એક બ્રહ્મચારીએ  પૂછયું : “અમ્મા, શું કોઈ પણ ભૂલ માટે શિક્ષા અનુભવવાની જ હોય છે?”

અમ્મા : “નાની ભૂલ હોય તો પણ, તે માટેની શિક્ષા અનુભવીને પૂરી કરવી જોઈએ. ભીષ્મને પણ પોતે કરેલી એક ભૂલ માટે સજા અનુભવવી પડી હતી.”

બ્રહ્મચારી : “તેમણે શું ભૂલ કરી? શું હતી તેમની શિક્ષા?”

 

અમ્મા : “પાંચાલીના વસ્ત્રાહરણ સમયે, શું તેઓ જોઈને ન ઊભા રહ્યાં? ભીષ્મ જાણતા હતા કે, તેઓ જે કંઈ કહેશે તે દુર્યોધન અને તેના ભાઈઓના કાને નહિ પડે. પરંતુ, તેમનો ધર્મ શું છે તે જો બતાવ્યું હોત, તો તેમણે તેનું અનુસરણ કર્યું હોત. પણ તેમ કર્યું નહિ. તેઓ મૌન રહ્યા. તેઓ તેમનું કહેવું માને કે ન માને, પણ અધર્મીઓને તેમના ધર્મનો ઉપદેશ તો આપવો હતો. વિરોધમાં એક અક્ષર પણ ન બોલ્યા. તેમનું આ કૃત્ય, અધર્મીઓની સાથે જોડાવા સમાન હતું. આ જ કારણે, તેમને બાણશૈયા પર સૂવું પડયું હતું.

“અધર્મ વર્તાતો હોય, ત્યારે ધર્મને જાણતા હોવા છતાં, તેની વિરૂદ્ધ એક અક્ષર પણ બોલ્યા વિના, મોઢું બંધ કરી, હાથ વાળીને જોઈને ઊભા રહેવું, એ સૌથી મહાન અધર્મ છે. આ તો ભીરુને છાજતું કૃત્ય છે. વીર પુરુષનો આ માર્ગ નથી. ખોટા કાર્યો કરનારા છટકી શકે એમ વિચારશો નહિ. નરક તેમને માટે જ છે.”

બ્રહ્મચારી : “તે નરક કયાં છે?”

અમ્મા : “અહીં પૃથ્વી પર જ તો.”

બ્રહ્મચારી : “સાચું કે ખોટું, બધાના કરનારા તો એક ઈશ્વર જ છે. નહિ શું?”

અમ્મા : “પુત્ર, સાચા કર્તા તો એક ઈશ્વર જ છે,  જે વ્યક્તિને આનો પૂર્ણ બોધ હોય, તેના માટે આ સાચું છે. સારું કરો અને તેના સારા ફળ મળે.  બૂરું કરો અને તેની શિક્ષા મળે. આ બંનેને સમાનભાવ સાથે, “બધાના આપનારા એક ઈશ્વર જ છે,” આ મનોભાવ સાથે જોવાને આપણે શક્તિમાન હોવા જોઈએ.

“આપણી ભૂલો માટે ઈશ્વર જવાબદાર નથી – પરંતુ સ્વયં આપણે તે માટે જવાબદાર છીએ. ટોનિક સ્વાસ્થ્ય સુધારવા માટે છે. તેને દિવસમાં કેટલીવાર, કેટલી ચમચી લેવી, તે બધું વિસ્તારથી ડૉકટરે આપણને કહ્યું હોય, અને તેમ છતાં, આપણે તેનું અનુસરણ ન કરીએ અને એક જ ઘુંટડામાં આખી બોટલ પી નાખીએ, તો જે કંઈ સ્વાસ્થ્ય હશે તે પણ નાશ પામશે. શું ત્યારે ડૉકટરને દોષ આપવાનો કોઈ અર્થ ખરો? અજ્ઞાનવશ કરેલી ભૂલો માટે ઇશ્વરને જવાબદાર ઠરાવવા, એ તો બેદરકારીથી વાહન હંકારી, કયાંય તેને અથડાવી, તે અકસ્માત માટે પેટ્રોલને દોષ દેવા જેવું છે ! પૃથ્વીપર કેવી રીતે જીવવું, તે માટેના સ્પષ્ટ સુચનો આપેલા છે. તેનું અનુસરણ ન કરી, પરિણામ માટે ઈશ્વરને દોષ આપવાનો કોઈ અર્થ નથી.”

બ્રહ્મચારી : “અમ્મા, ગીતામાં ભગવાને કહ્યું છે કે, કોઈ પણ પ્રકારના ફળની ઇચ્છા રાખ્યા વિના કર્મ કરવાનું. પણ ફળની ઇચ્છા રાખ્યા વિના કોઈ કેવી રીતે કર્મ કરી શકે?”

અમ્મા : “દુઃખરહિત જીવન જીવવા માટે ભગવાને આમ કહ્યું હતું. પરિણામની  ચિંતા કે  વિચાર કર્યા વિના, આપણે કાળજીપૂર્વક કર્મ કરવું જોઈએ. જે ફળ આપણને મળવાનું છે, તે તો મળીને જ રહેશે. ભણતા હો, ત્યારે ધ્યાન દઈને ભણવું જોઈએ. પાસ થશો કે  નપાસ થશો, તેની ચિંતા કરીને દુઃખી થવાનો અર્થ નથી. મકાન બાંધતી વખતે, તે પડી જશે..પડી જશે.. એમ ચિંતા ન કરતા, રીત્સરના તેના બાંધકામમાં ધ્યાન આપવું જોઈએ.

“સારાં કર્મ  કરશો,  તો ચોક્કસ તેનું પરિણામ સારું આવશે. કોઈ ખેડૂત સાફ કરેલા સારાં ચોખા વેચે, તો બધા જ તેને ખરીદશે. સારાં ચોખા લઈ, તેને સાફ કરી ઉકાળી, તડકે સૂકવીને તૈયાર કરે, તો શું તેને તેની મહેનતનું ફળ નથી મળતું? પરંતુ, વધુ લાભ મેળવવાની લાલચને કારણે ભેળસેળ કરે, તો આજ નહિ તો કાલે, તેને પોતાના કર્મની સજા ચોક્કસ મળે છે. મનને તે અશાંત કરશે. માટે, કર્મ પૂર્ણ જાગરૂકતા સાથે, ઈશ્વરને અર્પિત મનોભાવ સાથે કરવું જોઈએ. ફળની ચિંતા ન કરો તો પણ, કરેલા કર્મનું ફળ તેની પૂર્ણ માત્રામાં મળે જ છે, સ્હેજેય ઓછું નહિ કે સ્હેજેય વધુ નહિ! પછી શા માટે ફળની ચિંતા કરી સમય બગાડવો? સમયનો બગાડ ન કરતા, શું તે સમય ઈશ્વર સ્મરણમાં ન વિતાવી શકાય?”

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)