સૌમ્યા : “મને કોઈ વસ્તુ ગમતી હોય, અને હું તેને સ્વીકારું નહિ, તો શું તે વૈરાગ્ય કહેવાય?
અમ્મા : “તે વસ્તુ જો આપણને મિથ્યા તરફ દોરી જાય, તો તે વૈરાગ્ય છે.
“દરેક વસ્તુનો સ્વભાવ આપણે જાણવો જોઈએ. આ બોધ હંમેશા આપણામાં હોવો જોઈએ કે, ભૌતિક વસ્તુઓ આપણને સંતોષ આપી શકે નહી. તેનો આશ્રય લેવાથી, આપણને તાત્કાલિક સંતૃપ્તિ પ્રાપ્ત થશે, પરંતુ આખરે તો તે આપણને દુઃખ તરફ જ દોરી જાય છે. આ બોધ જો આપણામાં જાગૃત થાય, તો પછી તે વસ્તુ સાથેની આસક્તિ આપમેળે જ ઓછી થશે. પછી આ વસ્તુઓમાંથી મનને વાળવું બહુ સરળ બની જાય છે.

“એક માણસને દૂધપાક બહુ ભાવે. એક દિવસ તેના કોઈ મિત્રની જન્મદિવસની પાર્ટીમાં તેને નિમંત્રિત કરવામાં આવ્યો. ઉજાણીની પ્રમુખ વસ્તુ હતી, દૂધપાક! તે બહુ ખુશ થયો. તેણે તો વાટકો ભરીને દૂધપાક લીધો. તેમાંથી એક ચમચી દૂધપાક ચાખી જોયો. વાહ, તે ખૂબ સ્વાદિષ્ટ હતો. માપસર દૂધ, મધુરો, ઇલાયચી, કાજુ, કેસર, બદામ, પિસ્તા, કિસમિસ વગેરે. અસલ દૂધપાક હતો! બીજી ચમચી પીવા, તેણે ચમચીને દૂધપાકમાં ડૂબાડી જ હતી કે, તે જ ક્ષણે ઉપર છતમાંથી એક ગરોળી તેમાં પડી. પોતાની અત્યંત પ્રિય વસ્તુને, પાત્ર સમેત ઉપાડીને ફેંકી દેવી પડી. દૂધપાકમાં ગરોળી પડતા, આ બોધ થયો કે તે ખાવાને લાયક નથી, તે જ ક્ષણે તેને ખાવાની ઇચ્છા પણ નાશ પામી. આ જ પ્રમાણે, ભૌતિક વિષયોનો આશ્રય લેવાથી માત્ર દુઃખ જ પ્રાપ્ત થાય છે, જ્યારે આ બોધ આવે પછી ભલે કોઈ અત્યંત પ્રિય વસ્તુ કેમ ન હોય, તેનો ત્યાગ કરવો સરળ બને છે. મનને તેમાંથી પાછુ વાળવા કે નિયંત્રણમાં રાખવામાં કોઈ કઠિનાઈ નથી પડતી. આ વૈરાગ્ય છે. ફેણવાળા ઝેરી નાગને જોઈ, તેનામાં રહેલા ઝેરથી અજાણ કોઈ બાળક તેને પકડવાને દોડશે. પણ શું આપણે તેમ કરી શકીશું?
“પુત્રી, મનને બળપૂર્વક નિયંત્રણમાં લાવવા કરતા, વસ્તુના ગુણદોષને સમજી, તે પ્રત્યે વિરક્તિ કેળવી, તેનાથી દૂર રહેવું ઉત્તમ છે. ત્યારે પછી સહજ જ નિયંત્રણ આવી જશે.”
સૌમ્યા : “અમ્મા, મને લાગે છે કે, યથાર્થ આનંદ વૈરાગ્યમાંથી જ પ્રાપ્ત થાય છે. ભૌતિક વસ્તુઓનો આશ્રય લેવાથી, કે તેને સંગ્રહિત કરવાથી કે પછી તેને માણવાથી, તે પ્રાપ્ત થતો નથી.”
અમ્મા : “શું તને લાગે છે કે યથાર્થ આનંદ વૈરાગ્યમાંથી પ્રાપ્ત થાય છે? નહિ! યથાર્થ આનંદ તો પ્રેમમાંથી આવે છે. ઈશ્વર સાક્ષાત્કાર માટે, આત્મ સાક્ષાત્કાર માટે, તમને જેની જરૂર છે, તે છે પ્રેમ. પ્રેમ દ્વારા જ તમે પૂર્ણ વૈરાગ્ય અનુભવો છો.”
સૌમ્યા : “તો પછી આપણે શેનો ત્યાગ કરવો જોઈએ? નિદ્રામાં નિયંત્રણ આહારમાં નિયંત્રણ, તેને શું કહેવાય?”
અમ્મા : “તેને ત્યાગ કહી શકાય. પણ તે માત્ર જ ત્યાગ નથી. કોઈના પર ક્રોધ કરીએ, તો શું આપણને મનમાં સમાધાન હશે? પ્રેમ હોય ત્યારે જ આપણને સમાધાન હોય છે. ખરું ને? પુષ્પમાં રહેલી સુગંધને શ્વાસથી સૂંધવાથી, આપણે તેનો આનંદ માણીએ છીએ, ખરું ને?નાક બંધ કરીને રાખીએ તો શું આપણે તેની સુગંધ માણી શકીશું? સાકરને મોઢામાં રાખીએ ત્યારે તેની મીઠાશ અત્યાધિક અનુભવીએ છીએ. નહિ કે? શું સાકર પ્રત્યેના વૈરાગ્યમાંથી આ સુખ આવે છે? નહિ, તે પ્રેમમાંથી આવે છે.
“મળને જોતાં તમે નાક બંધ કરો છો. તેને વૈરાગ્ય કહી શકાય. ત્યાં પ્રેમ નથી. તે આનંદ નહિ આપે. ભૌતિક વસ્તુઓમાંથી પ્રાપ્ત થતું સુખ, તાત્કાલિક છે. તે જ પાછળથી દુઃખનું કારણ બને છે.
“સંસારમાંથી પ્રાપ્ત થતું સુખ નિત્ય નથી, ક્ષણિક છે. માટે જ તે મિથ્યા છે. આમ વિચારી તેનો ત્યાગ કરવો, તેને વૈરાગ્ય કહે છે. તેમ છતાં, યથાર્થ આનંદ, મિથ્યા વસ્તુ પ્રત્યેના વૈરાગ્યમાંથી પ્રાપ્ત નથી થતો. પ્રેમ દ્વારા જે સત્ય છે, યથાર્થ છે, તેને પ્રાપ્ત કરવાનું છે. આ તો અનંત આનંદ તરફનો માર્ગ છે.
“જે મિથ્યા છે, તેની ધૃણા કરવી જરૂરી નથી. મિથ્યા જગતમાંથી નિત્ય તરફ પહોંચવાનું શીખી શકો. આપણને જેની જરૂર છે, તે છે શાશ્વત જગતની. પ્રેમ દ્વારા જ આપણે તે સ્થિતિને પ્રાપ્ત કરવા વિકસી શકીએ. ચંદ્ર જ્યારે ઉદિત થાય છે, ત્યારે પૃથ્વી પરના સમુદ્રો અને સરોવરોના પાણી, ચંદ્ર પ્રત્યેના પ્રેમને કારણે તે તરફ ઉંચે ઊઠે છે. પવનના સ્પર્શનો આનંદ માણવા, ફૂલ ખીલે છે,
અને આ માટેનું કારણ છે, પ્રેમ. માટે, એ શું છે જે આપણને પરમાનંદ આપે છે? તે વૈરાગ્ય નથી, પણ પ્રેમ છે.”
સૌમ્યા (થોડી અસ્વસ્થતા સાથે) : “મને કોઈ વસ્તુને પ્રેમ કરવાથી પ્રાપ્ત થતું સુખ નથી જોઈતું.”
અમ્મા : “એક સાધક જેને પ્રેમ કરે છે, તે તેના પોતાનાથી અન્ય નથી. તે તો પોતાના આત્માને પ્રેમ કરે છે, જે તેની આસપાસ સર્વકાંઈમાં વ્યાપ્ત છે. યથાર્થ વૈરાગ્ય તો નિત્યાનિત્યમાંથી જે નિત્ય છે, તેને પ્રેમ કરવામાં છે. પ્રેમ જ્યારે વધુ ને વધુ ઊભરાય છે, ત્યારે નિત્યને જાણવાની જીજ્ઞાસા પણ દ્રઢ બને છે.
“ધારો કે આપણો કોઈ મિત્ર, જે બહુ દૂર રહે છે. તે આપણને મળવા આવી રહ્યો છે. જે ક્ષણ આપણને આ સમાચાર મળે કે, કોઈ પણ સમયે તે અહીં પહોંચશે, તો નિદ્રા અને આહારનો ત્યાગ કરી આપણે તેની રાહ જોઈશું. શું આ તેના પ્રત્યેનો પ્રેમ નથી, કે જેને કારણે, નિદ્રા અને ખોરાકનો ત્યાગ કરી આપણે તેની રાહ જોઈએ છીએ?”
સૌમ્યા : “અમ્મા, પહેલાં શેની જરૂર છે, નિયંત્રણ કે પ્રેમ ?”
અમ્મા : “પ્રેમમાં સ્થિર રહીને સાચું નિયંત્રણ આવવું જોઈએ. પ્રેમ વિના સાચું નિયંત્રણ નથી આવતું. પ્રેમ વિનાનું નિયંત્રણ સ્થાયી નહિ હોય. મન ફરી પહેલાંની સ્થિતિ પર પાછું ફરશે. મિત્ર મળવાને આવી રહ્યો છે , આ જાણ થતાં, તેના પ્રત્યેના પ્રેમને કારણે, તેને મળવાની ઇચ્છાથી, ખોરાક અને નિદ્રાનો ત્યાગ કરીએ છીએ. અહીં આપણી જાણબહાર જ નિયંત્રણ આવે છે. પ્રેમને કારણે, આપણને તે તકલીફ કે ત્યાગ જેવું લાગ્યું નહિ. પણ જો, પ્રેમ ન હોય તો નિયંત્રણ અત્યંત કઠિન બનશે. એક ટંક ભોજન ન કરીએ, તો આપણા બધા વિચાર પછી ખોરાકના જ હોય છે.
“એક વસ્તુ પ્રત્યે વૈરાગ્ય આવવો હોય તો અન્ય કોઈ વસ્તુ પ્રત્યે પ્રેમ આવવો જોઈએ. પુત્રી, સાક્ષાત્કાર પ્રત્યેના તારાં પ્રેમને કારણે, અહીં તું બધું સહન કરી, ધીરજથી રહી શકે છે. અન્યથા અહીં જીવી શકાય નહિ. આપણી અંદર કામ છે, ક્રોધ છે, મદ છે, મત્સર છે, લોભ છે, ઈર્ષા છે. તેને પ્રકટ ન કરતા, તેને આપણી અંદર દબાવી, બધું સહન કરીને શા માટે રહીએ છીએ? સાક્ષાત્કાર પ્રત્યેના પ્રેમને કારણે જ તો! અને જો તે ન હોય તો તે બધું બહાર આવે. પરંતુ પ્રેમના મૂલ્યને કારણે, તે બધાને જીવવા, પ્રવૃત થવા કે વિકસવા યોગ્ય સંજોગો નથી મળતા. લક્ષ્ય પ્રત્યેનો પ્રેમ, તેને નિયંત્રણમાં રાખે છે. ”
સૌમ્યા : “તો પછી અમ્મા, શા માટે તમે આશ્રમના નિયમોના પાલન પર ભાર મૂકો છો? શું તે સ્વાભાવિક જ નહિ બને?”
અમ્મા : “અમ્મા એમ નથી કહેતા કે વૈરાગ્ય ન જોઈએ. વૈરાગ્યનો અભ્યાસ કરવો જ જોઈએ. પણ વૈરાગ્યને જે પૂર્ણ કરે છે, તે તો માત્ર પ્રેમ જ છે. શરૂઆતમાં નિયંત્રણ બહુ જરૂરી છે. અત્યારે અહીં ત્રીસેક જેટલા બાળકો છે. બધાને એક જ વિચાર છે, અને તે છે, સાક્ષાત્કાર.
“તેમને આત્મજ્ઞાન જોઈએ છે. પણ તેમના મન શરીરને આધીન છે. આ સુખનો ત્યાગ કરવો તેમને ગમતું નથી. માટે શિસ્તપાલન જરૂરી પડે છે.
“સવારે કોઈ જગ્યા પર જવાનું છે. પરંતુ, નિદ્રાનો ત્યાગ કરવો ગમતો નથી. આમ હોય ત્યારે શું તે વ્યક્તિને જગાડવી ન જોઈએ? બાળકોને સૂર્યોદય જોવાની ઇચ્છા છે. પરંતુ તે માટે સવારે વહેલું ઉઠવું, એ ન બને. મન શરીરના સુખમાં રાચે છે. આપણે ઉદયની રાહ જોઈને બેઠા છીએ. ઉદય આપણી રાહ નહિ જુએ. તે પોતાની “ડયુટી” કરશે. પરંતુ આપણે આપણી “ડયુટી” નિભાવતા નથી. આમ જ્યારે બને ત્યારે અમ્માએ બાળકોને બોલાવીને જગાડવા જોઈએ. અને તેમ ન કરે, તો તે બાળકોને છેતરવા જેવું હશે. આ કડકાઈ, અમ્માનો અત્યંત મહાન પ્રેમ છે. એમ અમ્માને લાગે છે.”