ધર્મ સંરક્ષણ

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, “હે અર્જુન, ત્રણેય લોકમાં મને પ્રાપ્ત કરવાને કંઈ જ નથી, છતાં હું કર્મમાં વ્યસ્ત રહું છું.” શ્રીકૃષ્ણના કાર્યો આપણે જે કરીએ છીએ, આથી જુદા હતા. તેઓ કર્મ કરતા હતા, પણ કોઈપણ પ્રકારનો કર્ત્રુત્વનો ભાવ કે આસક્તિ વિના તેઓ કર્મ કરતા હતા. પાણી પર જેમ માખણ તરે, એવું થયું. નાટકમાં કલાકાર કોઈ ભૂમિકાનો અભિનય કરવા વેશ ધારણ કરે છે. તે ભૂમિકા ભજવી લીધા પછી, તે વેશ કાઢીનાખે છે, જે તેણે બીજા લોકોને મનોરંજન કરવા ધારણ કર્યો હતો. નાટક પૂરું થતાં તેને તે વેશ સાથે કોઈ આસક્તિ નથી હોતી. આ જ પ્રમાણે છે, મહાત્માના કાર્યો. તેમનું પ્રત્યેક કાર્ય બીજામાં જાગરૂકતા જાગૃત કરવા માટે છે, તેમને સ્વ-આત્માથી જાગૃત કરવા સહાય કરવા માટે છે.

નાટકના કથાકાર પોતે લખેલું નાટક જૂએ, તો શું હશે તેમનો પ્રતિભાવ? તે ન તો ઉત્તેજીત થશે કે નહિ હતાશ થાય. કારણ કે, પ્રત્યેક દ્રષ્યમાં શું બની રહ્યું છે, તે અને આગળ કથા કેવી રીતે રૂપાંતર થશે, આ તે જાણે છે. આ જ પ્રમાણે છે, મહાત્માઓ માટે આ દુનિયા. આજ કારણસર આ વિશ્વમાં કંઈ જ તેમને બાંધી શકે નહિ. મનનું રીમોટ કંટ્રોલ તેમના હાથમાં છે. તેમની દિવ્ય શક્તિ વિના કંઈ જ બની શકે નહિ. માખણ જે રીતે પાણી પર તરે છે, એ રીતે મમહાત્માઓ આ સંસારમાં જીવે છે. અર્થાત પૂર્ણરૂપે અલિપ્ત રહીં જીવે છે. તેઓ આ વિશ્વના કલ્યાણ અર્થે અવતરિત થયા છે. જો ધર્મનું વર્ચસ્વ હોવું જ જોઈએ, તો અધર્મએ જવું જ રહ્યું. આ જ તો તેઓ કરી રહ્યાં છે, ધર્મનું સમર્થન.

જો કોઈ દેશનો શાસક એવી કોઈ વ્યક્તિ હોય જે પોતાના નીજી સ્વાર્થ ખાતર સો હત્યા કરવાને અચકાય નહિ, તે પોતાના સુખ ખાતર રાષ્ટ્ર અને પ્રજાનું શોષણ જ કરશે. આ પ્રકારના શાસકથી રાષ્ટ્રને મુક્ત કરવું જ જોઈએ. આમ કરવા દસ લોકોને મૃત્યુદંડ દેવો પડે, તો તેમાં કંઈ ખોટું નથી. જ્યાં સુધી અધર્મનો નાશ થાય નહિ, ધર્મનું વર્ચસ્વ રહી શકે નહિ. મોટા વૃક્ષના રોપાને માટીમાં રોપતા પહેલાં, જમીન પરથી ઘાસ વગેરે કાઢી લેવું જોઈએ. પછી તે જગ્યા પર એક વિશાળ વૃક્ષ ઊભું થશે. આ દ્રષ્ટિએ જોઈએ તો ઘાસ કાઢી જમીન સાફ કરવી, એ કોઈ નુકસાન ન ગણાય. કેંસરના રોગીને રેડિએશન થેરેપી આપવામાં આવે છે. આ થેરેપીમાં ઘણા સારા જીવકોષ પણ નાશ પામે છે. પરંતુ, જ્યારે આપણે જોઈએ કે, આ થેરેપીથી કેટલાક લોકો કેંસરની પકડમાંથી મુક્ત થાય છે. તો ત્યારે સારા જીવકોષ જે નાશ પામે છે, આને આપણે ખોટું તરીકે નથી લેતા.

કુરુક્ષેત્ર યુદ્ધમાં ભગવાને પાંડવોનો પક્ષ લીધો હતો, કે જેમણે ભગવાન દ્વારા બતાવવામાં આવેલ યુદ્ધ માટેના નિર્દેશોનું પાલન કર્યું હતું. માટે, તેઓ યુદ્ધમાં વિજયી રહ્યાં હતાં. તેમછતાં કેટલાક લોકો એમ કહી વાદ કરે છે કે, પાંડવોએ વિવિધ અવસરો પર ધર્મનો ભંગ કર્યો હતો. આ અવસરોને ચીંધી બતાવી તેઓ કૌરવોને વીરતા બક્ષતા અચકાતા નથી. એક વાત ભૂલશો નહિ, ક્યારેય કોઈ એકાદ બે ઘટનાના આધાર પર ન્યાય કરશો નહિ. પરંતુ તેમના બધા જ કાર્યોને દેખી, તેના આધાર પર ન્યાય કરશો. આ દ્રષ્ટિએ જોઈએ તો દુર્યોધન અધર્મી હતો અને મૃત્યુદંડ માટે યોગ્ય હતો. દુર્યોધનના હાથમાં જો રાજ્યનું શાસન સોંપવામાં આવે તો તે કેવળ એક વ્યક્તિ જ નહિ, પરંતુ સમસ્ત રાજ્યના વિનાશનો માર્ગ મોકળો કરવા જેવું હોત. આવા સંજોગોમાં કોઈ એમ ન કહીં શકે કે, ભગવાન તરફથી પાંડવોને આપવામાં આવેલ એક સૂચના પણ ખોટી હતી. અહીં ભગવાનનો એકમાત્ર ઉદ્દેશ. ધર્મનું સમર્થન હતું. કૌરવોની તુલનામાં પાંડવો, રાજ્ય પર શાસન કરવામાં ક્યાંય વધારે યોગ્ય અને સક્ષમ હતાં.

મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે એક દિવસ રાતના દુર્યોધન પોતાની મા ગાંધારીને મળવા નીકળ્યો. તેની આ મુલાકાતનો ઉદ્દેશ યુદ્ધ માં વિજયી રહેવા અને પોતાની શક્તિ સામર્થ્યમાં વૃદ્ધિ કરવા ગાંધારીના આશીર્વાદ મેળવવાનો હતો. ગાંધારી એક ઉત્તમ સ્ત્રી હતી. પોતાના પતિ કે જેઓ જન્મથી અંધ હતા, તેમની સાથેનું પોતાનું ઐક્ય સાબિત કરવા સ્વેચ્છાએ આંખ આડી પટ્ટી બાંધી અંધાપો સ્વીકાર્યો હતો. આ તપના બળથી ગાંધારીએ અતિશય શક્તિ અર્જીત કરી હતી. શરીરના જે ભાગ પર ગાંધારીની નજર પડે, તે સ્ટીલ જેવો મજબૂત બની જાય. આમ તેની દ્રષ્ટિમાત્રથી પોતે અજેય બને, તે માટે ગાંધારીના નિર્દેશ અનુસાર સ્નાન કરી દુર્યોધન નિર્વસ્ત્ર પોતાની માને મળવા જઈ રહ્યો હતો. ભગવાન જે આ જાણતા હતા, તેઓ દુર્યોધનનો માર્ગ કાપી ત્યાં હાજર થયા. દુર્યોધનને આવી કોઈ અપેક્ષા ન હતી.

ભગવાન પૂછવા લાગ્યા, “અરે ઓ દુર્યોધન, આ તું શું કરે છે? તારી મા પાસે આ પ્રમાણે નિર્વસ્ત્ર જઈ રહ્યો છે? શું તું આટલો નીચ બની ગયો કે? શું તારું નગ્નપણું થોડું પણ ન ઢાંકી શકે?”

ભગવાનના વચનો દુર્યોધનને વાજબી લાગ્યા. પોતાની સાથળ અને કુલાનો ભાગ ઢાંકી તે ગાંધારીને મળવા ગયો. અને આ જ કારણસર તે યુદ્ધમાં પરાજીત થયો. ભીમ કે જે દુર્યોધનના શરીરના કોઈ ભાગને ઈજા ન પહોંચાડી શક્યો, તેણે તેની સાથળ પર ગદાનો પ્રહાર કરી, તેને માર્યો હતો. ગાંધારીની દ્રષ્ટિના તેજના કારણે દુર્યોધનના શરીરનો એક એક ભાગ વજ્ર જેવો બની ગયો હતો. દુર્યોધનના શરીરના અન્ય ભાગો પર પ્રહાર કરી, ભીમ થાકી ગયો ત્યારે ભગવાને તેને ઈશારો કરી દુર્યોધનની સાથળ પર પ્રહાર કરવાને કહ્યું હતું. ભગવાને આ કેવળ ધર્મની રક્ષા કરવા માટે જ કર્યું હતું. ૐ -ક્રમશઃ

અમ્મા, કુટીરમાં બેસી એક બ્રહ્મચારી કે જે કૃષ્ણભક્ત હતો, તેની સાથે વિવાદ કરી રહ્યાં હતા.

અમ્મા : “તારો કૃષ્ણ તો મહાચોર હતો. માખણ ચોરીને તેણે જ તો વિશ્વમાં ચોરીની શરૂઆત કરી? તેણે જ કરેલા બધા તોફાનો વિશે સ્હેજ વિચારી જુઓ!”

તે કૃષ્ણભક્ત બ્રહ્મચારીથી અમ્માના આ વચનો સહન ન થયા. તેની આંખમાં પાણી આવી ગયા. તે બોલ્યો, “અમ્મા, મારો કૃષ્ણ એવો નથી, જેવો તમે કહો છો.” આ જોવાને તો અમ્મા તત્પર હતા.

નાનાબાળકોની જેમ દુઃખી થઈ રહેલા બ્રહ્મચારીની આંખોના આંસુ લૂછી આપતા અમ્માએ કહ્યું, “તું શું નાનો બાળક છે? અમ્મા તો કૃષ્ણ સાથે તને કેટલું બંધન છે તે જાણવા માટે મજાકમાં આમ કહ્યું હતું. તે ચોર નથી. તે તો સત્યસ્વરૂપ છે. બીજાના સંતોષ ખાતર તે ચોરી કરતો હતો. બીજાને આનંદ આપવા તે માખણ ચોરી, તોફાન મસ્તી કરતો હતો. માખણની સાથે ભગવાને તેમના હૃદય ચોરી કર્યા હતા. એક ભગવાન જ આ કરી શકે. તેમણે ક્યારેય પોતાને ખાતર કંઈ કર્યું ન હતું. માખણ પણ પોતાને માટે નહોતું ચોર્યું. તે તો તેમના સાથીદારો એવા ગરીબ ગોવાળીયાઓ માટે હતું. આ સાથે ગોપીઓના મન ભગવાન સાથે બાંધવાનો ઉદ્દ્રે‌શ પણ સિદ્ધ થયો હતો. ગોપીઓના મન માખણ, દૂધ, દહીં, છાશ વગેરે વેચી, તેમાંથી આજીવિકા મેળવવામાં હતું. તે વસ્તુઓને ચોરી, તે વસ્તુઓ સાથે બંધાયેલા તેમના મનને ભગવાને પોતાના તરફ વાળ્યા હતા. આ પ્રમાણે, એક જ સમયે ભગવાને બે કાર્ય સિદ્ધ કર્યા હતા. તેમના સાથીદાર ગરીબ ગોવાળિયાઓની ભૂખ સંતોષી હતી અને ગોપીઓના હૃદયને ઈશ્વર સાથે બાંધવામાં પણ સફળ રહ્યાં હતા.

“વાસ્તવમાં ભગવાન એક સાચા સામ્યવાદી હતા. જેની પાસે હોય તેમનું લઈ, જેની પાસે કંઈ ન હોય, તેમને આપી દેવું, આ જ તેમનો મત છે, ખરું ને? પરંતુ આ પ્રાપ્ત કરવા તેઓ એક સમૂહનો નાશ કરવા માગે છે. આજે ભૌતિક દુનિયાની આ રીત છે. ત્યારે ભગવાન, આમ ન કરતાં પોતાના કાર્યો દ્વારા બંને સમૂહની રક્ષા કરી હતી. આ હતો ભગવાનનો સામ્યવાદ!

“હડકાયા કૂતરાને પકડીને મારી નાખવો જોઈએ, આ આપણા લોકો કહે છે. ત્યારે ભગવાન કહે છે કે, હડકવા લાગેલા મનમાં પરિવર્તન લાવો.

“હત્યા કોઈ પ્રશ્નનો પરિહાર નથી. મનને સારાંમાં પરિવર્તિત કરવું, એ જરૂરી છે.

“ભગવાને પણ પોતાની મરજી અનુસાર વિવાહ કર્યા હતા. પોતાના પ્રિયજનોના સંતોષ ખાતર ભગવાન વિવાહ માટે રાજી થયા હતા. ભગવાનનું લક્ષ્ય તો બધા પોતપોતાના આત્મામાં લીન રહે, તે હતું. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા ભગવાને અગણિત માર્ગો અપનાવ્યા હતા. સામાન્ય બુદ્ધિ ધરાવતા લોકો માટે આ સમજવું કઠિન હશે. યોગ્ય સાધના કરી, મનને સૂક્ષ્મ કરી, મનન કરવા માત્રથી ભગવાનની પ્રવૃત્તિઓને આપણે ઓસબિંદુ જેટલી પણ સમજી શકીએ….

“પુત્ર, એક ભજન ગા. અમ્મા તારું ભજન સાંભળવા માગે છે.”

બ્રહ્મચારીના મુખ પર સ્મિત છવાઈ ગયું. હૃદયનો રાગ સુમધુર સ્વરસુધા બની વહેવા લાગ્યો.

નીલાંજનમીરી નીરજ નયના….
સદા સર્વદા મારો એક આધાર તું જ રહ્યો છે,
હે નીલવર્ણીય એ સાચું છે પ્રભુ, તારાં વિના નથી કોઈ શરણું સાંચુ
નારદના તંબુરાના નાદમાં તું માનસ મોહન કૃષ્ણા
કિર્તન, નર્તન, આર્તવિનાશન શાશ્વત ભાસુર કૃષ્ણા
મને તારું દર્શન તો આપ એકવાર સાક્ષીત ભાવિત કૃષ્ણા
માયા મોહન માનવસેવિત પાદસરોજ કૃષ્ણા
ભૂતલવાસમાંથી ઉદ્ધાર કરો મોક્ષ પ્રદાયક કૃષ્ણા
મને તારું દર્શન તો આપ એકવાર સાક્ષીત ભાવિત કૃષ્ણા

ભજન સાંભળતા બીજા બ્રહ્મચારીઓ એક એક કરીને હાર્મોનિયમ, તબલા, ખંજરી, મંજીરા વગેરે લઈને ત્યાં પહોંચી ગયા. આખી ઝૂંપડી ભરાઇ ગઈ. થોડા બ્રહ્મચારીઓ બહાર ઊભા રહીને ભજનનો પ્રતિભાવ આપવા લાગ્યા.

અમ્મા ભજન ગાતા રહ્યાં. તેઓ ભજન પૂરું કરી શકયા નહિ. આંખોમાં પાણી ભરાઈ આવ્યા. આંસુઓની ધારા વહેવા લાગી. બધા બ્રહ્મચારીઓ કુટીરની બહાર ભેગા થઈ ગયા. અમ્માએ આંખો બંધ કરી, હાથમાં મુદ્રા ધારણ કરી, નિશ્ચલ બેસી ગયા. દિવ્ય અવસ્થાના સ્પંદનો ઊભરવા લાગ્યા. હાજર સર્વકોઈના હૃદયને તે સ્પર્શવા લાગ્યા. થોડી વાર પછી તેમણે નેત્રો ખોલ્યા અને ફરી બંધ કરી લીધા. એમ લાગતું હતું, જાણે અમ્મા પોતાની આ ઉત્કૃષ્ઠ અવસ્થામાંથી બહાર આવવા ઇચ્છતા ન હતા. પહેલાં પણ ભજન દરમ્યાન અમ્મા સમાધિમાં ઉતરી જતા અને કલાકો પછી જ સામાન્ય સ્થિતિમાં પાછા આવતા. આ સમયે તેમણે કહ્યું હતું, “બાળકો જ્યારે આમ બને, ત્યારે તમારે ભજન ગાવાંના. અન્યથા અમ્મા મહિનાઓ સુધી આ રીતે બેઠા રહેશે. એમ પણ બને કે તેઓ અવધૂત બની જાય.” અમ્માના વચનો યાદ કરી, અમ્માને આ ભાવમાંથી બહાર લાવવા બ્રહ્મચારીઓ ભજન ગાવા લાગ્યા. સામાન્ય અવસ્થામાં પાછા ફરવામાં અમ્માને ઘણો સમય લાગ્યો હતો.

તા.૨૩ જુલાઈ,૨૦૨૧ના રોજ અમૃતપુરી આશ્રમમાં ગુરુપૂર્ણિમા મનાવવામાં આવી હતી. આ અવસર પર અમ્માએ પાઠવેલો વાચકો માટે સંદેશ.

ગુરુ પૂણિૅમા કેવળ એક બાહરી ઔપચારિકતા ન હોવી જોઈએ. આ તે પરિવર્તન છે, જે આપણી અંદર બનવું જોઈએ. ત્યારે જ તમે નિત્ય નિરંતર ગુરુનું સાનિધ્ય અને આશીર્વાદ અનુભવી શકો.

એક સદ્‌ગુરુને દ્રશ્યમાન એવું શારીરિક સ્વરૂપ છે, અને આ સાથે અદ્રશ્ય આધ્યાત્મિક ઉપસ્થિતિ પણ છે. દ્રશ્યમાન સ્વરુપ મહત્વનું છે. પરંતુ, અદ્રશ્ય ઉપસ્થિતી સહુંથી વધું મહત્વ રાખે છે. પવન જ્યારે વાય છે, ત્યારે વૃક્ષની શાખાઓ અને પાન હલે છે. આ પવનના સ્વરુપને સૂચવે છે. પરંતુ, પવન સર્વત્ર છે અને સર્વવ્યાપ્ત છે. આ જ અંતર છે, સદ્‌ગુરુની શારીરિક ઉપસ્થિતી અને આધ્યાત્મિક ઉપસ્થિતી વચ્ચે.

શિષ્યને ગુરુમાં જો શ્રદ્ધા અને આત્મ-સમર્પણ હોય, તો જ ગુરુ-શિષ્ય બંધન પૂર્ણ બને છે. ગુરુ-સિદ્ધાંત, ગુરુનું સાનિધ્ય અને ગુરુ કૃપા, સમય અને સ્થાનના અપવાદ વિના હંમેશા હાજર જ છે. તે સર્વત્ર છે, સર્વકાંઈમાં વ્યાપ્ત છે. જે રીતે ગર્ભમાં વિકસતા બાળકને અનુકૂળ બનવા માનો ગર્ભાશય વિકસે છે, તે રીતે શિષ્યનું હૃદય પણ વિશાળ થવું જોઈએ. નમ્રતા, શ્રદ્ધા અને યોગ્ય વિવેક ત્યાં વિકસવા જોઈએ. ત્યારે જ પથ્થરમાં, પવનમાં, સમુદ્રમાં અને માટીના કણકણમાં શિષ્ય ગુરુના દર્શન કરે છે. પરંતુ આ ગુણને કેળવવો સહેલો નથી. માટે જ કહે છે કે, જો શિષ્યનું અસ્તિત્વ હોય તો જ ગુરુનું અસ્તિત્વ છે.

જેઓ શિષ્ય બનવા ચાહે છે, ગુરુને પોતાના ખાસ મિત્ર તરીકે ગણવાને તેમનાથી થવું જોઈએ. એક સાચો મિત્ર જે આપણને ખરેખર સાચા દીલથી પ્રેમ કરે છે, આપણે તેની સલાહ સરળતાથી સાંભળીશું અને અનુસરીશું. આપણે તેમને ધ્યાન દઈને, ખુલા હૃદયથી સાંભળીએ છીએ. કારણ કે, આપણે જાણીએ છીએ કે, આપણા હીતમાં જે હશે. તે જ કરવાની સલાહ આપણો મિત્ર આપણને આપશે. મિત્ર માટેની આપણી સમજ, પ્રેમ અને વિશ્વાસ આપણને પ્રેરણા આપે છે અને આપણામાં શક્તિ પૂરે છે. આપણા ગુરુને પણ જો આ રીતના આપણા ખાસ મિત્ર તરીકે જોઈએ, તો ક્રમશઃ આ આપણામાં શિષ્યત્વ, આ સાથે ભક્તિ અને સમર્પણ વિકસાવવા સહાય કરશે.

આ વિશ્વમાં સર્વકાંઈ સારા અને ખરાબ ગુણોનું મિશ્રણ છે. પરંતુ ગુરુ કેવા પણ પ્રકારની ત્રુટીઓ કે ખામીઓથી પૂર્ણરૂપે મુક્ત છે. ગુરુ પૂર્ણ છે, સંપૂર્ણ છે. માટે, ગુરુ જે કંઈ પણ કરે છે, તે શિષ્યના સારા માટે જ હોય છે. સૂર્યનો પ્રકાશ અંધકાર દૂર કરે છે, આ સાથે સૂર્યના કારણે લૂ પણ થાય છે. પરંતુ, ચંદ્ર આમ નથી. તે અંધકાર દૂર કરે છે, આ સાથે તે શીતળતા પણ પ્રદાન કરે છે. તે સૌંદર્યથી પૂર્ણ છે અને જોનારને આનંદથી ભરી દે છે. ગુરુ પણ આવા જ છે. ગુરુ પૂર્ણિમાના તેજસ્વી ચંદ્ર જેવા છે, જેમાં કોઈ દાગ નથી. ગુરુની કરુણા આપણા પર મૃદુ ચંદ્રના કીરણોની જેમ પ્રસરે છે. સદ્‌ગુરુમાંથી કેવળ સારું અને કલ્યાણકારી જ ઉદ્‌ભવી શકે. આનો અર્થ એવો નથી થતો કે, શિષ્ય જો કોઈ ભૂલ કરે, તો તેને ઠપકો નહિ મળે. તેને કદાચ ઠપકો મળે પણ ખરો, પણ આ તેના સારાં માટે જ હોય છે.

એક સાધકની સહુંથી મહાન સંપત્તિ, સમય. સમયનો બગાડ કર્યા વિના, સમર્પણના મનોભાવ સાથે, મારાં બાળકો પણ ગુરુના નિર્દેશોનું પાલન કરી, પોતાનું જીવન અર્થપૂર્ણ બનાવે. આ સિદ્ધ કરવા ઈશ્વરકૃપા આપ સહુંને અનુગ્રહિત કરે, એ જ પ્રાર્થના. ૐ

દામોદર મેનોન નામના અમ્માના એક ભક્તે આગળ આવી અમ્માને નમસ્કાર કર્યા.

“આ કોણ છે? દામોદર કે!”

દામોદર મેનોને હાસ્ય કરતા અમ્માના હાથમાં પોતાનું માથું રાખ્યું.

અમ્મા : “પુત્ર, થોડા દિવસથી તું દેખાતો ન હતો, શું તું અહીં ન હતો?”

દામોદરન : “હું પ્રવાસ પર હતો. અત્યારે હું બેંગલોરથી આવી રહ્યો છું. ઘરે પણ નથી ગયો. કાયમકુલ્લમ સ્ટેશન પર ઉતરી, સીધો અમ્માના દર્શન કરવા આવ્યો છું.”

અમ્મા : “પુત્ર, બાળકો બધા કેમ છે, મજામાં ને?”

દામોદરન : “ અમ્માની કૃપાથી કોઈ સમસ્યા નથી. હું હમણા મારાં એક મિત્રને મળીને આવી રહ્યો છું. તેનો વિચાર કરતા ઘણું દુઃખ થાય છે.”

અમ્મા : “કેમ શું થયું?”

દામોદરન : “હું તેને બેંગલોરમાં મળ્યો હતો. અમે બંને સાથે કામ પર જતા હતા. આ દરમ્યાન તેણે નોકરીમાંથી રાજીનામુ આપ્યું અને સન્યાસ લેવા તેણે પોતાનું ગામ પણ છોડયું હતું. પાંચ વર્ષ પહેલાં તે જ્યારે પોતાના ગામે પાછો ફર્યો, ત્યારે તે સન્યાસીના વેશમાં હતો.”

અમ્મા : “તે ક્યાં રહે છે?”

દામોદરન : “તે ઋષિકેશના એક આશ્રમમાં રહે છે, એમ તેણે કહ્યું હતું. પરંતુ હમણા, હું જ્યારે તેને ફરી મળ્યો ત્યારે તે પૂર્ણરૂપે બદલાય ગયો હતો. હવે તે પહેલા જેવો ન હતો. ભગવાં વસ્ત્ર નહિ, રુદ્રાક્ષ નહિ, જટા નહિ, દાઢી નહિ, કંઈ જ નહિ. તે સુંદર દેખાતો હતો. ચાર વર્ષ પહેલાં તેણે સન્યાસ મૂકી દીધો. આશ્રમમાં અવારનવાર આવતી એક યુવતી સાથે પ્રેમ થતા, તેણે તેની સાથે વિવાહ કર્યા. હવે તે બેંગલોરમાં રહે છે. ત્યાં તેને એક નાની નોકરી છે. તેની વાતપરથી એમ લાગ્યું જાણે તે બહુ નિરાશ હતો.”

અમ્મા : “પુત્ર, આધ્યાત્મિકતામાંથી નરી ભૌતિકતા તરફ વળવું, અંદરથી અને બહારથી કષ્ટદાયક હોય છે. જે મનમાં આધ્યાત્મિક વિચાર હતા, તેને ભૌતિકતામાં કોઈ આનંદ નહિ મળે. પરિણામ ફક્ત અસ્વસ્થા જ હશે. સાધનાના ફળસ્વરૂપ શરીરની ફરતે જે સૂક્ષ્મ આભાનું સર્જન થયું હોય છે, તે ભૌતિક સુખભોગમાં અવરોધો નાખે છે. ઈષ્ટદેવ અને તેમને વિંટળાયને રહેતા દેવો, કરુણાવશ સાધકના જીવનમાં બેગણા દુઃખો અને અવરોધોનું સર્જન કરશે. કારણ કે, તેઓ ચાહે છે કે કેમે કરીને પણ તે પુનઃ આધ્યાત્મિકતામાં પાછો ફરે. વાસ્તવમાં આ કષ્ટો અને દુઃખો ઈશ્વ્રરકોપ નથી, તે તો ઈો્શ્વરકૃપા
જ છે! તેને જો વધુ સંપત્તિ અને સુખ પ્રાપ્ત થાય, તો તેનો અહમ્‌ વધુ ને વધુ ફૂલશે અને તે વધુ ને વધુ ભૂલો કરશે. આમ તેને વારંવાર જન્મ લેવો પડશે.

“જેણે સ્હેજેય આધ્યાત્મિકતાને ગ્રહણ કરી હોય, તે મન ભૌતિકતામાં તૃપ્તિ ન અનુભવી શકેં. પહેલાં તે જે યુવતીને પ્રેમ કરતો હતો, તેની સાથે વિવાહ ન કરતા, અન્ય સ્ત્રી સાથે વિવાહ કરે તો તેને તેમાં તૃપ્તિ નથી મળતી. કારણ કે, મન તો તે સ્ત્રીમાં જ હશે જેને તે પ્રેમ કરતો હતો. આ જ પ્રમાણે, જે મન આધ્યાત્મિકતા તરફ વળી ગયું હોય, તે ભૌતિકતામાં પૂર્ણત્વ પ્રાપ્ત ન કરી શકે. એટલું જ નહિ, પ્રારબ્ધ તેને સતાવતું રહે છે.

“વિવાહ કરી લીધા હોય, તો તે સ્થિતિમાં પણ, તેણે તેની સાધના ચાલુ રાખવી જોઈએ. ગૃહસ્થાશ્રમ ધર્મનું યોગ્ય રીતે પાલન કરી, જીવન વિતાવે તો તે અર્થપૂર્ણ હશે. કોઈ પણ પ્રકારના ભંગાણ સિવાય સતત આધ્યાત્મિક સાધના કરે, તો વિના પ્રયાસે જીવનમાં તે આનંદ અનુભવી શકે છે. ઈશ્વરપ્રેમ જાગે, ત્યારે મન ભૌતિકતાને છોડી દેશે, ઇચ્છાઓ આપોઆપ ઓછી થાય છે. અને ઇચ્છાઓ જ્યારે ઓછી થાય, પછી તે અંતરાત્માની શાંતિ તરફ દોરી જાય છે. ઇચ્છાઓ જ દુઃખ છે. જ્યાં આગ છે, ત્યાં ધુમાડો પણ છે. ઇચ્છાઓ છે તો દુઃખો પણ છે. ઇચ્છાઓ વિના જીવન શક્ય નથી. માટે જ, બધી ઇચ્છાઓ ઈશ્વર માટેની જ હોવી જોઈએ.

“તોડયા વિના, નિયમિત સાધના કરવાથી, આધ્યાત્મિકતા અને ભૌતિકતા સાથેનું તાલબદ્ધ જીવન શક્ય છે. સમસ્યાઓ ઓછી થશે. જીવનલક્ષ્ય કેવળ મોક્ષ પ્રાપ્તિ જ છે, આ જ્ઞાન સાથે કર્મ કરવાથી, તે તેની રક્ષા કરશે.

“પરંતુ, સંન્યાસીનું મહત્વ તો કંઈ વિશેષ જ છે. વિવિધ સાંસારિક ચિંતાઓને આધીન ન થતા, ફક્ત ઈશ્વરનું સ્મરણ કરી, તે આનંદમાં જ જીવન વિતાવે છે. સેવાના ભાવથી કર્મ કરે તો પણ, તેને તેનો,ભાર નહિ લાગે. કારણ કે તે કર્મ સાથે બંધાયેલો નથી.

“એક વખત એક સંન્યાસી રસ્તા પર જઈ રહ્યાં હતા. પાછળથી એક ભાઈએ તેમની સાથે થતા પૂછયું, “સ્વામીજી, સંન્યાસ એટલે શું?” સંન્યાસીએ પાછું ફરીને જોયું પણ નહિ. પરંતુ તેમની પાછળ ચાલતો વ્યક્તિ તેમને છોડે એમ ન હતો. તે તો ફરી ફરી, તે નો તે જ પ્રશ્ન પૂછતો તેમની પાછળ ચાલતો હતો. અચાનક તે સંન્યાસી અટકયાં, પોતાના ખભા પરનો થેલો નીચે રસ્તા પર મૂકી, આગળ ચાલવા લાગ્યા. હજાુ દસ પગલા ચાલ્યા હશે કે, તેણે ફરી પૂછયું, “સંન્યાસ એટલે શું?” તેના તરફ ફરી, સંન્યાસીએ કહ્યું, “શું તે જોયું નહિ? મેં પેલો ભાર ઉતારીને નીચે રાખ્યો? આ જ પ્રમાણે, “હું” અને “મારાં”ના ભાવનો ત્યાગ કરવો જોઈએ. જે કંઈ પોતાનું છે, તેને ફેંકી દો. તે જ સંન્યાસ છે.” સંન્યાસી આગળ ચાલ્યા. પેલો વ્યક્તિ ફરી તેમની પાછળ ચાલવા લાગ્યો. હવે તેનો પ્રશ્ન હતો, “ત્યાર પછી કોઈ શું કરે છે?” તે સંન્યાસી પાછો ફર્યો, અને રસ્તામાં જ્યાં તે થેલો ઉતારીને રાખ્યો હતો, ત્યાં ગયા. ફરી તેને ખભા પર રાખી તે આગળ ચાલવા લાગ્યા. પેલાની સમજમાં કંઈ ન આવ્યું. તેણે ફરી તે જ પ્રશ્ન પૂછયો. ચાલતા ચાલતા સંન્યાસીએ જવાબ આપ્યો, “આ જાુએ છે? આ રીતે સંસારનો ભાર ઉંચકવો જોઈએ. બધાનો ત્યાગ કરવા માત્રથી, તમે સંસારને તમારાં ખભે રાખી શકો.”

“કોઈ જંગલી જનાવરની સંભાળ લેવાની હોય, ત્યારે તે ભાગી ન જાય, તે માટે બધો સમય તેના પર નજર રાખવાની હોય છે. તમે તેને છૂટું મૂકો તો તેની પાછળને પાછળ ફરવું પડે અન્યથા તે છટકી જશે. તેને ખવરાવતી વખતે, જ્યાં સુધી તે ખાઈ ન લે ત્યાં સુધી તેની સાથે જ રહેવું પડે. હંમેશા તેની સાથે બંધાયેલા રહેશો. ક્યારેય ફૂરસદનો સમય નહિ મળે. ત્યારે બીજી બાજું, જે બગીચાની રખવાળી કરે છે, તેને તો ફાટક પાસે ઊભા રહી, ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે, કોઈ ફૂલ ચોરે નહિ. આ સાથે તે ફૂલની સુગંધનો આનંદ પણ લે છે. આ જ પ્રમાણે, જ્યારે તમે ભૌતિક સુખો પાછળ દોડો છો, તમારું મન સતત ડોલ્યા કરશે. તે કયારેય સ્થિર નહિ હોય. ત્યારે, ત્યાગીનું જીવન આવું નથી. જીવનના સૌંદર્ય અને સુવાસને માણી, કોઈ પ્રકારના ડોલન વિના, તે સ્થિર રહેશે. કોઈ શ્રમ નહિ, પ્રારબ્ધ દુઃખ હોય તો પણ, સમર્પણ હોવાને કારણે તે દુઃખ જણાશે નહિ. તે દુઃખ પણ, શાંતિ તરફ હાથ ઝાલીને દોરી જતી ઈશ્વરની કૃપા જ હશે.”

અમ્માએ આધ્યાત્મિક જીવન અને ભૌતિક જીવનના સ્વભાવનું સુક્ષ્મતાથી વર્ણન કર્યું. ભક્તો ધ્યાનપૂર્વક અમ્માને સાંભળી રહ્યા હતાં. પોતાનું જીવન કેવું હોવું જોઈએ, તે અમ્માના ચહેરાપરના ભાવપરથી સ્પષ્ટ હતું.

કલિંગા ઈંસ્ટિટયુટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી તરફથી ડી.લીટ પદવી સ્વીકૃતિ વેળાએ અમ્માનું ઉદ્‌બોધનઃ

પ્રેમસ્વરૂપિ, આત્મસ્વરૂપિ પોતાના બધા જ બાળકોને અમ્મા વંદન કરે છે. વિદ્યાભ્યાસ, સ્કીલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેનરશીપના કેંદ્રિય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, નોબલ પુરસ્કારના વિજેતા પ્રોફેસર શ્રી જીન-મેરી-લેઽન, આ ઉપરાંત સર્વપ્રથમ લોકસભાના સદસ્ય તેમજ કલિંગા ડીમ્ડ યુનિવર્સિટીના સ્થાપક શ્રી અચ્યુતા સામંતા, સ્વીડઝરલેંન્ડના રાજ્યસભાના સદસ્ય શ્રી વેદ પ્રકાશ, શ્રીમતી સસ્મિતા સામંતા, શ્રી વરુણ સૂત્રા તેમજ કલિંગાના અન્ય નિર્દેશકોનું હું આ સંમાન માટે અભિવાદન કરું છું.

આ દુનિયામાં જે કંઈ થોડી ઘણી માનવીય સેવાઓ આશ્રમ આપી શક્યું છે, તેનું કારણ અમ્માના ભકતોનો પ્રેમ અને સમર્પણ છે. માટે, અમ્મા આ સંમાન તેમને અને તેમના પૂર્ણ હૃદયને અર્પિત કરે છે.

કલિંગા, એક પવિત્ર ભૂમિ છે. અહીંના ઈતિહાસના પાના પર સ્વર્ણ અક્ષરોમાં લખવામાં આવેલ એક મહાન ઘટનાના સ્મરણો સુષુપ્ત છે. આ તે ભૂમિ છે, જે સમ્રાટ અશોકના મહાવિજયી યુદ્ધની, વિજય પછીના લોહિયાળ યુદ્ધભૂમિ જોઈ તેમના ઊંડા વિષાદની, તેમના હૃદય પરિવર્તનની અને અનંત શાંતિ અને આત્મપ્રકાશની તેમની ખોજની સાક્ષી છે. કરુણાની આ જ ભૂમિ પર કલિંગ ઈંસ્ટિટયુટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજીના સ્થાપક શ્રી અચ્યુતા સામંતે પોતાની માનવીય સેવાઓ અર્પિત કરવાનું પસંદ કર્યું હતું. અમ્મા હૃદયથી આ માટે તેમનું અભિવાદન કરે છે.

વાસ્તવમાં વિદ્યાભ્યાસ દ્વારા જે મહત્વની બાબત આપણે કેળવવાની છે, તે છે, આપણા સહજનો પ્રતિ કરુણા. અમ્માને આ જાણી અત્યંત સંતોષ થાય છે કે, આ યુનિવર્સિટી પણ આ જ લક્ષ્યને સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે. માટે એ કહેવું જરૂરી નથી કે, આ સંસ્થા આજુંબાજું રહેતા હજારો લોકો માટે આધાર અને આશ્રયનો પ્રકાશ સ્તંભ છે.

આ વિશ્વ અને તેમાંના બધાં જ જીવો, સૃષ્ટી અને તેનું સમસ્ત સર્જન, એક જ પરમ ચૈતન્યના જુદા જુદા સ્વરૂપો છે. માટે, સર્જનના એક એક પાસાં સાથે, સમસ્ત ચરાચર સાથે પ્રેમથી, આદરથી અને સેવાના મનોભાવ સાથે વ્યવહાર કરવો, આ ભારતની ભૂમિનો દ્રષ્ટિકોણ છે. આ જ ભારતનો સમસ્ત વિશ્વ માટે ઉત્ત્કૃષ્ટ સંદેશ છે.

સનાતન ધર્મ અનુસાર સૃષ્ટિ અને સૃષ્ટા બે નથી પણ એક જ છે. જેમ કે સોનાના આભૂષણોમાં સોનું અને સોનામાં સોનાના આભૂષણો! સૂર્યને જો પાણીના સો ઘડામાં પ્રતિબિંબિત કરવામાં આવે તો પણ સૂર્ય તો એક જ છે. આ જ પ્રમાણે, બધામાં એક જ સ્વ આત્મા છે. આ મનોભાવ સાથે જો આપણે જીવીએ, તો ત્યારે અન્ય લોકોની કદર કરવાનો મનોભાવ આપણમાં હશે. આપણો જમણો હાથ જો ઘાયલ થાય, તો ડાબો હાથ તરત તેની સંભાળ લેશે અને સાંત્વન આપશે. બધામાં આ મનોભાવ વિકસે, અન્યને સ્વયંની જેમ જોવા પ્રયત્ન કરીએ અને તદ્‌ અનુસાર સહુંને પ્રેમ કરી, સહુંની સેવા કરીએ.

આપમાંના ઘણા જાણે છે કે, “વિદ્યાભ્યાસ” શબ્દનો સાચો અર્થ આપણી અંદર જે છે, તેને બહાર લઈ આવવાનું છે. વિદ્યાભ્યાસ એ છે, જે વ્યક્તિની અંદર રહેલી અપ્રગટ પ્રતિભાને પ્રગટ કરે છે. આપણા બધામાં અનેક ક્ષમતાઓ છે. પણ સામાન્યતઃ આપણે આથી સભાન નથી હોતાં. એક મજૂર માથાંનો ઉપયોગ બોજ વહન કરી, આજીવિકા મેળવવા કરે છે. ત્યારે એક વિજ્ઞાની પોતાના માથાંનો ઉપયોગ ઉલ્લેખનીય શોધ કરવા, અવિષ્કાર કરવા કરે છે. આ જ પ્રમાણે, આપણા બધામાં અપ્રગટ અનંત શક્તિ રહેલી છે. એ તો આપણામાંના મોટાભાગના તેના અસ્તિત્વથી અજાણ છીએ.

અમ્માનને અહીં બાળપણનો એક પ્રસંગ યાદ આવે છે. બાળપણમાં અમ્માના માતુશ્રી દમયંતીઅમ્માએ થોડી મરઘીઓ પાળી હતી. આ મરઘીઓ ક્યારેક લાંબા સમય સુધી ઈંડા મૂકતી નહિ. તેઓ આળસું બની, ખૂણામાં જાણે તાવ આવ્યો હોય, તેમ બેઠી રહેતી. જો કોઈ તેમની નજીક જાય, તો તેમને દૂર ભગાડવા આ મરઘીઓ એક પ્રકારનો અવાજ કરતી. તેઓ ખાતી નહિ અને ખોરાક શોધવાનો પ્રયત્ન પણ કરતી નહિ. જો તેમને એમને એમ છોડી દેવામાં આવે તો છ છ મહિનાઓ સુધી તે ઈંડા આપતી નહિ. ક્યારેક ભૂખને લઈ તે મરી પણ જતી.

આ મરઘીઓ જો પાંચ દિવસ સુધી આમ રહે, તો દમયંતીઅમ્મા તેમને આ પ્રમાદમાંથી બહાર કાઢવા પાછોતરા જળપ્રવાહમાં ફેંકતી. આ મરઘીઓ તરત જ પાંખો ફફડાવતી કિનારે આવી જતી. મારી મા ત્રણ ચાર વાર આમ કરતી, ત્યારે આ મરઘીઓ તેમના સામાન્ય ભાવમાં પાછી આવી જતી અને ખોરાક શોધવા લાગતી. પંદર દિવસ થાય તે પહેલાં જ આ મરઘીઓ ઈંડા મૂકવા લાગતી. અહીં મરઘીમાં ઈંડા મૂકવાની જન્મજાત ક્ષમતા છે. પરંતુ પોતાના આળસના કારણે તે પોતાની આ ક્ષમતાને પ્રગટ કરવા અસમર્થ બને છે.

આ જ પ્રમાણે આપણા સહુંની અંદર રહેલી અપ્રગટ ક્ષમતાઓને જાગૃત કરવાની ક્ષમતા આપણામાં રહેલી છે.

શું આજની વિદ્યાભ્યાસ પદ્ધતિ એ રીતે પ્રગતિ કરી રહી છે, કે તે વિદ્યાર્થીઓમાં રહેલી તેમની જન્મજાત પ્રતિભાને, તેમની ક્ષમતાને જાગૃત કરી શકે? આ તે પ્રશ્ન છે, જેના પર આપણે સહુંએ મનોમંથન કરવું જોઈએ. આધુનિક વિદ્યાભ્યાસ પદ્ધતિની સહુંથી મોટામાં મોટી ક્ષતિ તેની અંધ સ્પર્ધા છે અને આમાંથી ઉદ્‌ભવતું અનુકરણ છે.

અમ્મા પાશ્ચાત રાજ્યમાં આવેલ એક યુનિવર્સિટીના પ્રોફેસરને જાણે છે. તેઓ ત્યાં સ્કોલરશીપ મંજૂરી અને આંતરરાષ્ટ્રિય વિદ્યાભ્યાસ પ્રોગ્રામ માટે જવાબદાર છે. તેમણે મને કહ્યું, “અમ્મા, ભારતથી સ્કોલરશીપ માટે તેમજ પી.એચડી પ્રવેશ માટે ઘણી અરજીઓ આવે છે. પરંતુ ૯૯% વિદ્યાર્થીઓ અરજી પત્રમાં એકની એક જ બાબત લખતા હોય છે. બધી અરજીઓ એક જેવી જ લાગે છે. જેવો હું તે વાંચવાનું શરૂ કરું, કે હું તે કચરા પેટીમાં ફેંકી દઉં છું.”

આપણા વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતાને પ્રેરિત કરવા આપણે આપણી વિદ્યાભ્યાસ પદ્ધતિને પુનર્‌ગઠિત કરવી જ રહી. એમાં કોઈ સંશય નથી કે, હાલની આપણી વિદ્યાભ્યાસ પદ્ધતિ આપણા બાળકોને નામ, ખ્યાતિ અને સંપત્તિ મેળવવા સહાય કરે પણ શું મનુષ્ય જીવન ફક્ત આ માટે જ છે? શું જીવનનો ઉદ્દેશ્ય ફક્ત ઘણા બધા પુસ્તકો વાંચવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી, ડીગ્રી મેળવવી, નોકરી મેળવવી અને સ્થિર આવક ઊભી કરવાનો જ છે? જીવન અને જીવવું, બંને એક જ બાબત નથી. જીવવા માટે આપણને નોકરી, પૈસા, ઘર, ગાડી અને અન્ય સુખ સુવિધાઓ જરૂરી હશે. પરંતુ, કેવળ આ જ જીવનને પૂર્ણ નથી કરતા. આ માટે આપણને પ્રેમ, કરુણા, કોમલતા— એવું હૃદય જે બીજાની વેદનાને સમજે અને પ્રતિભાવ આપે. વિચારમાં અને પ્રવૃત્તિમાં આપણને મનની વિશાળતા અને પક્‌વતા જરૂરી છે.

વિદ્યાભ્યાસે આપણી અંદર અને બહાર પ્રકાશ પાથરવો જોઈએ. આ સાથે વિદ્યાભ્યાસે વિવેક અને ચિંતન પણ સમાન રૂપે વિકસાવવા જોઈએ. જે રીતે તે બહારની દુનિયા જાણવા માટેની જીજ્ઞાસા જાગૃત કરે છે, તે જ પ્રમાણે આપણા આંતરિક જગતને જાણવાની તૃષ્ણા પણ જાગૃત થવી જોઈએ. વિદ્યાભ્યાસે આપણા બહારના ચક્ષુઓ ખુલા રાખવાની સાથે અંતરના ચક્ષુઓ પણ ખુલા રાખવાને શીખવવું જોઈએ. વિદ્યાભ્યાસે જાગરૂકતા સ્થાપિત કરી, વિદ્યાર્થીનું પોતાના રાષ્ટ્ર સાથેનું, વિશ્વ સાથેનું, પોતાના સહજનો સાથેનું, સૃષ્ટિના બધા જ જીવો સાથેનું, પ્રકૃતિ સાથેનું, ઈશ્વર સાથેનું બંધન વધું દ્રઢ કરવું જોઈએ.

આધુનિક વિદ્યાભ્યાસ પદ્ધતિ માનસિક તેમજ બૌદ્ધિક વિકાસ પર ભાર મૂકે છે. પરંતુ આ બંને ભૌતિક સ્તર પર રહેલા છે. માટે, સ્નાતક વિદ્યાર્થીઓ પરિશુદ્ધ ચૈતન્યના સ્તરથી પૂર્ણરૂપે અજ્ઞાત રહે છે. આ અજ્ઞાનતાને જો દૂર કરવામાં ન આવે, તો દુનિયા સાથે આપણે અસંવાદિતાથી રહેશું. પરિવારમાં જો પાંચ સભ્યો હોય અને દરેકને રાજા જ બનવું હોય, તો પછી ત્યાં યુદ્ધ જ હશે.

આપણે સ્વયંને જો ચાર ભાગમાં વિભાજીત કરીએ, તો શરીર-મન તંત્ર આપણે જે છીએ તેના ચોથા ભાગથી પણ ઓછા હશે. આપણે જે છીએ તે ૭૫%થી પણ વધું અજ્ઞાન અને અવિકસિતમાં તરબોળ છે. શારિરીક સ્વાસ્થ્ય અને બુદ્ધી શક્તિને જાળવવા કરતાં પણ ક્યાંય વધું આપણી આંતરિક શક્તિની સમજ જરૂરી છે, જે શરીર અને બુદ્ધીને પ્રાણશક્તિ પૂરે છે. બહારી સર્વકાંઈનો મૂળ આધાર તરીકે જે અસ્તિત્વ રાખે છે, તેની સમજણ આપણને જરૂરી છે.

આગળ વધતા, આપણા શૈક્ષણિક અભ્યાસક્રમમાં “વસુદૈવ કુટુંબકમ્‌(વિશ્વ એક પરિવાર છે)” એવા ભારતના ઉત્કૃષ્ટ સિદ્ધાંતને કંઈ નહિ તો થોડુંઘણું મહત્વ આપવું જ જોઈએ.

માનવતા જેમ જેમ આગળ વધે, આ એકતાની ભાવના આપણા વિચારો અને કાર્યોમાં થોડીઘણી પણ પ્રતિબિંબિત થવી જોઈએ. અન્યથા લાલચ ટોચ પર હશે અને માનવજાતિનું અસ્તિત્વ સુદ્ધા ખતરામાં હશે. પ્રકૃતિ માતા આ માટેની ચેતવણીઓ છેલ્લા કેટલાય વર્ષો થકી આપી રહી છે. ઈશ્વરની, પ્રકૃતિ માતાની આ ચેતવણીઓ જો આપણે ગણકારીએ નહિ, તો માનવજાતિ સ્વયંને પૃથ્વીના લુપ્ત જીવોમાં ગણાવવા લાગશે.

પાંચ લક્ષ્યો જે વિદ્યાભ્યાસ દ્વારા સિદ્ધ કરવા જોઈએઃ

૧. આજીવિકા મેળવવી. સંપત્તિ, સ્થાન અને સુખ આરામ માટે આવશ્યક જ્ઞાન અને ક્ષમતા પ્રાપ્ત કરવી.

૨. માનસિક અવસ્થા જાણવીઃ આપણા વિચારો અને ભાવનાઓને નિયંત્રણમાં રાખવા માટે આવશ્યક પરિપક્વતા પ્રાપ્ત કરવી. આ શારિરીક સ્વાસ્થ્ય અને પક્વતા જેટલું જ મહત્વનું છે.

૩. પોતાના ઘર અને પરિવારનું દેવું ચૂકવવું, આ સાથે પ્રકૃતિ માતાનું ઋણ ચૂકવવું કે જેણે આપણને ખોરાક, આશ્રય, સૂર્યપ્રકાશ, પર્વતો, જંગલો, નદીઓ, વૃક્ષો અને ફળથી અનુગ્રહિત કર્યા છે. આ કર્તવ્ય નિભાવવા માટેની તાલીમ પણ મળવી જોઈએ.

૪. ઈશ્વર અને પ્રકૃતિ માતા પ્રતિ કૃતજ્ઞતા, પ્રેમ અને આદરનો ભાવ રાખવા માટેની પ્રેરણા. તેમજ કૃતજ્ઞતાના આ ભાવમાંથી ઉત્પન સામાજીક કાર્યો તેમજ નિઃસ્વાર્થ સેવા કરવાની પ્રેરણા આપણને મળવી જોઈએ.

૫. સ્વઆત્માથી સ્વયંને સભાન કરવા અને આ બાબતને સમજવાની કે, “હું કોઈ જુદું અસ્તિત્વ નથી. પણ હું આ વિશ્વનો એક અંશ છું. જે રીતે કિનારે પહોંચતા મોજાંનું પાણી અને સમુદ્ર વચ્ચેનું પાણી એક જ છે, તે પ્રમાણે હું પણ આ સમસ્ત સર્જન સાથે એક છું.”

બહારી દુનિયા વિશે શીખવું, આ સેતુ જેવું છે. આ સેતુને પાર કરી, અંતરાત્માના પ્રકાશ તરફ પહોંચવાને આપણાથી થવું જોઈએ. વિદ્યાભ્યાસ તપસ છે. લક્ષ્યની પ્રાપ્તિ માટે આપણે આ તપસમાંથી પસાર થવાનું જ છે. માટે, સ્કૂલના વર્ષો ધ્યાનસ્થ ગાળો હોવો જોઈએ. અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓ જો આ આધારમાં દ્રઢ રહે, તો તેઓ ક્યારેય ઈર્ષા કે અદેખાઈ કે સ્પર્ધાત્મક ભાવનાના ભોગ નહિ બને. આથી વિપરીત, તેમના જીવન ઉત્સવ અને ઉલ્લાસની યાત્રા બની જશે. જ્યાં કેવળ પ્રેમ અને ભાઈચારો હશે અને મનુષ્ય, પ્રકૃતિ અને ઈશ્વર હાથમાં હાથ મેળવી આગળ વધશે.

કરોનાની આ મહામારી દરમ્યાન આ વિશ્વ ઘેરા એવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. પરંતુ આપણે આશા અને આશાવાદ છોડવા ન જોઈએ.

અમ્માને એક કહાની યાદ આવે છેઃ એક વખત ગોકળગાયોનું એક મોટું ટોળું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું હતું. પક્ષીઓનું એક જૂથ દક્ષિણ તરફ આવી રહ્યું હતું. તેમણે ગોકળગાયોને પૂછયું, “તમો બધા ક્યાં ચાલ્યાં?”

ગોકળગાયોનો મુખિયો બોલ્યો, “અમો ત્યાં ઉત્તર દિશામાં આવેલ જંગલ તરફ જઈ રહ્યાં છીએ.”

આ સાંભળતા પેલા પક્ષીઓ હસવા લાગ્યા. તેમણે કહ્યું, “આ કેવી બાલિશતા છે! અમો તે જ જંગલમાંથી પાછા આવી રહ્યાં છીએ. અત્યારે ત્યાં દુકાળ પડયો છે. બધા જ વૃક્ષો સૂકાય ગયા છે. એક લીલું પાન પણ શોધો તો ય મળશે નહિં!”

આ સાંભળી મુખિયા ગોકળગાયે જવાબ આપતા કહ્યું, “કંઈ વાંધો નહિ. અમો ત્યાં પહોંચશું, ત્યાં સુધીમાં તો ઘણા પાન ફરી ઉગી નીકળ્યા હશે.”

ઉપરની કહાનીની ગોકળગાયોની જેમ જીવનમાં કઠણાઈઓ આવે તો પણ આગળ વધવા માટે આવશ્યક આશાવાદ અને આત્મ-વિશ્વાસ આપણામાં હશે તો બધા જ અવરોધો આપણે પાર કરી શકીશું. આત્મ-વિશ્વાસ બૂસ્ટર રોકેટ જેવો છે, જે આપણી સીમિતતાના ગુરુત્વાકર્ષણની પકડમાંથી મુક્ત થવા આવશ્યક છે.

જે રીતે સૂર્યને પોતાનો માર્ગ પ્રકાશિત કરવા મીણબત્તીની જરૂર નથી, એ જ પ્રમાણે ઈશ્વરને પણ આપણી પાસેથી કશાની જરૂર નથી. ગરીબ તેમજ જરૂરતમંદ લોકોમાં ઈશ્વરના દર્શન કરી, તેમના પ્રતિ કરુણાશીલ રહેવું, આ આપણને ઈશ્વરકૃપાને પાત્ર બનાવશે.

એક ગામમાં ગામ મધ્યે હાથ પસારેલા એક મહાન મહાત્માની બહુ જ સુંદર પ્રતિમા હતી. આ પ્રતિમાની નીચે એક તખ્તીમાં લખેલું હતું, “મારી ભુજાઓમાં આવો!”

સમયજતાં આ પ્રતિમાની ભુજાઓ તુટીને પડી ગઈ. ગ્રામવાસીઓ પ્રતિમાનું ભાવિ નક્કિ કરવા ભેગા થયા. કોઈ કહે પ્રતિમાને ત્યાંથી કાઢી નવી પ્રતિમા સ્થાપવાની. અન્યે વિરોધ કરતા કહ્યું, આ પ્રતિમાને નવી ભુજાઓ બેસાડવાની. આ સમયે એક વૃદ્ધ આગળ આવ્યા અને કહ્યું, “નહિ, નવી ભૂજાઓ બનાવવાની ચિંતા કરશો નહિ. તેને ભુજાઓ વિના જ રહેવા દો.”

ગ્રામવાસીઓ વિચારમાં પડી ગયા, “તો પછી નીચે લખેલ તખ્તીનું શું? તે કહે છે, “મારી ભુજાઓમાં આવો!”

વૃદ્ધે જવાબ આપતા કહ્યું, “એમાં કંઈ વાંધો નથી. “મારી ભુજાઓમાં આવો,” નીચે તમારે એટલું જ ઉમેરવાનું કે, “આપની ભુજાઓ સિવાય મારે અન્ય કોઈ ભુજાઓ નથી!”

ઈશ્વર આપણા હાથો થકી, આપણી આંખો થકી, અને આપણા કાનો થકી કાર્ય કરે છે. આપણે ઈશ્વરના હાથોના ઉત્તમ ઉપકરણ બનીએ, જેથી તે દિવ્ય શક્તિ આપણા થકી વહે. આપણે જો ચાહીએ કે, આપણાં કર્મ ધાર્યું ફળ લાવે, તો આ માટે ત્રણ ઘટક જરૂરી છે આ છેઃ સમય, સ્વ-પ્રયત્ન અને ઈશ્વર કૃપા.

દા.ત. આપણને કોઈ મહત્વના પ્રસંગમાં ભાગ લેવા દૂર દેશની યાત્રા કરવાની હોય, ત્યારે આપણે સવારે વહેલા ઊઠી જશું, તૈયાર થઈ કારમાં એરપોર્ટ માટે નીકળી જશું. એમ પણ બને કે, રસ્તામાં કાર બ્રેકડાઉન થાય અથવા કોઈ નાનો અકસ્માત થાય, આથી સમયસર એરપોર્ટ પહોંચવાને વિલંબ થાય. એમ પણ બને કે એર પોર્ટ પહોંચતા જાણવા મળે કે, કોઈ યાંત્રિક સમસ્યાને કારણે અથવા હવામાન ખરાબ હોવાથી ફલાઈટ કેંસલ થઈ છે.

અહીં આપણે આપણા તરફથી શક્ય બધો જ પ્રયત્ન કરીએ છીએ. પરંતુ, કૃપા ઘટકનો અભાવ હોવાથી આપણે આપણા મુકામ પર પહોંચી શક્યા નહિ. આપણા બધા જ કાર્યોને પૂર્ણ કરવા આપણને ઈશ્વરકૃપા જરૂરી છે. આ કૃપા પ્રાપ્ત કરવા આપણે સત્‌ કર્મ કરવા જરૂરી છે.

આ કૃપાને પાત્ર થવા ચાલો આપણે જાગૃત થઈએ. પરમાત્મા આપણને સહુંને અનુગ્રહિત કરે.


                                         ૐ ॥ લોકાઃસમસ્તાઃ સુખીનો ભવન્તુ॥