આજે આપણા બાળકો વિવિધ વિષયોનું અત્યાધિક જ્ઞાન ધરાવનારા છે. પરંતુ, આધ્યાત્મિક્તા વિનાનું તેમનું જ્ઞાન, એ તો પાયા વિનાની ઈમારત જેવું છે. આજે સ્કૂલ કૉલેજ રણભૂમિ જેવા છે. યુદ્ધમાં દેખાતી કાપાકાપી આજે વિદ્યાલયોમાં જોવા મળે છે. તે પછી રાષ્ટ્રિયતાના નામે હોય કે અન્ય કોઈ કારણે.

અમ્મા રાષ્ટ્રિયતાનો ઈન્કાર નથી કરતા. દરેકને પોતપોતાનું સ્થાન છે. ત્યાં તે જ શક્ય છે. વિદ્યાલયોમાં વિદ્યાભ્યાસને વધુ મહત્વ આપી, અભ્યાસ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. આ સાથે સંસ્કાર વિકસાવવા માટેનો પ્રયત્ન પણ કરવો જોઈએ. આજે કેમ પણ કરીને સર્ટીફિકેટ મેળવવું, એ જ એક મહત્વનું છે. આથી અતિરિકત, વિદ્યાભ્યાસ દ્વારા સંસ્કાર પ્રાપ્ત કરવા માટે, નથી વિદ્યાર્થીઓને કોઈ રસ કે, તે માટે તેમનામાં પ્રોત્સાહન પૂરવા માટે અધ્યાપકોને પણ કોઈ રસ કે ઇચ્છા નથી. શા માટે તેઓ અભ્યાસ કરી રહ્યાં છે, તેનો બોધ સુદદ આજના બાળકોને નથી. આ કારણસર, બાળકોમાં યોગ્ય જ્ઞાન કે સંસ્કાર જોવા નથી મળતા. વિદ્યાલયોમાં અધ્યાપકો પ્રત્યે જે માન આદર દાખવવા જોઈએ, તેનું પાલન પણ આજના વિદ્યાર્થીઓ કરતા નથી. માટે, અધ્યાપકો આજે યંત્ર જેવા અને બાળકો, ભીંત જેવા બની ગયા છે. ત્યાં હૃદયથી હૃદયનો વાર્તાલાપ નથી. બાળકોને આવશ્યક એક્તાનો બોધ, તેમનામાં જાગૃત નથી થયો. તેઓ શા માટે વિદ્યાલયમાં જાય છે, તે ભુલી તેઓ અન્ય કશામાં પરિવર્તિત થઈ રહ્યાં છે. આજે આપણો વિદ્યાભ્યાસ, વસ્ત્રને અનુરૂપ થવા શરીરને કાપવા જેવો છે. ચપ્પલ ખાતર પગ કાપવા જેવું છે. આજે વિદ્યાભ્યાસ સમાપ્ત કરીને ચાલનારા કમ્પ્યુટર જેવા બની ગયા છે. આ તો શબને મેક-અપ કરવા જેવું છે. ત્યાં હૃદય નાશ પામ્યા છે.

આજે આપણે જીવવા ખાતર વ્યવસાય કરવાને બદલે વ્યવસાય ખાતર જીવિએ છીએ; બધી દ્ર્શ્ટિએ જીવન આજે યાંત્રિક બની રહ્યું છે.આ કહેતા અમ્માને એક કહાની યાદ આવે છે. એક વખત એક ભાઈ પોતાના એક મિત્રને મળવા જાય છે. તે સમયે તેનો મિત્ર પોતાના બગીચામાં પાણી પાઈ રહ્યો હતો. પાણીની નળી લઈ તે એક છોડવા પાસે જઈને ઊભો રહેતો. થોડીવાર પછી તે બીજા છોડવા પાસે જઈને ઊભો રહેતો. પરંતુ, પાણીની નળીમાંથી પાણી પડતું દેખાતું ન હતું. આ જોઈ મિત્રે પૂછયું, “આ તું શું કરી રહ્યો છે? પાણી વિના તું કેવી રીતે છોડવાઓને પાણી પાઈ શકે? તે પાણીની નળીમાં કાણું તો નથી ને!”

આ સાંભળતા મિત્રે કહ્યું, “તું તે છોડવાઓને ધ્યાન દઈને જો.” ત્યારે તે મિત્રે જોયું કે, ત્યાં જે બધા છોડવાઓ હતા, તે બધા જ પ્લાસ્ટિકના છોડવાઓ હતા. આજે આપણી સ્થતિ પણ આવી જ છે. બાળકો, આજે આપણે જેનું સર્જન કરી રહ્યાં છીએ, તે પ્લાસ્ટિકના છોડવાના બગીચા છે. ત્યાં જીવનનો ધબકારો નથી, જીવનની સુવાસ નથી, જીવન જે સૌંદર્યને સ્પંદિત કરે છે, તે સૌંદર્ય નથી. આપણે યંત્રોનો ઉપયોગ કરીએ તેમાં કંઈ જ ખોટું નથી. પરંતુ આપણા જીવન યાંત્રિક ન બનવા જોઈએ. આજે આપણા હૃદય ભાંગી રહ્યાં છે. હૃદયની ભાષા આપણે ભુલી રહ્યાં છીએ. કેવળ યંત્રની જેમ આપણે ચાલી રહ્યાં છીએ.

(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)

આજે બાળકો અને યુવાનો, પાશ્ચાત્ય સંસ્કારનું અનુકરણ કરતા જોવા મળે છે. જે આપણામાં નથી એવા કેટલાક સારા ગુણો તેમનામાં જોયા હશે. પરંતુ, આપણા મૂલ્યો અને સંસ્કારને પૂર્ણરૂપે ભુલી, પાશ્ચાત્ય રીતોનું અંધ અનુકરણ આજે જે જોવા મળે છે, તે તો પ્લાસ્ટિકના એપલમાં બચકું ભરવા જેવું છે. શિવ બ્રહ્માનો વેશ ધારણ કરે, તેના જેવું છે. આથી આપણું યથાર્થ વ્યક્તિત્વ નાશ પામે છે. માટે, જે સંસ્કારમાં આપણો ઉછેર થયો છે, તેમાં પાછા ફરવા પ્રયત્ન કરવો જોઈએ. આ માટે, બાળકોમાં નાની ઉંમરે તે સંસ્કાર દ્રઢ કરવા પ્રત્યે માતાઓએ ખાસ ધ્યાન આપવું જોઈએ. હજુય મોડું થયું નથી. વડીલોએ આપણા સંસ્કારને સમજી, ભાવિ પેઢીમાં તે વિકસાવવા જોઈએ. આજે ઘણા માતાપિતાઓ પોતાના બાળકોને શું કહે છે? બાળકોને કહેશે કે, તારે સારી રીતે ભણી ગણીને ડૉકટર બનવાનું, ઈંજીનિયર બનવાનું અથવા કલેક્ટર બનવાનું, તેમને દેવાને ફક્ત આ જ એક ઉપદેશ હોય છે. અમ્મા એમ નથી કહેતા કે, આમ ન કરવું જોઈએ અથવા આમ કરવું ખોટું છે. અમ્મા તો ફક્ત એટલું જ કહેવા માગે છે કે, આ સાથે માનવીય મૂલ્યોનો ઉદ્ધાર કરે એવા માર્ગો પણ જીવી બતાવવા જોઈએ.

નાના બાળકોના મન તાજી સિમેંટ કરેલી ફરશ જેવા હોય છે. તેમાં પડેલાં તાજા પગલાના નિશાન કયારેય ભૂસાતા નથી. તે ત્યાં જ મુદ્રિત હશે. આ જ કારણસર, નાનપણમાં જ બાળકોમાં સારાં સંસ્કાર વિકસાવવા આપણે પ્રયત્ન કરવો જોઈએ. જે સંસ્કાર તેમનામાં સર્વપ્રથમ કેળવવામાં આવે છે, તે તેમના જીવનના પાયાના પથ્થર છે. આપણને બધાને આપણા બાળકો ભણીગણીને હોંશિયાર થાય, પુષ્કળ ધન કમાય, તેમને સુખેથી જીવતા જોવાનો આગ્રહ હોય છે. પરંતુ, આધ્યાત્મિક સંસ્કાર જો નહિ હોય, તો પછી ભલે ગમે તેટલી વિદ્યા પ્રાપ્ત કરે, કોઈ પણ પદવી પ્રાપ્ત કરે, ગમે તેટલો પૈસો ભેગો કરે, છતાં એ જરૂરી નથી કે માતાપિતા કે સમાજને આથી શાંતિ અને સમાધાન મળે.. આ બધું હાંસલ કરવાના અવસરો આપ્યા હોવા છતાં, આજે બાળકોની અનિયંત્રિત જીવન રીતને જોઈ આંસુ પીતા અનેક પરિવારો અમ્માએ જોયા છે. માટે, સર્વકાંઈનો આધાર, સારા સંસ્કાર છે. આ જ તે બહુમૂલ્ય અનશ્વર નિધિ છે, જે માતાપિતાએ તેમના બાળકોને વારસામાં આપવી જોઈએ. સંસ્કાર, પુસ્તકો દ્વારા કે સ્કૂલમાંથી કેળવી શકાય નહિ. આ માટે, સર્વપ્રથમ આપણા જીવન સંસ્કાર સંપન્ન હોવા જોઈએ. આપણામાં પરિવર્તન લાવ્યા સિવાય ભાવિ પેઢીમાં પરિવર્તન લાવવું શક્ય નથી. આજે આપણે સોનું આપી કથીર ભેગું કરીએ છીએ. આ ધરતીના આત્મયસંસ્કાર ખોયા વિના પણ સંપત્તિ મેળવી શકાય. આધ્યાત્મિકતા અને ભૌતિક્તા પરસ્પર એકબીજાની વિરૂદ્ધ નથી. તે એક માટે બીજાનો ત્યાગ કરવાનો પણ નથી.

(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)

આપણે કોઈ એકાંકી દ્વીપ નથી. આપણે તો એક સાંકળમાંની કડીઓ છીએ. આપણા એક એક કર્મથી અન્ય લોકો પ્રભાવિત થતા હોય છે. આ દુનિયામાં બનેલા બધા જ યુદ્ધો, કોઈ એક મનુષ્યની અંદર જન્મેલા વિદ્વેષનું ફળ હતા. એક વ્યક્તિના વિચાર, તેની પ્રવૃત્તિએ કેટ કેટલા લોકોનો નાશ કર્યો! હીટલર એક વ્યક્તિ હતો. પરંતુ, તેના કર્મોથી કેટલા લોકો પ્રભાવિત થયા હતા. આપણા વિચારોથી અન્ય લોકો અને અન્ય લોકોના વિચારોથી આપણે પ્રભાવિત થઈએ છીએ. આ જાણ્યા પછી, હંમેશા સારા વિચારો જ ગ્રહણ કરવા આપણે પ્રયત્ન કરવો જોઈએ. “તેઓ જો બદલાય નહિ, તો હું પણ નહિ બદલું,” એવા વિચાર ન કરતા, તેઓ બદલે કે નહિ, આપણે બદલવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ત્યારે ચોક્કસ પરિવર્તન આવશે. આધ્યાત્મિકતા આપણને આ જ તો શીખવે છે.

અમ્માએ કહ્યું, આજનો દિવસ તો ત્યાગનો દિવસ છે.ત્યાગ દ્વારા જ આપણા સંસ્કારનો ઉદ્ધાર થઈ શકે. આ દિવસ તો ઋષિઓએ આપણને પ્રદાન કરેલ સંસ્કારને આપણામાં જાગૃત કરવાનું સ્મરણ કરાવતો દિવસ છે. આ દિવસ કોઈ બહારી આડંબર કે ઉજવણી માટેનો નથી. વ્યક્તિબોધનો ત્યાગ કરી, જયારે સદ્કર્મોમાં ડૂબી, તેમાં આનંદ અનુભવિએ, ત્યારે જીવન ઉત્સવમાં પરિવર્તિત થાય છે. આનંદ અને સંસ્કાર એક થવા જોઈએ. તે જ જીવનને ઉત્સવમાં પરિવર્તિત કરે છે.

સંસ્કાર સાથેનો આનંદ, નાના બાળકના હાસ્ય જેવું – નિષ્કલંક હાસ્ય છે. તે આપણને ઈશ્વર તરફ ઉપર ઊઠાવે છે. પણ સંસ્કાર વિનાનો આનંદ અને કર્મ, આપણને પશુતામાં જ ઉતારે છે.

આજે આપણે જાણીએ છીએ કે, વિશ્વમાં બધી જ રીતે સંસ્કારનો નાશ થઈ રહ્યો છે. તે પછી રાજનીતી હોય, વિદ્યાભ્યાસ હોય કે કૌટુંબિક જીવન હોય, સંસ્કારનો નાશ થઈ રહ્યો છે. આધ્યાત્મિકતામાં સ્થિર રહી ગ્રહણ કરેલી શક્તિ દ્વારા જ આ સંસ્કરનો ઉદ્ધાર કરી શકાય. આધ્યાત્મિકતા આપણા જીવનમાં શક્તિ પસારતું વિજ્ઞાન છે. આધ્યાત્મિકતા તે કળા છે, જે આપણા જીવનને સૌંદર્ય અર્પિત કરે છે.

(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)

બાળકો, આસપાસ નજર કરી જૂઓ. પરિસ્થતિનું વિશ્વ્લેષણ કરો. આજે સંસારની શું સ્તિથિ છે, તે સમજો. સંસારમાં આજે લોકો કેટ કેટલા પ્રકારના કષ્ટ સહન કરી રહ્યાં છે. આપણે તેમના જીવનને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.

એક વર્ષ પહેલાં બનેલી એક ઘટના અમ્માને અહીં યાદ આવે છે. મુંબઈની એક દીકરીએ અમ્માને આ બનાવ વિષે કહ્યું હતું. મુંબઈમાં એક જગ્યા પર એક માણસને ડાયાબિટીસની બીમારી હતી. તેમને પગમાં એકવાર ઘાવ થયો. ઘાવમાં ચેપ લાગતા, તે મોટો વ્રણ થયો. ડૉકટરને બતાવ્યું. ડૉકટરનું કહેવું હતું કે, “પગ કાપવો પડશે. અન્યથા ચેપ જો શરીરના ઉપરના ભાગમાં પ્રસરશે તો તે ખતરનાક હશે.” તેને બહુ દુઃખ થયું. ફક્ત પગ ખોવાનું દુઃખ નહિ, પરંતુ ઑપરેશન માટે રૂા.દસ પંદર હજારની જરૂર હતી. તેને કોઈ સ્થિર આવક હતી નહિ. જે કંઈ મળતું, તેનાથી મુશ્કેલીથી પરિવારનું ગુજરાન ચલાવતો. પગની બીમારી થતા, પહેલાંની જેમ તે કામ પર પણ જઈ શકતો ન હતો. ડૉકટરે કહેલી દવા ખરીદવા જેટલી રકમ પણ ન હોવાથી તે બહુ જ દુઃખી હતો. આવી સ્થતિમાં કોઈ કેવી રીતે ઑપરેશન માટે રકમ કાઢી શકે? એક દિવસ તે ગરીબ, રેલ્વેના પાટા પાસે જઈને બેસી ગયો. ટ્રેનનો આવવાનો સમય થતા, તેણે પોતાનો જખમી પગ પાટા પર આડો મૂકી દીધો. ટ્રેન આવી અને તેનો પગ કાપી નાખ્યો. પરંતુ, અત્યાધિક લોહી વહેવાથી તે મૃત્યુના દ્વાર પર પહોંચ્યો. લોકો તેને ઉંચકી હોસ્પિટલમાં લઈ ગયા. બનેલી ઘટના વિષે જયારે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું, “પગનું ઑપરેશન કરાવવા મારી પાસે પૈસા નથી. પગને કાપવામાં ન આવે તો આ બીમારીના કારણે જીવવું કઠિન હતું. ઑપરેશન માટે આવશ્યક રકમ ન હોવાથી, મારી સામે બીજો કોઈ ઉપાય ન હતો. માટે મારે આમ કરવું પડયું હતું.”

બાળકો, તે જીવન પર નજર કરી જૂઓ. આજે આપણી પાસે હોસ્પિટલો છે. બધાને મફત સારવાર તો આપી શકાય નહિ. તેમ છતાં, કેટલાક ગરીબોને આપણે મફત ઑપરેશન કરી આપીએ છીએ. પરંતુ, હોસ્પિટલોમાંથી સારવાર મેળવી, તેઓ જયારે પાછા ફરે છે, ત્યારે તેમને ઘણી દવાઓ લેવાની હોય છે. તે ખરીદવા માટે ઘણા લોકો પાસે પૈસા નથી હોતા. ઑપરેશન પછી તેમને અમુક દિવસો સુધી આરામ લેવાનો હોય છે. આમ તેઓ કામપર પણ નથી જઈ શકતા. તે પરિવારને ભૂખમરો સહન કરવો પડે છે. આજે આ બધું આપણે જોઈએ છીએ.

આજુબાજુ નજર કરો, તમને જોવા મળશે કે આ પ્રમાણે કષ્ટ અનુભવતા, દુઃખ અનુભવતા અસંખ્ય પરિવારો છે. એક ટંક પેટભરીને ખાવાને પણ તેમને નથી મળતું. આવા સમયે આડંબરમાં કે અન્ય અનાવશ્યક કાર્યો પાછળ જે ખર્ચ કરો, ત્યારે આ યાદ રાખશો. તે રકમથી કોઈ ગરીબ દવા ખરીદી શકે. કોઈ ગરીબ પરિવાર એક ટંક ખોરાક મેળવી શકે. કોઈ ગરીબ વિદ્યાર્થીને વિદ્યાભ્યાસ માટે સહાય કરી, તેનું ભવિષ્ય ઉજવળ બનાવી શકો.
આ મનોભાવ – પરસ્પર એકબીજાને પ્રેમ કરવો, એકબીજાને સહાય કરવી, એકબીજાની સેવા કરવી – આ મનોભાવ આજે આપણે આધ્યામિકતામાં કેળવવાનો છે.

(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)

આજે વિજ્ઞાન અને ધર્મ, બંનેને જુદા કરવામાં આવેલ છે. અને આ જ આજે સમૂહમાં દેખાતા ઘણાખરા સંઘર્ષો પાછળનું મુખ્ય કારણ છે. વાસ્તવમાં, વિજ્ઞાન અને ધર્મ, બંનેએ હાથમાં હાથ પરોવીને આગળ વધવાનું છે. આધ્યાત્મિકતા વિનાનું વિજ્ઞાન અને વિજ્ઞાન વિનાની આધ્યાત્મિકતા, પૂર્ણ ન થઈ શકે.

પરંતુ દુર્ભાગ્યવશ, આજે આપણો સમાજ, મનુષ્યને ધર્મમાં આસ્થા રાખનારા અને વિજ્ઞાનમાં આસ્થા રાખનારા, એમ બે વિભાગોમાં વિભાજીત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વિજ્ઞાનના સમર્થકો કહેશે, ધર્મ અને આધ્યાત્મિકમાં જે અધિષ્ઠત છે, તે તો અંધતા છે. તેઓ એમ કહીને તર્ક કરશે કે, વિજ્ઞાન વાસ્તવિક્તા છે. તે પરીક્ષણો દ્વારા પૂરવાર કરેલી હકીકત છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, તમે કોના પક્ષમાં છો? વિશ્વાસ તરફ કે પછી પરીક્ષણો દ્વારા સિદ્ધ કરેલી હકીકત તરફ?

એમ કહેવું ખોટું છે કે, ધર્મ અને આધ્યાત્મિકતા અંધવિશ્વાસ છે, કારણ કે પરીક્ષણો દ્વારા તે પૂરવાર નથી થયા. વાસ્તવમાં, આધુનિક વિજ્ઞાનીઓ કરતાં પણ કયાંય ઊંડાણમાં આધ્યત્મિક આચાર્યોએ સંશોધન કર્યું છે. પરંતુ, આધુનિક વિજ્ઞાનીઓએ બહારી દુનિયામાં પરીક્ષણો કર્યા હતા, જયારે, ઋષિઓએ મનની પ્રયોગશાળામાં સંશોધન કર્યું હતું. આ દ્ર્ષ્ટિએ જોઈએ તો, તેઓ પણ વિજ્ઞાની જ હતા. વાસ્તવમાં ધર્મનો સાચો આધાર વિશ્વાસ નથી, શ્રદ્ધા છે. શ્રદ્ધા જ સંશોધન છે. સ્વયંની અંદર સતત કરેલું સંશોધન છે.

દેખાતા એવા આ વિશ્વની પ્રકૃતિ શું છે? તે કેવી રીતે આટલી પૂર્ણ સંવાદિતા સાથે કાર્ય કરે છે? તેનો ઉદ્ભવ કયાં થયો? તે કયાં જઈ રહ્યો છે? તે કયાં જઈને મળશે? હું કોણ છું? આ હતું તેમનું સંશોધન. આ પ્રકારના પ્રશ્નો કોણ કરશે, એક ધર્મવિશ્વાસી કે એક વિજ્ઞાની? વાસ્તવમાં, બંનેના આ પ્રશ્નો હોય છે.

ઋષિઓ ઉત્કૃષ્ટ વિચારકો હતા. આ ઉપરાંત તેઓ સત્યદર્શી પણ હતા. વિચારકો તો સમાજની નિધિ છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ, ફકત વિચાર કે વચન માત્ર જ પૂરતા નથી. તેમનામાં પ્રાણ વાયુનો સંચાર કરી, જીવનને સુંદર બનાવી, વચનો અને વિચારોને જીવંત કરી, તેઓ તેમાં પરિવર્તન લાવનારા હતા.

આપણા વચનો અને વિચારોને જો ચૈતન્યઘન કરવા માગતા હો, તો તેને આપણા જીવનમાં ઉતારવા જોઈએ. આ લક્ષ્યને સિદ્ધ કરવા, ધર્મ અને આધુનિક વિજ્ઞાનના સમન્વયથી આગળ વધી શકે એવા માર્ગો આપણે શોધવા જોઈએ. આ સંવાદિતા ફક્ત બહારી દેખાવ પૂરતી જ ન હોવી જોઈએ. સમાજનું હીત કરતા ધર્મ અને વિજ્ઞાનના વિવિધ પાસાંને સમજી, તેને ગ્રહણ કરવાનો દ્રઢ પ્રયત્ન પણ જરૂરી છે.

કેવળ વૈજ્ઞાનિક બુદ્ધિ હોય અને કરુણા ન હોય. ત્યારે, મન કેવળ આક્રમણ કરવાને, સ્વાધીન કરવાને અને શોષણ કરવાને જ પ્રેરાય છે. પરંતુ, આ વૈજ્ઞાનિક બુદ્ધિ અને ધર્મના અંતસ્થમાં રહેલી આધ્યાત્મિકતા, સાથે મળે ત્યારે બધા જ જીવો પ્રતિ અનુકંપા અને સહાનુભૂતિ સહજ જ પ્રકટ થાય છે.

ધર્મ અને આધ્યાત્મિકતા, એ તો મનુષ્ય હૃદયને ખોલવાની, કરુણાસભર દ્ર્ષ્ટિ બધાને જોવા માટેની કૂંચી છે . પરંતુ, સ્વાર્થમાં અંધ બનેલા મનુષ્યના મન અને દ્ર્ષ્ટિએ, જોવાની તેમજ સમજવાની ક્ષમતા ગુમાવી છે. આપણી દ્ર્ષ્ટિ વિકૃત બની છે. જે કૂંચી હૃદય ખુલ્લા કરવા માટે હતી, તે જ કૂંચીથી આપણે હૃદયને બંધ કરી દીધા છે. આજનો આ મનોભાવ કેવળ વધુ ને વધુ અંધકારનું સર્જન કરવાને જ સહાય કરે છે.

આપણા વિશ્વના ઈતિહાસમાં પ્રતિકાર, વિદ્વેષ અને ધિક્કારની કહાણીઓ જ અધિક છે. બધાને કાપી કૂટિ, પોતાને આધીન કરી, પોતાના પગ નીચે લઈ આવવાના મનુષ્ય-મનના અતિમોહ ખાતર જે લોહીની નદીઓ વહી છે, તે હજુ ય સૂકાઈ નથી. માનવજાતિના કૃત્યો એટલા ક્રૂર હતા કે, તેમના ભૂતકાળમાં નજર કરીએ તો દેખાશે કે ત્યાં સહેજેય અનુકંપા ન હતી.

ઈતિહાસના વિતી ગયેલા દિવસોમાંથી આપણે પાઠ લેવાનો છે. પણ તેમાં જીવવું ન જોઈએ. ભૂતકાળના તે અંધારા સંકુચિત માર્ગોમાંથી શાંતિ, સમાધાન અને એકતાના પ્રકાશમાં આવવા આપણે પ્રયત્ન કરવો જોઈએ. આ માટેનો એક નવો માર્ગ છે, વિજ્ઞાન અને આધ્યાત્મિક્તાનો સમન્વય.

(તા.૧૨ ઑકટોબર, ૨૦૦૭ લા બેસ્ટીલે, પેરીસમાં “સિને વેરિટી” પુરસ્કાર સ્વીકારતી વખતે
અમ્માએ કરેલા ઉદ્બોધનમાંથી આધારિત
)