બાળકો, કેટલાક લોકો પૂછતા હોય છે, ભક્તિના માર્ગમાં ભયને કોઈ સ્થાન છે અને શું ભય-ભક્તિ અનુચિત છે? અમ્મા એમ નથી કહેતા કે, ભય-ભક્તિ અનુચિત છે. ભક્તિની પૂર્ણતામાં ભયને કોઈ સ્થાન નથી. પરંતુ, ભક્તિના માર્ગમાં આગળ વધવા એક આરંભકને ભય-ભક્તિ ચોક્કસ સહાય કરે છે. જગદીશ્વર દરેક જીવને પ્રત્યેક કર્મનું ફળ વિતરણ કરે છે. તે સદ્‌ગુણીની રક્ષા કરે છે અને અધર્મીને શિક્ષા કરે છે. જે જાણે છે કે, ઈશ્વર દુષ્કર્મોને શિક્ષા કરે છે, તેનામાં આદર અને થોડો ભય હશે જ. આ ભય તેનામાં વિવેક પ્રજ્વલિત કરે છે. આ તેને ખોટાં કાર્યોથી દૂર રાખી, આગળ સાચા માર્ગ પર ચાલવાને સશક્ત કરે છે.

ભય-ભક્તિ, એ કોઈ ગુલામની પોતાના માલિક પ્રત્યેના ભય જેવી નથી. આમાં કેવળ ભય જ નહિ, એક વિદ્યાર્થીનો પોતાના શિક્ષક પ્રત્યેનો આદર પણ સમાયેલો છે અને એક બાળકનો પોતાની મા માટેનો નિર્દોષ પ્રેમ પણ છે. ઈશ્વર પ્રત્યેનો આપણો મનોભાવ પણ આવો જ હોવો જોઈએ.

એક બાળક પોતાની માને પ્રેમ કરે છે. તે જાણે છે કે, તેની મા તેની રક્ષક છે. આ સાથે તે એ પણ જાણે છે કે, પોતે જો કોઈ તોફાન કરશે, તો તેની મા તેને શિક્ષા કરવામાં સ્હેજેય સંકોચ રાખશે નહિ. આ પ્રમાણે, પોતાની મા માટેના તેના પ્રેમમાં ભયનો છાંટો પણ છે. આ ભય અનેક સંકટો અને દુષ્કૃત્યોમાંથી તેની રક્ષા કરે છે. બાળકના તોર તરંગો તેને ખોટું કરવાને પ્રેરિત કરશે. પરંતુ, પોતાની મા પાસેથી જે ઠપકા અને શિક્ષા મળશે, તે ભયના કારણે પોતે સ્વયંને મુસીબતથી દૂર દોરી જાય છે. આ પ્રમાણે મા પ્રત્યેનો ભય તેનામાં વિવેક જગાડે છે અને તેને સાચા માર્ગ પર આગળ ચાલવાને પ્રોત્સાહિત કરે છે. આ સાથે મા માટેના તેના પ્રેમમાં આ ભય ક્યારેય બાધા નથી. ઉલ્ટાનું તે ઉચિત સ્વસ્થ આધ્યાત્મિક વિકાસ કેળવે છે.

બાળકો જ્યારે નાના હોય ત્યારે સરસથી ભણે છે. આ તેઓ અધ્યાપક પાસેથી મળતી શિક્ષાના ભયના કારણે કરે છે. આ ભય તેમને આળસમાંથી બહાર આવવા અને જ્ઞાન ગ્રહણ કરવા સહાય કરે છે. તેઓ જ્યારે પછી ઉપરના ધોરણમાં પહોંચે છે, ત્યારે આ ભય તેમને સતાવતો નથી. કારણ કે, ત્યાં સુધીમા તેમણે આવશ્યક વિવેક કેળવી લીધો હોય છે. તેમને અધ્યાપક પ્રતિ કેવળ આદર અને આજ્ઞાંકિતતા જ હોય છે. ઘણાખરા ભક્તોનો ઈશ્વર પ્રત્યેનો મનોભાવ આવો હોય છે.

ભક્ત જેમ જેમ ભક્તિના માર્ગમાં આગળ વધે છે, તેમ ભય-ભક્તિ પ્રેમ-ભક્તિમાં વિકસે છે. પ્રેમ-ભક્તિમાં ભયનો છાંટો સુદ્ધા નથી. ઈશ્વર પ્રત્યેના પ્રેમને લઈ ઈશ્વર પાસેથી મળતી શિક્ષાને પણ તે આનંદથી સ્વીકારે છે. તેનામાં રહેલી વાસનાઓ જે તેને ખોટું કરવા પ્રેરિત કરતી હતી, તે ભક્તિના હર્ષોલ્લાસમાં ધોવાઈ જાય છે. એક સાચો ભક્ત અન્ય બધું ભૂલી જાય છે અને તે પોતાની પ્રેમાળ માના ખોળામાં વિશ્રામ કરતા બાળક જેવો બની જાય છે. ૐ