બાળકો, આજે સમાજમાં જોવામાં આવતી બેફામ સ્વાર્થતા અને અહંકાર, નાના બાળકોની નિર્દોષ રમતો અને હાસ્યભરી નાની દુનિયાને રૂંધી રહી છે. આજે આપણે કેવળ કપટી અને કૃત્રિમ સ્મિતથી જ પરિચિત છીએ. જે હકીકતમાં સ્મિત નથી કેવળ હોઠોનું તાણવાનું છે. આ સ્મિતના આધારમાં કોઈ પ્રમાણિકતા નથી.
આપણે તો નિર્દોષ હાસ્ય અને રમતથી ભરેલ બાળકની દુનિયાને પુનઃપ્રાપ્ત કરવાની છે. આપણા બધામાં એક બાળકનું હૃદય સુષુપ્ત છે. તેને જાગૃત કર્યા વિના આપણે ક્યારેય શાંતિ કે સુખ નહીં અનુભવી શકીએ.

બાળસહજ હૃદયનો અર્થ બાલિશતા એવો નથી. બાલિશતા અવિવેકી અને અપરિપક્વ વર્તનને સૂચવે છે. બાળસહજ હૃદય જુદું છે. તે કંટાળ્યા વિના સર્વકાંઈ વિશે જાણવાનો એક નવશિખાવનો મનોભાવ, જીજ્ઞાસા અને ઉત્સાહ છે. બાળસહજ હૃદયમાં ડહાપણ છે. કોઈ કહીં શકે કે, બાળકમાં કોઈ વિવેક નથી. પરંતુ, તેનામાં આટલો વિવેક તો ચોક્કસ છે કે, તે જાણે છે, તેની મા સિવાય અન્ય કોઈ પર તે નિર્ભર રહી શકે નહીં.
એક બાળક પોતાની આસપાસની દુનિયાને વિસરી, સ્વયં આનંદ માણતું, રમતમાં મસ્ત રહે છે, તેને ગુસ્સો આવે કે ઉદાસ બને, બીજી જ ક્ષણે તે બધું ભૂલી જશે. તેનું હૃદય હંમેશા હળવું અને મુક્ત હોય છે. નાની નાની વસ્તુઓમાં પણ તે આનંદ માણે છે. પરિણામે, તેનો ઉત્સાહ અક્ષય છે. તેનામાં બધી જ વસ્તુઓ માટે અતૃપ્ત જીજ્ઞાસા છે. બાળ સહજ હૃદયના આ મૂળ લક્ષણ છે. કેટલાક બાળકો અમ્માને કહેતા હોય છેઃ “મારા મિત્રની મા કેંસરથી પીડાય છે. તેના પિતાને કોઈ સારી નોકરી મળે એવું કંઈ કરો!”
આપણા બધામાં એક બાળસહજ હૃદય છે, જે બીજાના દુંઃખ દરદમાં ભાગીદાર બનવા અને તેમને સાંત્વન આપવાને તત્પર છે. બાળપણમાં આ વ્યક્ત થાય છે.
એક નાની બાલિકાની બહેનપણી મૃત્યુ પામી. આ બાલિકા તે બહેનપણીના ઘરે ગઈ. તે જ્યારે પાછી ફરી ત્યારે તેના પિતાએ તેને પૂછયું કે, “ત્યાં જઈ તે શું કર્યું?”
“મેં મારી બહેનપણીની મમ્મીને સાંત્વન આપ્યું.”
“અને તે આ કેવી રીતે કર્યું?“ બાલિકાના પિતાએ પૂછયું.
“હું તેના ખોળામાં બેસી ગઈ અને તેની સાથે હું પણ રડવા લાગી.”
બાળકોના હૃદય બીજા લોકો, પશુ-પક્ષીઓ, ફૂલ અને પતંગિયા સાથે ભાવનાત્મક રીતે સહજ જ બંધાઈ જાય છે. એક નાના જંતુની વેદના જોઈ, તેઓ ઉદાસ બની જશે. આપણે જ્યારે બાળક હતા, ત્યારે આપણામાં પણ આ ગુણ હતો. પરંતુ, જેમ જેમ મોટા થયા, આપણે તે ગુમાવ્યો, અને પછી આપણે સ્વાર્થતા અને અહંકારના મૂર્તસ્વરૂપ બની ગયા.
હજુંય આપણામાંના હરેકમાં બાળસહજ હૃદય છે. આપણે જો તેને જાગૃત કરી શકીએ, તો આપણે આનંદદાયક સમૃદ્ધ ભવિષ્ય તરફ વિકાસ કરી શકીએ.

