ગઈકાલે ભાવદર્શન હોવાથી, લોકોની ભારે ભીડ હતી. બપોરનું ભોજન પિરસવા, એક બ્રહ્મચારીએ તેની કુટીરમાં, તેની સાથે રહેતા એક અન્ય બ્રહ્મચારીને મદદ કરવા માટે બોલાવ્યો. પણ તે બ્રહ્મચારી ધ્યાન કરતો હતો, માટે તે મદદ કરવા આવ્યો નહિ. આ વાત અમ્માને પહોંચી. આની જાણ થતાં, પેલો બ્રહ્મચારી આજ સવારથી અમ્માથી મોં છીપાવતો ફરતો હતો. અત્યારે તે અમ્માની પાછળ જ બેઠો હતો. અચાનક અમ્માએ પાછું ફરી તે બ્રહ્મચારી તરફ નજર કરી. અમ્માનું મુખ જોવાને અસમર્થ તે બ્રહ્મચારી માથું નીચું કરી બેઠો હતો. બ્રહ્મચારીના મનના વિચારથી પરિચિત, અમ્માએ કહ્યું,

અમ્મા : “બાળકો, તમે જાણો છો, તમારી પાસેથી અમ્માને શું શું અપેક્ષાઓ છે? તમારે તો સૂરજ જેવા બનવાનું છે. તમારે કોઈ આગીયા જેવું નથી બનવાનું. આગીયા તો ફક્ત પોતાની આવશ્યકતા માટે પ્રકાશ આપે છે. તમે એવા બનશો નહિ. તમારે તો ફક્ત નિઃસ્વાર્થતા માટે જ ઇચ્છા કરવી જોઈએ. મૃત્યુની ઘડીમાં પણ, તમે બીજાને સહાય કરવા હાથ લંબાવી શકો એવા બનવાનું છે.

“બાળકો, હંમેશા આ વાતની કાળજી રાખવી જોઈએ કે, તમે જે કાર્ય કરો તે અન્યની સહાય માટે, તેમને સંતોષ આપવા ખાતર હોવું જોઈએ. તે જો શક્ય ન હોય, તો ઓછામાં ઓછું આ બાબતની તો ચોકસાઈ રાખવી જ જોઈએ કે આપણા કાર્યથી બીજાને કોઈ અસુવિધા કે દુઃખ ન થાય. વિચાર, વચન કે કાર્યોથી કોઈને હાની ન પહોંચે, પણ હંમેશા તે અન્ય માટે હિતકારક રહે, આ પ્રકારની પ્રાર્થના જ યથાર્થ પ્રાર્થના છે. આપણી પ્રગતિ કરતાં, બીજાની પ્રગતિ માટે પ્રાર્થના કરવાની ક્ષમતા આપણામાં હોવી જોઈએ. આ પ્રકારનું મન પ્રાપ્ત કરવું, એ જ મારાં બાળકો, આપણી સૌથી મહાન પ્રાપ્તિ છે. અન્યના દુઃખમાં દુઃખી અને અન્યના સુખમાં સુખી, આ જ યથાર્થ ઈશ્વર આરાધના છે. તેઓ
અન્યમાં સ્વયંને જુએ છે. શાંતિ અને સમાધાનયુક્ત જગત તેમના માટે જ તો છે.”

કાદીનૂ કાદાય, મનસ્સિન્ન મનસાઈ,
કન્નીનૂ કાણાય, વિલસુનોર્‌મ્મે….
કાનોના કાન, મનનું રે મન
નયનોના નયન બની, વિલસો તમો મા
પ્રાણોના પ્રાણ તમે એક અમ્મા જીવનનું જીવન તું ને તું મા
આત્માના આત્મા, સમુદ્રના મોજાં જેમ
વિદ્યામૃતના અમૃત તમો હો અમ્મા
અમૃત તણા મોતિ આનંદના સત્વ
તમો જ મહામાયા બ્રહ્મ તમે જ છો
નયનો ન દેખે, મન ના ગ્રહણ કરે
શબ્દો બને મૂક તારી સામે ઓ અમ્મા
જોયાં છતાં જોયા ના તને અમમા
બુદ્ધિથી પર, મા તું મહેશ્વરી
સૂર્ય, ચંદ્ર ને તારાઓ, સ્વયં ન પ્રકાશે
તારાં તેજસમાં સર્વ પ્રકાશ પામે
વીર જ એક, વિવેક દ્વારા તે
પરમ તત્વના માર્ગે ગમન કરે……. કાનોના કાન

ભજન પૂરા થયા. બધાએ થોડો સમય ધ્યાન કર્યું. એટલામાં રાત્રિના
ભોજનનો સમય થઈ ગયો. અમ્માની આંગળીઓ નીચે, તંબૂરાના તારનો મીઠો
ધ્વનિ, હજુ પણ બધાના મનમાં આનંદ પાથરતો ગુંજતો હતો.

અનંત આનંદ તરફના માર્ગ પર,
પરમ સત્યના પથ પર
વિવેક મહીં, એક ધીર જ આગળ વધી શકે!

શું એક ધીર જ કૈવલ્ય ધામને પ્રાપ્ત કરી શકે? હે અમ્મા, કાગડાઓ હંસનું અનુકરણ કરી ઊડવાનો પ્રયત્ન કરે, તેવો વ્યર્થ જશે શું અધ્યાત્મનો અમારો આ પ્રયત્ન? અંતરમાંથી અમ્માના સુનિશ્ચિત સ્વરે સાંત્વના પ્રદાન કરી, “બાળકો, શું અમ્મા તમારી સાથે નથી….?”