, તેને પ્રાણવાયુ ઓક્સીજન માટેની વ્યવસ્થા કરવી પડે અને ટાંકીનું પાણી પણ નિયમિત બદલવાનું હોય છે. ત્યારે સમુદ્રની માછલી માટે આવી કોઈ સીમાઓ નથી હોતી.

નદીમાં સ્નાન કરતી વખતે કોઈ યમ નિયમનું પાલન કરવું જરૂરી નથી. પરંતુ સ્વીમીંગ પૂલમાં તે જ નદીનું પાણી ભરવામાં આવે, ત્યારે તેને ફિલ્ટર કરી, ક્લોરિનથી શુદ્ધ કરવાનું હોય છે. જે લોકો સ્વીમીંગ પૂલમાં નહાવા ઇચ્છતા હોય તેમણે પહેલાં તેમના શરીર પરનો પરસેવો ધોવાનો હોય છે. જૂના વસ્ત્રો ઉતારી, સ્વીમીંગ પૂલના નિયમાનુસારના વસ્ત્રો ધારણ કરીને પછી જ કોઈ સ્વીમીંગ પૂલમાં ઉતરી શકે. સ્વીમીંગ પૂલમાં તમે સાબું ન વાપરી શકો. સ્વીમીંગ પૂલમાં ભલે નદીનું પાણી જ ભર્યું હશે, છતાં સફાઈ અને સ્વચ્છતાના અહીંના યમ નિયમો જુદા હોય છે. આ જ પ્રમાણે, મંદિરમાં જે ભગવાનની આરાધના કરવામાં આવે છે, તે સર્વવ્યાપક હોવાં છતાં અહીં મંદિરના ભગવાનની પૂજા માટે મંદિરની શુદ્ધતાના યમ નિયમોનું પાલન કરવાનું હોય છે.

કોઈ બીજને વાવીએ, તો તેના ફળ આપણને ભવિષ્યમાં જ મળે છે. અને આ માટે આપણે રોપાને પાણી પાવું જોઈએ, નિયમિત ખાતર નાખવું જોઈએ અને છોડની સંભાળ પણ લેવી જોઈએ. આ જ પ્રમાણે મંદિરના ભગવાનની નિશ્ચિત સમયે પૂજા, અર્ચના વગેરે થવી જોઈએ, નૈવેદ્ય માત્ર ધરવું જોઈએ. શુદ્ધ અશુદ્ધ અને આચારસંહિતાનું પાલન પણ સખ્તાઈથી થવું જોઈએ. પરંતુ, સર્વ વ્યાપ્ત એવા ઇશ્વરની આરાધના માટે આવા કોઈ યમ નિયમો નથી.

દરેક મંદિરમાંના ભગવાનની આરાધના માટેના નિયમો જાુદા હોય છે. દા.ત. જે મંદિરમાં દેવીની રૌદ્ર ભાવમાં પ્રતિષ્ઠા થઈ હોય, ત્યાંની પૂજાની વિધિ અને જે મંદિરમાં દેવીની શાંત ભાવમાં પ્રતિષ્ઠા થઈ હોય, ત્યાંની પૂજા વિધિમાં અંતર હોય છે. પૂજાની આ ખાસ વિધિનું આચરણ ન કરવામાં આવે તો તેની અસર મંદિરની પવિત્રતા પર પડે છે.

ભારતના સંવિધાન અનુસાર મંદિરમાં જે દેવી દેવતાઓની પૂજા થાય છે, તેમને લઘુ માનવામાં આવે છે. જે રીતે બાળકને માતાપિતા અને અધ્યાપકની સંભાળ આવશ્યક છે, તે જ પ્રમાણે મંદિરના દેવી દેવતાઓને તંત્રી અને પૂજારીઓની સંભાળ જરૂરી છે. દેવી દેવતાઓના ભક્તોની ભૂમિકા પણ ઘણું મહત્ત્વ છે. વાસ્તવમાં, આ દેવી દેવતાઓ ભક્તો ખાતર જ અહીં છે.

ભક્તોનો આ વિશ્વાસ છે કે, શબરીમલા અય્યપ્પા નૈષ્ટિક બ્રહ્મચારી હતા. ભક્તોનું માનવું છે કે, આ મંદિરને સંબંધિત તેમની પ્રતિજ્ઞા તેમજ ભૌતિક શરીરનો ત્યાગ કરી મહાસમાધિમાં પ્રવેશ કરતા પહેલાં તેમની અંતિમ ઇચ્છાઓનું સંમાન થવું જ જોઈએ.

બદલતા એવા સમયની સાથે પરિવર્તન કરવા જરૂરી છે. પરંતુ આપણે જો મન ફાવે ત્યારે પરિવર્તન કરતા રહીએ, ખાસ કરીને મંદિરોની બાબતોમાં તો શક્ય છે કે, આપણા પ્રાથમિક મૂલ્યો જ નાશ પામે. આ તો બાળકને ફરી ફરી નવડાવી, છેવટે હાથમાંથી બાળક જ ધોવાઈ જાય, એના જેવું થયું!

શ્રી શંકરાચાર્ય, શ્રી નારાયણગુરુ અને શ્રી ચટંબીસ્વામી, તેઓ બધા અદ્વૈતમાં સ્થિર થયા હતા. પરંતુ, પરમાવસ્થાને પ્રાપ્ત થયા પછી પણ તેમણે પૂજા આરાધના માટે મંદિરોની સ્થાપના કરી હતી અને તે મંદિરોમાંના દેવી દેવતાઓની પૂજા આરાધના માટેના વિધિ વિધાનોની ક્રિયા પણ નિર્ધારિત કરી હતા. ઘણીવાર લોકો મને આ મંદિરોમાં આમંત્રિત કરે છે અને હું જાઉં પણ છું. અમુક શિવ મંદિરોમાં ત્યાંની પ્રથા અનુસાર અમ્માને પોણા ભાગ સુધી પ્રદક્ષિણા કરી પાછા વળવાનું કહે છે અને તે પ્રથાનું સંમાન કરતા, તેમને નમન કરી અમ્માએ તે પ્રથાનું અનુસરણ કર્યું હતું.

પોતાના આશ્રમોમાં પણ અમ્માએ જ્યારે બ્રહ્મસ્થાન મંદિરોની પ્રતિષ્ઠા કરવાનું શરૂ કર્યું, ત્યારે અમ્માએ નિષ્ણાતો અને પંડિતો સાથે ચર્ચા કરી, તેમનો અભિપ્રાય લીધો હતો. અમ્માએ જ્યારે પોતાના થોડા બ્રહ્મચારી શિષ્યોને સંન્યાસ દીક્ષા આપવાનું નક્કી કર્યું, ત્યારે પણ અમ્માએ પ્રથા અનુસાર સન્યાસ પરંપરામાંથી આવતા સંન્યાસિને આમંત્રિત કરી, તેમના હસ્તે આ બ્રહ્મચારી બાળકોને સંન્યાસ દીક્ષા આપી હતી. આ પ્રમાણે, સર્વકાંઈ ઈશ્વરનું પ્રત્યક્ષ સ્વરૂપ તરીકે જોવા છતાં અમ્માએ પરંપરાનું ઉલંઘન કર્યું નથી.

મંદિરો વાસ્તવમાં આપણી ધાર્મિક સંસ્કૃતિના સ્તંભ છે. તેમની રક્ષા કરવી આપણું કર્તવ્ય છે. અન્યથા તૂટેલી પતંગની જેમ સમાજ લક્ષ્ય વિહિન વિખેરાય જશે.

ઐહિક જગતમાં પણ એર પોર્ટ જેવા સ્થાનો પર અમુક નિશ્ચિત જગ્યાએ જ ધુમ્રપાન કરી શકાય અન્ય સ્થાનો પર તે નિષેધિત હોય છે અને લોકો આ નિયમોનું પાલન કરે છે.

મન્નાર શાલામાં એવી પ્રથા છે કે, મંદિરમાં પૂજારી એક મહિલા જ હોવી જોઈએ. અમુક જગ્યાએ ફક્ત છોકરાઓ કે છોકરીઓ માટે જ સ્કુલ અને કોલેજો હોય છે. અહીં કોઈ લિંગ સમાનતા માટે દાવો નથી કરતું. અને શબરીમલામાં તમે એમ ન કહીં શકો કે, અહીં લિંગ ભેદ છે. ૧૦ વર્ષની અંદરના અને ૫૦ વર્ષની ઉપરની મહિલાઓ અહીં દર્શન માટે આવી શકે છે.

મા જ્યારે નાના બાળકોને કહે છે કે, “જો જુઠું બોલીએ તો આંખે આંધળા થઈએ” અથવા “નાક કપાય જશે”, ત્યારે બાળકોમાં થોડો ભય સ્થાપિત કરવા, જેથી તેઓ જુઠું ન બોલે મા બાળકને આમ કહે છે. આ જો સત્ય હોત તો મોટાભાગે બધા અંધ જ હોત અને બધા જ નાક કપાયેલા હોત! પરંતુ આમાં એક પ્રાયોગિક તત્ત્વ છેઃ બાળકના સ્તર પર ઉતરી, તેનો ઉદ્ધાર કરવો.

એક દિવસ એક નાની બાલિકાએ પોતે દોરેલું એક ચિત્ર તેના પિતાને બતાવતા કહ્યું, “પપ્પા, આ જુઓ, મેં દોરેલો હાથી!” પિતા કોઈ કામમાં વ્યસ્ત હોવાથી તેમણે ફક્ત થોડી રેખાઓને આમ તેમ દોરેલી જોઈ. તેમણે કહ્યું, “હાથી, ક્યાં છે હાથી? મને તો અહીં હાથી જેવું કંઈ દેખાતું નથી.” બાલિકા ઉદાસ થઈ ગઈ, અને રડવા લાગી. પોતાની ભૂલ સમજાતા પિતાએ કહ્યું, “ઓહ હા! પહેલાં મેં ચશ્મા પહેર્યા ન હતા માટે આ ચિત્રને ઠીકથી જોઈ શક્યો નહિ. હવે જ્યારે મેં ચશ્મા પહેર્યા, મને અહીં બહું જ સુંદર હાથી દેખાઈ છે.” બાલિકા ખૂબ ખુશ થઈ ગઈ.

આ જ પ્રમાણે, હૃદયની ભાષા પણ છે. સર્વકાંઈને બુદ્ધિથી તોલી શકાય નહિ. અમુક બાબતોને કહેવા, વ્યક્તિએ અન્ય લોકોના સ્તર પર નીચે આવવું પડે છે.

ઈશ્ચર પરમ સત્ય છે. જે રીતે ઉપરના માળામાં પહોંચવા દાદરા સહાય કરે છે, તેમ ઈશ્વરને પ્રાપ્ત કરવા મંદિરો સહાય કરે છે. ઉપરનો માળ અને દાદરા એક જ પદાર્થઃ ઈંટ, સિમેન્ટ અને રેતીથી બનેલા છે. આ જ પ્રમાણે, સર્વકાંઈ એક ઈશ્વર જ છે. પરંતુ તે મુકામ સુધી પહોંચવા તમે દાદરાનું મહત્વ નકારી શકો નહિ. દાદરાની સહાય વિના તમે ઉપલા માળા પર પહોંચી શકો નહિ.

પહેલાં એક સમયે અમ્માએ દસ પંદર વર્ષ સુધી થોડું સંશોધન કર્યું હતું. શબરીમલા ગાળાના સમયે અમ્મા લોકોને વિવિધ હોસ્પિટલોમાં રોગીઓના અંતપ્રવાહને જાણવા માટે મોકલતા. અમ્માએ જોયું કે, શબરીમલા સમયમાં હોસ્પિટલમાં રોગીઓના ઘસારામાં ત્રીસથી ચાલીસ ટકા ઘટાડો થતો હતો. કારણ કે, આ સમયગાળામાં ઘણા પુરુષો શબરીમલા જવાનું વ્રત લેતા હોવાથી તેઓ દારૂ નથી પિતા, માંસાહારી ખોરાક નથી ખાતા, પત્ની સાથે ઝગડો નથી કરતા, અને પરિવાર સાથે પૂજાના ઓરડાં બેસી પૂજા અને મંત્રજાપ કરે છે. આ પ્રમાણે અહીં આ સ્પષ્ટ થાય છે કે, સમાજમાં લોકોના શરીર અને મનમાં સકારાત્મક સ્પંદનો જાગૃત કરવા શબરીમલા મંદિર સહાય કરે છે.

અજુર્ન જ્યારે યુદ્ધના ધર્મ વિશે જાણવા માગતો હતો, ત્યારે તેણે શ્રીકૃષ્ણને તે શીખવાડવા માટે કહ્યું. પરંતુ શ્રીકૃષ્ણે કહ્યું, “ભીષ્મ પાસેથી તું શીખ; આ ક્ષેત્રમાં તેઓ તેના ઉત્તમ અધિકારી છે.” આ જ પ્રમાણે અમુક બાબતોને તેને યોગ્ય અધિકારીઓને સોંપવામાં આવી જોઈએ. કે જેઓ સાચી દિશામાં માર્ગદર્શન કરવાને સમર્થ છે. અહીં શબરીમલાની બાબતમાં શબરીમલાના ભાવુક તંત્રીઓ અને પૂજારીઓ અને આપ સહું દ્રઢ ભક્તોએ ભેગા મળી, ચર્ચા કરી, નિર્ણય લેવો જોઈએ. મલયાલમમાં એક કહેવત છેઃ “તમે જો બહું ધીમેથી ખાઓ તો તમે તાડના વૃક્ષને પણ ખાઈ શકો.”

મને કહેવાને વધું કંઈ છે નહિ. મારી પહેલાં ઘણા લોકો બોલ્યા છે. તેમણે આ વિષયને સંબંધિત જે કંઈ કહેવાનું હતું, તે બધું કહ્યું છે.

નમઃ શિવાય

20-01-2019

એક મહિલા પોતાના બાળક સાથે અમ્માના દર્શન માટે આવી હતી.
વર્ષોથી તે બાળક માટે ઝંખતી હતી પણ તેને બાળક થતું ન હતું. છેવટે, અમ્માને
મળી, ઘણી પ્રાર્થનાઓ પછી અમ્માના સંકલ્પથી તેને એક બાળક થયું હતું.
આજે તે પોતાના સગાવહાલા સાથે બાળકના પ્રથમ અન્નપ્રાશન સંસ્કાર માટે
અમ્મા પાસે આવી હતી. અન્નપ્રાશન પછી તેને તેના સગાવહાલા સાથે જ પાછું
ફરવું હતું.

તે મહિલાએ અમ્માને કહ્યું, “અમ્મા, મારાં બાળકને હમણા જ અન્નપ્રાશન
કરાવો. નાના બાળકની સાથે રાત રોકાવું મૂશ્કેલ છે. ઘોડીયા વિના તે ઊંઘશે
નહિ. તેને આપવાને હું દૂધ પણ નથી લાવી. અન્નપ્રાશન કરાવીને જો અમે
અત્યારે જ અહીંથી નિકળીએ તો સાંજ પડતા પહેલાં ઘરે પહોંચી શકીએ.”

અમ્મા : “પુત્રી! આ રીતે બોલ નહિ. ઈશ્વરના આશીર્વાદથી તને બાળક
થયું છે. તું ઈશ્વરના ધામમાં આવી છો. હંમેશા લોકો જ્યારે આવી કોઈ જગ્યાયે
આવે છે, ત્યારે અચાનક જ તેમને પાછા જવાની ઉતાવળ આવે છે! કોઈ મંદિર
કે ગુરુકુળમાં પહોંચતા જ તેમને તરત જ પાછા ફરવાનું મન થાય છે.
હોસ્પિટલમાં જાઓ ત્યારે તમે ડૉક્ટરને કહેશો કે, “અમારે જલ્દીથી પાછું
ફરવાનું છે, માટે જલ્દીથી તપાસ જો!” નાના બાળકને લઈ જાઓ ત્યારે,
“ડૉક્ટર, મારાં બાળક માટે હું ઘોડીયું કે દૂધ લાવી નથી, તેને ઊંઘ આવે છે,
માટે જલ્દીથી જોઈને અમને પાછા વાળો,” એમ કહેશો શું? કોઈ આશ્રમ કે
મંદિરમાં જાઓ ત્યારે આપણામાં સમર્પણનો મનોભાવ હોવો જોઈએ. પુત્રી, અનેક
સારાં કાર્યો કરવાથી, આપણે મંદિરો કે આશ્રમોમાં જઈએ છીએ. ઈશ્વાર સ્મરણ
દ્વારા આપણા કેટલાય પ્રારબ્ધો ઓછા થાય છે. તું શા માટે આ પ્રમાણે વિચાર
નથી કરતી?”

“અહીંથી તું ઉતાવળ કરીને પાછી ફરીશ, અને રસ્તામાં જો તારી બસ
ખોટકાય, તો તું કોની પાસે ફરિયાદ કરીશ? આજે વર્ષોથી તું અહીં આવે છે.
તને આ રીતે બોલતા સાંભળી અમ્માને ઘણું દુઃખ થાય છે. પુત્રી, ક્યારેય આ
પ્રમાણે બોલવું ન જોઈએ. હંમેશા જે બને છે, તે ઈશ્વર ઇચ્છાનુસાર જ બને છે,
એમ વિચારવું જોઈએ. શા માટે તું એમ નથી વિચારતી કે, “અમ્માને જ્યારે
યોગ્ય લાગશે, ત્યારે તેઓ મારાં બાળકને અન્નપ્રાશન કરાવશે!” તે જ સમર્પણ
છે. હમણા જો તું પાછી ફરીશ, તો રસ્તામાં તને ઘણી મુશ્કેલીઓ પડશે. માટે
અમ્મા તને હમણા નહિ જવાદે.”

પહેલીવાર તે સ્ત્રીએ અમ્માને આ રીતે ગંભીરતાથી બોલતા સાંભળ્યા
હતા. અને તેનો ચહેરો ઝાંખો પડી ગયો. આ જોતાં અમ્માએ તેને પોતાની પાસે
બોલાવી, અને કહ્યું, “બાળકો સાથેની છૂટને કારણે અમ્માએ આ પ્રમાણે કહ્યું
હતું. તું ખોટું નહિ લાગાડતી,” આ સાંભળતા તેના મુખપર પ્રસન્નતા છવાઈ
ગઇ.

પહેલાં ના પાડી હોવા છતાં, સ્હેજે મોડું ન કરતા અમ્માએ તરત જ
બાળકને અન્નપ્રાશન સંસ્કાર કરાવ્યા. અને તેમને પાછા વાળ્યા જેથી તેઓ
રાત પડે તે પહેલાં ઘરે પહોંચી શકે.

બપોરના જમવાનો ઘંટ ઘણા સમય પહેલા જ વાગી ગયો હતો, છતાં ઘણા લોકોએ ખાધુ ન હતું. કારણ કે તેઓ અમ્માથી દૂર જવા માગતા ન હતા. ઘણું મોડું થવાથી, એક આશ્રમવાસી અમ્મા પાસે આવ્યો અને અમ્માને કહ્યું કે, ભોજન પિરસનારા રાહ જોઈ રહ્યાં છે. અમ્માના આગ્રહથી, થોડા લોકો જમવા
ગયા. પરંતુ ઘણા ભક્તો ઊભા ન થયા. તેમને ભોજનની ચિંતા ન હતી. જે ક્ષણ અમ્માના સાનિધ્યમાં મળે, તેઓ તેને વ્યર્થ જવા દેવા માગતા ન હતા. તેમાં જ તેમનો સંતોષ હતો. આ કારણસર, આશ્રમવાસીઓને અસુવિધા અનુભવવી પડતી હતી. બપોરના ત્રણ કે ચાર વાગા સુધી ભોજન પિરસવા માટે ભક્તોની રાહ જોઈને ઊભા રહેવું પડતુ હતુ.

છેવટે, અમ્મા જ્યારે ઊભા થયા, ત્યારે સાડા ત્રણ વાગ્યા હતા. બધા અમ્માને દંડવત કરવાની ઉતાવળમાં હતા, આમ કોઈએ અમ્માને આગળ જવા માર્ગ ન આપ્યો. અમ્માએ એક એકની પીઠ થાબડી, તેમને પંપાળી, પકડીને ઊભા કર્યા અને પોતે રસોડામાં ગયા.

અમ્મા જ્યારે રસોડામાં પહોંચ્યા ત્યારે પિરસનારાઓ ઉદાસ ઊભા હતા. ભાવદર્શનના દિવસે સામાન્ય જેટલી રસોઈ થાય તેના કરતાં પણ વધારે બનાવવા છતાં, બહું જ જલ્દી બધું પૂરું થઈ ગયું. બીજી વખત ભાત રાંધ્યા, તે પણ પૂરા થતાં વાર ન લાગી. સાડા ત્રણ વાગ્યા, હજુ પણ લોકો આવી રહ્યાં
હતા. ફરી ભાત રાંધ્યા અને તે પણ હવે પૂરા થવા આવ્યા હતા. હજુ પણ જમવામાં ઘણા લોકો બાકી હતા. ચૂલા પર વધુ ભાત ચડી રહ્યાં હતા. પણ ભાત સાથે ખાવા માટે શાક કે સંભાર હતા નહિ. રસોડામાં કામ કરવાવાળા અસંમજસમાં મુકાઈ ગયા, કે હવે શું કરવું. તે જ સમયે અમ્માએ રસોડામાં પ્રવેશ કર્યો.

આ બધાથી અવિચલિત, અમ્માએ તો આમલીની બરણી ખોલી. રાઈ અને લીમડો લીધા. થોડી ક્ષણોમાં રસમ તૈયાર હતું. એક મહિલા ભક્ત સવારના મોટું વાસણ ભરીને દહીં લાવી હતી. દહીંમા ડૂંગળીને ટમેટા સુધારીને નાખ્યા લીલા મરચા અને મીઠું નાખ્યું. ત્યાં સુધીમાં ભાત પણ તૈયાર થઈ ગયા. આમ થોડી જ વારમાં બધી રસોઈ તૈયાર હતી. અમ્માએ સ્વયં પોતાના બાળકોને ભોજન પિરસ્યું. ભક્તોને પણ અમ્માના કરકમળોમાંથી પ્રસાદ મળ્યો. આ પ્રસાદમાં તેઓ કોઈ મોટી ઉજાણીનો સંતોષ નુભવતા હતા.

હવે, ભક્તોનું આખરનું ટોળું જમવા માટે આવ્યું. અમ્માએ તેમને બધાને ભોજન પિરસ્યું. બધા ગ્રહસ્થ ભક્તોના જમી લીધા પછી જ, આશ્રમવાસીઓ જમવા બેઠા. તેમના માટે ફક્ત ભાત અને રસમ જ હતા. ત્રણ બ્રહ્મચારીઓએ બીજા બ્રહ્મચારીઓને ભોજન પિરસ્યું. જ્યારે બધાને પિરસાઈ ગયું, ત્યાં સુધીમાં ભાત ખલાસ થઈ ગયા.

બપોરના ચાર વાગ્યા હતા. દર્શનની કુટીરમાં અમ્મા, હજાુ ય દર્શન આપતા હતા. આશ્રમમાં નિયમિત આવતા એક વકીલ, તેમના એક મિત્રને સાથે લઈ અમ્માના દર્શન માટે આવ્યા હતા. અમ્માને દંડવત કરી, બંને નવયુવકો પાસે પાથરેલી ઘાસની ચટાઈ પર બેસી ગયા. વકીલના મિત્રની અમ્મા સાથેની આ પહેલી મુલાકાત હતી.

વકીલ : (મિત્રને સંબોધિત કરતા) “અમ્મા, આ મારી સાથે વકાલતનો અભ્યાસ કરે છે. તેના ઘરે ઘણા પ્રશ્નો છે. તેણે પત્નીને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું છે. પણ પેલી જવાને તૈયાર નથી. તે પોતાનો અને બાળકનો ખરચ કઢાવવા આના પર દાવો કરવાની તૈયારીમાં છે.”

અમ્મા : (યુવકને) “પુત્ર, તું શા માટે તેનો ત્યાગ કરવા માગે છે?”

મિત્ર : “તેનો સ્વભાવ જ સારો નથી. મેં તેને ઘણી વખત નજરો નજર ખરાબ કાર્યો કરતા જોઈ છે.”

અમ્મા : “પુત્ર, તેં તારી નજરે જોયું છે?”

મિત્ર : “હા.”

અમ્મા : “પુત્ર, તારે એવો કોઈ નિર્ણય ન લેવો જોઈએ, જે તેં તારી નજરે ન જોયું હોય. કારણ કે, એ મહાપાપ હશે. કોઈ નિર્દોષ વ્યકિતની આંખમાં પાણી લાવવા, તે ક્ષુદ્રમાં ક્ષુદ્ર કાર્ય કરતાં પણ મહા અપરાધ છે. તું જો તારી પત્નીનો ત્યાગ કરીશ, તો તારું બાળક પિતા વિના મોટું થશે. અને તારી પત્ની જો બીજા વિવાહ કરશે, તો તારી પુત્રીને યથાર્થ મા પણ નહિ હોય. શું એ શરમજનક નથી કે, બાળકને જન્મ આપી, તેના નિર્દોષ જીવનને અંતરહિત દુઃખમાં ધકેલી દેવું? તારી પત્નીના બૂરા વ્યવહારને જો સહન કરી શકાય એમ હોય, તો તેને ક્ષમા કરી, કેમ પણ કરીને હળીમળીને રહેવું સારું હશે.”

મિત્ર : “અમ્મા, એ શક્ય નથી. આ જીવનમાં હવે એ શક્ય નથી. તેના વિચાર માત્રથી મને તેના પર ધૃણા આવે છે. મારો વિશ્વાસ પૂર્ણરૂપે નાશ પામ્યો છે.”

અમ્મા : “ વિશ્વસ મનુષ્યનો આધાર છે. તે જો નાશ પામે તો સઘળું નાશ પામે છે.

“બાળકો, વિચાર કરીને પગલુ ભરશો. અમ્મા તારાં પર કોઈ દબાણ નથી કરતા. તેના દુષ્ટ સ્વભાવને તેં તારી આંખે જોયો છે. તેની સાથે રહેવું તારાં માટે અશક્ય છે. કેમ પણ કરીને જો સમજાૂતી થાય તો સારું હતું. પણ અમ્મા તારાં પર કોઈ દબાણ કરશે નહિ. તારી પત્ની સાથેના સંબંધમાં વિચ્છેદ થાય તો પણ, તારે તારી પત્નીને જીવન નિર્વાહ માટે થોડી રકમ તો આપવી જ પડશે. ઘણા લોકો આ પ્રકારની સમસ્યાઓ લઈને આવે છે. પણ મોટેભાગે પત્ની નિર્દોષ હોય છે. પતિની શંકા બધી સમસ્યાનું કારણ હોય છે.”

મિત્ર : “અમ્મા, મેં તેને ઘણીવાર ક્ષમા કરી. હવે મારાંથી શક્ય નથી. મેં તો આત્મહત્યાનો વિચાર કર્યો હતો.”

અમ્મા : “નહિ પુત્ર, એવા વિચાર કરીશ નહિ. શું અન્ય લોકોના વચનો અને કાર્યોપર આપણું જીવન નિર્ભર કરે છે? આ બધી સમસ્યાઓ ઊભી થાય છે, કારણ કે આપણે આપણામાં સ્થિર નથી. પુત્ર, આ બધાપર વિચાર કરી તારો સમય ન બગાડતા, જ્યારે પણ સમય મળે ત્યારે આધ્યાત્મિક પુસ્તકો
વાંચવા. આધ્યાત્મિક તત્વોનું જ્ઞાન હોય તો પછી ક્યારેય દુઃખી થવાનો વારો નહિ આવે.”

મિત્ર : “હાલમાં જ અમારા ઘરે જ્યોતિષ પાસે પ્રશ્ન પૂછાવ્યો હતો. તે જ્યોતિષનું કહેવું હતું કે, જપ કરવો સારું છે પણ ધ્યાન દોષકારક હશે.”

અમ્મા (હસતા) : “આ બહુ સારું. શું ધ્યાન દોષકારક છે! આનું પણ એક કારણ છે. જ્યારે કોઈ નવી ગાડી ખરીદીએ ત્યારે શરૂઆતમાં તેને તેની પૂરી ઝડપથી ન હંકારવી જોઈએ. થોડે દૂર દોડાવ્યા પછી, તેને થોડો વિશ્રામ આપવો જોઈએ. આમ ન કરીએ તો એંજીન ગરમ થાય છે. આ જ પ્રમાણે શરૂઆતમાં, અધિક સમય ધ્યાન ન કરવું જોઈએ. આમ કરવાથી શરીર ગરમ થાય છે. એવા પણ કેટલાક લોકો છે, જે શરૂઆતમાં જ, વૈરાગ્ય મેળવવા અતિ આતુર હોય છે. આમ તેઓ ખૂબ ધ્યાન કરે છે. આ સારું નથી.

“જપ કરો ત્યારે તે પૂર્ણ એકાગ્રતા સાથે કરવા પ્રયત્ન કરવો જોઈએ. મંત્રજાપ કરતી વખતે, મંત્રના ઈષ્ટદેવની કલ્પના કરવી, અથવા મંત્રના દરેક અક્ષર પર મન કેંન્દ્રિત કરો. ધ્યાન કરવામાં કોઈ દોષ નથી. ઈષ્ટદેવનું સ્વરૂપ પ્રત્યક્ષ થાય, પછી તે રૂપ પર કેંદ્રિત થાઓ તો તે પર્યાપ્ત છે. એકાગ્રતા વિના
કંઈ જ શક્ય નથી.”

મિત્ર : “જ્યોતિષે એમ પણ કહ્યું હતું કે, ગૃહદોષની શાંતિ માટે અમુક નંગોની મઢેલી વીટી પહેરાવથી, તે પણ ગુણકારી હશે.”

અમ્મા : “દરેક ગૃહ માટે પ્રત્યેક નંગ છે. પરંતુ ધ્યાન દ્વારા જે પ્રાપ્ત થાય છે, તેટલું અન્ય કશાથી પણ મેળવવું શક્ય નથી. ધ્યાન પર કોઈ વિજય મેળવી શકે નહિ. પુત્ર, તું જે મંત્રજાપ કરે છે, તે કવચ બની, બધી આફતોમાં તારી રક્ષા કરશે.”

તે બંને યુવકો અમ્માને દંડવત કરી ઊભા થયા. વકીલ ભક્તે તેના મિત્રને કહ્યું, “તું એક ક્ષણ માટે બહાર મારી રાહ જો. હું હમણા આવું છું.”

તે ઊભો થયો અને જાણે કોઈ અંગત વાત કરતો હોય, તેમ તેણે અમ્માને કહ્યું, “મેં તેના પર ઘણું દબાણ કર્યું, ત્યારે તે અહીં આવ્યો. તેની નાની દીકરીનો વિચાર કરતા, મારાં હૃદયમાં આ કુટુંબ ભાંગી ન પડે, એવી પ્રાર્થના જાગે છે. અમ્મા, કૃપા કરી કોઈ ઉપાય કરો. તેમને સદ્‌બુદ્ધિ આપો.”

અમ્મા : “તે પુત્રના મનમાં હજાુય તે પુત્રી માટે દ્વેષ છે. અત્યારે તેને કંઈ પણ કહેશું, તે તેને સ્વીકારશે નહિ. પણ જોવા દે. અમ્મા કોઈ સંકલ્પ કરશે.”

“અમ્મા સંકલ્પ કરશે” આ શબ્દોનો અર્થ કેટલો વ્યાપ્ત હતો, તે અનુભવ દ્વારા વકીલ જાણતો હોવાથી, તેના ચહેરા પર આશાના કિરણો છવાય ગયા. તેના માથા પરથી જાણે કોઈ ભારે બોજ હળવો થયો હોય એવું પ્રતીત થતું હતું. બંને મિત્રો જ્યારે પાછા ફર્યા, ત્યારે અમ્માની કરુણાસભર દ્રષ્ટિ
હળવી પવનની લહેરખીની જેમ તેમની પાછળ ચાલી.